Translate

શનિવાર, 15 ઑક્ટોબર, 2016

ગેસ્ટ બ્લોગ : ગાંધીજીના મણિભવન પરના બ્લોગ વિશે પ્રતિભાવ

           ગાંધીજયંતિ નિમિત્તે આ કટારમાં પ્રકાશિત થયેલો તમારો મણિભવન પરનો લેખ વાંચ્યો. હું તમારા દરેક લેખ નિયમિત વાંચુ છું. તમે જ્યારે તમારી નાનકડી દિકરી નમ્યા સાથે મણિભવન ગયા અને આ ઇમારત વિશેની તમરા મન પર પડેલી છાપ અને આ સમગ્ર અનુભવનું વર્ણન તમે જેટલી કુશળતા અને સરસ રીતે કર્યું છે તે વાંચીને હું આ પત્ર લખવા પ્રેરાઈ છું.
            હું એક નિવૃત્ત શિક્ષિકા/હેડમિસ્ટ્રેસ છું.શિક્ષિકા તરીકે મને પણ મારા વિદ્યાર્થીઓને જુદી જુદી સ્પર્ધાઓ માટે મણિભવન લઈ જવાનો મોકો મળ્યો છે.જ્યારે મેં પહેલી વાર આ મંદીરસમા મહાત્મા ગાંધીના નિવાસસ્થાન ને જોયું ત્યારે હું તેનાથી ઘણી પ્રભાવિત થઈ હતી,તેને જોઈ દંગ રહી ગઈ હતી.પણ આથીયે વધુ હું મારા પોતાના માટે એક શરમની - એક ભોંઠપની લાગણી અનુભવી રહી હતી.તમને થશે શા માટે?એનું કારણ એ છે કે ૧૯૬૫થી ૧૯૬૯ દરમ્યાન સતત ચાર વર્ષ સુધી હું ગ્રાન્ટ રોડ સ્ટેશનથી ચાલીને વિલ્સન કોલેજ જતી જ્યાં મેં મારું કોલેજનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. નાનાચોક થઈને જતી વેળાએ રોજ મારા માર્ગમાં લેબર્નમ રોડ આવતો જેના પર મણિભવનની આ સુંદર ઇમારત સ્થિત છે. અને મને તેના અસ્તિત્વની ખબર જ ન પડી! આથી મને શરમ અને ભોંઠપની લાગણી અનુભવાય છે. પણ જ્યારે મારી કારકિર્દી દરમ્યાન મારા વિદ્યાર્થીઓને લઈ ને અહિ આવવાનું થયું ત્યારે મેં આ ઇમારત જોઈ. પછી તો વર્ષોના વર્ષો સુધી નિયમિત રીતે મારે વિદ્યાર્થીઓને લઈને અહિ આવવાનું થયું હશે પણ મને લાગે છે હું હજી આ ઇમારતથી ધરાઈ નથી. મને વારંવાર અહિ આવવું ગમે છે.
            હું સદનસીબે મારી વિદ્યાર્થીનીઓ રહી ચૂકેલી મારી દિકરીઓ ને પણ મણિભવન સ્પર્ધામાં ભાગ લેવા માટે લઈ જઈ ચૂકી છું. ગયા વર્ષે અમેરીકામાં નોકરી કરતી મારી ભત્રીજીઓ ભારતની મુલાકાતે આવી ત્યારે હું તેમને પણ ખાસ મણિભુવન લઈ ગઈ હતી. તેઓ પણ એનાથી ખાસ્સી પ્રભાવિત થઈ હતી. તેમણે તેમને રસ પડેલા અને જેનાથી તેઓ પ્રભાવિત થયા એવા ઘણા મુદ્દાઓની નોંધ પણ પોતાની ડાયરીમાં ટપકાવી લીધી હતી. હું જાણું છું કે મુંબઈ દર્શન માટે વિદેશી અને ભારતીય પ્રવાસીઓને લઈ જતી બસનું મણિભવન એક મુલાકાત સ્ટોપ છે. પણ આપણી શાળાઓએ એવો નિયમ ઘડવો જોઇએ કે માત્ર સ્પર્ધક તરીકે ચૂંટેલા કેટલાક ચોક્કસ વિદ્યાર્થીઓને જ નહિ પરંતુ પોતાના દરેકેદરેક વિદ્યાર્થીને વર્ષમાં ઓછામાં ઓછી એક વાર આ સ્થળની મુલાકાતે લાવવા જોઇએ જેથી કુમળી અને કિશોર વયના બાળકો પર તેની સારી અસર પડે અને તેઓ ગાંધીજીના વિચારો અને જીવન શૈલી થી પરિચિત અને પ્રભાવિત થાય.
             આપણે જ્યારે લંડન જતા હોઈએ ત્યારે મેડમ ટ્યુસેડ્સના મ્યુઝિયમની મુલાકાત લેવા લાંબી લાંબી કતારમાં ઉભા રહેતા હોઇએ છીએ જ્યાં વિશ્વના મહાન નેતાઓ,રમતવીરો અને ફિલ્મી કલાકારોના મીણના પૂતળા જોવા મળે છે.અહિ મણિભવનમાં પણ લાક્ષણિક ચિત્રદ્રષ્ય મહાન રાષ્ટ્રપિતાના મહત્વના જીવન પ્રસંગોની સુંદર ઝાંખી કરાવે છે.આ સુંદર કલાત્મક કૃતિઓ મારી જાણમાં છે ત્યાં સુધી સુશીલા ગોખલે - પટેલે સર્જી છે જે વેક્સ મુઝિયમથી જરાયે કમ નથી.શું આપણે બધાએ આ અદભૂત જગાની મુલાકાત ન લેવી જોઇએ? દરેક મુંબઈકરને મારી વિનંતી છે કે આપણાં પોતાના મુંબઈ શહેરમાં આવેલ આ સંગ્રહસ્થાન અને ઐતિહાસિક ઇમારતની મુલાકત લેવાનું ચૂકશો નહિ. મેં તેને ઘણી મોડી જોઈ પણ અંગ્રેજીમાં કહ્યું છે ને 'બેટર 
લેટ ધેન નેવર' (કદાપિ નહિ કરતા મોડુ તો મોડુ સારું!)

-         આશા છાયા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો