Translate

રવિવાર, 12 જૂન, 2016

વિષ્ણુબાગ - એન્વાયર્મેન્ટ થીમ પાર્કની મુલાકાત (ભાગ - ૧)

ક્લીઅરટ્રીપ પરથી ધારાવી સફર સાથે ઝીપ લાઈનીંગ,કથક ડાન્સ વિશેનું એક સેશન,વાયોલિન વાદનનું એક સેશન તેમજ વિષ્ણુબાગ નામના એન્વાયર્મેન્ટ થીમ પાર્કની મુલાકાત જેવી અન્ય પણ કેટલીક મજેદાર અને રસપ્રદ એક્ટીવીટી બુક કરી હતી. તેમાંની એક વિષ્ણુબાગની મુલાકાત પણ યાદગાર બની રહી. તે અનુભવ આજના બ્લોગ થકી શેર કરીશ.
બદલાપુર નજીક આવેલા દેવલૌલી ગામથી પાંચેક કિલોમીટર અંતરે ડો. કે.બી.સોલંકી નામના નિવ્રુત્ત પેથોલોજીસ્ટ પ્રોફેસરે નેચર બેઝ્ડ થીમ પાર્ક એવા વિષ્ણુ બાગનું સર્જન કર્યું છે. ૧૦ એકર જેટલી જમીન પર ઘણું જતન કરી ડો.સોલંકીએ ઉજ્જડ જમીનને કુદરતના ખજાના સમી અનેક ફળ-ફૂલ ધરાવતી વનસ્પતિ દ્વારા લીલીછમ બનાવી વિષ્ણુબાગનું સર્જન કર્યું છે.ભગવાન વિષ્ણુ જીવસ્રુષ્ટિનું જતન કરનાર દેવ ગણાય છે તેથી પ્રુક્રુતિનું જતન કરવાના આશય સાથે બનાવાયેલા આ બાગને તેમણે વિષ્ણુબાગ એવું નામ આપ્યું છે.તેમનું મિશન છે લોકોને પ્રક્રુતિ પ્રત્યે પ્રેમ કરતા અને તેને આદર આપતા શિખવતા કરવાનું.
તેમનો પુત્ર અને પુત્રવધુ મુંબઈમાં રહે છે પણ વિષ્ણુબાગના કામ સાથે અહિ રહીને પણ તેઓ ડો. સાહેબના આ વેન્ચર સાથે સતત જોડાયેલા રહે છે.વિષ્ણુબાગમાં જ સરસ મોટા બંગલા જેવા ઘરમાં ડો. સોલંકી પોતાની પત્ની અને કેટલાક સ્થાનિક નોકરો સાથે રહે છે અને પોતાના નેચર પાર્કનું સંરક્ષણ અને સંવર્ધન કરે છે.
એપ્રિલની બળબળતી ગરમીમાં હું વિષ્ણુબાગની મુલાકાતે ગયો એમ વિચારી કે એ નેચર પાર્ક છે એટલે એક દિવસ મને ત્યાં પ્રક્રુતિના ખોળામાં કાળઝાળ ગરમીથી રાહત મળશે અને કંઈક અંશે એવો અનુભવ પણ થયો.
બદલાપુર સ્ટેશનથી શેર ઓટોમાં દેવલૌલી ગામ સુધી પહોંચવામાં મને પ્રોફેસર સાહેબની પુત્રવધુ પ્રાચીએ મુંબઈ બેઠાબેઠા ફોન દ્વારા મદદ કરી અને જેવો દેવલૌલી પહોંચ્યો કે તરત પ્રોફેસર સાહેબની ગાડી મને વિષ્ણુબાગ લઈ જવા તૈયાર ઉભી હતી.રસ્તામાં તેમની સાથે ઔપચારીક વાતચીત-ઓળખાણ કરી.હું એકલો હતો તેથી મારે દેવલૌલી સુધી શેર-ઓટોમાં જવું પડ્યું. પણ જો મોટું ગ્રુપ વિષ્ણુ બાગ જવાનો પ્રોગ્રમ બનાવે તો પ્રોફેસર સાહેબ બદલાપુર સ્ટેશન કે જે તે સ્થળથી બસ કે ટેમ્પો ટ્રાવેલર જેવા વાહનવ્યવહાર સાથેનો પેકેજ પણ ઓફર કરે છે.
વિષ્ણુબાગ પહોંચતા જ પ્રોફેસર સાહેબના પત્નીએ સરસ મજાના ઠંડા કાચી કેરીના ઘેર બનાવેલા પના શરબત પીવડાવી મારું સ્વાગત કર્યું.ત્યારબાદ પ્રોફેસર સાહેબ મને તેમના બંગલાની આસપાસ બનાવેલા બાગ-વાડીની મુલાકાતે લઈ ગયા.અહિં સારી એવી હરીયાળી હતી.વચ્ચે નિયમિત અંતરે બેસવાના બાંકડા ગોઠવેલા હતાં.પ્રોફેસર સાહેબે અલગ અલગ જાતના ઝાડ-છોડ ઉગાડયા છે.ઘણી જાતનાં ઝાડ-છોડ પર તેમણે સંશોધન કર્યું છે અને કેટલીક વનસ્પતિ પર તેમના પ્રયોગો પણ ચાલુ છે.
જત્રોફા નામનાં ઝાડનાં કેટલાક રોપા તેઓ ખાસ તામિળનાડુથી વિષ્ણુબાગમાં લઈ આવ્યાં છે જેના બીજ પીસી તેમાંથી બાયો-ડીઝલ બનાવી શકાય છે.જો આ પ્રયોગ સફળ થાય અને આ રીતે જત્રોફા વનસ્પતિમાંથી બળતણ બનાવી શકાય તો પર્યાવરણને બેવડો ફાયદો થાય : એક હરીયાળી વધે અને બીજું બળતણની સમસ્યામાં રાહત મળે.સસ્તા દરે વૈકલ્પિક બળતણ મળી રહે.
શાળાના વિદ્યાર્થીઓ જે વિષ્ણુબાગની મુલાકાતે આવતા શાળાના વિદ્યાર્થીઓ વનસ્પતિમાં રસ ધરાવતા થાય અને તેમને અનેક જગાઓએ ઉગતા વ્રુક્ષોનો પ્રત્યક્ષ પરિચય થાય એ હેતુથી પ્રોફેસર સાહેબ અનેક જગાઓએ ફરી જે તે પ્રદેશના રોપા વિષ્ણુબાગમાં લઈ આવ્યાં છે.આમ ખાસ આ પ્રદેશમાં ન ઉગતા હોય એવા પણ ઘણાં ઝાડ-છોડ તેમણે મને બતાવ્યાં. નાગપુરથી સંતરાનું ઝાડ તેઓ અહિ લાવ્યા છે.તેના પર ફળ પણ ક્યારેક આવે છે.
દાડમ,પપૈયા અને અન્ય ઘણાં ફળોના વ્રુક્ષો પણ તેમણે મને બતાવ્યાં.કેટલાક અસામાન્ય ફૂલોનાં છોડનો પણ તેમણે મને પરિચય કરાવ્યો.
કેરીની તો જાણે અહિ આખી વાડી હતી અને ઠેર ઠેર લીલીછમ કેરીઓ આંબા પર અમારી આસપાસ હાથેથી ઉંચા પણ થયા વગર તોડી શકાય તેટલી નીચે લચી રહી હતે અને મને લલચાવી રહી હતી!

(ક્રમશ:)





1 ટિપ્પણી:

  1. Jatrofa is very important bio fuel and it is tested in laboratories and vehicles to before seven to eight years ago and it is approved but at that time our Indian govt. and his petroleum department had not taken interest because it is very useful and costly for foreign exchange saver and environment friendly to someone of us to take interest and push it up again.At present in diesel we are using Sugarcane waste is used successfully .(bio product of sugarcane after piling).

    જવાબ આપોકાઢી નાખો