Translate

સોમવાર, 11 જાન્યુઆરી, 2010

મનોજ્ઞા દેસાઈ : એક વિરલ વ્યક્તિત્વ

મારાં પ્રથમ ત્રણ પુસ્તકો (૨૦૦૮માં) પ્રકાશિત થયા ત્યારબાદ એક મહોદયાનો મને ફોન આવ્યો.જન્મભૂમિની મહેક પૂર્તિમાં આવતી મારી નિયમિત કટાર 'ઇન્ટરનેટ કોર્નર' પર આધારિત એ પુસ્તકો તેમને ખૂબ ગમ્યાં એટલે અભિનંદન આપવા તેમણે મને ફોન કર્યો હતો. કેટલીક વ્યક્તિઓને તમે ક્યારેય મળ્યા ન હોવ કે તેમને તમે ક્યારેય જોઈ ન હોય છતાં તેમની સાથે તમે તરત એક પ્રકારનું જોડાણ અનુભવો છો. અમે પ્રથમ વાર જ ફોન પર મળી રહ્યાં હોવા છતાં ૧૦-૧૫ મિનિટ થયેલી વાતચીત બાદ મેં તેમની સાથે ખાસ્સી આત્મિયતા અનુભવી. તેમણે જણાવ્યું કે મારી 'ઇન્ટરનેટ કોર્નર' જેવી જ એક કોલમ તેઓ અન્ય એક વર્તમાનપત્રમાં લખતાં હતાં અને તેઓ એક સારા સ્પીચ થેરાપિસ્ટ પણ હતાં અને ખાર ખાતે આવેલા રામક્રુષ્ણ મિશનમાં સેવા આપતા હતા. મને તેમની સાથે વાત કરવાની ખૂબ મજા આવી. પ્રથમ મુલાકાતમાં જ હું તેમનાથી ઘણો પ્રભાવિત થઈ ગયો.
આ પ્રસંગ પછી થોડાં સમય બાદ જ મિડ-ડે માં મારા પુસ્તકોનો રીવ્યુ પણ છપાયો જે મને પાછળથી જાણ થઈ કે આ મહોદયાએ જ લખ્યો હતો. પાંચેક મહિના બાદ મારું ચોથું પુસ્તક 'આભૂષણ' પ્રકાશિત થયું અને મેં નક્કી કર્યું કે આ વખતે હું પોતે તેમને જઈને મળીશ અને રુબરુ વાતચીત કરી મારું પુસ્તક તેમને હાથોહાથ આપીશ.ગયે વખતે જ્યારે અમારી ફોન પર વાત થયેલી ત્યારે મેં તેમને ખાતરી આપી હતી કે આપણે જલ્દી જ રુબરુ મળીશું અને ચા-કોફી સાથે વાતોનાં વડાંનો કરીશું! તેથી એક દિવસ સાંજે ઓફિસેથી છૂટી હું સીધો તેમનાં ઘેર જઈ પહોંચ્યો.તેમણે સસ્મિત ઉમળકાભેર મને આવકાર્યો.. તેઓ ત્યારે પોતાની એક નાનકડી દર્દી સાથે વાતચીત કરી રહ્યા હતા - એક કિશોરી જેને બોલવામાં સહેજ તકલીફ હતી અને જે પોતાના માતા પિતા સાથે આવી હતી. તેમણે મને નમ્રતાપૂર્વક થોડી રાહ જોવા કહ્યું . મેં ઉપર ઉપરથી તેમની વાતચીત સાંભળી. તે વાતચીતની કલાનુ ખૂબ સારું કૌશલ્ય ધરાવતા હતા અને ખૂબ સારા મૈત્રી પૂર્ણ સ્વભાવવાળા ડોક્ટર હતા એ તેમની વાતચીત પરથી હું કલ્પી શક્યો. તે દર્દીના ગયા બાદ તેમણે મારી મુલાકાત તેમના કુટુંબના બધા સભ્યો સાથે કરાવી. તો બધા ખૂબ સારાં માણસો હતાં તેમનાં મોટાં ભાઈ એ મારાં અને મારી કટારના ખૂબ વખાણ કર્યા અને ખૂબ જૂના એવા ઇન્ટરનેટ કોર્નર માં છપાયેલા બે ત્રણ લેખ વિશે તેમનો અભિપ્રાય આપ્યો તેમણે કહ્યું એ બે ત્રણ લેખ ખરેખર હદય સ્પર્શી હતા અને એ તેમને હજી સુધી યાદ હતાં ! જ્યારે કોઈ તમારાં કોઈક કાર્યનાં વખાણ કરે અને તેમને એ વિશેનો સાચો અભિપ્રાય આપે ત્યારે તમને તે ખૂબ ગમે છે.
આ દરમ્યાન તેઓ મારા માટે ચા તૈયાર કરી લાવ્યાં તેમનાં ભાઈનો પૌત્ર એક અતિ સુંદર નાનો મિઠ્ડો છોકરો હતો જેને તેના ફોઈબા એટલે કે જે મહોદયાની હું વાત કરી રહ્યો છું તેમની ખૂબ માયા હતી અને તે સતત તેમની સાથે રમત કરી રહ્યો હતો હું જોઈ શક્યો કે તેઓ પોતાના બધા કુંટુંબીજનો સાથે ખૂબ લાગણીશીલ સંબધો ધરાવતાં હતાં અને તેમના બધા કુંટુંબીજનો પણ તેમને ખૂબ પ્રેમ કરતાં હતા. તેમણે તેમના ભાઈના પત્નીની પણ મારી સાથે ઓળખાણ કરાવી, જેમણે મારા પપ્પા સાથે વર્ષો પહેલાં એક 'ભવાઈ' નો કાર્યક્ર્મ કર્યો હતો આ બધી ઓળખાણ અને ચા પાણી બાદ મારી તેમની વિવિધ વિષયો પરની ચર્ચા શરૂ થઇ. એક પછી એક એટલી બધી સારી સારી વાતો અમે કરી કે દોઢ-બે કલાક ક્યાં પસાર થઇ ગયા તેનો ખ્યાલ જ ન રહ્યો!
અમે ગુજરાતી ભાષાની વર્તમાન સ્થિતી અને તેના ભવિષ્ય પર ચર્ચા કરી . અમે રેડીયો વિશે વાત કરી. હુ ઓલ ઈન્ડિયા રેડીયો પર ગુજરાતી સમાચાર વાચું છું અને તેઓ ગુજરાતી FM ચેનલ પર સોમ થી શુક્ર ઘણાં કાર્યક્ર્મોનુ સંચાલન R.J. તરીકે કરતાં. અમે ઘણાં સામાન્ય શોખ ધરાવતા હોવાનુ માલૂમ પડ્યું.અને અમારી એ મુલાકાત દરમ્યાન મને તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વના ઘણા નવા પાસાઓની જાણ થઈ . તેઓ કવિતાઓ લખતાં, મિડ-ડેમાં પુસ્તકોના રિવ્યુ લખવાની સાથે જ તેઓ બીજી પણ નાની મોટી ઘણી કટાર નું સંચાલન/સંકલન કરતાં જેમાની ઘણી ખરી કટારો મારી મન પસંદ હતી, પણ મને જાણ ન હોતી કે તેઓ તે સંભાળતા હતાં ગુંજરાતનાં એક વર્તમાન પત્ર માટે તેઓ રોજ શબ્દચોરસ પણ તૈયાર કરતાં હતાં આ બધી કામકાજની વાતો બાદ મેં તેમની સાથે મારાં કુટુંબ વિશે પણ ચર્ચા કરી. મારી પત્નિ વિશે , મારી બહેનો વિશે. મેં તેમને જણાવ્યું કે મારી મોટી બહેન શિક્ષણ ક્ષેત્રમાં સારી નોકરી શોધી રહી હતી પણ ગુજરાતી માધ્યમની શાળાઓમાં ઘટતી જતી વિધાર્થીઓની સંખ્યાને પરિણામે ઘટી રહેલી ગુજરાતી માધ્યમની શાળાઓને કારણે આઠેક વર્ષથીએ વધુ બહોળા અનુભવ છતાં હજી સુધી તે કોઈ સારી કાયમી જ્ગાએ નોકરી મેળવી શકી નથી. હું જેને મળવા આવ્યો હતો એ મહોદયા એ તરત વિચાર કરી મને પૂછ્યું કે મારી બહેનને તેમનાં સહાયિકા તરીકે જોડાવું ગમશે? હું આ મહોદયા ને અહી પહેલી વાર મળી રહ્યો હતો અને આ પ્રથમ મુલાકાતમાં જ મે મારા કુટુબની અંગત બાબતો પણ તેમની સામે વર્ણવી અને તેમણે મારી બહેન માટે એક નોકરીની તક પણ ઊભી કરી દીધી!
અમે સારા પુસ્તકો વિશે ,વાંચનના મહત્વ વિશે, બીજી કેટલીક સારી વ્યક્તિઓ વિશે અને બીજી અનેક રસપ્રદ વાતો ચર્ચી. અમારી વચ્ચે તરત એક સામાન્ય તંતુ બંધાઈ ગયો હતો. જે વ્યક્તિઓના વિચારોની 'વેવલેન્થ' તમારી સાથે મેળ ખાતી હોય અને જેના શોખો, જીવવાની રીત વગેરે તમારી સાથે મળતા હોય ત્યારે તેવી વ્યક્તિઓનો સંગાથ તમે ખૂબ માણો છો! હું 'મનોજ્ઞા બેન દેસાઈ'ને મળીને ખૂબ ખુશી અનુભવી રહ્યો હતો.!
અમારી પ્રથમ મુલાકાત બાદ, મે ત્રણ-ચાર વાર તેમની સાથે ફોન પર વાતચીત કરી અને થોડાંજ સમયમાં હું મારી બન્ને બહેનોને તેમની દાદર માં આવેલી ઓફિસે મળવા લઈ ગયો તેમણે મારી બહેન તેજલ માટે તેમની સહાયિક તરીકે નોકરીનો પ્રસ્તાવ મૂક્યો હતો એ સંદર્ભે હું મારી બહેનોને તેમને રુબરૂ મળવા લઈ ગયો હતો તેમણે મારી બંને બહેનોને પ્રેમ પ્રૂર્વક સત્કારી અને તેઓ બન્ને પણ તરત મનોજ્ઞા બેન સાથે હળી મળી ગઈ. આ વખતે પણ મેં તેમની સાથે ઘણો વિચાર વિમર્શ કર્યો અને ૧લી જાન્યુઆરી ૨૦૦૯થી મારી બેન તેમને ત્યાં નોકરીએ જોડાશે એ પણ લગભગ નક્કી જ થઈ ગયું (અમે ડિસેમ્બર૦૦૮ ના છેલ્લા અઠવાડીયા માં તેમને મળવા ગયાં હતાં) તેમણે ધણાં પ્રેમ અને ઉદારતાથી મારી બહેનને એ બધું જ જ્ણાવ્યું જેની તેઓ તેની પાસે સહાયિકા તરીકે અપેક્ષા રાખી રહ્યાં હતાં. મારી બહેન પણ તેમનાંથી એટલી પ્રભાવિત અને ખુશ થઈ ગઈ હતી કે તે પોતાની જાતને આવા સારા 'બોસ' ના હાથ નીચે કામ કરવા મળશે એ વિચારી પોતાની જાતને નસીબદાર સમજવા લાગી હતી! આવી મિલનસાર , પ્રેમાળ, ગુણી વ્યક્તિને મળીને કોણ ખુશ ન થાય? મનોજ્ઞા બેન પણ ખુશ હતા કારણ ઘણાં સમયથી તેઓ એક સહાયક વ્યક્તિની જરૂર મહેસૂસ કરી રહ્યાં હતાં અને સહાયક તેમને ત્યાં જોડાય ત્યાર બાદ તેઓ પોતાના અનેક અધુરાં કાર્યોને ન્યાય આપવા ઇચ્છતા હતા. તેમને કેટલાં બધાં કાર્યો કરવાની ઇચ્છા હતી! પણ પાછલા કેટલાક સમયથી વ્યસ્તતાને કારણે અને થોડાઘણાં આરોગ્યને લગતા અવરોધોને લીધે તેઓ હાથમાં લીધેલાં કાર્યો પૂર્ણ કરી શક્તા નહોતા. આથી અમને મળ્યા બાદ તેમને એક પ્રકારની રાહતનો અનુભવ થયો હોય તેમ લાગતું હતું. હું તો મનોજ્ઞાબેન અને તેજલ બન્ને કરતાં પણ વધુ ખુશ હતો! મેં વિચારેલું ૨૦૦૯નું વર્ષ અમારાં ત્રણે માટે ખૂબ સારું સાબિત થશે.
પણ જીવનમાં ઘટનાઓનું ગણિત કોઈ સમજી શક્યું નથી. તમે કઈંક વિચારો અને બનતું હોય છે કઈંક. મારી બહેન તેજલ મનોજ્ઞાબેનને ત્યાં ૧૫-જાન્યુઆરી-૨૦૦૯ થી જોડાશે એ મુજબ નક્કી થયા બાદ તેને, અમે રહીએ છીએ એ જ જગાથી નજીક એક ગુજરાતી માધ્યમ શાળામાંથી રજા પર ઉતરેલ શિક્ષકની જગાએ જોડાવા માટે સંદેશ આવ્યો. ભણાવવું એ તેજલનો પ્રથમ પસંદગીનો વિકલ્પ - જેને તે હ્રદયથી ચાહતી હતી. મનોજ્ઞાબેને પણ વાતચીત દરમ્યાન જણાવેલું કે તેજલ તેમની સાથે જોડાયા બાદ પણ જો બીજી સારી શિક્ષણક્ષેત્રની તક મેળવે તો તેઓ તેને તરત રજા આપી દેશે જેથી તેજલ પોતાનાં પ્રથમ પ્રેમ સમા શિક્ષણ કાર્યને ન્યાય આપી શકે. પણ તેજલ મૂંઝવણમાં પડી ગઈ. તેણે તરત મનોજ્ઞા બેનને ફોન જોડ્યો. તેણે મને પણ આ વિશે વાત કરવા સુધી રાહ ન જોઈ. મનોજ્ઞાબેનતો તેજલને મળેલી આ તક વિશે સાંભળી ખૂબ ખુશ થયાં અને તેમણે તેજલને વધુ વિચાર કર્યા વગર તરત એ શાળામાં 'હા' કહી દેવા સલાહ આપી. આજના યુગમાં હું એવા કેટલાયે માણસોના સંપર્ક માં આવ્યો છું જેઓ સ્વાર્થી કે કદાચ વેપારી મગજનાં કહી શકાય એવા સ્વભાવના હોય છે જે હમેશા પોતાના વિશે કે પોતાની જરૂરિયાતો વિશે કે પોતાના સ્વાર્થ વિશે જ પહેલા વિચારશે બીજાઓનું હિત તેમના માટે ખાસ મહત્વનું નથી હોતું પણ મનોજ્ઞા બેન જુદી જ માટીના! તેમણે પોતાની ઈરછાઓ પોતાના ઘણાં વખતથી પાછાં ઠેલાઈ રહેલા કાર્યો ને આગળ ધપાવવાનાં અરમાનો વિશે ન વિચારતા તેજલના રસ અને શિક્ષણ માટેના પ્રેમ વિશે પહેલાં વિચાર કર્યો અને તે નવા પ્રયાણમાં સફળ થાય એવા આશિર્વાદ પણ તેમણે પાઠવ્યાં! જ્યારે મને આ સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યારે મેં મારી બેન પર ખૂબ ગુસ્સો કર્યો! મારી ઈરછા હતી કે તેજલ મનોજ્ઞાબેન સાથે જ જોડાય અને તેને મળેલી નવી તક ને ઠુકરાવી દે કારણ અમે મનોજ્ઞાબેનને બોલ આપ્યો હતો કે તેજલ તેમને ત્યાંજ જોડાશે. હું ઈરછતો હતો તેજલ મનોજ્ઞાબેન સાથે જોડાય કારણ કે હું એ તો જાણતો જ હતો કે તેજલ નોકરી શોધી રહી હતી પણ મને એ ય ખબર હતી કે તેમની સાથે જોડાયા બાદ તેજલને શા ફાયદા થશે. આવી મહાન વ્યક્તિ સાથે કામકરીને તો આપણામાં પણ સદ્દગુણોનો આવિર્ભાવ થાય. તેજલ તેમને ત્યાં જોડાઈ પોતાના વ્યકિતત્વને ખૂબ પ્રભાવશાળી બનાવી શકત. ફક્ત પૈસા કરતાં ઘણુ વધું એ ત્યાં શીખી ને મેળવી શકત મનોજ્ઞાબેન પણ એક સહાયક મળતાં તેમના અધુરાં કાર્યો પૂરા કરી શકત તથા ગુજરાતી ભાષા અને ગુજરાતીઓના વિકાસ માટે ઘણાં બીજા નવાં કાર્યો શરૂ કરી શકત જે સમાજ માટે પણ ખુબ ઉપયોગી નિવડત પણ નિયતિના લેખ અકળ હોય છે.
મેં મનોજ્ઞાબેનને ફોન કરી પૂછ્યું શું મારી બહેન તેજલને બદલે મારી પત્ની અમી તેમને ત્યાં જોડાઈ શકે ? મેં જ્યારે તેમને આ ફોન કર્યો ત્યારે તેમની તબિયત જરા અસ્વસ્થ હતી છેલ્લાં કેટલાંક દિવસથી તેમનું આરોગ્ય કથળી ગયું હતું તેમણે મારી સાથે વધુ સમય વાતચીત ન કરી પણ મેં તેમને ખાતરી આપી કે જ્યારે પણ તેમને મારી મદદ ની જરૂર પડશે ત્યારે હું ચોક્કસ હાજર હોઈશ મેં તેમને એમ પણ કહ્યું કે હમણાં તરત નહિ તો થોડા સમય બાદ જયારે પણ તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય ત્યાર બાદ મારી પત્ની અમી તેમની સહાયિકા તરીકે જોડાવા તત્પર રહેશે અને ચોક્કસ તેમના અધૂરાં કાર્યો પૂરા થશે તથા મનમાં જે નવા વિચારો અમલમાં મૂકવાની ઈરછા છે તો એ પણ શક્ય બની શકશે મેં આ પ્રમાણે વાત કરી અને તેમને ખાતરી અને દિલાસો આપ્યા. તેથી તેમને ખૂબ સારું લાગ્યું હું તેમનો પ્રતિભાવ ફોન પર સામે છેડેથી તેમને જોઈ ન શકાવા છતાં અનુંભવી શકતો હતો .૨૦૦૯ના જાન્યુઆરીની ૧૦મી એ કે ૧૧મી એ અમારી આ પ્રમાણે વાતચીત થઈ.

૧૩મી જાન્યુઆરી ૨૦૦૯એ હું મહેસાણા ગયો હતો મારી પત્નીને તેના પિયરેથી પાછી મારા ઘેર લઈ આવવા.ઉત્તરાણનો તહેવાર પણ પહેલી વાર ગુજરાતમાં ઉજવવાનો વિચાર હતો. મે ગુજરાતમાં ઉત્તરાણ ઘણી સારી રીતે ઉજવાતી હોવાની વાત સાંભળી હતી અને મારા લગ્ન બાદ આ મારી પહેલી ઉત્તરાણ હતી એથી મેં પત્ની સાથે મહેસાણામાં તે મનાવવાનું નક્કી કર્યું. ૧૪મી જાન્યુઆરી ૨૦૦૯ની ઉત્તરાણની સવારે હું મારી પત્ની,સાળા અને સસરા સાથે તેમના ધાબે જઈ પહોંચ્યો, પતંગો અને માંજા સાથે! ત્યાં મને મુંબઈથી મારા મોબાઈલ પર ફોન આવ્યો વર્ણિનનો. વર્ણિન મનોજ્ઞાબેનનો ભત્રીજો હતો. મેં ક્યારેય તેની સાથે આ પહેલા વાત કરી નહોતી. તેથી તેણે જેવો પોતાનો પરિચય આપ્યો કે મેં ઉત્સાહ્પૂર્વક તેના ખબર અંતર પૂછ્યાં અને મનોજ્ઞાબેન કેમ છે એ વિશે પ્રુચ્છા કરી. તેણે કહ્યું,'મનોજ્ઞાબેન આપણી વચ્ચે નથી. તેઓ ગઈ કાલે અચાનક આપણને બધાને મૂકીને ચાલ્યા ગયા છે.' મને જબરદસ્ત આંચકો લાગ્યો. મને જરા સરખો પણ અંદાજ નહોતો કે આવું કઈંક બની ગયું હશે અને તેથી વર્ણિને ફોન કર્યો હશે મને આ દુ:ખદ સમાચાર આપવા. હું થોડી ક્ષણો સુધી તો કંઈ બોલી જ ન શક્યો. વર્ણિન પણ ત્યાં સામે છેડે રડી રહ્યો હતો. મેં તેને સાંત્વન આપ્યું અને જણાવ્યું કે મુંબઈ પહોંચતા જ હું તેની અને બીજા કુટુંબીજનોની મુલાકાત લઈશ. ફોન મૂક્યા બાદ તરત હું નજીકના એક મહાદેવ મંદિરે પહોંચી ગયો અને ત્યાં રડવું રોકી ન શક્યો. મારી પત્ની પણ બાજુમાં બેઠી હતી અને આ જોઈ રહી હતી. મેં મનોજ્ઞાબેનનાં આત્માની શાંતિ અને સદ્દગતિ માટે હ્રદયપૂર્વક પ્રાર્થના કરી.મને ખૂબ દુ:ખ થયું હતું. મારું હ્રદય આક્રંદ પોકારી રહ્યું હતું. ભગવાને આવું શા માટે કર્યું? મનોજ્ઞાબેનની ઉંમર કંઈ મ્રુત્યુ પામવા જેટલી નહોતી. તદુપરાંત તે કેટલી હોશીલી અને કોડીલી વ્યક્તિ હતા. તેમની કેટલી ઇચ્છાઓ હતી, કેટલી યોજનાઓ હતી, કેટલા વિચક્ષણ નવીન વિચારો હતા. એ બધું તેમની સાથે સમેટાઈ ગયું. આ મહાન સ્ત્રીના અણધાર્યા અને વહેલા મ્રુત્યુથી સાહિત્ય જગતે કંઈ કેટલું ગુમાવ્યું હતું. મારાથી અજાણ એવી તેમની કેટલી લાક્ષણિકતાઓ મને તેમના મ્રુત્યુ બાદ જાણવા મળી. તેઓ એક ખૂબ સારા કવિયત્રી હતાં. (મેં તેમની કેટલીક શ્રેષ્ઠ કવિતાઓ તાજેતરમાં વાંચી) વર્ણિને મને જણાવ્યું તેઓ અવકાશશાસ્ત્રનાં પણ પ્રખર અભ્યાસુ અને જાણકાર હતાં.તેઓ પણ અવકાશી તારા-ગ્રહો અને ઘટનાઓ નિહાળવા ખેતર જેવા ખુલ્લા ક્ષેત્રમાં આકાશદર્શન માટે જતાં હતાં. તેઓ એક લેખિકા,એક રેડિયોજોકી, એક સાહિત્યકાર, એક સારા વક્તા, એક વિવેચક, એક સ્પીચ થેરાપીસ્ટ, એક કાઉન્સેલર, એક માર્ગદર્શક, એક તત્વગ્ન્યાની, એક કવિયત્રી અને આમ અનેક ભૂમિકાઓ નિભાવતી બહુમુખી પ્રતિભા હતાં. તેઓ એક ઉષ્માસભર અને પ્રેમાળ તથા મિલનસાર વ્યક્તિ હતાં.તાજેતરમાં તેમની સ્મ્રુતિમાં યોજાયેલ કેટલાંક સુંદર કાર્યક્રમો અતિવ્યસ્ત હોવાને લીધે માણી ન શકવાનો પણ મને બેહદ અફસોસ છે. પણ હું મનોજ્ઞાબેનને હ્રદયનાં ઉંડાણ થી માનપૂર્વક સત્કારું છું અને તેમનો આત્મા જ્યાં પણ હોય ત્યાં તે ચિર શાંતિનો અનુભવ કરે એ જ મારી ઈશ્વરને ખરા હ્રદયથી અભ્યર્થના...

1 ટિપ્પણી:

  1. hi !!!

    i regularly read yr column in janmabhoomi & like some of the articles , especially about a women who died in santacruz recently . ALSO LIKED YR VIEWS ON THE HOARDING ON RAILWAY STATIONS WZ CREATIVE USE OF ALPAHABETS & WORDS ......KEEP SENDING MORE SUCH INTERESTING READS

    THANKS & BYE

    BHAIRAVI

    જવાબ આપોકાઢી નાખો