Translate

રવિવાર, 17 જુલાઈ, 2011

ગેસ્ટ બ્લોગ : વડ

- મૈત્રેયી મહેતા


પોતાના પતિનાં પ્રાણ મ્રુત્યુના દેવ, યમરાજા પાસેથી છોડાવીને "અખંડ સૌભગ્યવતી ભવ" એવું વરદાન પ્રાપ્ત કરનાર, વડનું પૂજન કરનાર પરમ સતી સાવિત્રીથી ભાગ્યે જ કોઈ ભારતવાસી અજાણ હશે.

વડનું પુજન અને પતિના પ્રાણ યમરાજા પાસેથી પાછા મેળવવાની દંતકથા તો પ્રચલિત છે,પણ કદાચ તેની પાછળ વડના વૃક્ષના મૂળ, પાંદડાં કે ઘટાટોપ ઘેઘૂર વૃક્ષ નીચે રહેવાથી મ્રુત:પ્રાય:વ્યક્તિ પણ પ્રદૂશણમુક્ત, શુદ્ધ વાતાવરણ દ્વારા ફરીથી જીવન પ્રાપ્ત કરી શકે તેવો અર્થ તો અભિપ્રેત નહીં હોય? જે હોય તે, પણ વડસાવિત્રીનું નામ પડતાં જ ઘેઘૂર વડલો અને સત્યવાનના પ્રાણ પાછા મેળવનાર સતી સાવિત્રીની યાદ જરૂર તાજી થાય છે.

વડનું વૃક્ષ, અંજીર પ્રકારનું વૃક્ષ છે, અને ગમે ત્યાં ઉગી નીકળે છે.
ભીંત ફાડીને ઉગી નીકળતા વડ કે પીપળા જેવા વૃક્ષો, પ્રુથ્વીના અલંકાર સમાન છે.ફળો ખાતાં પક્ષીઓ વડના બી ફેલાવે છે, બી ઉગી નીકળે છે,અને તેનાં મૂળ એટલે કે વડવાઈઓ જમીન તરફ લહેરાય છે ! ઘણી વાર તો વડવાઈઓ જમીન તરફ વધીને ફરીથી વૃક્ષ બની જાય છે,અરે,મૂળ વટવૃક્ષ છે કે પછી વડવાઈમાંથી ફરીથી વિસ્તરેલું વૃક્ષ છે તે કળી શકાતું નથી! આમ ઘેઘૂર વડલાઓ કોઈ તપનિષ્ઠ ત્રુ:ષિઓ જેવા દીસે છે. વડનું વૃક્ષ વિસ્તરીને ૨૦૦ મીટરનો વ્યાસ ધરાવતું ઘેઘૂર વૃક્ષ બની શકે છે. કોલકાત્તામાં આવો ઘેઘૂર વડલો જોઈ શકાય છે.ગુજરાતમાં કબીરવડ તો ખૂબ જ પ્રચલિત છે.

જાણીતા આયુર્વેદિક ચિકિત્સક શ્રિ માનસ વ્યાસ વડને કુદરતના અમૂલ્ય ઔષધ તરીકે ગણાવે છે.અમે વડ વૃક્ષના આયુર્વેદિક ગુણધર્મો વિષે માનસભાઈ પાસેથી થોડું ઘણું જાણવાનો પ્રયાસ કર્યો. માનસભાઈએ કહ્યું કે વડ પંચવલ્કલમાંનું એક વૃક્ષ ગણાય છે.તે શરીરના ના સૂકાતા ઘા ભરવામાં વપરાય છે. વડના વૃક્ષની છાલનો ઉકાળો નાસૂર બની ગયેલા ઉંડા ઘાને ધોવામાં ઉપયોગી છે.વડની છાલને ઉકાળીને તેનાથી ઘા ધોવાથી તે ઝડપથી રૂઝાય છે. તેમણે માહિતિ આપી કે આધુનિક સંશોધન પ્રમાણે દાઝવાથી થયેલા ઘા કે ચાંદા રૂઝવવામાં પંચવલ્કલ વૃક્ષ સરસ કામ કરે છે. તે એન્ટિસેપ્ટિક ગુણ ધરાવે છે .માનસભાઈએ કહ્યું કે ઈછિત પુરુષ સંતાન પ્રાપ્ત કરવામાં પુન્સંવન વિધિ મદદરૂપ થાય છે. તેમાં વડના પાંદડામાંથી કાઢેલા દૂધ કે ખીરનાં ટીપાં નાકમાં નાંખવામાં આવે છે.

માનસભાઈએ કહ્યું કે વડ કે વિવિધ વ્રૂક્ષોના ઔષધિય ગુણો એટલા ઉત્તમ છે કે પૂજન દ્વારા તેનું મહત્વ પરંપરામાં જળવાઈ રહે તે હેતુથી વ્રત વરતુલાઓમાં તેને વણી લેવામાં આવતાં હશે.
હવાઈમાં લહાઈનાના કોર્ટહાઉસમા સ્ક્વેરમાં ૧૮૭૩ માં રોપવામાં આવેલું વડનું ઝાડ લગભગ એક એકર જમીનના ૨/૩ ભાગમાં વિસ્તરી ચૂક્યું છે ! વટવૃક્ષ, ભારતનું રાષ્ટ્રિય વૃક્ષ છે.

વડોદરાનું નામ- વડનું શહેર- તરીકે જાણીતું છે, શહેરમાં આવેલા ઘેઘૂર વડલાઓને કારણે સ્તો ! વડોદરા બનયન શહેર, બનયન સિટી તરીકે જાણીતું હતું, પહેલાના જમાનામાં વિશાળ વડવૃક્ષ નીચે વણિક વેપારીઓ કરિયાણાનો વેપલો કરતા.ગુજરાતીમાં બનયન એટલે વાણિયા.... પોર્તુગીઝ લોકોએ હિન્દુ વેપારીઓનો ઉલ્લેખ કરવા બનયન ટ્રી શબ્દ પકડી લીધો. અને ૧૫૯૯ માં અંગ્રેજી ભાષામાં પણ આ શબ્દ પહોંચી ગયો. ૧૬૩૪માં અંગ્રેજી લેખકોએ વડવૃક્ષ નીચે થતા વેપારની વાત માંડતાં બનયન ટ્રી શબ્દ વાપર્યો.ગામડામાં ઘટાદાર વડના વૃક્ષ નીચેના છાંયામાં વેપારીઓ અને ગ્રાહકો મળતા. એમ કરતાં કરતાં બનયન શબ્દ, વડ્વ્રુક્ષનો પર્યાય બની ગયો !!

વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ પોતાના લક્ષ્મીવિલાસ પેલેસમાં શ્રિલંકાથી લાવવામાં આવેલ વડવૃક્ષના રોપા વાવ્યા હતા. આજે પણ તે વૃક્ષ હયાત છે.

ફિલિપિન્સમાં વડ, બેલાઈટ નામે જાણીતું છે.તેમાં જાતજાતના પ્રેતાત્માઓનો વાસ હોવાની માન્યતા છે. તેમાં હયવદન જેવા ટીકબલાન્ગનો ઉલ્લેખ છે.

કંબોડિયાના સુપ્રસિદ્ધ અંગકોરવાટ ટેમ્પલમાં વિશાળ ઘેઘૂર વડલો આવેલો છે.

હવાઈમાં હિલોમાં ૨૦ મી સદીમાં કેટલીક સુપ્રસિદ્ધ વ્યક્તિઓએ વડના રોપાઓ વાવ્યા હતા.

અમેરિકામાં થોમસ અલ્વા એડિસને, ફ્લોરિડામાં ફોર્ટ માયર્સમાં પહેલુ વડનું વૃક્ષ વાવ્યું હતું. હાર્વે ફાયરસ્ટોને ૧૯૨૫ માં ભારતની મુલાકાત લીધી હતી.તેમણે થોમસ અલ્વા એડિસનને વડના રોપા ભેટમાં આપ્યા હતા. શરૂઆતમાં તે ૪ ફૂટ ઊચુ હતું, હવે તે ૪૦૦ ફૂટના વિસ્તારમા ફેલાઈ ચુક્યું છે.

ઈન્ડોનેશિયામાં , દેશની એકતાના પ્રતીક રૂપે "કોટ ઓફ આર્મ્સ " ના ભાગ રૂપે વટવ્રૂક્ષ રાખવામાં આવ્યું છે.

બૌદ્ધ ધર્મમાં પણ પાલી ગ્રંથોમાં વડ= નિગ્રોધનો ઘણી વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વટ વૃક્ષ બોન્સાઈ માટે ખૂબ વપરાય છે.તાઈવાનમાં તાઈનાનમાં ૨૪૦ વર્ષ જૂનું જીવંત બોન્સાઈ વૃક્ષ છે.

હિન્ડુ ધર્મમાં વડના વૃક્ષને અતિ પવિત્ર માનવામાં આવે છે.સંસ્ક્રુતમાં તેને અશ્વત્થ કહેવાય છે.ભગવાન શિવજી દક્ષિણામૂર્તિ તરીકે વડ વૃક્ષ નીચે સમાધીમાં બિરાજમાન છે, અને રૂષિઓ તેમના ચરણોમાં બેઠેલા દર્શાવાયા છે. હિન્ડુ ધર્મમાં વડને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે.

હોંગકોંગમાં લામ ત્સ્યૂએનમા તિન હાઉ ટેમ્પલ નજીક આવેલું લામ ત્સ્યૂએન કલ્પવ્રૂક્ષ ખૂબ જ પ્રચલિત છે.

વડ, એક પવિત્ર વૃક્ષ. .વડની પૂજા કરી પોતાના સતિત્વના પુણ્યના બળ વડે પતિના પ્રાણ પાછા મેળવનારી મહા સતી સાવિત્રીને અનુસરીને આજે પણ ઘણી બધી બેનો વડસાવિત્રીનું વ્રત કરે છે. ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન તેમ જ દક્ષિણ ભારતના રાજ્યોમાં આ વ્રત કરવાનો રિવાજ છે. ઓ.કે. સારી વાત છે.વડ્સાવિત્રી વ્રત ને દિવસે વડની પૂજા કરવાની હોય છે. પણ આજના આધુનિક જમાનામાં ટાઈમ કોની પાસે છે ? તે બેનો બજારમાંથી રેડિમેઇડ વડની કાપેલી ડાળીઓ ઘરે લઈ આવે છે, અને તેનું પૂજન કરીને સાવિત્રીને અનુસર્યાનું આશ્વાસન મેળવે છે. બસ ! થઈ ગયું વ્રત ! સમજ્યા કર્યા વગર આડેધડ વડ કપાય છે, તે પણ વડ્સાવિત્રી વ્રત નિમિત્તે ! પણ સાવિત્રીએ વડની ડાળીઓ કાપીને તેનું પૂજન કર્યાનું તો મને યાદ નથી. આ વ્રત કરનાર બેનો, વડની ડાળીઓ કાપીને કયું પુણ્ય મેળવતી હશે તે મને ખબર નથી પડતી.તેના કરતાં વડના વૃક્ષને પાણી પાય તો પણ ચાલે ! અરે આજના જમાનામાં વડનું ઝાડ શોધવાનો ટાઈમ ના મળે તો છેવટે કોઈ પણ વૃક્ષને પાણી પાય, અથવા કોઈ પણ વૃક્ષ વાવે, તેના સિંચનની જવાબદારે લે તો કંઈ બરાબર છે... આ તો પુણ્ય કરવાને બડલે કદાચ પાપ તો નહીં લાગતું હોય તે તો ભગવાન જ જાણે ! વડનું પૂજન કરવાને બદલે તેનું નિકંદન જ કાઢી નાંખશે કે શું તેવો વિચાર આવે છે.હવે આ પ્રશ્ન વિષે સજાગતા આવી છે, છાપાઓમાં આર્ટિકલો છપાય છે, પણ તેનું પરિણામ શું ?ખરેખર તો સાવિત્રી બનવા નીકળેલી બેનોએ સમજવાની જરૂર છે.

તો, આવતી વડસાવિત્રીએ વડના વૃક્ષો બચાવવાનું વ્રત લેજો, કોઈ પણ વૃક્ષને સિંચજો,અને પર્યાવરણનું રક્ષણ કરવા બદલ મળેલું પુણ્ય તમારે ચોપડે જરૂર લખાશે તેની હું ખાત્રી આપું છું...

અશ્વત્થ સ્વરૂપાય, વિષ્ણુરૂપાય તે નમ:
ત્વમ ભજામિ દેવેશ, મમ દુ:ખ નિવારય:


- મૈત્રેયી મહેતા.
mainakimehta@yahoo.co.in

1 ટિપ્પણી:

  1. વિકાસભાઈ,
    હું 'બ્લોગને ઝરૂખેથી...' કટારની ફેન છું અને એ નિયમિત રીતે વાંચુ છું.

    મૈત્રેયીબેન મહેતાએ વડ વૃક્ષ વિષે મજેદાર વાત કરી છે.મારે પણ બેંગ્લોર-મૈસૂર રોડ પર આવેલાં એક વિશાળ વડ વૃક્ષ ની વાત શેર કરવી છે.
    આ સુંદર વડનું ઝાડ બેંગ્લોરથી લગભગ એક-દોઢ કલાકને અંતરે આવેલું છે.પણ તેના વિષે ઘણાં ઓછા લોકો જાણતા હશે.પણ આ વૃક્ષ ખરેખર એક વાર જોવા જેવું છે. કૃષ્ણ ભગવાને ગીતામાં જે વૃક્ષની વાત કરી છે ને જેના મૂળિયા અને ટોચ દેખાય જ નહિં તેવી પ્રતીતિ આ વડના ઝાડને જોઈને પણ થાય!તેના ઉદભવ સ્થાનનો આપણને ખ્યાલ જ ન આવે!

    - આરતી શાહ

    જવાબ આપોકાઢી નાખો