Translate

રવિવાર, 31 જુલાઈ, 2011

મુસાફરી દરમ્યાન...

થોડા દિવસો અગાઉ હું મારા ઓફિસના કામે એક કલીગ સાથે લોનાવાલા જઈ રહ્યો હતો.અમે ટાટા ઇનોવા ગાડી ભાડે કરી હતી જે માત્ર અમારા ત્રણ જણ (અમે બે અને ડ્રાઈવર) માટે ખૂબ મોટી હતી.વર્ષા ઋતુ હોવાથી વાતાવરણમાં ખૂબ ઉકળાટ ન હોવા છતાં ગાડીમાં એ.સી. પણ હતું જે અમે બંધ જ રખાવ્યું હતું.અમે વહેલી સવારે અમારી મુસાફરી શરૂ કરી હતી.અમે પુણે તરફ જતો વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે લીધો હતો.હું આ યાત્રા માણી રહ્યો હતો.


સમય પસાર કરવા મારા કલીગે મારી સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું.સામાન્ય વાતચીત કરતાં કરતાં અમે તે રહે છે એ બિલ્ડીંગમાં થોડાં દિવસો પહેલાં બનેલી એક ઘટના વિશે ચર્ચા કરવા માંડ્યા.એ ખાસ્સા ઉંચા, બંધ લિફ્ટ ધરાવતા બિલ્ડીંગમાં રહે છે.અને તે ચોક્કસ દિવસે લિફ્ટમાં કંઈક ખરાબી ઉભી થતાં એક નાનકડી છોકરી તેમાં ફસાઈ ગઈ.લગભગ પંદર-વીસ મિનિટમાં લિફ્ટની મરામત કરાવી તેમાં રહેલી ખામી દૂર કરાઈ અને પેલી ફસાયેલી છોકરીને સહીસલામત ઉગારી લેવાઈ.તે ગભરાઈ ગઈ હતી અને તેણે બહાર આવતા જ ઊલ્ટી કરી.તે છોકરીના પિતાએ તમાશો ખડો કર્યો.તેણે પોતાના કેટલાક આડોશીપાડોશીઓને ભેગા કર્યાં અને બીજા કેટલાક નવરા લોકો એ ભેગા મળી તે સમયે ફરજ પર હાજર સિક્યુરીટી વાળાને પકડી ધબેડી નાંખ્યો.હવે આ દુર્ઘટનામાં એ બિચારા ગરીબ સિક્યુરીટીવાળાનો કોઈ દોષ નહોતો.પણ તે બલિ નો બકરો અને ગુસ્સે ભરાયેલા ગાંડા ટોળાંના રોષનો ભોગ બની ગયો! મને એ બિચારા પામર જીવની દયા આવી. તમે આવા અવિચારી બેકાબૂ બનેલા ટોળાંના બેફામ વર્તન વિષે શું માનો છો?

હાઈવે પરથી ગાડી જઈ રહી હોય એટલે થોડા થોડા સમયના અંતરે ધાબા-ફૂડ જોઈન્ટ્સ વગેરે પર રોકાવું તો પડે જ! અમે પણ દોઢ-બે કલાકની મુસાફરી બાદ રસ્તાની બાજુએ આવેલી એક હોટલમાં ચાનાસ્તો કરવા ઉતર્યાં.હું સવારે ઘરેથી જ ચાનાસ્તો પતાવીને નીકળ્યો હતો એટલે મને કંઈ ખાવાની ઇચ્છા નહોતી.છતાં મેં હોટલમાં એક બાજુએ ઉંચે દિવાલ પર લખેલા ખાવાની ચીજ વસ્તુઓના નામ અને ભાવ વાંચ્યા.મુંબઈની કોઈ સારી ડિસન્ટ રેસ્ટોરન્ટમાં પચ્ચીસેક રૂપિયા સુધીમાં મળી શકે એ ઇડલીસંભાર ત્યાં પાંત્રીસ રૂપિયે વેચાતા હતાં.મુંબઈની સ્પેશિયાલિટી ગણાતા વડાપાવ જે મુંબઈમાં સાત-આઠ રૂપિયામાં મળી રહે તેનો ભાવ આ હોટલમાં પંદર રૂપિયા હતો.મારા કલીગે એક પ્લેટ ઇડલીસંભાર ઓર્ડર કર્યા હતાં અને મેં એ ચાખ્યા પણ એમાં મને કોઈ એવી ખાસ બાબત જણાઈ નહિં જેનું પ્રિમીયમ આ હોટલવાળા વસૂલી રહ્યા હતાં.બીજી બધી ખાવાની વસ્તુઓના ભાવ પણ અતિ ઉંચા હતાં.મારા કલીગે તેમજ ડ્રાઈવરે ખાધા પછી જણાવ્યું કે ખાવાની ચીજવસ્તુની ગુણવત્તા કે સ્વાદ પણ અહિં વિશેષ નહોતા.તો પછી અહિં આ હોટલમાલિકે દરેક વસ્તુના ભાવ આટલા ઉંચા શા માટે રાખ્યા હશે?ફક્ત આ હોટલ હાઈવે પર હોવાને લીધે અને આજુબાજુ દૂર સુધી બીજી કોઈ હોટલ ન હોવાથી શું સામાન્ય ગુણવત્તા ધરાવતા ખાદ્યપદાર્થોના ભાવ આટલા ઉંચા રાખવા વ્યાજબી ગણાય?આ પ્રકારે કોઈક પરિસ્થિતીનો ગેરલાભ લેવો સારી વાત છે?શું આ નૈતિકતાની દ્રષ્ટીએ યોગ્ય ગણાય?કોઈ વેપાર કે ધંધો કરતું હોય તેમાં પણ શું એક માત્ર ધ્યેય પૈસા કે નફો રળવાનું જ હોવું જોઈએ?આપણે જે હાઈવે પરની હોટલની વાત કરતા હતા,ત્યાં એ હોટલનો માલિક થોડો નફો રળી શકે એટલા વ્યાજબી ભાવ રાખી શક્યો હોત.

આવા બીજા પણ ઘણાં ઉદાહરણો વિચાર કરતા મળી રહેશે.ક્યારેક કોઈ ચોક્કસ ઠેકાણે કંઈક મુશ્કેલી કે તંગદિલી સર્જાય ત્યારે ત્યાં જવાના રીક્ષા કે ટેક્સી વાળા સામાન્ય કરતાં ઘણું વધારે ભાડુ વસૂલ કરતા હોય છે.જો કોઈક જગાએ કે ખાસ સંજોગોમાં જીવનની મૂળભૂત જરૂરિયાત ગણાતા પાણીની કે ખોરાક્ની તંગી કે અછત ઉભા થાય તો લોકો આ વસ્તુઓ પણ ઉંચા ભાવે વેચતા અચકાતા નથી.અરે તાજેતરમાં જ મુંબઈમાં ઝવેરી બજાર પાસે બોમ્બ-બ્લાસ્ટ થયો ત્યારે સી.સી.ટી.વી ફૂટેજમાં પોલિસને જોવા મળ્યું કે કેટલાક લોકો આ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોની લાશ પાસે ઝૂકી ઝૂકી એ મડદાને ફંફોસતા હતાં.પોલિસને પહેલા લાગ્યું આ લોકો મદદ કરવાનો પ્રયત્ન કરતા હશે પણ ધ્યાનથી વારંવાર એ ક્લીપીંગ્સ જોતા તેમને સમજાયું કે ખરી રીતે એ લાલચુ વ્યક્તિઓ લાશના ખિસ્સામાં હીરા છે કે નહિં તે ચકાસતી હતી.

હું આ બધા વિચારો કરતો હતો ત્યાં તો લોનાવાલા આવી ગયું!અને મારી વિચારમાળા ત્યાં તૂટી ગઈ.પણ એ વિચારો આ બ્લોગ થકી તમારી સાથે શેર કર્યાં.તમને પણ આવા વિચાર આવે છે?તો એ બ્લોગને ઝરૂખેથી બીજાઓ સાથે શેર કરવા તમને પણ આમંત્રણ છે...

રવિવાર, 24 જુલાઈ, 2011

ફિલ્મોમાં અપશબ્દો અને ગાળો

તાજેતરમાં પ્રદર્શિત થયેલી કેટલીક ફિલ્મો જોઈ : શૈતાન, દિલ્હી બેલી, મર્ડર-૨. આ બધી ફિલ્મોમાં એક કોમન ટ્રેન્ડ જોવા મળ્યો. અપશબ્દો અને ગાળોના મારાનો. આ દરેક ફિલ્મમાં એવા પણ કેટલાક પાસાઓ ઉજાગર કરવામાં આવ્યા છે જે ભલે ખુલ્લેઆમ ચર્ચાતા ન હોય પણ સમાજમાં પ્રવર્તમાન જરૂર છે. કહે છે ને ફિલ્મો સમાજનું પ્રતિબિંબ છે.પણ એડલ્ટ સર્ટીફીકેટ છતાં બોલ્ડ ગણાતી આ ફિલ્મોમાં ભાષા અને બિભત્સતાનો આટલી હદે બેફામ પ્રયોગ મને તો અરૂચિકર લાગ્યો.સમાજમાં જે કંઈ બની રહ્યું હોય તે પ્રદર્શિત કરવાનો અને જેઓ ખરાબ આદતોના બંધાણી નથી તેમને પણ એમ કરવા પ્રેરણા આપે એવો આ દોર યથાર્થ લેખાવવાની વાત મારા ગળે નથી ઉતરતી.


ગાળો બોલવી જો સાવ સામાન્ય અને સારી બાબત હોય તો તમે એ કેમ તમારા માતાપિતા સામે ઘરમાં નથી બોલતા? (કેટલાક ‘સો કોલ્ડ’ આધુનિક પરિવારોમાં તો આ વલણ પણ હવે પ્રચલિત થતું જાય છે!) તમારી સામે તમારી બહેન,માતા કે પિતાને કોઈ ગાળ આપશે કે ગાળાગાળી ભરી ભાષામાં વાતચીત કરશે તો શું એ તમને ગમશે? જે આપણે અંગત જીવનમાં કરતા હોઇએ એ બધુ સિનેમાના પડદા પર બતાવવાની કોઈ જરૂર નથી એવો મારો અંગત અભિપ્રાય છે.

દિલ્હીબેલીમાં જાણી જોઈને અતિ ચર્ચાસ્પદ ગીતો 'ડી કે બોસ' અને 'પેન ચર' પણ યુવાપેઢીને ઉશ્કેરવા અને હલ્કી પબ્લિસીટી મેળવવા માટે જ ઉમેરાયા છે.આમિર ખાન જેવા પાકટ ,અનુભવી અને કાબેલ વ્યક્તિ પાસેથી આવી અપેક્ષા નહોતી.આ ગીત શું તમારું બાળક મોટેથી ખુશ થતુ થતુ ગાય ત્યારે તમને સારી લાગણી થશે? થોડા સમય અગાઉ જ ફિલ્મી ગીતોને લઈને બનેલા એક પ્રસંગે પણ મને વિચાર કરતો કરી મૂક્યો હતોં. નાનકડા તાજુ બોલતા જ શીખેલા બાળક પાસે તે જે કંઈ નવું બોલતા કે ગાતા શીખે તે મહેમાનો કે મિત્રો-સંબંધીઓ સમક્ષ દરેક માબાપ ગર્વ પૂર્વક વારંવાર બોલાવડાવી કે ગવડાવી મનોરંજન મેળવતા અને કરાવતા હોય છે.આ પ્રણાલી મુજબ મારા એક કઝિનની પત્ની એ તેની દોઢ વર્ષની બાળકી પાસે ખુશ થતા થતા ગીત ગવડાવ્યું 'શીલા… શીલા કી જવાની....' એ ગીતના એક પણ શબ્દનો અર્થ ન જાણતી, ફક્ત પોપટની જેમ એ ગીત લહેકાથી ગાતી છોકરીને સાંભળી મને સમજ ન પડી કે હું ખુશ થાઉં કે નારાજગી વ્યક્ત કરું.બાળકોને સિતારાઓની જેમ ચમકાવતા અનેક ટી.વી. શોમાં પણ આવા બેહૂદા ગીતો પર સાવ નાની ઉંમરના બાળકો ક્યારેક અશ્લીલ અદાઓ કે હરકતો કરી નાચતાગાતા દર્શાવાય છે. એ બાળકોને તો બિચારાઓને ખબર પણ નથી હોતી કે તેઓ શું કરી રહ્યાં હોય છે.આ ટ્રેન્ડથી માબાપોએ ચેતવા જેવું ખરું.

ફિલ્મોની આપણા સમાજના મોટા ભાગના લોકો પર,ખાસ કરીને કુમળી વયના બાળકો તેમજ આવતી કાલના ભવિષ્ય સમાન યુવાધન પર ઉંડી અસર થતી હોય છે. ત્યારે અપશબ્દો,ગાળો ભરેલા ડાય્લોગ્સ કે ગીતોનો આ ટ્રેન્ડ કેટલો આવકાર્ય ગણાય? ફિલ્મજગત સાથે સંકળાયેલી વ્યક્તિઓ આ મુદ્દો સમજશે ખરી?

રવિવાર, 17 જુલાઈ, 2011

ગેસ્ટ બ્લોગ : વડ

- મૈત્રેયી મહેતા


પોતાના પતિનાં પ્રાણ મ્રુત્યુના દેવ, યમરાજા પાસેથી છોડાવીને "અખંડ સૌભગ્યવતી ભવ" એવું વરદાન પ્રાપ્ત કરનાર, વડનું પૂજન કરનાર પરમ સતી સાવિત્રીથી ભાગ્યે જ કોઈ ભારતવાસી અજાણ હશે.

વડનું પુજન અને પતિના પ્રાણ યમરાજા પાસેથી પાછા મેળવવાની દંતકથા તો પ્રચલિત છે,પણ કદાચ તેની પાછળ વડના વૃક્ષના મૂળ, પાંદડાં કે ઘટાટોપ ઘેઘૂર વૃક્ષ નીચે રહેવાથી મ્રુત:પ્રાય:વ્યક્તિ પણ પ્રદૂશણમુક્ત, શુદ્ધ વાતાવરણ દ્વારા ફરીથી જીવન પ્રાપ્ત કરી શકે તેવો અર્થ તો અભિપ્રેત નહીં હોય? જે હોય તે, પણ વડસાવિત્રીનું નામ પડતાં જ ઘેઘૂર વડલો અને સત્યવાનના પ્રાણ પાછા મેળવનાર સતી સાવિત્રીની યાદ જરૂર તાજી થાય છે.

વડનું વૃક્ષ, અંજીર પ્રકારનું વૃક્ષ છે, અને ગમે ત્યાં ઉગી નીકળે છે.
ભીંત ફાડીને ઉગી નીકળતા વડ કે પીપળા જેવા વૃક્ષો, પ્રુથ્વીના અલંકાર સમાન છે.ફળો ખાતાં પક્ષીઓ વડના બી ફેલાવે છે, બી ઉગી નીકળે છે,અને તેનાં મૂળ એટલે કે વડવાઈઓ જમીન તરફ લહેરાય છે ! ઘણી વાર તો વડવાઈઓ જમીન તરફ વધીને ફરીથી વૃક્ષ બની જાય છે,અરે,મૂળ વટવૃક્ષ છે કે પછી વડવાઈમાંથી ફરીથી વિસ્તરેલું વૃક્ષ છે તે કળી શકાતું નથી! આમ ઘેઘૂર વડલાઓ કોઈ તપનિષ્ઠ ત્રુ:ષિઓ જેવા દીસે છે. વડનું વૃક્ષ વિસ્તરીને ૨૦૦ મીટરનો વ્યાસ ધરાવતું ઘેઘૂર વૃક્ષ બની શકે છે. કોલકાત્તામાં આવો ઘેઘૂર વડલો જોઈ શકાય છે.ગુજરાતમાં કબીરવડ તો ખૂબ જ પ્રચલિત છે.

જાણીતા આયુર્વેદિક ચિકિત્સક શ્રિ માનસ વ્યાસ વડને કુદરતના અમૂલ્ય ઔષધ તરીકે ગણાવે છે.અમે વડ વૃક્ષના આયુર્વેદિક ગુણધર્મો વિષે માનસભાઈ પાસેથી થોડું ઘણું જાણવાનો પ્રયાસ કર્યો. માનસભાઈએ કહ્યું કે વડ પંચવલ્કલમાંનું એક વૃક્ષ ગણાય છે.તે શરીરના ના સૂકાતા ઘા ભરવામાં વપરાય છે. વડના વૃક્ષની છાલનો ઉકાળો નાસૂર બની ગયેલા ઉંડા ઘાને ધોવામાં ઉપયોગી છે.વડની છાલને ઉકાળીને તેનાથી ઘા ધોવાથી તે ઝડપથી રૂઝાય છે. તેમણે માહિતિ આપી કે આધુનિક સંશોધન પ્રમાણે દાઝવાથી થયેલા ઘા કે ચાંદા રૂઝવવામાં પંચવલ્કલ વૃક્ષ સરસ કામ કરે છે. તે એન્ટિસેપ્ટિક ગુણ ધરાવે છે .માનસભાઈએ કહ્યું કે ઈછિત પુરુષ સંતાન પ્રાપ્ત કરવામાં પુન્સંવન વિધિ મદદરૂપ થાય છે. તેમાં વડના પાંદડામાંથી કાઢેલા દૂધ કે ખીરનાં ટીપાં નાકમાં નાંખવામાં આવે છે.

માનસભાઈએ કહ્યું કે વડ કે વિવિધ વ્રૂક્ષોના ઔષધિય ગુણો એટલા ઉત્તમ છે કે પૂજન દ્વારા તેનું મહત્વ પરંપરામાં જળવાઈ રહે તે હેતુથી વ્રત વરતુલાઓમાં તેને વણી લેવામાં આવતાં હશે.
હવાઈમાં લહાઈનાના કોર્ટહાઉસમા સ્ક્વેરમાં ૧૮૭૩ માં રોપવામાં આવેલું વડનું ઝાડ લગભગ એક એકર જમીનના ૨/૩ ભાગમાં વિસ્તરી ચૂક્યું છે ! વટવૃક્ષ, ભારતનું રાષ્ટ્રિય વૃક્ષ છે.

વડોદરાનું નામ- વડનું શહેર- તરીકે જાણીતું છે, શહેરમાં આવેલા ઘેઘૂર વડલાઓને કારણે સ્તો ! વડોદરા બનયન શહેર, બનયન સિટી તરીકે જાણીતું હતું, પહેલાના જમાનામાં વિશાળ વડવૃક્ષ નીચે વણિક વેપારીઓ કરિયાણાનો વેપલો કરતા.ગુજરાતીમાં બનયન એટલે વાણિયા.... પોર્તુગીઝ લોકોએ હિન્દુ વેપારીઓનો ઉલ્લેખ કરવા બનયન ટ્રી શબ્દ પકડી લીધો. અને ૧૫૯૯ માં અંગ્રેજી ભાષામાં પણ આ શબ્દ પહોંચી ગયો. ૧૬૩૪માં અંગ્રેજી લેખકોએ વડવૃક્ષ નીચે થતા વેપારની વાત માંડતાં બનયન ટ્રી શબ્દ વાપર્યો.ગામડામાં ઘટાદાર વડના વૃક્ષ નીચેના છાંયામાં વેપારીઓ અને ગ્રાહકો મળતા. એમ કરતાં કરતાં બનયન શબ્દ, વડ્વ્રુક્ષનો પર્યાય બની ગયો !!

વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ પોતાના લક્ષ્મીવિલાસ પેલેસમાં શ્રિલંકાથી લાવવામાં આવેલ વડવૃક્ષના રોપા વાવ્યા હતા. આજે પણ તે વૃક્ષ હયાત છે.

ફિલિપિન્સમાં વડ, બેલાઈટ નામે જાણીતું છે.તેમાં જાતજાતના પ્રેતાત્માઓનો વાસ હોવાની માન્યતા છે. તેમાં હયવદન જેવા ટીકબલાન્ગનો ઉલ્લેખ છે.

કંબોડિયાના સુપ્રસિદ્ધ અંગકોરવાટ ટેમ્પલમાં વિશાળ ઘેઘૂર વડલો આવેલો છે.

હવાઈમાં હિલોમાં ૨૦ મી સદીમાં કેટલીક સુપ્રસિદ્ધ વ્યક્તિઓએ વડના રોપાઓ વાવ્યા હતા.

અમેરિકામાં થોમસ અલ્વા એડિસને, ફ્લોરિડામાં ફોર્ટ માયર્સમાં પહેલુ વડનું વૃક્ષ વાવ્યું હતું. હાર્વે ફાયરસ્ટોને ૧૯૨૫ માં ભારતની મુલાકાત લીધી હતી.તેમણે થોમસ અલ્વા એડિસનને વડના રોપા ભેટમાં આપ્યા હતા. શરૂઆતમાં તે ૪ ફૂટ ઊચુ હતું, હવે તે ૪૦૦ ફૂટના વિસ્તારમા ફેલાઈ ચુક્યું છે.

ઈન્ડોનેશિયામાં , દેશની એકતાના પ્રતીક રૂપે "કોટ ઓફ આર્મ્સ " ના ભાગ રૂપે વટવ્રૂક્ષ રાખવામાં આવ્યું છે.

બૌદ્ધ ધર્મમાં પણ પાલી ગ્રંથોમાં વડ= નિગ્રોધનો ઘણી વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વટ વૃક્ષ બોન્સાઈ માટે ખૂબ વપરાય છે.તાઈવાનમાં તાઈનાનમાં ૨૪૦ વર્ષ જૂનું જીવંત બોન્સાઈ વૃક્ષ છે.

હિન્ડુ ધર્મમાં વડના વૃક્ષને અતિ પવિત્ર માનવામાં આવે છે.સંસ્ક્રુતમાં તેને અશ્વત્થ કહેવાય છે.ભગવાન શિવજી દક્ષિણામૂર્તિ તરીકે વડ વૃક્ષ નીચે સમાધીમાં બિરાજમાન છે, અને રૂષિઓ તેમના ચરણોમાં બેઠેલા દર્શાવાયા છે. હિન્ડુ ધર્મમાં વડને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે.

હોંગકોંગમાં લામ ત્સ્યૂએનમા તિન હાઉ ટેમ્પલ નજીક આવેલું લામ ત્સ્યૂએન કલ્પવ્રૂક્ષ ખૂબ જ પ્રચલિત છે.

વડ, એક પવિત્ર વૃક્ષ. .વડની પૂજા કરી પોતાના સતિત્વના પુણ્યના બળ વડે પતિના પ્રાણ પાછા મેળવનારી મહા સતી સાવિત્રીને અનુસરીને આજે પણ ઘણી બધી બેનો વડસાવિત્રીનું વ્રત કરે છે. ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન તેમ જ દક્ષિણ ભારતના રાજ્યોમાં આ વ્રત કરવાનો રિવાજ છે. ઓ.કે. સારી વાત છે.વડ્સાવિત્રી વ્રત ને દિવસે વડની પૂજા કરવાની હોય છે. પણ આજના આધુનિક જમાનામાં ટાઈમ કોની પાસે છે ? તે બેનો બજારમાંથી રેડિમેઇડ વડની કાપેલી ડાળીઓ ઘરે લઈ આવે છે, અને તેનું પૂજન કરીને સાવિત્રીને અનુસર્યાનું આશ્વાસન મેળવે છે. બસ ! થઈ ગયું વ્રત ! સમજ્યા કર્યા વગર આડેધડ વડ કપાય છે, તે પણ વડ્સાવિત્રી વ્રત નિમિત્તે ! પણ સાવિત્રીએ વડની ડાળીઓ કાપીને તેનું પૂજન કર્યાનું તો મને યાદ નથી. આ વ્રત કરનાર બેનો, વડની ડાળીઓ કાપીને કયું પુણ્ય મેળવતી હશે તે મને ખબર નથી પડતી.તેના કરતાં વડના વૃક્ષને પાણી પાય તો પણ ચાલે ! અરે આજના જમાનામાં વડનું ઝાડ શોધવાનો ટાઈમ ના મળે તો છેવટે કોઈ પણ વૃક્ષને પાણી પાય, અથવા કોઈ પણ વૃક્ષ વાવે, તેના સિંચનની જવાબદારે લે તો કંઈ બરાબર છે... આ તો પુણ્ય કરવાને બડલે કદાચ પાપ તો નહીં લાગતું હોય તે તો ભગવાન જ જાણે ! વડનું પૂજન કરવાને બદલે તેનું નિકંદન જ કાઢી નાંખશે કે શું તેવો વિચાર આવે છે.હવે આ પ્રશ્ન વિષે સજાગતા આવી છે, છાપાઓમાં આર્ટિકલો છપાય છે, પણ તેનું પરિણામ શું ?ખરેખર તો સાવિત્રી બનવા નીકળેલી બેનોએ સમજવાની જરૂર છે.

તો, આવતી વડસાવિત્રીએ વડના વૃક્ષો બચાવવાનું વ્રત લેજો, કોઈ પણ વૃક્ષને સિંચજો,અને પર્યાવરણનું રક્ષણ કરવા બદલ મળેલું પુણ્ય તમારે ચોપડે જરૂર લખાશે તેની હું ખાત્રી આપું છું...

અશ્વત્થ સ્વરૂપાય, વિષ્ણુરૂપાય તે નમ:
ત્વમ ભજામિ દેવેશ, મમ દુ:ખ નિવારય:


- મૈત્રેયી મહેતા.
mainakimehta@yahoo.co.in

શનિવાર, 16 જુલાઈ, 2011

ભારતના ન્યાયતંત્રમાં ક્યારે સુધારો આવશે?

ત્રણ વર્ષ પહેલાં એક ઘટના ઘટે છે. માબાપથી દૂર સ્વપ્નનગરી મુંબઈમાં રહેતો, ટી.વી. મિડીયા ક્ષેત્રે સારી કારકિર્દી ધરાવતો પચ્ચીસ વર્ષનો એક આશાસ્પદ યુવાન કન્નડ ફિલ્મોમાં નાનીમોટી ભૂમિકા ભજવી ચૂકેલી, મુંબઈમાં પોતાનું ભવિષ્ય અજ્માવવા આવેલી એક આશાસ્પદ અભિનેત્રી યુવતિને મળે છે.યુવક તેને કામ અપાવવાનું વચન આપે છે પણ ઘણાં સમય સુધી તે યુવતિને કામ મેળવી આપવામાં સફળ થતો નથી.યુવતિ પોતાનું ઘર બદલે છે ત્યારે યુવક તેને મદદ કરવાના બહાને યુવતિના નવા ઘેર જાય છે અને ત્યાં તેઓ રાત સાથે વિતાવે છે.ત્યારે જ યુવતિનો મંગેતર એવો નૌકાદળમાં સેવા આપતો યુવક કોચીથી યુવતિને ફોન કરે છે અને યુવતિને ત્યાં કોઈ અજાણ્યા યુવકનો અવાજ સાંભળી તેના મનમાં શંકાનો કીડો સળવળી ઉઠે છે.સીધો વહેલી સવારે તે યુવતિના નવા ફ્લેટ પર આવી પહોંચે છે અને પોતાની મંગેતર યુવતિને અન્ય પુરૂષ સાથે કઢંગી હાલતમાં જોતા તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે. બન્ને યુવકો વચ્ચે શાબ્દિક બોલાચાલીથી શરૂ થયેલ ઝપાઝપી ઉગ્ર મારામારી નું સ્વરૂપ ધારણ કરે છે અને મંગેતર યુવક રસોડામાંથી છરી ઉપાડી લાવી તેના દ્વારા હૂમલો કરી પહેલા યુવાનની હત્યા કરી બેસે છે.ત્યાર બાદ પણ તેનો ગુસ્સો શમતો નથી આથી તે પહેલા યુવકની લાશ સામે પોતાની મંગેતર યુવતિ પર બળાત્કાર કરે છે (કે તેઓ બંને સંમતિથી શરીરસુખ ભોગવે છે) ઘટના આટલેથી જ અટકતી નથી.આટલું ઓછું હોય એમ યુવતિ મંગેતર સાથે મોલમાં જઈ શરીર કાપી શકાય એવો મોટો છરો અને રસ્સી,ગુણી વગેરે ખરીદી લાવે છે અને પાછા ઘેર આવી પહેલા યુવકની લાશના ટુકડે ટુકડા કરી નાંખે છે.(અહિં કેટલા ટુકડા એ નબળા હ્રદયના વાચકો પર માનસિક અસર ન પહોંચે એ ડરથી લખ્યું નથી.)અને આ ટુકડા ગુણીમાં ભરી મુંબઈથી દૂર મનોર પાસેના જંગલમાં જઈ બાળી નાંખે છે અને પાછા ફરી લોહીના ડાઘા ભૂંસી નાખવા ઘર ફરી રંગાવે છે.મંગેતર યુવક પાછો પોતાના નિવાસે કોચી ચાલ્યો જાય છે.યુવતિની હિંમત અને નફ્ફટાઈ તથા બેશરમી જુઓ.તે મૃત યુવકના પિતા સાથે પોલિસ ચોકી જઈ યુવક ગુમ થયાની ફરિયાદ નોંધાવે છે અને પછી ‘પાપ તો છાપરે ચડીને પોકારે’ ના ન્યાયે આખો હત્યાકાંડ જગત સામે આવી જાય છે.આ સનસનાટી ભર્યા હત્યાકાંડની ચર્ચા ફક્ત મુંબઈમાં જ નહિં આખા દેશમાં ચગી હતી અને આપણી ન્યાય વ્યવસ્થાએ આ કેસ અંગે આપેલ ચુકાદાએ ફરી આ કેસને ચર્ચાના ચગડોળે ચઢાવ્યો છે અને મૃત નીરજ ગ્રોવરની હત્યામાં સરખીજ સંડોવણી હોવા છતાં યુવતિ - મારિયા સુસઈરાજ ને ફક્ત ત્રણ વર્ષના જેલવાસ અને તેના મંગેતર યુવક એમિલ જેરોમને માત્ર દસ વર્ષની સજા ફરમાવવામાં આવી છે ત્યારે ખરેખર પ્રશ્ન ઉઠે છે કે આપણી ન્યાય વ્યવસ્થા પર કેટલો વિશ્વાસ મૂકી શકાય? અરેરાટી ભરી હત્યા ભલેને ગમે એટલી ઘ્રુણાસ્પદ કેમ નહોતી અને એ કર્યા બાદ ભલે ને વિક્રુત એમિલે મારિયા સાથે બે વાર લાશની સામે સંભોગ માણ્યો તેમજ ત્યાર બાદ ઠંડે કલેજે મારિયા સાથે મળીને લાશના અનેક ટુકડા કરી એ દૂર જંગલમાં જઈ બાળી પણ નાંખ્યા આમ છતાં અદાલતને લાગે છે કે પુર્વ આયોજિત ન હોઈ આવેશમાં આવી જઈ કરાયેલ આ નિઘ્રુણ કતલ સદોષ મનુષ્ય વધ ન ગણી શકાય અને તેને માટે માત્ર દસ વર્ષની સજા ભોગવ્યા બાદ એમિલને છોડી મૂકવામાં આવે.હવે આ વિક્રુત મગજની એમિલ જેવી આવેશમાં આવી જનારી વ્યક્તિ દસ વર્ષ પછી પણ સમાજ માટે ખતરારૂપ સાબિત નહિં થાય એની શી ખાતરી?મારિઆને માત્ર ત્રણ વર્ષની સજા જે તે ભોગવી પણ ચૂકી હોવાથી તેને છોડી પણ મૂકવામાં આવી.અદાલતને લાગે છે કે આખા આ હત્યાકાંડ પાછળના મૂળ કારણ સમી હોવા છતાં તે હત્યામાં સામેલ નથી.તેણે ફક્ત પુરાવાનો નાશ કરવામાં સાથ આપ્યો હતો.જ્યારે તેણે નીરજને પોતાના ઘરમાં રાત ગુજારવા દીધી અને તેની સાથે શરીરસુખ પણ માણ્યું અને મંગેતર આવી ગયા બાદ બંને યુવકો વચ્ચે ઝપાઝપી ઉગ્ર બની અને નીરજની હત્યા સુધી દોરી ગઈ ત્યારે પોતે પણ ઘટના સ્થળે હાજર હોવા છતાં વચ્ચે પડી નીરજને બચાવવાનો પ્રયત્ન ન કર્યો.મંગેતરના અમાનવીય કૃત્યના મૂગા સાક્ષી બનવા ઉપરાંત ત્યાર બાદ લાશના ટુકડા કરવામાં અને ત્યાર બાદ તેને બાળી નાંખવામાં પણ તેનો સાથ આપ્યો અને આ સમગ્ર હત્યાકાંડ પાછળ સાવ દેખીતી રીતે જવાબદાર હોવા છતાં તેને માત્ર ત્રણ વર્ષની સજા અને આ ઉપરાંત નીરજના માતાપિતાના જખમો પર મીઠુ ભભરાવતી એમિલને એક લાખ રૂપિયા તેમજ મારિયાને પચાસ હજાર રૂપિયા ચૂકવવાની સજા ફરમાવી.કોઈની હત્યા કરો અને તેનું વળતર રૂપિયામાં ચૂકવી ત્રણ કે દસ વર્ષની જેલની સજા ભોગવી છૂટી જાઓ.આ છે ભારત ના ન્યાયતંત્રે હત્યાના ત્રણ વર્ષ બાદ સુણાવેલો ચુકાદો.

ભારતના મિડીયાને પણ જુઓ.મારિયા હજી જે દિવસે જેલમાંથી છૂટી એ જ દિવસે તેને પોતાના ટી.વી. શો માં ભાગ લેવા પાંચ કરોડ રૂપિયાની ઓફર આપી!દરેક ચેનલ પર એ દિવસે સાંજે તેના પ્રેસ કોન્ફરન્સનું જીવંત પ્રસારણ બતાવ્યું. રામ ગોપાલ વર્મા જેવા વાહિયાત દિગ્દર્શકે મારિયાને પોતાની ફિલ્મમાં હિરોઈન તરીકે ચમકાવવાની ઇચ્છા પણ દર્શાવી.તેમણે તો આ વિષય પર એક ફિલ્મ બનાવી પણ દીધી છે અને તેને એ ટૂંક સમયમાં પ્રદર્શિત પણ કરવાના છે.લાશ પર પણ રોટલો શેકીલે એટલું લોભી અને બેશરમ જગત છે આ.

ફરી ભારતના ન્યાયતંત્રની વાત કરી એ. અહિં કેસ નોંધાયા બાદ ચુકાદો સુનાવવામાં વર્ષોના વર્ષો કઈ રીતે નિકળી જતા હશે એ મારી સમજની બહાર છે.અને આ બધું ચલાવી પણ શા માટે લેવાય છે એ પણ મારા માટે કૌતુકનો વિષય છે.દીવા જેવી ચોખ્ખી વાતને પણ પુરાવા દ્વારા સાબિત કરો તો જ એ સાચું ગણાય એ પણ એક કમનસીબ બાબત છે જેના કારણે ગુનેગારો સજા પામ્યા વગર કે ઓછી સજા પામી મુક્ત થઈ જતા હોય છે અને સમાજમાં આ જ કારણ સર ગુનાખોરીનું પ્રમાણ જળવાઈ રહે છે.

કેટલાયે બળાત્કારના કિસ્સાઓમાં પણ ગુનેગારોને સાવ મામૂલી સજા આપી છોડી દેવાય છે અથવા બળાત્કારનો ભોગ બનેલી બિચારી યુવતિને નફ્ફટાઈ ભર્યા સવાલ પૂછી તેની સ્થિતી દયનીય અને કફોડી બનાવી દેવાય છે.આજકાલ રોજ અખબારમાં એક-બે બળાત્કાર કે ગેંગરેપ ના કિસ્સા વાંચવા મળે છે એ દુર્ભાગ્યની બાબત છે.બળાત્કારીને ત્વરીત અને એટલી કડક સજા ફરમાવવી જોઈ એ કે લોકો આવું હીન કાર્ય આચરતા પહેલા સો વાર વિચાર કરવા મજબૂર થઈ જાય.શાઈની આહુજા,અભિષેક કાસલીવાલ વગેરે જેવા બળાત્કારના આરોપીઓ આજે સમાજમાં છૂટા ફરે જ છે જે દુ:ખદ બાબત છે.

સરકારે ન્યાયતંત્રમાં ધરખમ ફેરફારો કરવાની જરૂર છે અને સમગ્ર ન્યાયપ્રક્રિયા અતિ ઝડપી,સરળ અને ન્યાયી બનાવવાની જરૂર છે.આશા છે મારી આ ઇચ્છા જલ્દી ફળીભૂત થાય.

રવિવાર, 3 જુલાઈ, 2011

ડોશીમા

              થોડા સમય અગાઉ એક ટૂંકી વાર્તા વાંચવામાં આવી જેમાં એક મુસ્લિમ આયાના તેના પાલકપુત્ર પ્રત્યેના સ્નેહની વાત હતી જેઓ કાળક્રમે છૂટા પડી જાય છે અને વર્ષો બાદ તેઓ જ્યારે પાછા મળે છે ત્યારે મેલાઘેલા કપડા પહેરેલ વૃદ્ધ આપાજાન હવે યુવાન બની ચૂકેલા પાલકપુત્રને તેના દેખાવ-દિદાર સાવ બદલાઈ ગયા હોવા છતાં ક્ષણવારમાં ઓળખી કાઢે છે અને ત્યારે સર્જાયેલા લાગણીભીનાં દ્રષ્યોની વાત મારા સંવેદનાતંત્રને ઝણઝણાવી ગઈ.આ વાર્તાએ વર્ષો પહેલા મારા બાળપણનાં વર્ષોમાં મારા પરિચયમાં આવેલા એક ડોશીમાની યાદ, વીસેક વર્ષ કરતાં પણ વધુ સમય બાદ તાજી કરાવી દીધી.


                હું ત્યારે છ-સાત વર્ષનો હોઈશ.મારી શાળા મારા ઘરથી સાવ નજીક. શાળાનો ઘંટ વાગે તે મારા ઘેર સંભળાય એટલા અંતરે! અને આ શાળા પણ કેવી? તેમાં બિલ્ડીંગ નહિં પણ કતારબદ્ધ કેટલીક ઓરડીઓ આ શાળાના ક્લાસરૂમ્સ. વચ્ચે રસ્તો અને સામસામે આ શાળાના વર્ગો પથરાયેલાં. તેમાંયે એક બાજુ આખી હરોળ એટલે કે સાતઆઠ વર્ગો આ શાળાનાં જ્યારે સામેની બાજુ માત્ર અડધી હરોળ અર્થાત બે-ત્રણ ઓરડીઓ શાળાની,બાકી ની બાજુમાં અડીને જ આવેલી ઓરડીઓમાં લોકોના ઘર. આ શાળામાં નાનીશ્રેણી,મોટી શ્રેણી અને ધોરણ પહેલા તથા બીજા સુધીનાં જ વર્ગો હતાં. આગળના મોટા ધોરણ માટે શાળાનું મોટું બિલ્ડીંગ થોડે દૂર આવેલું,તેમાં જવાનું. મારા શાળા જીવનની શરૂઆત મારા ઘર નજીક આવેલી આ નાનકડી શાળાથી થઈ. અમારો વિદ્યાર્થીઓનો એક નિયમ. જેવી રિસેસ પડે એટલે અમે બધા વર્ગોમાંથી બહાર દોડીને સામે આવેલા ઘરોમાં પાણી પીવા માટે લાઈન લગાવીએ. સામેવાળા ઘરોમાં રહેતા લોકો પણ શાળાના બાળકો માટે એક અલાયદું માટલું ખાસ ભરીને રાખે. અમને એ પાણી પીને અને તે લોકોને નાનકડા વહાલા લાગે એવા ગણવેશબદ્ધ બાળકોને પાણી પીવડાવીને એક સંતોષનો અનુભવ થતો.
                  આ બધા ઘરોમાંથી એક ઝૂંપડા જેવી ઓરડીમાં એક ડોશીમા રહે. આજે આટલા વર્ષો બાદ એમને યાદ કરી રહ્યો છું ત્યારે પણ મારી આંખ સામે તેમનું આબેહૂબ શબ્દચિત્ર ખડુ થાય છે. નાનકડું કદ,ઉંચાઈમાં બટકા,વાને ઘઉંવર્ણા, સફેદ મેલોઘેલો ગુજરાતી ઢબે પહેરેલો સાડલો,જાડા કાચના કાળી ફ્રેમવાળા ચશ્મા અને નાનકડી અંબોડી વાળી હોય છતા વિખરાયેલા સફેદ વાળ અને બોખું મોઢું. તેઓ સિત્તેર-એંશી વચ્ચેની વયના હશે. તેઓ ખૂબ ઓછું બોલતા. ઘરમાં તેમના સિવાય બીજું કોઈ નહિં. કદાચ તેઓ એકલું દુ:ખી જીવન જીવતા એવું મને આજે તેમને યાદ કરતા લાગે છે.


                આ માજીનું નામ મેં ક્યારેય પૂછ્યું નહોતું કારણ એવી કોઈ સૂઝ મને ત્યારે પડતી નહોતી.પણ એક બે વાર તેમના ઘેર મિત્રો સાથે પાણી પીવા ગયો હોઈશ અને પછી તો કોણ જાણે કેમ મને એમના ત્યાં જઈ પાણી પીવાની જ આદત પડી ગઈ. તેમનું ઘર સાવ નાનું અને સાદું હતું અને લાલ માટીના માટલા સિવાય બીજું કંઈ ખાસ રાચરચીલું પણ તેમના ઘરમાં નહોતું. કદાચ એ ડોશીમા કે તેમના ઘર કે માટલાના ખૂબ સ્વચ્છ ન હોવાને કારણે વધુ બાળકો તેમને ત્યાં પાણી પીવા નહોતા આવતા પણ મને તેમના પ્રત્યે એક ગજબની સહાનુભૂતિ કે લાગણી બંધાઈ ગયેલા અને આથી હું તેમને ત્યાં જ પાણી પીવા જતો.અમારો સંબંધ પણ રિસેસમાં પાણી પીવા જાઉં એટલા સમય પૂરતો જ. એ સિવાય ક્યારેય તેમના ઘેર જવાનું થયું નહોતું. પણ આજેય જ્યારે એ ડોશીમાને યાદ કરું છું ત્યારે એક મમતા ભરી સ્નેહાળ લાગણીનો અનુભવ થાય છે.

                પછી તો સમયના વહેણમાં અનેક પરિવર્તન આવ્યા.એ શાળા જ ત્યાં ન રહી જેમાં હું બાળપણમાં ચાર વર્ષ, બીજા ધોરણ સુધી ભણ્યો.આજે ત્યાં એક ચાલ બની ગઈ છે અને લોકો તેમાં રહે છે.સામેની ચાલ પણ ખાસ્સી બદલાઈ ગઈ અને એ ડોશીમા કે તેમના ઘર પણ નથી રહ્યાં.એ ડોશીમા કદાચ જીવતા નહિં જ હોય પણ મારી સ્મૃતિમાં તેઓ હજી અસ્તિત્વ ધરાવે છે અને કદાચ જો એ હયાત હોત અને ત્યાં જ એમના જૂના ઘરમાં રહેતા હોત તો ચોક્કસ હું તેમને ત્યાં પાણી પીવા જાત અને તેમની સાથે પેટ ભરીને વાતો પણ કરત...