Translate

શનિવાર, 3 ઑક્ટોબર, 2020

ગેસ્ટ બ્લોગ : લોકડાઉન :શુંગુમાવ્યું/શું મેળવ્યું ?

                 શાયર ‘મરીઝે” એક ગઝલમાં લખ્યું છે,

                          “એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે 

                             આપી દે મદદ કિન્તુ ન લાચાર બનાવે.”   

                         ‘લાચારી’ આ શબ્દનો અનુભવ તો દરેક વ્યક્તિને થતો રહે છે, પણ માનવજાત માટે આ શબ્દ અણગમતો છે. કોઈને લાચારી ખપતી નથી.. કોઈ હોનારત કે કુદરતી આપત્તિ આવી પડે, ત્યારે માનવી તેની સામે ઝઝૂમે છે. જ્યાં સુધી આ મુસીબતનું નિરાકરણ ન થાય, ત્યાં સુધી તેને લાચાર જ રહેવું પડે છે, પછી તે રંક હોય કે રાય નબળો હોય કે તંદુરસ્ત. સમસ્યા નાની હોય કે મોટી તેની ગંભીરતાને લક્ષમાં રાખી સમયાનુસાર લાચાર રહેવું પડે છે, તેમાં છૂટકો નથી. 

                       આ વીસમી સદીમાં જગત આખાની માનવજાત કોરોના જેવી મહામારીનો સામનો કરી રહી છે. ક્યારે ય વિચાર્યું ન હોય, એવું સંકટ આવી પડ્યું છે માનવીને અકલ્પનીય લાચારીનો અહેસાસ થઈ રહ્યો છે. દેશ અને દુનિયાના લોકો ચિંતાગ્રસ્ત છે, પીડાય છે. કોણ કોને દોષ દે? બધા જ એક જ નાવના મુસાફર છે. સૌ પોતાની જ જાતને પૂછી રહ્યા છે, શું આવું કઈ થાય? અને પછી પલભર પોતાને જ જવાબ આપે છે,કે હા, આવું પણ થાય. અનુભવની આ જ છે ઓળખ. 

                      જીંદગી માણસની પરીક્ષા લેતી હોય છે. કોરોનાએ આકરી કસોટી કરી છે. તેની સામે માનવી લાચાર રહ્યો છે, પણ હાર્યો નથી, કારણ ભારત સહીત વિશ્વના સમૃધ્ધ દેશોમાં આ જીવલેણ વિષાણુ વિરુધ રસીના સંશોધનનું કાર્ય યુધ્ધના ધોરણે ચાલી રહ્યું છે.ઈતિહાસ સાક્ષી છે કે ટી બી, પ્લેગ પોલિઓ જેવા રોગોને આંતરવા રસીની શોધ થઈ હતી, જે આશીર્વાદ સમ બની રહી છે. સાલ બેહજાર ચૌદ પૂર્વે ઘણા બાળકો પોલીઓનો ભોગ બન્યા હતા, પરંતુ ત્યાર પછી ભારત દેશ સંપૂર્ણ રીતે પોલિઓ મુક્ત થઈ ગયો. જે રસીને આભારી છે. આજના સંદર્ભમાં આ ઉદાહરણ પૂરતું છે. 

                    સંસ્કૃતના એક સુભાષિતમાં કહેવાયું છે “રાત્રિ ગમીષ્યતી, ભવિષ્યતી સુપ્રભાતમ” એમ આ સંકટ પણ કાયમી નથી રહેવાનું. આ દિવસો પણ ચાલ્યા જશે એવો સકારાત્મક અભિગમ આપણે અપનાવવો જ રહ્યો. દરેક મુસીબત આપણને કૈંઈક ને કૈંઈક શીખવી જાય છે. કોરોનાએ એ સંદેશ આપ્યો છે, કે હવે પરિવર્તન સાથે જીવવાનું છે. જીવન શૈલીમાં ઘણા બધા ફેરફારો અપનાવી રહેવાનું છે. 

                     દરેક વ્યક્તિ વિચાર કરે કે લોકડાઉન દરમિયાન કશુંક ગુમાવ્યું હશે તો સાથે કૈંઈક મેળવ્યું પણ હશે. રોજ અનેક લોકોને મળતા અને તેમની સાથે સંવાદ સાધતા, પણ ક્યારે ય આપણે ખુદને મળ્યા છીએ? જાત સાથે વાત કરવાનો અમૂલ્ય અવસર આ લોકડાઉને આપ્યો છે.એકાંતની મધુર પળો માણવાની તો આ સુંદર તક સાંપડી છે. કોરોનાના આ આક્રમણે સૌને આત્મ ચિંતન કરવા પ્રેર્યા છે. એકલતાને સ્મૃતિઓના શણગારથી સજાવવાનો કીમતી સમય મળ્યો છે. નવું નવું જાણવા, જોવા અને શીખવા મળ્યું છે.  

                    લોકડાઉનમાં એવા દાખલા પણ જોવા મળ્યા કે માનવીમાં રહેલી સુષુપ્ત શક્તિ  બહાર આવી. પોતાનામાં છૂપાએલી વિવિધ કલાઓને ઉજાગર કરવાનો મોકો મળ્યો. જ્યાં શૂન્ય હતું, ત્યાં નવું સર્જન થયું તો જ્યાં ઉત્તમ હતું તે બમણું થયું. થેંક્સ ટુ કોરોના. આમ લોકડાઉનમાં કશુંક ગુમાવ્યાનો રંજ ન રાખતાં કશુંક મેળવ્યાનો આનંદ અને પરિતોષ રાખવો ઉચિત લેખાશે. પરિસ્થિતીને સહર્ષ સ્વીકાર્યા સિવાય કોઈ આરો નથી. ગઝલકાર ‘સગીર’ની એક ગઝલનો મત્લા જીવનમાં ઉતારવા જેવો છે,

                     “ હું બધા સંજોગને અપનવતો ચાલ્યો ગયો 

                       જીંદગીને એ થકી શોભાવતો ચાલ્યો ગયો”. 

                  આમ સંજોગોની સામે ઝૂકવાને બદલે લડીને જીત પ્રાપ્ત કરવામાં જ શાણપણ રહેલું છે. 

   - નીતિન વિ મહેતા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો