Translate

શનિવાર, 25 ફેબ્રુઆરી, 2012

શરણાગતિ

[શ્રી ખડાયતા વિશ્વ સખીમિલન સંસ્થા દ્વારા થોડા સમય અગાઉ એક નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં વિષય હતો - 'શરણાગતિ'. આ સ્પર્ધામાં મારા લખેલા નિબંધને ઇનામ મળ્યું હતું, જે આજના બ્લોગ તરીકે આજે 'બ્લોગને ઝરૂખેથી...'માં રજૂ કર્યો છે.]


"ભગવાનને તો નમ્રતા વ્હાલી, સંપૂર્ણ શરણાગતિ વ્હાલી... જે નમે એ પ્રભુને ગમે!"

બે વર્ષ અગાઉ મેં જેમા નાની મોટી ભૂમિકાઓ ભજવી હતી એવા ગુજરાતી નાટક 'ૐ શ્રીમદ ભાગવત અક્ષર દેહ રૂપે' નો આ સંવાદ હજી મને અક્ષરશ: યાદ છે! ‘શરણાગતિ’ શબ્દ પર મારા વિચારો લખતી વેળા એ મને સૌ પ્રથમ આ સંવાદ યાદ આવ્યો એટલે એનાથી જ આ નિબંધની શરૂઆત કરી!

શરણાગતિ - આ શબ્દ વાંચતા જ તેનું અર્થઘટન બે રીતે થઈ શકે છે. એક હકારાત્મક અને બીજું નકારાત્મક.

હકારાત્મક અર્થ વિષે પહેલા ચર્ચા કરીએ.શરણાગતિ હકારાત્મક અને આવકાર્ય ગણાય જ્યારે તે ઇશ્વર પ્રત્યે હોય, ગોપીઓની જેમ તેમના પ્રિય સખા કૃષ્ણ પ્રત્યે હતી તેવી. આ પ્રકારની શરણાગતિમાં સમર્પણનો ભાવ છે, ત્યાગનો ભાવ છે, પ્રેમનો ભાવ છે અને તે અંતે મોક્ષ સુધી દોરી જાય છે. ઇશ્વરને પામવાના એ સાચા માર્ગ સમી બની રહે છે. અહમ કે ઈગોને ઓગાળી પ્રિય પાત્ર સામે સ્વીકારેલી શરણાગતિ પણ એ સંબંધની મજબૂતાઈ અને ગરિમાને એક નવા આયામ પર લઈ જાય છે.

બીજા એક પ્રકારની શરણાગતિ ભલે તત્કાલીન હારનું સૂચન કરતી હોય પણ પરિસ્થિતીના તકાજા મુજબ એ તે સમયે લીધેલ યોગ્ય, સાચું અને શ્રેષ્ઠ પગલું ગણી શકાય. ‘જાન બચી લાખો પાયે’ ના ન્યાયે કે પછી ‘જાન હૈ તો જહાન હૈ’ શરણાગતિ દ્વારા જ ભવિષ્યમાં ફરી જીતની આશા જીવંત રહેવા પામે છે. કહ્યું છે ને ‘સર સલામત તો પઘડિયા બહોત’!

નકારાત્મક શરણાગતિ સંજોગો સામે હારી જઈને શસ્ત્રો હેઠા મૂકી દેવાની વૃત્તિ દ્વારા પ્રદર્શિત થાય છે. આ પ્રકારની શરણાગતિ પતન તરફ દોરી જાય છે. તે હાર સૂચવે છે, કાયરતા સૂચવે છે.

પલાયનવાદી વૃત્તિથી જીવનમાં કંઈ જ હાંસલ કરી શકાતું નથી. કુટેવને વશ થઈ તેના ગુલામ બની જવું એ પણ નકારાત્મક શરણાગતિનો પ્રકાર ગણી શકાય.આવી શરણાગતિ પણ અધ:પતન તરફ દોરી જાય છે.

કેટલીક વાર સંજોગો સામે ઝૂકીને,પરિસ્થિતી સામે નમીને,શરણાગતિ સ્વીકારીને જ ભવિષ્યની જીત માટે ટકી શકાય છે.શ્રી ક્રુષ્ણ આનું સર્વોત્તમ ઉદાહરણ છે.તે રણછોડ શા માટે કહેવાયા એ વાર્તા બધાને ખબર જ હશે.શ્રી રામે પિતાની આજ્ઞા શિરોમાન્ય રાખી સંજોગો સામે શરણાગતિ સ્વીકારીને જ ચૌદ વર્ષનો વનવાસ નહોતો વેઠ્યો?પાંડવો પણ મહાભારતનું યુદ્ધ જીત્યા એ પહેલાં રાજપાટ ખોઈ શરણાગતિ સ્વીકાર્યા બાદ જ હિંમત હાર્યા વગર પરિસ્થીતી સામી ઝઝૂમ્યા હતાં અને ફરી વખત આવ્યે સંગ્રામ ખેડી મહાયુદ્ધ જીત્યા હતાં.ઇતિહાસમાં પણ આવા અનેક દાખલા મળશે.

હા,પણ એક વાત ચોક્કસ કે નકારાત્મક શરણાગતિ છેલ્લો પર્યાય હોવો જોઇએ.આપણાંમાં તાકત નથી કે આપણે કોઈ પડકાર સ્વીકરવાની ક્ષમતા ધરાવતા નથી એમ સ્વીકારી લઈ શરણાગતિનો આશરો લઈશું તો જીવન એળે જશે.

ઇશ્વરને સદાય પ્રાર્થના કરતા રહેવું કે તે આપણને સાચો નિર્ણય લેવાની શક્તિ આપે અને હકારાત્મક અને નકારાત્મક શરણાગતિ વચ્ચેનો ફરક સમજી શકીએ એટલી સદબુદ્ધિ આપે...

અસ્તુ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો