Translate

રવિવાર, 8 ઑગસ્ટ, 2010

સચીન તેંડુલકરના લોહી દ્વારા હસ્તાક્ષર???

થોડા દિવસો અગાઉ છાપામાં એક ખબર વાંચવા મળ્યા કે સચીન તેંડુલકરનું આત્મકથાસમું એક પુસ્તક પ્રકાશિત થવાનું છે જેમાં તેના જીવનની કેટલીક દુર્લભ અને યાદગાર તસ્વીરો પણ સમાવી લેવામાં આવશે. આ પુસ્તકમાં ઘણી આગવી વિશેષતાઓ હશે જેમકે આ પુસ્તકની ફક્ત દસ જ નકલ પ્રકાશિત થવાની છે જેની અંદાજિત કિંમત ભારતીય સાડત્રીસ લાખ રૂપિયા જેટલી હશે.( સારી બાબત એ હતી કે આ રૂપિયા ચેરિટી કાર્યો માટે વપરાશે એવી માહિતી પણ એ ખબર સાથે વાંચી ) પણ આ ખબરનો સૌથી આંચકા જનક ભાગ એ હતો કે સચિને તેના વિષેના આ પુસ્તકમાં પોતાના લોહીથી હસ્તાક્ષર કર્યા છે.


હવે આ વાંચીને તમે જ કહો વિચિત્ર લાગણી ન અનુભવાય?અજુગતુ ન લાગે?

મને વિચાર આવ્યો સચિન તેન્ડુલકર જેવી મહાન હસ્તિ આવા બાલિશ અને હિચકારીભર્યા ક્રુત્ય માટે શી રીતે તૈયાર થઈ હશે?

નથી મને કોઈ સ્પોર્ટ્સમાં ખાસ રસ કે નથી હું ક્રિકેટપ્રેમી,છતાં સચિન જેવા અજોડ ક્રિકેટ-નિષ્ણાત માટે મને ખાસ માન છે.તે ફક્ત એક મહાન ભારતીય રમતવીર જ નથી પણ ખૂબ સારો અને ઉમદા મનુષ્ય પણ છે.આથી સચિનના લોહિયાળ હસ્તાક્ષર વાળી વાત વાંચી મને એક નકારાત્મક અરેરાટીભરી લાગણી થઈ આવી અને બે ઘડી સચિન માટે પણ થોડા અણગમા અને રોષનો ભાવ ઉપજ્યો.

આ છે પ્રસાર અને પ્રચાર માધ્યમની તાકાત!તે તમારો કોઈક વ્યક્તિ કે વાત વિષેનો દ્રષ્ટિકોણ બદલી નાંખવાની તાકાત ધરાવે છે.

મને સચિન વિષેના, તેના પુસ્તક વિષેના આ સમાચાર વાંચી અણગમાની લાગણી થઈ આવી. છેવટે આ ખબર દરેક નાનામોટાં વર્તમાનપત્રમાં છપાઈ ચૂક્યા બાદ, સચિનનો આ બાબત અંગે ખુલાસો બે-ત્રણ દિવસ બાદ સમાચારપત્રોમાં વાંચવા મળ્યો કે તેણે કોઈ પુસ્તકમાં પોતાના લોહીથી હસ્તાક્ષર કર્યા નથી.હવે પુસ્તકના પ્રકાશકોનો ખુલાસો પણ આવ્યો કે તેમની વાત પ્રસાર માધ્યમોએ ફેરવી તોળીને છાપી છે જેની પાછળ કોઈક ગેરસમજ જવાબદાર છે.જો એમજ હતું તો તેમનો ખુલાસો સચિને કરેલી સ્પષ્ટતા બાદ શા માટે આવ્યો?તેઓ લોહી વાળી જૂઠ્ઠી વાત છપાયા પછી તરત બીજે જ દિવસે પણ આ અફવાનું ખંડન કરી શક્યા હોત ને? પણ તેમણે આ હલ્કા પબ્લિસીટી સ્ટંટનો લાભ ખાંટવો હોય એમ સ્પષ્ટ જણાય છે.

બીજો મુદ્દો પ્રસાર અને પ્રચાર માધ્યમોની નૈતિક જવાબદારીનો છે.શું કોઈ પણ સમાચાર છપતા પહેલાં તેની સચ્ચાઈ વિષે ખાતરી કરી લેવાની તેમની ફરજ નથી? પણ ગળાકાપ સ્પર્ધાના આ યુગમાં દરેક ન્યૂઝચેનલે કે અખબારે સમાચાર પ્રથમ જાહેર કરવાની જાણે ઘેલછા લાગી છે!

ખેર જે હોય તે,પણ એક વાતનું આશ્વાસન એ મળ્યું કે સચિને લોહીથી સહી કરવાનું નાદાની ભર્યું બાલિશ અને હલ્કું કૃત્ય કર્યું નહોતું!

1 ટિપ્પણી:

  1. સરસ લેખ, પ્રકાશક કે સમાચાર માધ્યમો જેટલીજ નૈતિક જવાબદારી વાચકો ની પણ હોવી જરૂરી છે. ઘણા કિસ્સાઓ માં વાચકો/દર્શકો જે તે સમાચાર ને બિનજરૂરી મહત્વ આપીને સમાચાર માધ્યમો વગેરે ને એક જાતનું પ્રોત્સાહન પૂરું પાડે છે.

    જવાબ આપોકાઢી નાખો