Translate

શુક્રવાર, 25 ડિસેમ્બર, 2009

હે ઇશ્વર, દરેકને સદબુદ્ધિ આપો... (૨૬ નવેમ્બર)

થોડાં દિવસો અગાઉ જ ૨૬મી નવેમ્બરની તારીખ ગઈ.મુંબઈ શહેર આ તારીખને ક્યારેય ભૂલી શકશે નહિં. બરાબર એક વર્ષ પહેલાં આ જ દિવસે આતંકવાદીઓએ મુંબઈ શહેર પર હૂમલો કરી સેંકડો નિર્દોષ નાગરિકોની ઘાતકી હત્યા કરી નાંખી હતી.શહેર ધ્રુજી ઉઠયું હતું.આ હૂમલો ફક્ત તેના નાગરિકો પર નહોતો, પણ આ હૂમલો હતો તેની સજાગતા પર,તેની ખુમારી પર,તેની સુરક્ષિતતા પર,તેના આત્મા પર.આખું રાષ્ટ્ર ત્રણ દિવસ સુધી ચાલેલ આ નાટ્યાત્મક લોહીની હોળીનું મૂક સાક્ષી બની રહ્યું.પોલિસખાતાએ તેના બહાદુર સિપાઈઓ ગુમાવ્યાં. સુરક્ષાદળોએ તેમના વીર જવાનો ગુમાવ્યાં. નેતાઓએ કંઈ કર્યુ નહિં.કોણ આ બધામાં એકંદરે નુકસાનમાં રહ્યું? એ લોકો
જેમણે આ દુર્ઘટનામાં પોતાનાં સ્વજનો ગુમાવ્યાં. ૨૬ નવેમ્બરનાં એ કાળા દિવસે શહીદ થયેલાંઓનાં કુટુંબીજનોનાં જીવનમાં સર્જાયેલ શૂન્યાવકાશ કોઇ કહેતા કોઇ ભરપાઈ કરી શકશે નહિં.
છેલ્લાં થોડાં દિવસોમાં ૨૬ નવેમ્બરના વિષયને લગતાં કેટલાક સમાચાર વાંચી મારું લોહી ઉકળી ઉઠયું. એક ખબર એ હતી કે ૨૬ નવેમ્બર વખતે માર્યા ગયેલાં નવ આતંકવાદીઓની સડી ગયેલી લાશોની દુર્ગંધથી જે.જે.હોસ્પિટલનું શબઘર ખદબદી ઉઠયું છે.તમારાં માનવામાં આવે છે? આ દુર્ઘટનાને એક વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં એ શેતાનોની કોહવાઈ ગયેલી લાશો હજી સુધી ભારતમાં જાળવી રાખવામાં આવી છે.આપણે સાબિત શું કરવું છે? જેના માટે તેઓ જેહાદ કરી રહ્યાં હતાં એ તેમનો દેશ પણ તેમનાં શબોનો સ્વીકાર કે નિકાલ કરવા તૈયાર નથી.તેમનાં આ મૃતદેહોનો અસ્વીકાર કરવાના પાડોશી દેશનાં નિર્ણયની સ્પષ્ટ જાહેરાત બાદ પણ આપણે શાની રાહ જોઇ રહ્યાં છીએ?આ લાશોનો તાત્કાલિક નિકાલ ભારતે કરી નાખવો જોઇએ. પણ કોને પરવા છે?
બીજી એક ન્યુઝ આઈટમ હતી એક વિડીયોગેમ વિષે જે મુંબઈગરાઓ ખૂબ સારા પ્રમાણમાં ખરીદી અને રમી રહ્યાં છે.આ ગેમ ૨૬-નવેમ્બરનાં આતંકવાદી હૂમલા પર આધારિત છે.શું આપણી વિવેકબુદ્ધિ મરી પરવારી છે?આવા વિષયવસ્તુ પર પૈસા કમાવા એ શરમજનક અને મારી દ્રષ્ટીએ ઘૃણાસ્પદ છે.શું આ કોઇ મજાક કે રમૂજની વસ્તુ છે? આ વિડીયોગેમ બનાવનારાઓનો ઉદ્દેશ શો છે? તેઓ કયો સંદેશ સમાજને આપવા ઇચ્છે છે? તેઓ તો લોભ અને સ્વાર્થવશ આવી ગેમનું ઉત્પાદન અને વેચાણ કરતા હશે પણ આ ગેમ ખરીદી પોતે રમનાર અથવા પોતાના બાળકોને તે રમતા જોનાર મુંબઈગરાઓનુ શું? બચાવ ઓપરેશન, મશીનગન્સની ગોળીઓનો ધડધડાટ, દુશ્મનોને મારી ને ઢાળી પાડવા તેમની નિર્દયતાથી હત્યા - આ બધા દ્વારા તમે તમારા બાળકોને શું શિખવવા ઇચ્છો છો કે કયા પ્રકારનું મનોરંજન મેળવવા ઇચ્છો છો? મનોરંજન કે પાશવી આનંદ?મને આ વિડીયોગેમનો આઇડીયા જ સાવ અરુચિકર અને ધિક્કારજનક લાગ્યો.
ત્રીજી વાત જે મારામાં ગુસ્સા,અણગમા અને આક્રોશની લાગણી પ્રગટાવે છે એ છે આપણી સરકાર અને કાયદા-કાનૂન દ્વારા જે રીતે અજ્મલ અમીર કસબના કેસ ને ચલાવાઈ રહ્યો છે તે. અત્યાર સુધી કરોડો અને એક અહેવાલમાં વાંચ્યા મુજબ કસબ પાછળ તેની સુરક્ષા અને તેના કેસ માટે આઠ લાખ રુપિયાથી વધુનો ખર્ચ એક દિવસનો થાય છે. એક એવા માણસ પાછળ આટલો ખર્ચ જેને ખરી રીતે તો માણસ કહેવો પણ યોગ્ય નથી.તે તો પ્રાણી કરતાયે વધુ આસુરી વૃત્તિ ધરાવતો શેતાન છે.તેણે કેટલા બધા નિર્દોષ લોકોની સી.એસ.ટી સ્ટેશન પર,કામા હોસ્પિટલ ખાતે તેમજ દક્ષિણ મુંબઈ ના રસ્તાઓ પર અંધાધૂંધ ગોળીબાર કરીને હત્યા કરી નાંખી હતી જેમા હીરો જેવાં આપણાં એ.ટી.એસ ચીફ અને અન્ય બહાદૂર પોલિસ સિપાહીઓ પણ માર્યા ગયા. આમ છતાં આ દુર્ઘટનાના એક વર્ષ પછી પણ તે હજી જીવતો છે અને તેને દેશના સર્વોચ્ચ વ્યક્તિ જેવી સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. આવા અધમ કૃત્ય આચરનારા નરપિશાચને લોકો વચ્ચે જાહેરમાં લટકાવી ભયંકર મોતની સજા ફટકારવામાં આવવી જોઇએ અને તે પણ હવે વધુ સમય અને પૈસાનો વ્યય કર્યા વગર, શક્ય એટલી ઝડપે.એનાથી વિશ્વમાં આવું હિચકારુ કાર્ય કરવા બદલ કડક માં કડક સજાનો દાખલો તો બેસશે અને સાથે સાથે આતંકવાદના દૂષણને નાથવાનું એક અસરકારક પગલું ભર્યાની પહેલ આપણે કરી ગણાશે.
આ સિવાય પણ બીજા અનેક લોકોની નાની મોટી અનેક હ્રદયદ્રાવક કથનીઓ વાંચવામાં આવી જેમના જીવન ૨૬ નવેમ્બરની આ ગોઝારી ઘટનાએ સંપૂર્ણપણે બદલી કે બરબાદ કરી નાંખ્યા.૨૫ વર્ષનો એક ગુજરાતી યુવાન કોલાબામાં પોતાના ઘરમાં જ ઠાર મરાયો હતો જેણે જીવનમાં ક્યારેય કોઈનું બૂરું ચાહ્યું કે કર્યું નહોતું અને જે સદાયે બીજાઓને મદદ કરવા તત્પર રહેતો.તેની શોકમગ્ન વ્રુદ્ધ માતાનો મ્રુતપુત્રનો ફોટો ખોળામાં લઈને બેઠેલી તસવીર અને પ્રશ્નાર્થસૂચક વેદનાભરી આંખો જોઇ ભાગ્યેજ કોઇની આંખ ભીની થયા વિના રહી શકે. મેજર સંદિપ ઉન્નીક્રિશ્નન તેના માતાપિતાનો એકનોએક જુવાનજોધ પુત્ર હતો જે આતંકવાદીઓ સામે લડતા લડતા બાનમાં રખાયેલા નિર્દોષ લોકોને છોડાવવાના ઓપરેશનમાં વીરગતિ પામ્યો.આ શહીદ પુત્રરત્નની ખોટથી તેના માતાપિતાના જીવનમાં સર્જાયેલી શૂન્યતા અને વેદના અનુભવી મારું હ્રદય કકળી ઉઠે છે. એક સ્ત્રીનું અડધું અંગ ગોળીઓથી વિંધાવાને કારણે આજે લકવાગ્રસ્ત થઈ ચૂક્યું છે.કેટલાય બાળકો અનાથ અને કેટલાય માબાપ સંતાનવિહોણા બની ચૂક્યા છે. છતાં હજી કસબની ઓળખમાટે કોર્ટમાં પરેડોના તમાશા યોજાય છે. આ અને આવી બીજી અનેક વાતો વાંચી મારા મનમાં અનેક મિશ્રલાગણીઓનું ઘોડાપૂર ઉમટે છે. હું દયા,દુ:ખ,ગુસ્સો,લાચારી,આક્રોશ,વેદના વગેરે બધું એક સાથે અનુભવું છું.
આપણાં નેતાઓ ક્યારે ગંદુ રાજકારણ રમવાનું બંધ કરી, દરિયા વચ્ચે અબજો રૂપિયા ખર્ચી પૂતળા બાંધવા અને એકાદ એમ.એલ.એ ને મરઠીમાં શપથ ન લેવા બદલ થપ્પડ મારવા કે મુંબઈની દુકાનોમાં ફરજિયાત મરાઠી પાટિયા લગાડવાની ફરજ પાડવા જેવી નિરર્થક અને સાવ નકામી પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવાને બદલે આપણી
સેવા અને સુરક્ષા પર ધ્યાન આપશે?

હે ઇશ્વર, દરેકને સદબુદ્ધિ આપો અને આ શહેરને, દેશને અને સમગ્ર ધરાને વધુ જીવવાલાયક બનાવો...

2 ટિપ્પણીઓ:

  1. દરેક મુંબઈકરનાં હ્રદયમાં તારા જેવો જ આક્રોશ છે પણ કોઇ આગળ આવી કંઈ નક્કર પગલું ભરતું નથી. આપણને જરૂર છે 'અ વેડ્નસ ડે' ફિલ્મના નસીરરુદ્દીન શાહ જેવા ચરિત્રની. તો જ આપણાં નેતાઓને સબક મળશે અને આપણી સમસ્યાનો કોઈક ઉકેલ આવશે. - હિતેન્દ્ર દવે (મુંબઈ)

    જવાબ આપોકાઢી નાખો
  2. આપણી આસપાસની પરિસ્થિતીનું સચોટ વર્ણન છે આ...
    - નિરવ ગોસર (મુંબઈ)

    જવાબ આપોકાઢી નાખો