Translate

શનિવાર, 16 જુલાઈ, 2011

ભારતના ન્યાયતંત્રમાં ક્યારે સુધારો આવશે?

ત્રણ વર્ષ પહેલાં એક ઘટના ઘટે છે. માબાપથી દૂર સ્વપ્નનગરી મુંબઈમાં રહેતો, ટી.વી. મિડીયા ક્ષેત્રે સારી કારકિર્દી ધરાવતો પચ્ચીસ વર્ષનો એક આશાસ્પદ યુવાન કન્નડ ફિલ્મોમાં નાનીમોટી ભૂમિકા ભજવી ચૂકેલી, મુંબઈમાં પોતાનું ભવિષ્ય અજ્માવવા આવેલી એક આશાસ્પદ અભિનેત્રી યુવતિને મળે છે.યુવક તેને કામ અપાવવાનું વચન આપે છે પણ ઘણાં સમય સુધી તે યુવતિને કામ મેળવી આપવામાં સફળ થતો નથી.યુવતિ પોતાનું ઘર બદલે છે ત્યારે યુવક તેને મદદ કરવાના બહાને યુવતિના નવા ઘેર જાય છે અને ત્યાં તેઓ રાત સાથે વિતાવે છે.ત્યારે જ યુવતિનો મંગેતર એવો નૌકાદળમાં સેવા આપતો યુવક કોચીથી યુવતિને ફોન કરે છે અને યુવતિને ત્યાં કોઈ અજાણ્યા યુવકનો અવાજ સાંભળી તેના મનમાં શંકાનો કીડો સળવળી ઉઠે છે.સીધો વહેલી સવારે તે યુવતિના નવા ફ્લેટ પર આવી પહોંચે છે અને પોતાની મંગેતર યુવતિને અન્ય પુરૂષ સાથે કઢંગી હાલતમાં જોતા તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે. બન્ને યુવકો વચ્ચે શાબ્દિક બોલાચાલીથી શરૂ થયેલ ઝપાઝપી ઉગ્ર મારામારી નું સ્વરૂપ ધારણ કરે છે અને મંગેતર યુવક રસોડામાંથી છરી ઉપાડી લાવી તેના દ્વારા હૂમલો કરી પહેલા યુવાનની હત્યા કરી બેસે છે.ત્યાર બાદ પણ તેનો ગુસ્સો શમતો નથી આથી તે પહેલા યુવકની લાશ સામે પોતાની મંગેતર યુવતિ પર બળાત્કાર કરે છે (કે તેઓ બંને સંમતિથી શરીરસુખ ભોગવે છે) ઘટના આટલેથી જ અટકતી નથી.આટલું ઓછું હોય એમ યુવતિ મંગેતર સાથે મોલમાં જઈ શરીર કાપી શકાય એવો મોટો છરો અને રસ્સી,ગુણી વગેરે ખરીદી લાવે છે અને પાછા ઘેર આવી પહેલા યુવકની લાશના ટુકડે ટુકડા કરી નાંખે છે.(અહિં કેટલા ટુકડા એ નબળા હ્રદયના વાચકો પર માનસિક અસર ન પહોંચે એ ડરથી લખ્યું નથી.)અને આ ટુકડા ગુણીમાં ભરી મુંબઈથી દૂર મનોર પાસેના જંગલમાં જઈ બાળી નાંખે છે અને પાછા ફરી લોહીના ડાઘા ભૂંસી નાખવા ઘર ફરી રંગાવે છે.મંગેતર યુવક પાછો પોતાના નિવાસે કોચી ચાલ્યો જાય છે.યુવતિની હિંમત અને નફ્ફટાઈ તથા બેશરમી જુઓ.તે મૃત યુવકના પિતા સાથે પોલિસ ચોકી જઈ યુવક ગુમ થયાની ફરિયાદ નોંધાવે છે અને પછી ‘પાપ તો છાપરે ચડીને પોકારે’ ના ન્યાયે આખો હત્યાકાંડ જગત સામે આવી જાય છે.આ સનસનાટી ભર્યા હત્યાકાંડની ચર્ચા ફક્ત મુંબઈમાં જ નહિં આખા દેશમાં ચગી હતી અને આપણી ન્યાય વ્યવસ્થાએ આ કેસ અંગે આપેલ ચુકાદાએ ફરી આ કેસને ચર્ચાના ચગડોળે ચઢાવ્યો છે અને મૃત નીરજ ગ્રોવરની હત્યામાં સરખીજ સંડોવણી હોવા છતાં યુવતિ - મારિયા સુસઈરાજ ને ફક્ત ત્રણ વર્ષના જેલવાસ અને તેના મંગેતર યુવક એમિલ જેરોમને માત્ર દસ વર્ષની સજા ફરમાવવામાં આવી છે ત્યારે ખરેખર પ્રશ્ન ઉઠે છે કે આપણી ન્યાય વ્યવસ્થા પર કેટલો વિશ્વાસ મૂકી શકાય? અરેરાટી ભરી હત્યા ભલેને ગમે એટલી ઘ્રુણાસ્પદ કેમ નહોતી અને એ કર્યા બાદ ભલે ને વિક્રુત એમિલે મારિયા સાથે બે વાર લાશની સામે સંભોગ માણ્યો તેમજ ત્યાર બાદ ઠંડે કલેજે મારિયા સાથે મળીને લાશના અનેક ટુકડા કરી એ દૂર જંગલમાં જઈ બાળી પણ નાંખ્યા આમ છતાં અદાલતને લાગે છે કે પુર્વ આયોજિત ન હોઈ આવેશમાં આવી જઈ કરાયેલ આ નિઘ્રુણ કતલ સદોષ મનુષ્ય વધ ન ગણી શકાય અને તેને માટે માત્ર દસ વર્ષની સજા ભોગવ્યા બાદ એમિલને છોડી મૂકવામાં આવે.હવે આ વિક્રુત મગજની એમિલ જેવી આવેશમાં આવી જનારી વ્યક્તિ દસ વર્ષ પછી પણ સમાજ માટે ખતરારૂપ સાબિત નહિં થાય એની શી ખાતરી?મારિઆને માત્ર ત્રણ વર્ષની સજા જે તે ભોગવી પણ ચૂકી હોવાથી તેને છોડી પણ મૂકવામાં આવી.અદાલતને લાગે છે કે આખા આ હત્યાકાંડ પાછળના મૂળ કારણ સમી હોવા છતાં તે હત્યામાં સામેલ નથી.તેણે ફક્ત પુરાવાનો નાશ કરવામાં સાથ આપ્યો હતો.જ્યારે તેણે નીરજને પોતાના ઘરમાં રાત ગુજારવા દીધી અને તેની સાથે શરીરસુખ પણ માણ્યું અને મંગેતર આવી ગયા બાદ બંને યુવકો વચ્ચે ઝપાઝપી ઉગ્ર બની અને નીરજની હત્યા સુધી દોરી ગઈ ત્યારે પોતે પણ ઘટના સ્થળે હાજર હોવા છતાં વચ્ચે પડી નીરજને બચાવવાનો પ્રયત્ન ન કર્યો.મંગેતરના અમાનવીય કૃત્યના મૂગા સાક્ષી બનવા ઉપરાંત ત્યાર બાદ લાશના ટુકડા કરવામાં અને ત્યાર બાદ તેને બાળી નાંખવામાં પણ તેનો સાથ આપ્યો અને આ સમગ્ર હત્યાકાંડ પાછળ સાવ દેખીતી રીતે જવાબદાર હોવા છતાં તેને માત્ર ત્રણ વર્ષની સજા અને આ ઉપરાંત નીરજના માતાપિતાના જખમો પર મીઠુ ભભરાવતી એમિલને એક લાખ રૂપિયા તેમજ મારિયાને પચાસ હજાર રૂપિયા ચૂકવવાની સજા ફરમાવી.કોઈની હત્યા કરો અને તેનું વળતર રૂપિયામાં ચૂકવી ત્રણ કે દસ વર્ષની જેલની સજા ભોગવી છૂટી જાઓ.આ છે ભારત ના ન્યાયતંત્રે હત્યાના ત્રણ વર્ષ બાદ સુણાવેલો ચુકાદો.

ભારતના મિડીયાને પણ જુઓ.મારિયા હજી જે દિવસે જેલમાંથી છૂટી એ જ દિવસે તેને પોતાના ટી.વી. શો માં ભાગ લેવા પાંચ કરોડ રૂપિયાની ઓફર આપી!દરેક ચેનલ પર એ દિવસે સાંજે તેના પ્રેસ કોન્ફરન્સનું જીવંત પ્રસારણ બતાવ્યું. રામ ગોપાલ વર્મા જેવા વાહિયાત દિગ્દર્શકે મારિયાને પોતાની ફિલ્મમાં હિરોઈન તરીકે ચમકાવવાની ઇચ્છા પણ દર્શાવી.તેમણે તો આ વિષય પર એક ફિલ્મ બનાવી પણ દીધી છે અને તેને એ ટૂંક સમયમાં પ્રદર્શિત પણ કરવાના છે.લાશ પર પણ રોટલો શેકીલે એટલું લોભી અને બેશરમ જગત છે આ.

ફરી ભારતના ન્યાયતંત્રની વાત કરી એ. અહિં કેસ નોંધાયા બાદ ચુકાદો સુનાવવામાં વર્ષોના વર્ષો કઈ રીતે નિકળી જતા હશે એ મારી સમજની બહાર છે.અને આ બધું ચલાવી પણ શા માટે લેવાય છે એ પણ મારા માટે કૌતુકનો વિષય છે.દીવા જેવી ચોખ્ખી વાતને પણ પુરાવા દ્વારા સાબિત કરો તો જ એ સાચું ગણાય એ પણ એક કમનસીબ બાબત છે જેના કારણે ગુનેગારો સજા પામ્યા વગર કે ઓછી સજા પામી મુક્ત થઈ જતા હોય છે અને સમાજમાં આ જ કારણ સર ગુનાખોરીનું પ્રમાણ જળવાઈ રહે છે.

કેટલાયે બળાત્કારના કિસ્સાઓમાં પણ ગુનેગારોને સાવ મામૂલી સજા આપી છોડી દેવાય છે અથવા બળાત્કારનો ભોગ બનેલી બિચારી યુવતિને નફ્ફટાઈ ભર્યા સવાલ પૂછી તેની સ્થિતી દયનીય અને કફોડી બનાવી દેવાય છે.આજકાલ રોજ અખબારમાં એક-બે બળાત્કાર કે ગેંગરેપ ના કિસ્સા વાંચવા મળે છે એ દુર્ભાગ્યની બાબત છે.બળાત્કારીને ત્વરીત અને એટલી કડક સજા ફરમાવવી જોઈ એ કે લોકો આવું હીન કાર્ય આચરતા પહેલા સો વાર વિચાર કરવા મજબૂર થઈ જાય.શાઈની આહુજા,અભિષેક કાસલીવાલ વગેરે જેવા બળાત્કારના આરોપીઓ આજે સમાજમાં છૂટા ફરે જ છે જે દુ:ખદ બાબત છે.

સરકારે ન્યાયતંત્રમાં ધરખમ ફેરફારો કરવાની જરૂર છે અને સમગ્ર ન્યાયપ્રક્રિયા અતિ ઝડપી,સરળ અને ન્યાયી બનાવવાની જરૂર છે.આશા છે મારી આ ઇચ્છા જલ્દી ફળીભૂત થાય.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો