Translate

શનિવાર, 3 સપ્ટેમ્બર, 2011

ગોવિંદા યેઉન ગેલા રે…

થોડાં જ દિવસો પહેલા જન્માષ્ટમીનું પવિત્ર પર્વ ગયું અને સાથે જ દસ સ્તરવાળું પિરામીડ બનાવવાનો રેકોર્ડ બ્રેક ન થઈ શકવા છતાં મટકી અને ગોવિંદાઓ ચર્ચામાં રહ્યાં.


સૌથી મોટું આશ્ચર્ય અને કન્ફ્યુઝન એ વાતનું છે કે મટકી કૃષ્ણ જન્મની ખુશી વ્યક્ત કરવા ફોડવામાં આવતી હોય તો એવું આ વર્ષે પણ શા માટે બન્યું કે મટકી ગોકુળ આઠમના દિવસે ફોડી લીધા બાદ, રાત્રે કૃષ્ણ જન્મ કરાવવામાં આવ્યો? મને લાગે છે કે મટકી જન્મ બાદ બીજે દિવસે એટલે કે નોમ ના દિવસે ફોડાવી જોઇએ. ખેર આપણે માણસો તો આપણી અનુકૂળતા ખાતર શું નુ શું બદલી નાંખતા હોઇએ છીએ તો આ તો ફક્ત તહેવાર ઉજવણીમાં એક દિવસ વહેલો મટકી ફોડી લેવાની જ વાત છે!

આપણને ખબર હોય કે ન હોય પણ આપણા દરેક ભારતીય તહેવારની ઉજવણી પાછળ કોઈક કારણ, કોઈક અર્થ છૂપાયેલા છે. આપણે એની ઝાઝી પરવા કર્યા વગર, ફક્ત મોજમજા અને આનંદ ખાતર, બધાં તહેવારોની ભવ્ય રીતે, ક્યારેક દેખાડો કરીને તો ક્યારેક મસમોટી રકમ ખર્ચીને પણ ઉજવણી કરીએ છીએ. ભારતીય તહેવારો ઓછા હોય એમ કેટલાક વિદેશી તહેવારો અને દિવસોની પણ આપણે જોરશોરથી ઉજવણી કરીએ છીએ.પર્વ ઉજવી આનંદ મેળવવો એ કંઈ ખોટી વાત નથી પણ તહેવાર પાછળનો ખરો આશય ભૂલી જઈ જુદા જ કારણો સર તહેવારનું વિકૃતિકરણ એ ખરેખર દુ:ખદ અને ચિંતા જનક બાબત છે. જન્માષ્ટમીએ મટકી ફોડવાના પવિત્ર તહેવારને રાજકીય પક્ષોએ, તેની સાથે લાખો-કરોડો રૂપિયાના ઇનામો જોડીને આજે આવો જ વિકૃત તહેવાર બનાવી દીધો છે.

કૃષ્ણ જન્મની ખુશી મટકી ફોડવા પાછળનું એક કારણ છે પણ શું મટકી ફોડનારા બધા ગોવિંદાઓને મટકીને દહીહાંડી શા માટે કહે છે અને એ ફોડવા પાછળના લોજિકની ખબર હોય છે?

આ પાછળ એક રસપ્રદ કથા છે.કૃષ્ણનું બાળપણ જ્યાં વિત્યુ હતું એ ગોકુળ ગામમાં પુષ્કળ ગાયો હતી જે ખૂબ સારુ અને વધુ દૂધ આપતી અને એમાંથી સારુ એવુ માખણ તૈયાર થતું પણ આ ગામની ગરીબ પ્રજાને એ માખણ ખાવાનો લાભ મળતો નહિં.કારણ પાડોશી ગામ મથુરામાં ત્યારે કૃષ્ણના મામા અસુર કંસનું રાજ હતું અને ગોકુળનું બધું માખણ કંસના ડર અને ત્રાસને કારણે મથુરા મોકલી દેવુ પડતું. અને આમ તેમનું પોતાનું માખણ ગોકુળવાસી બાળકો અને મોટેરાઓ ખાઈ શકતા નહિં.

જ્યારે કૃષ્ણને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે એક યુક્તિ વિચારી.મથુરા મોકલાવવા માટેનું માખણ ગોવાળો તેમના ઘરોમાં ઉંચે મટકીમાં ભરીને રાખતાં. કૃષ્ણે પોતાના બાળગોપાળ મિત્રોને ભેગા કરી,ગોપીઓ અને ગોવાળો ઘેર ન હોય ત્યારે છાનામાના તેમના ઘરોમાં ઘૂસી જઈ,પિરામીડ જેવું સ્ટ્રક્ચર તૈયાર કરી મટકી ફોડી તેમાંનું માખણ એ બાળગોપાળ મિત્રો સાથે વહેંચી ખાવાનું શરૂ કર્યું. આથી કેટલાક ગરીબ બાળકો જે ક્યારેય માખણ ખાવા પામી શક્તા નહોતાં,તેમને પણ માખણ ખાવા મળ્યું.અને આ ઉદાત્ત ભાવના સાથે કૃષ્ણે મટકી ફોડવાની શરૂઆત કરી હતી!

પણ આજે આપણે મટકી ફોડવાના મહાઉત્સવ ઉજવીએ છીએ કરોડો રૂપિયાના ઇનામો જાહેર કરી.આમાં ભગવાનને યાદ કરવાની કે કોઈનું ભલુ કરવાની ભાવના ક્યાંય નજરે ચડતી નથી. ગોવિંદાઓ માટે લાખો કરોડો રૂપિયાના જાહેર કરાયેલાં ઇનામની રકમ તમને મળે છે કે નહિં એ તો ક્રુષ્ણ જાણે! પણ રાજકીય પક્ષો આવા ભવ્ય કાર્યક્રમો યોજી પોતાની હલકી પબ્લિસીટીની રોટલી જરૂર શેકી લે છે. નરનારી સમાનતાના આ યુગમાં સ્ત્રીઓ પાછળ કેવી રીતે રહી શકે?કેટલીયે જગાઓએ મહિલા-ગોવિંદાના જૂથ પણ મટકી ફોડી પુરૂષો કરતાં ઓછાં પણ મસમોટી રકમના ઇનામો જીતી લે છે. મટકી સાથે મોટા અવાજે ડી.જે. મ્યુઝિક વગાડાય છે, ક્યાંક કલાકારોને મહેમાન તરીકે બોલાવાય છે તો ક્યાંક લાવણી-તમાશા જેવા કાર્યક્રમો પણ યોજાય છે. ‘અમારી મટકી સૌથી ઉંચી’ એવી જાહેરાતો સાથે અધધધ રૂપિયાનો ધુમાડો કરી આખા શહેરને જાણે યુદ્ધમેદાનમાં ફેરવી નાંખવામાં આવે છે.ઉંચા ઉંચા પિરામીડ બનાવવા પ્રોત્સાહિત કરવામાં આવતા હોવા છતાં જ્યારે એ પિરામીડ તૂટી પડે અને કોઈ ગોવિંદાના હાથ-પગ ભાગે કે તે ગંભીર રીતે ઇજા પામે ત્યારે કોઈ રાજકારણી તેની ખબર કાઢવા હોસ્પિટલ જતો નથી કે તેના અપંગ થઈ ગયા બાદ કે કમનસીબે તેનું મૃત્યુ થઈ જાય તોતેના કુટુંબના ભરણપોષણની જવાબદારી ઉઠાવતો નથી.

આ સાથે બીજા પણ અનેક પ્રોબ્લેમ્સ મટકી ફોડવાના દિવસે ઉભા થાય છે. આખા શહેરમાં ટ્રાફિક જામ, ગોવિંદાના બે જૂથો વચ્ચે અથડામણ કે કેટલાક અસામાજિક તત્વો ગોવિંદા બની દારૂ પી બેફામ ડ્રાઇવિંગ કરી રસ્તા પર શોરબકોર સાથે બાઈક પર કે ગાડી-ખટારાઓમાં નિકળી પડે છે.આ બધા દૂષણોને કારણે પવિત્ર પર્વનું સ્વરૂપ વિકૃત થઈ જાય છે.

હું પોતે અતિ ઉત્સાહી અને તહેવાર પ્રિય હોવા છતાં આજના આપણાં આ સો-કોલ્ડ મોર્ડન યુગમાં તહેવારોના બદલાઈ ગયેલાં સ્વરૂપથી વ્યથિત છું.આશા રાખીએ કે ફરી લોકો તહેવારોને તેમનાં મૂળ સ્વરૂપે ઉજવી સાત્વિક આનંદ માણતાં શીખે!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો