Translate

શનિવાર, 21 મે, 2011

ગેસ્ટ બ્લોગ : અનાજનો બગાડ કેમ પોષાય?

- ચંપકલાલ હરકિસનદાસ ચાલીસહજારવાલા

કાંદિવલી (પશ્ચિમ), મુંબઈ


છેલ્લા પાંચ વર્ષમાં મોંઘવારી વધતી જ જાય છે. કિંમતી ધાતુઓ સોના-ચાંદીનો ભાવો આસમાનને આંબી રહ્યા છે. રીયલ એસ્ટેટ ના ભાવો લાખો મટીને કરોડો બોલાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના લગભગ ૧૨૬ ડોલર અને નાયમેક્સ ક્રૂડના ૧૧૩ ડોલરના ભાવો વાંચવા મળે છે. અને સરકાર તરફથી ડીઝલના અને પેટ્રોલના ભાવોમાં તાજેતરમાં જ વધારો ઝીંકાયો છે અને આ ભાવો હજુ વધશે એવી સંભાવના છે.


અનાજ, દાળ, કઠોળ, ઘઉં , સાકર, જુવાર, બાજરી અને ખાદ્યતેલ તેમની મોસમ હોવા છતાં મોંઘા થયાં છે. તુવેરદાળ રૂપિયા ૭૦ થી ૭૫ પ્રતિકીલો, ઘઉં રૂપિયા ૨૮ થી ૩૦ પ્રતિકીલો, જુવાર રૂપિયા ૩૫ પ્રતિકીલોના ભાવે વેચાય છે. તેલના ભાવમાં વધઘટ થયા કરે છે પણ ફરસાણના ભાવમાં કદી ઘટાડો નોંધાતો નથી. છેલ્લા એક વર્ષમાં દૂધના ભાવ ચારથી પાંચ વાર વધ્યા છે. એક અહેવાલ પ્રમાણે વધતી જતી મોંઘવારીને કારણે ત્રણ કરોડ ભારતીય અને સાડા છ કરોડ એશિયનો ગરીબીની રેખા હેઠળ જતાં રહેશે.

હવે મને આ બ્લોગના મુખ્ય મુદ્દા પર આવવા દો..જ્યારે મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે લગ્ન સમારંભો, સામાજિક મેળાવડા, બાળકની જનોઈ અને મુંડનવિધિ, બાળકની જન્મદિવસની ખુશાલી કે મૃતક સ્વજનોના તેરમાની વિધિ, અન્ય કોઈ ઉદ્ઘાટન સમારંભો કે અન્ય કોઈ સામાજિક સંસ્થાઓના સમારંભોમાં અનાજનો બગાડ પુષ્કળ થાય છે. આ સમારંભોમાં દરેક પ્રકારની એટલે કે પંજાબી, મદ્રાસી, ચાઈનીઝ, ચાટ, પાણીપુરી, ભેલપુરી, રગડા પેટીસ, બંગાળી મીઠાઈઓ, શ્રીખંડ, બાસુંદી, મઠ્ઠો અને અન્ય અનેક પ્રકારની મીઠાઈઓ અને ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવે છે. ઉપરાંત અનેક પ્રકારના આઈસક્રીમ, કુલ્ફી, ઠંડા પીણા, લહેજતદાર જલજીરા તમારા માટે હાજર હોય છે.

જમણવારમાં આટલી વૈવિધ્યતા ખરેખર જરૂરી છે? આટલી વાનગીઓ શું તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય છે?

પાંચેક મહિના પહેલા મેં એક જૈન સંસ્થા દ્વારા આયોજિત સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં કાર્યક્રમ પૂરો થયા બાદ ભોજન સમારંભ પણ રાખવામાં આવ્યો હતો. જમણવારમાં એક મીઠાઈ, એક ફરસાણ, એક કઠોળ, એક શાક, પુરી અથવા રોટલી, દાળ, ભાત, સલાડ તથા પાપડ હતાં. મારા નિરીક્ષણ મુજબ હાજર દરેક મહેમાન આનંદ અને સંતોષથી જમતાં હતાં. સંચાલકોએ પણ ચીવટપૂર્વક કોઈ અન્નનો બગાડ ન કરે એ વાતની તકેદારી રાખી હતી. જમ્યા પછી દરેકની થાળી કોઈ પણ પ્રકારના બગાડ વગર જોવા મળી.

ભારત દેશમાં જ્યાં ત્રીજા ભાગની પ્રજા ગરીબીની રેખા હેઠળ જીવે છે ત્યાં અનાજનો અવિચારી બગાડ કેમ પોષાય? ગરીબોને જ્યાં બે ટંકનું ખાવા પણ પ્રાપ્ત થતું ન હોય ત્યારે સમારંભો અને સારા પ્રસંગોમાં, સમાજમાં દેખાડો કરવા કે બીજાઓની દેખાદેખીથી અંજાઈ કે પ્રેરાઈ મોટાઈનું પ્રદર્શન કરવા, જરૂર કરતાં વધારે વાનગીઓનો ઢગલો ખડકી દેવો તદ્દન અયોગ્ય ગણાય. અને વાનગીઓનો અતિરેક થાય ત્યારે લોકો પણ બધું થોડું થોડું ચાખવાના પ્રલોભને જરૂર કરતા વધુ વાનગીઓથી ભાણું ભરી દઈ, અડધું એઠું મૂકી અન્નનો ભયંકર બગાડ કરવાની સાથે સાથે પોતાના સ્વાસ્થ્યને પણ નુકસાન કરી બેસતા હોય છે.

ભારતે પાકિસ્તાનનો દાખલો લઈ ધન અને અનાજનો બગાડ અટકાવવા 'એક વાનગી' નો કાયદો લાવવો
જોઈએ.


- ચંપકલાલ હરકિસનદાસ ચાલીસહજારવાલા

કાંદિવલી (પશ્ચિમ), મુંબઈ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો