Translate

રવિવાર, 25 નવેમ્બર, 2012

આંધળુકીયું

કોઈ પણ બાબતને સારી કે ખરાબ ગણવી તે મોટે ભાગે સંજોગો પર આધાર રાખતું હોય છે. ગર્ભપાત એક એવી ક્રિયા છે જે પ્રથમ દ્રષ્ટીએ ખરાબ જ લાગે પણ જ્યારે ગર્ભવતી સ્ત્રીના પેટમાં ગર્ભના કુપોષણ કે પછી અન્ય કોઈ કારણસર ઉભી થયેલ સંકુલ પરિસ્થિતિને લીધે ગર્ભવતી સ્ત્રીનો જીવ જોખમમાં આવી જાય ત્યારે ગર્ભપાત જરૂરી જ નહિ અનિવાર્ય બની રહે છે. સ્ત્રીનો જીવ બચાવવો વધુ જરૂરી બની જાય છે.તે જીવિત રહેશે તો ફરી ગર્ભ ધારણ કરી જ શકશે. પણ આપણે ઘણી વાર આપણી જ સુવિધા કે સગવડ કે અનુશાસન માટે બનાવેલા નિયમોને લઈને એટલા જડ બની જઈએ છીએ કે સારાનરસાનું ભાન ગુમાવી બેસીએ છીએ અને સાચાખોટા વિષે વધુ ચિંતન કર્યા વગર અન્યાયી,અયોગ્ય અને ખોટો નિર્ણય લઈ બેસીએ છીએ. આયર્લેન્ડમાં તાજેતરમાં બનેલ સવિતા નામની એક યુવાન સ્ત્રી દંતચિકિત્સકના મોતની દુર્ઘટના બદલ આવું અવિચારી રૂઢીચૂસ્ત જડ વલણ જ જવાબદાર બની રહ્યું. તેને સત્તર અઠવાડિયા એટલે કે ચારેક મહિનાનો ગર્ભ હતો જે પૂર્ણપણે વિકસિત પણ ન હોવા છતાં ત્યાંના ડોક્ટર્સને તેના હ્રદયના ધબકારા સંભળાયા જ્યારે ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં તડપી રહેલી સવિતાની અસહ્ય વેદના તેમને ગણકારવા લાયક ન લાગી, તેનો જીવ બચાવવા અનિવાર્ય એવો ગર્ભપાત ખ્રિસ્તી ધર્મ પ્રમાણે પાપ ગણાતો હોવાને લીધે તેમને બિલકુલ જરૂરી ન લાગ્યો અને તેમણે એ અર્ધવિકસિત શિશુને બચાવવા જતાં જાણી જોઈને સવિતાની હત્યા કરી નાંખી. હા, આ હત્યા જ હતી. શિશુતો આમ પણ સવિતાના મૃત્યુ ને લીધે બચી ન જ શક્યું.


આ દુર્ઘટના આપણી માનવજાતની એક વરવી નબળાઈ છતી કરે છે.

આપણે કેટકેટલીયે રૂઢીઓને, પરંપરાઓને બસ અનુસર્યે રાખીએ છીએ. પ્રશ્ન પૂછ્યા વગર, એમ કરવા પાછળ કોઈ જાતનો તર્ક છે કે નહિ એ સમજ્યા વગર. ગાડરિયા પ્રવાહની જેમ. એક બહુ ઉચિત ગુજરાતી શબ્દ છે આ પ્રકારના વર્તન માટે: આંધળુકીયું.

બીજા બે ઉદાહરણ જોઇએ આ બાબતના.

બ્રાહમણ પુરૂષો જનોઈ પહેરે છે.લગભગ બધા જનોઈધારી બ્રાહ્મણો લઘુશંકા કે ગુરુશંકાએ (નહિ સમજાયું? એક નંબર કે બે નંબર!) જતી વેળાએ જનોઈ જમણા કાનની બૂટ પર ચડાવી દે છે.કોઈ એની પાછળનું કારણ નથી જાણતું. ભલભલા પંડિતોને પણ આમ કરવા પાછળનું સાચુ કારણ ખબર નથી.મેં ખૂબ રીસર્ચ કરી ત્યાર બાદ મને આ પાછળનું સાચુ તાર્કિક કારણ જાણવા મળ્યું. જૂના જમાનામાં બ્રાહ્મણો ખુલ્લામાં ગુરૂ શંકાએ જતાં. નીચે બેસવાનું હોય અને જનોઈનો દોરો લાંબો હોય.આથી તે માટીમાં રગદોળાઈ ગંદો ન થાય એ હેતુથી બ્રાહમણો તેને જમણા કાને લપેટી લેતા જેથી પવિત્ર જનોઈ મેલી ન થાય. હવે શહેરોમાં તો ઘેર ઘેર જાજરૂ આવી ગયા છે ત્યારે જનોઈને કાને ભરાવવાની કોઈ જરૂર મને જણાતી નથી. પણ ખરૂં કારણ જાણ્યા વગર આજે પણ લોકો આ પ્રથા અનૂસર્યે રાખે છે.

બીજી આવી એક પ્રણાલી છે સ્મશાનમાં ગયા બાદ મૃતદેહ બાળી આવ્યા પછી ઘણાં લોકો માને છે કે નાસ્તો કરવો જરૂરી છે. એ સિવાય પાછા ઘરે ન જવાય. કારણ? મોટા ભાગના ને ખબર નથી. લોજીક : ગામડાઓમાં ઘણી વાર સ્મશાન ખૂબ દૂર હોય અને ડાઘૂઓ પણ ચાલીને મડદાને ખભે ઉપાડી એટલે લાંબે ગયા હોય, ઘણાં લાંબા સમય સુધી કંઈ ખાધુ ન હોય આથી લાશ બાળ્યા બાદ, ફરી પાછા પોતાને ગામ ખાસ્સે દૂર ચાલીને જવાનું હોય આથી અશક્તિ ન આવી જાય અને શરીરમાં ખોરાક રૂપી ઇંધણ મળી રહે એ હેતુ થી લોકો નાસ્તો કરી લેતા અને પછી પોતાના ગામ તરફ પ્રયાણ કરતાં.હવે શહેરમાં સ્મશાન નજીક હોય ત્યારે વળી નાસ્તો કરી પાછા ઘેર આવવાની શી જરૂર? પણ આંધળૂકિયું!

ક્યારે આપણે જડ માનસિકતા ન અપનાવી જીવનમાં થોડા ફ્લેક્સીબલ બનવાનો પ્રયાસ કરીશું ? ગમે તે રીતરસમ અનુસરતા પહેલા તેની પાછળનું સાચું કારણ ચોક્કસ જાણી લઈએ તો કેટલું સારૂં! .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો