Translate

રવિવાર, 1 મે, 2011

આત્મહત્યા કરવાનું કદી વિચારતા નહિં…

‘જનની ની જોડ સખી નહિં જડે રે લોલ...' જેના માટે કહેવાયું છે એવી માતા જીવનનું સર્જન કરનારી ગણાય છે.સ્ત્રીને શક્તિ કહેવામાં આવી છે. પણ મુંબઈની સ્ત્રીઓ લાગે છે આ બંને બાબતો ખોટી ઠેરવવા મથી રહી છે.તેણે ફક્ત અબળા જ નથી બની બતાવ્યું પણ પોતાના શરીરના ટુકડા જેવા પોતાનામાંથી જ પેદા થયેલા ફૂલ જેવા નાનકડા સંતાનોને પણ મોતને ઘાટ ઉતારી દીધાં છે.


હું વાત કરી રહ્યો છું મુંબઈની બે સ્ત્રીઓની જેમણે છેલ્લા બે મહિનાના સમયગાળામાં પોતે આત્મહત્યા તો કરી જ પણ એ પહેલાં પોતાના વહાલસોયા સંતાનોને પણ મોતના મુખમાં ધકેલી દીધાં. નિધી ગુપ્તા નામની મહિલા એ પોતાના આઠ વર્ષથી પણ ઓછી વયના બે બાળકોને પોતાના નિવાસના બિલ્ડીંગના ઓગણીસમાં માળેથી નીચે ફેંકી દઈ ત્યારબાદ પોતે પણ ત્યાંથી ભૂસકો મારી ત્રણ કમકમાટી ભર્યાં મોત નિપજાવ્યા.આ દુ:ખદ અને ભયંકર એવી ઘટનાના એકાદ મહિના બાદ જ દિપ્તી ચૌહાણ નામની બીજી મહિલાએ આ જ ઘટનાનું પુનરાવર્તન કરતા પોતાના રહેવાસના બિલ્ડીંગના સાતમા માળની ટેરેસ પરથી પોતાના એક ના એક પાંચ વર્ષીય પુત્રને નીચે નાંખી દઈ ત્યાર બાદ પોતે પણ ત્યાંથી કૂદી જઈ મોત વહાલુ કર્યું.

આત્મહત્યા એ કાયરતાની નિશાની છે.જીવનમાં કોઈ દુ:ખ એવડું મોટું હોઈ શકે નહિં જે તમને જીવ આપવા મજબૂર કરી શકે. અને જો તમે એક સ્ત્રી હોવ અને માતા પણ,ત્યારે તમે નવ મહિના તમારા ગર્ભમાં ઉછેર્યું એટલે કંઈ એ બાળકની હત્યાનો તમને હક્ક મળી જતો નથી. હજી તો એ કુમળી કળી જેવા બાળકોને જીવનનો અર્થ સુદ્ધા નથી ખબર ત્યારે તેને મારી નાંખનાર તમે કોણ? જીવન જીવવા જેવું છે અને તેનો એ મૂળભૂત અધિકાર છિનવી લેવાનો હક્ક તમને કોણે આપ્યો?

આ બે સ્ત્રીઓ જેમણે આત્મહત્યાની કેડી કંડારી તેમણે પોતાના જીવનના પ્રશ્નો ઉકેલવાના પ્રય્ત્નો કર્યા હશે પણ ચોક્કસ તે પૂરતા નહિં હોય કારણ જેમ અગાઉ પણ કહ્યું તેમ જીવનની કોઈ સમસ્યા એટલી મોટી નથી હોતી કે તેનો કોઈ ઉકેલ જ ન હોય.તેઓ પોતાના માતાપિતાને વિશ્વાસમાં લઈ શકી હોત.આજે જમાનો બદલાયો છે અને હું નથી માનતો કે આજના કોઈ માતાપિતા દિકરીને આવા કપરા સંજોગોમાં મદદ ન કરે.ચલો કદાચ માતાપિતા પણ જૂનવાણી હોય તો તેથી શું મ્રુત્યુ ના વિકલ્પને જ પસંદ કરવાનો? હરગિઝ નહિં. તમારો પતિ નમાલો હોય કે તમારા ચારિત્ર્ય પર શંકા કરે તો એવા પતિને લાત મારી સ્વતંત્ર જીવન જીવવાનો વિચાર કરો. નિધિ ગુપ્તા તો સી.એ. હતી અને પ્રોફેસર પણ.એણે આવું વાહિયાત પગલું ભરતા પહેલા થોડી ધીરજથી કેમ કામ નહિં લીધું હોય? તેણે પોતાના વિદ્યાર્થીઓ માટે શું દ્રષ્ટાંત પૂરું પાડ્યું? ઉલટું દિપ્તી ના મન પર નિધીના આ પગલાના અહેવાલની ખૂબ ઉંડી અસર થઈ હતી અને કદાચ તેણે પોતે આવું પગલું ભરવા માટે નિધિના આ પગલા પાસેથી જ પ્રેરેણા મેળવી હશે.

મુંબઈ જેવા શહેરમાં નિર્માલ્ય એવા પતિથી જુદા પડી પોતાના પગ પર ઉભા રહી સ્વતંત્ર જીવન જીવવું, વિચારતા લાગે એટલું અઘરું નથી.જીવવા માટેની ચાહ અને હામ હોય તો તમે પોતાના અને બાળકોના સુયોગ્ય ઉછેર જેટલું તો કમાઈ જ શકો.સેવાભાવી સંસ્થાઓનો પણ મુંબઈમાં તોટો નથી.આત્મહત્યા તો ચોક્કસ કોઈ જ કહેતા કોઈ સમસ્યાનો ઉકેલ હોઈ શકે નહિં.અને તમારી જીવન યોગ્ય રીતે ન જીવી શકવાની કે મુશ્કેલીઓનો સામનો કરી ન શકવાની કે તમારા પતિ કે સાસરિયાઓ સાથેની સમસ્યા ન ઉકેલી શકવાની અણ આવડતની સજા તમારા ફૂલ જેવા બાળકોને શા માટે? તમારે પરિપક્વ બનવું જોઈએ.

આ બે દુર્ઘટના પરથી માબાપે શીખવા જેવી એક બાબત એ છે કે જ્યારે તમારી પરિણીત પુત્રી તેના સાસરિયા કે પતિ વિરુદ્ધ તમને કંઈક ફરિયાદ કરવાની કોશિશ કરે ત્યારે પહેલેથી જ ચેતી જાઓ. વાત વણસી જાય ત્યાં સુધી બાજી બગડવા ન દો. આજે જમાનો ઘણો આગળ વધી ચૂક્યો છે આથી દિકરી પાછી આવશે તો લોકો કે સમાજ શું કહેશે તેની ફિકર ન કરો અને તમારી દુ:ખી દિકરીને પૈસે ટકે મદદ ન કરી શકો એમ હોવ તો પણ એટ લીસ્ટ નૈતિક હિંમત કે સહારો આપવાનું ન ચૂકશો. તેની સાથે ઉભા રહો.ડૂબતે કો તિનકે કા સહારા વાળી કહેવત મુજબ તમે કદાચ આ રીતે ફક્ત તમારી દિકરીને જ નહિં તેના સંતાનોના અમૂલ્ય જીવનને પણ બચાવી શકશો.

આ બ્લોગ થકી બીજો એક મહત્વનો મુદ્દો હું ચર્ચવા ઇચ્છું છું મિડીયા અંગે.આવા પ્રસંગો એ તેઓ ભૂલી જાય છે કે લાશોની બેહૂદી તસવીરો કે ઘટનાના આબેહૂબ વર્ણનાત્મક અહેવાલો દ્વારા તેઓ નબળા મનના લોકો સાથે કેટલો અન્યાય કરી રહ્યાં છે. આપણે એક વાત સમજી લેવી જોઇએ કે તેમનું તો કામ જ છે ખબરો મસાલેદાર બનાવી વેચવાનું.પણ આપણે આ બધી ખબરો વધુ પડતી ગંભીરતાથી લેવી જોઇએ નહિં.આપણે સારી અને હકારાત્મક અભિગમ ધરાવતી વાતો અને કટારો જ વાંચવી અને વંચાવવી જોઈએ. જન્મભૂમિમાં થોડા દિવસો અગાઉ જ એક ખૂબ સરસ લેખ હતો જેમાં મનોચિકિત્સકોએ લોકોને ખૂબ સારી ટીપ્સ આપી હતી.તેમના જણાવ્યા અનુસાર જે લોકો હતાશ હોય,ડીપ્રેશનમાં હોય તેઓ જ્યારે આવા આત્મહત્યા વિષેના નકારાત્મક સમાચાર વાંચે છે ત્યારે તેમને પણ આવું અંતિમવાદી પગલું ભરવાની અદમ્ય ઇચ્છા જાગે છે.મારો હજી આ બ્લોગ અડધો લખાયો હતો ત્યાં સુધીમાં બીજા બે આત્મહત્યાના સમાચાર વાંચવામાં આવ્યાં જેમાના એક કિસ્સામાં તો હતાશ યુવાને પહેલા પત્ની અને પોતાના સંતાન ને પણ મારી નાંખ્યા. આ ઘટનાઓમાં પણ પરોક્ષ રીતે થોડે ઘણે અંશે મિડિયા જવાબદાર છે એમ કહેવામાં અતિશયોક્તિ નહિં ગણાય.મિડિયાએ સંયમ જાળવવો જ જોઇએ.અને લોકોએ જરૂર છે પરિપક્વ બનવાની અને શું ગ્રહણ કરવું અને શું નહિં તેની સાચી સમજણ કેળવવાની.
આજના સમયની તાતી જરૂરિયાત છે ઈ.ક્યુ. અર્થાત ઈમોશનલ ક્વોશન્ટ વિકસીત કરવાની.જીવનમાં ગમે તેવી ઘટના અને સંજોગો સામે તટસ્થતા કેળવતા આપણે શીખવું જોઇએ. નાનામાં નાની કે મોટી કોઈ પણ સમસ્યા મિત્રો કે સગાસંબંધી સાથે ચર્ચવી જોઇએ. કોઈજ વસ્તુ અશક્ય નથી.તે જ રીતે જીવનનો કોઈ પ્રશ્ન પણ એવો નથી હોતો કે જેનો કોઈ ઉકેલ ન હોય.અંધારી લાંબી ટનલને છેડે જેમ અજવાળું હોય છે તેમ તમારા અંધારિયા સંજોગ કે પરિસ્થિતીને અંતે પણ ઉકેલનું અજવાળું અસ્તિત્વ ધરાવતું જ હોય છે. બસ જરૂર છે ધીરજની અને થોડી હિંમતની. અને જ્યારે તમારી ધીરજ ખૂટી જતી જણાય ત્યારે મદદ માંગવામાં બિલકુલ સંકોચ ન રાખશો.તમને જ્યારે કંઈ ન સૂઝે ત્યારે બીજા લાયક વ્યક્તિનો મત લો, અન્યની યોગ્ય વ્યક્તિની સલાહ લો.જો તમે અંતર્મુખી સ્વભાવના હોવ અને તમારી નિકટ ખાસ કોઈ વ્યક્તિ ન હોય તો આજે અનેક હેલ્પલાઈન ઉપલબ્ધ છે જ્યાં તમે તમારી ઓળખાણ છતી કર્યા વિના ગમે તેવી વિકટ સમસ્યા ચર્ચી શકો છો અને મન હળવું કરવાની સાથે સાથે સમસ્યાનો ઉકેલ પણ મેળવી શકો છો.

...પણ સ્વપ્નમાંયે કદી આત્મહત્યા જેવી નિમ્ન કક્ષાનું પગલું ભરવાનું વિચારતા નહિં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો