Translate

રવિવાર, 22 જૂન, 2014

ગેસ્ટ બ્લોગ : મારો પથ્થર- પ્રેમ


- મોહિત શાહ
ફતેહપુર-સીક્રી સ્થિત ચોતરફ સમાકાર જળખંડોની વચ્ચે એક અનૂઠું સ્થળ છે. સંગીત સમ્રાટ તાનસેનની રિયાઝ- બેઠક એકાદ ચાંદની રાતે શાંત મને અને સ્પંદનોની બારી ખુલ્લી રાખીને બેઠક પર બેસવા જેવું છે! પથ્થરો તમને રણઝણાવે તો કહેજો! આવશ્યકતા છે ફક્ત અલૌકિક સંગીતના તાર સાથે દિલનાં એકતારાના સાયુજ્યની, પથ્થરના અણુએ અણુમાં વ્યાપ્ત  યુગો-યુગોથી સંગ્રહીત પુદ્દ્ગલોના અહેસાસની. પુદ્દગલ એક એવું ગૂઢ તત્વછે જે અનુભવી શકાય છે. કોઈ એક વસ્તુ કે વ્યક્તિના ચલાયમાન થયા બાદ એમના અસ્તિત્વના આણ્વિક પડ્છાયા કે અંશો જે તે સ્યળ પર શ્વસે છે, વસે છે વૈજ્ઞાનિક ચકાસણીએ પાર ઉતરેલું સત્ય છે. ધર્મગ્રંથોમાં પણ ઉલ્લેખ પામેલ અદ્દ્ભુત સત્ય

સ્પર્શ દઈ જળ જ્યારે વહી જાતું હશે,

પથ્થરો ને કંઈક તો થાતું હશે ! 

પથ્થરોને અલગ અલગ પોત હોય છે તેમ અલાયદું ગોત્ર પણ હોતું હશે? પરમાણુકક્ષાએ કદાચ જવાબ શક્ય છે. સદીઓ જૂના શિલ્પને સ્પર્શતી વખતે તે કાળની, તે અવિરત ચાલતાં ને કંડારતા હાથોની પથ્થર સ્થિત મૂર્તિને બહાર કાઢવાની મથામણને જરૂરથી અનુભવવી જોઈએ. પૃથ્વી જેટલા જૂના ખડકો, પથ્થરો! ઝીણવટથી જોશો તો નાનકડી પૃથ્વી જણાશે! અડીખમ શિવલિંગ બનીને સદૈવ પૂજનીય પાષાણ હોય કે અસાધારણ નાજુકાઈ ધરાવતા દેલવાડાનાં દહેરાંની છ્તો -કમાનોમાં શ્વસતો સંગેમરમર! કઠોરતા અને ઋજુતા એક સમાન રીતે ઓતપ્રોત છે. પથ્થરોમાં સદીપુરાણા કિલ્લાઓના કાંગરે બેસીને કાન સરવા રાખજો  હર હર  મહાદેવ 'નો જયઘોષ પડઘાશે. આજના દ્રશ્યમાન જગતને અહીં સુધી પહોચાડવા માટે વજ્ર જેવા પથ્થરોનો ફાળો અનન્ય છે. વિચારી જોજો અખૂટ પાષાણ સંપત્તિ સાથે જનમ્યાં છીએ આપણે સૌ પૃથ્વીવાસીઓ.

 હા મને પથ્થરોથી પ્રેમ છે. એનાં ખરબચડા પણાંથી પ્રીત છે. નદીતટે આકસ્મિક રીતે પ્રાપ્ય અદકેરાં આકારના પથ્થરો કંઈકેટલી યાત્રાઓ અને પરક્મ્મા કરીને થાક ઉતારતાં હશે, અંદાજ પણ છે ? સ્થિરતા તેમનાં સ્વભાવમાં છે અને અડગપણું તેમનાં રંગસૂત્રોમાં. આપણી સૂર્યમાળામાં ૯૯% દ્ળ એકલો સૂર્ય ધરાવે છે. બાકીના ૧% માં વિશાળ વાયુ-વાદળા ધરાવતાં રાક્ષસી ગ્રહો અને પુરાંત ખાતે પૃથ્વીનો તો ઉલ્લેખ માત્ર!   બીજી રીતે  જોતાં  નક્કર ધરતી ધરાવતાં જૂજ ગ્રહોમાંનો એક આપણો ગ્રહ અને આપણે સૌ એનાં સંતાનો ! આટ આટલી અલભ્યતાનું મૂળ તત્વ છે ચોમેર પથરાયેલી પાષાણ જેવી જીજીવિષા, અને તેનાં ભિન્ન ભિન્ન પ્રકારો. એક થિયરી પ્રમાણે એક જ  દ્રવ્ય ધરાવતાં હોવાને કારણે જ્યારે બ્રહ્માંડનું સર્જન થયું, ગ્રહમાળાઓ અને આકાશગંગાઓ રચાઈ ત્યારે પૃથ્વી સ્થિત અમુક ખનિજો જે-તે ગ્રહનાં અમુક અંશો લઈને જનમ્યા.  જેમકે હીરા ,પોખરાજ, નીલમ વગેરે, જેનું પગેરું જ્યોતિષ -જગતમાં નીકળે છે.

મારો નાનકડો પથ્થર સંગ્રહ છે. મુલાકાત લીધેલ સ્થળની યાદગીરી રૂપે લીધેલું  સ્મૃતિચિન્હ.  જે-તે સ્થળનું નામ વગેરે લખીને મારાઝેનડાઈનીંગ ટેબલનાં કાચ નીચે મેં ગોઠવેલ  પથ્થર-ફેમીલી’ મારી અદકેરી અસ્કયામત છે. પથ્થર વીણતાં પહેલાં હું તેનો એક સ્પષ્ટ અને નૈસર્ગિક ફોટોગ્રાફ લઈ લઉં છું, તેના સહ-સાથીઓ જોડે! મિત્રો પણ મને સહાયભૂત થાય છે વિવિધ સ્થળો નાં સ્મ્રતિચિન્હો પહોચાડવામાં. અલગ સ્વભાવ ધરાવતાં કુંટુંબીજનોની   માફક અસમાન ઉછેર દર્શાવતાં પથ્થરો. મારી પાસે હિમાલયથી આણેલાં પથ્થરો પણ છે જે નાનાં  છે પણ હિમાલયનો અંશ તો ધરાવે છે  એટલું જાણવું પૂરતુ છે એની મહત્તા સમજવા. માનસરોવરથી એક મિત્રએ આણેલ શંકર- ગણેશ રૂપી પથ્થર-રત્નોને મેં મારાં ઘરનાં મંદિરમાં સ્થાપિત કરેલ છે. અનાયાસે મળેલ પરમ પિતા- પુત્ર ની જોડીએ મને એક નિતાંત શાતા આપી છે-   હદયપૂર્વકની કબૂલાત છે. રેખાઓ ઉકેલવા માટે હૈયાઉલકત  જોઈએ. મનુષ્યનાં ચહેરા પરની રેખાઓ કે પાષાણોમાં અંકિત યુગવંદનાની અમીટ રેખાઓ…

- મોહિત શાહ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો