Translate

રવિવાર, 24 ફેબ્રુઆરી, 2013

ગેસ્ટ બ્લોગ : પંગુતાએ કંઈ શ્રાપ નથી

- શરદ દોશી


સૃષ્ટિ એક અજબગજબનું સ્થાન છે. જાતજાતની અજાયબી જોતા થાકો જ નહી! કુદરતના અજબગજબ સર્જન સમા માનવમાં પણ અનેક વિવિધતા દેખાય છે. શરીરની રચનાનું મેકેનિઝમ તો દંગ કરી દે તેવું હોય છે અને એમા ઘણાંને બધા અંગ નથી પણ હોતા. હાથ નથી, આંખમાં ખામી, બહેરાશ, પોલીઓ વગેરે વગેરે. અપંગપણું, અપૂર્ણતા આવા માણસને અન્ય સામાન્ય માણસથી જુદો પાડે છે.

એક વાર એક ભિખારી જંગલમાં બેઠો બેઠો ઇશ્વરને ગાળો આપતો હતો કે, “હે ઇશ્વર તે મને કશુ જ આપ્યું નથી.” ત્યાંથી એક ફકીર પસાર થતા હતા. તેમણે આ સાંભળ્યું. તેમણે ઉભા રહી તે ભિખારીને કહ્યું ,”તુ તારી એક આંખ આપ, હું તને પાંચ હજાર રૂપિયા આપું.” ભિખારી કહે “ના.” ફકીર કહે,”બન્ને પગ આપ, વીસ હજાર રૂપિયા આપું.” ભિખારી કહે “ના”. ફકીર દરેક અંગ પૈસાથી મુલવતો ગયો. તેની કિંમત લાખોમાં થતી હતી. અંતે ફકીર બોલ્યો, “ઇશ્વરે આટલી બધી સંપત્તિ આપી છે તો ગાળો કેમ ભાંડે છે?” પણ વાસ્તવિક જીવનમાં જ્યારે એકાદ અંગ રૂપી સંપત્તિ ન હોય અથવા ઉણપ વાળી હોય તો ?

Life is Worth Living. જીવન જીવવા જેવું છે. મધુર છે. ખૂબ અનુભવવા જેવું છે. આ માણસનો સ્વભાવ છે. કોઇ પણ વાતાવરણમાં એ સમન્વય કરી સમાન રહેવા માંગે છે. પાછળ રહેવું ગમતું નથી. તે વાતાવરણને પોતાનું બનાવવા માંગે છે. એવું કહેવાય છે કે એક ઈન્દ્રિયમાં ઉણપ હોય તો એની ખોટ બીજી ઈન્દ્રિયો પૂરી પાડે છે, તેમની સતેજતા વધી જાય છે. હેલન કેલર, સ્વ. પટોડી નવાબ, રૂઝવેલ્ટ બીથોવન, પંડિત સુખલાલજી, ક્રિકેટર ચંદ્રશેખર - એમનાં કાર્યો અને સિધ્ધીઓ પ્રેરણાદાયી છે. એમનાં જીવનસંગ્રામ તેમને બીજાથી અલગ પાડે છે.

વિકસિત દેશોમાં અપંગો માટે ખાસ કાળજી ને ટ્રેનિંગ આપવામાં આવે છે. ત્યાં જાગ્રુતિ છે. ત્યાં વિમાનમથકોમાં અપંગો માટે જુદા શૌચાલયો ફરજીયાત છે. આપણે ત્યાં જાગ્રુતિનું પ્રમાણ ઓછું છે. આપણે ત્યાં ગત જન્મનાં કર્મને લીધે થયું એમ સ્વીકારી લેવામાં આવે છે. આથી કાળજી લેવામાં ઉપેક્ષા થાય છે. આ આપણું દુર્ભાગ્ય છે. એમના માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલાં પૈસાનો યોગ્ય ઉપયોગ થતો નથી.

આજે અપંગ લોકોને સમાજની હૂંફ, પ્રેમ, કાળજી મળે તો તેઓ વધારે સારી રીતે સંઘર્ષ કરી શકે અને સંઘર્ષમાં સગવડતા ઊભી થાય, જેથી સંઘર્ષ થોડો હળવો બને. અપંગ છે તેથી શુ? તેમને પણ જીવન જીવવાનો અધિકાર છે. તેઓ વધું સારૂં જીવે એ આવશ્યક છે. અકસ્માતે ઉણપ મળી છે એને પૂર્વગ્રહરહિત સમાજનો સાથ-સહકાર જોઇએ છે.

ઘણાં લોકો અકસ્માતથી અપંગ બને છે.દા.ત. દાઝવાથી, ટ્રેનના પાટા ઓળંગતા, બેફામ બાઇક, મોટર ચલાવતાં, તેમજ અનેક રીતે થતાં અકસ્માતો, ખોટા સાહસથી પડી જવાથી વગેરે. આ વિશે થોડી કાળજી લેવાય અને એવા પ્રસંગો ઓછા બને તો કુટુંબનો અને સમાજનો બોજો ઓછો થઈ શકે. હેલમેટ પહેરી બાઇક ચલાવાય તો સારૂં જ છે.

૧૯૮૧નું વર્ષ International Year for Disabled Person (IYDP) તરીકે ઉજવાયું હતું. એને ઘણો સમય પસાર થઈ ગયો છે. ભારત સરકાર આવું વર્ષ જાહેર કરે અને હિતનાં કાર્ય ને બળ પૂરૂં પાડે.

અપંગોને જીવવા માટે પ્રભુ નવું બળ ને શક્તિ આપે. અપંગો જીવનને શ્રાપ ન ગણે. નદીકિનારે ઉભેલી હોડીમાં બેસે, ઈશ્વરને પ્રાર્થના જરૂર કરે પણ હલેસા પણ મારે. બંધાયેલી હોડી છોડવાનું ભૂલે નહી.


‘મૂકમ કરોતી વાચાલમ પંગૂમ લંઘયતે ગિરીમ

યત્ક્રુપા તમ હમ વંદે પરમાનન્દ માધવમ ‘

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો