Translate

શનિવાર, 22 ઑગસ્ટ, 2020

ગણપતિ બાપ્પાને પ્રાર્થના

  “એ આઈ.... દેવ બાપ્પા આલે!! “ એક સાવ નાનકડા બાળકનો સાદ સંભળાય છે અને ગણપતિબાપ્પાની સુંદર વિશાળ પ્રતિમાઓના ફોટા એક પછી એક સ્ક્રીન પર બદલાય છે આવો એક વિડિયો વોટ્સ એપ પર જોયો અને મુખ પર સ્મિત છવાઈ ગયું! આબાલવૃદ્ધ સૌને ગમતો તહેવાર એટલે ગણેશચતુર્થીથી શરૂ થતો ગણેશોત્સવ... આબાલવૃદ્ધ સૌને ગમતા દેવ ગણપતિબાપ્પાની મૂર્તિની સાર્વજનિક મંડપમાં કે ઘેર પધરામણી કરવાનો અને તેમનું પૂજન કરી ધન્યતા અનુભવવાનો પાવન ઉત્સવ. આ વખતે જો કે કોરોનાના કેરના કારણે સાર્વજનિક મંડપ અને

બાપ્પાની મૂર્તિ ની ઉંચાઈમાં ઘટાડો જોવા મળશે, પણ ભક્તોની બાપ્પા પ્રત્યેની શ્રદ્ધામાં ઓટ નથી આવી. લોકોમાં ગણેશોત્સવ પ્રત્યેનો ઉત્સાહ અને ઉમંગ અકબંધ છે. 

    આ વખતે ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓનું ચલણ વધુ જોવા મળશે અને પર્વ બાદ લોકોની ઉજવણીની ખોટી રીતને લીધે ફેલાતા પ્રદૂષણમાં પણ ઘટાડો જોવા મળશે એ મોટો ફાયદો. લોકો સ્થાપના અને વિસર્જન માટે મહારાજની મદદ પણ ઓનલાઇન લેતા જોવા મળશે. વિસર્જનમાં પણ રસ્તાઓ પર ભીડ નહીં હોય અને કૃત્રિમ તળાવ કે પોતપોતાના ઘેર વિસર્જનમાં વધારો જોવા મળશે.

  ગણપતિ બાપ્પા સાચા હ્રદયથી કરેલી પ્રાર્થના ચોક્કસ સાંભળે છે. તો ચાલો આજથી શરૂ થઈ રહેલા આ મંગલ ઉત્સવ દરમ્યાન સૌ સાથે મળી પ્રાર્થના કરીએ કે હે ગણપતિ બાપ્પા.... 

 ~ કોરોનાનો જડમૂળથી જલ્દી જ નાશ કરી દો.

~ અમારું જીવન ફરી પહેલા જેવું નિર્ભય અને સુંદર બનાવી દો, જ્યાં અમે છૂટથી એકબીજા સાથે હળી મળી શકીએ.

~ લોકોના મનમાં લોકડાઉનને લીધે જે નિરાશા, નકારાત્મકતા પ્રવેશી ગયા છે તેનો સમૂળગો નાશ કરી દો. 

~ ઘણાં લોકોના નોકરી ધંધા મંદ કે બંધ પડ્યા છે, તેમને ફરી ધમધમતા કરી દો.

~ અર્થતંત્ર ને જે ખોટ પડી છે તે ભરપાઈ કરી દો.

~ બાળકોની શાળાઓ, યુવાનોની કોલેજો, મોટેરાઓની ઓફિસો ચાલુ કરી દો.

~ બજારો, મોલ, દુકાનો, સભાગૃહો વગેરે ફરી ધમધમતા કરી દો.

~ લોકોની પરિવારજનો સાથે નિકટતા વધી છે, પર્યાવરણ પ્રત્યે સંવેદન શીલતા વધી છે તે કાયમી કરી દો.

~ પ્રદૂષણમાં ઘટાડો થયો છે, સ્વચ્છતામાં વધારો થયો છે તે પણ કાયમી કરી દો.

 સાચા મનથી, સાથે જોડાઈને કરેલી સમૂહ પ્રાર્થનામાં ઘણી તાકાત હોય છે. આવો આપણે સૌ ગણરાયાને સાચા દિલથી ઉપર જણાવેલી પ્રાર્થના કરીએ... એ ચોક્કસ સાંભળશે અને તેને પૂરી કરશે. ગણપતિ બાપ્પા મોરિયા!!!





ગેસ્ટ બ્લોગ : ઈતિહાસમાં એક નવા પ્રકરણનો ઉમેરો

     આ બે હજાર વીસની સાલમાં દેશ અને દુનિયાના માનવીઓએ  ક્યારે ય ધારી ન હતી, એવી ગંભીર ઘટનાએ આકાર ધારણ કર્યો. કોરોના જે વૈદકીય ભાષામાં કોવિડ19 તરીકે ઓળખાય છે, તે વિષાણુએ જગત આખાને હચમચાવી દીધું. વિશ્વના અનેક લોકોના જીવ લીધા આ વાયરસે. બીજા વિશ્વયુધ્ધ દરમિયાન પણ જે ગંભીર પરિસ્થિતિ હતી તેના પ્રમાણમાં વિશેષ સંકટમય સંજોગો આ એકવીસમી સદીમાં જોવા મળ્યા. આજે જે વરિષ્ઠ નાગરિકો હયાત હશે તેઓ સાક્ષી ભાવે સરખામણી કરતાં કહી શકશે, કે આવા દિવસો તો ક્યારે ય જોયા ન હતા. 

          દરેક દેશને તેનો સ્વતંત્ર ઈતિહાસ છે. અઢારમી સદી પછી દેશ અને દુનિયામાં અનેક સંકટોનો પ્રજાએ સામનો કર્યો. ઈતિહાસમાં તેની નોંધ લેવાઈ. અનેક વિષમ સંજોગો ઉતપન્ન થયા. બધુ થાળે પડતાં વર્ષોના વર્ષો પસાર થઈ ગયા. ભારત સહિત અન્ય અનેક રાષ્ટ્રોનો વિકાસ થયો અને તેઓ સમૃધ્ધિની ચરમ સીમાએ પહોંચી ગયા. ભારત આજે એક સંપૂર્ણ વિકસિત તથા સમૃધ્ધ દેશ તરીકે દુનિયાભરમાં પંકાય છે. વિવિધ ક્ષેત્રે આ દેશ પ્રગતિ કરી આત્મ નિર્ભર બન્યો છે, જેની સગર્વ નોંધ લેવી જ રહી. 

    આઝાદીની લડત તો ઘણી જ આકરી હતી, આઝાદ થયા પછી પણ દેશ ઉપર તબક્કા વાર અનેક સંકટોના વાદળ ઝળૂંબ્યા હતા. આંતરિક યુધ્ધો, કુદરતી આફતો, સુનામી આતંકવાદ જેવા બનાવો બન્યા. પ્રજાએ સહન પણ કર્યું, પરંતુ ભારતીય જનની સંકલ્પ શક્તિ તથા આશાવાદી અભિગમને કારણે તેણે હંમેશા વિજય મેળવ્યો છે. જગતના દેશો તેનાથી પરિચિત છે. 

                          વર્તમાન દિવસોમાં જે કઈં બની રહ્યું છે, તેની તો કોઈએ કલ્પના પણ નહી કરી હોય. છેલ્લા સો વરસમાં ક્યારેય ના થયું હોય તેવી વિડંબના માનવજાતને માથે આવે પડી છે. કોરોના જેવા વાયરસે તો બધું જ થંભાવી દીધું છે. માણસ હંમેશા માણસ ભૂખ્યો રહ્યો છે. એકબીજાને મળવું, હળવું ભળવું તે તેનો સહજ સ્વભાવ છે. માણસ માણસ વચ્ચેના સંબધોને કારણે એકમેકને ઘણું શીખવા મળતું, સૌ પોતપોતાના આનંદમાં સહભાગી થતા, પણ આજે તો સોશિયલ ડિસ્ટન્સ  અને લોકડાઉન જેવા શબ્દોનો પરિચય માનવીને પહેલીવાર થયો. એકબીજા વચ્ચે અંતર રાખવું અત્યંત જરૂરી થઈ ગયું. માણસ પોતાના જ ઘરમાં પોતે કેદ થઈ ગયો. 

                           ભૂતકાળમાં વિવિધ આંદોલનો, હડતાળો કે કુદરતી આફતોને લીધે બંધ જેવી પરિસ્થિતિ નિર્માણ પામતી, પણ તે તો માત્ર થોડા સમય માટે. જ્યારે આજે તો ત્રણ - ચાર મહિનાઓ સુધી બધું ગતિ વિહીન હોય તેવો બનાવ પ્રથમવાર બન્યો. જગતની માનવજાતને ભયભીત કરી નાખી આ વૈશ્વિક મહામારીએ. હાલ તો આ રોગની કોઈ દવા નથી, પણ તેનું સંશોધન ચાલે છે. વેક્સિન શોધવાનું  કામ પણ ચાલે છે. 

                          એક સમયે ભારતમાં પ્લેગ જીવલેણ રોગ હતો. આજે તેનો ઉપચાર સરળ છે. પોલીઓના વિષાણુ દેશભરમાં ફેલાયેલા હતા, પરંતુ આજે રસીને કારણે દેશ પોલીઓ મુક્ત છે. આ જ પ્રમાણે દેશ અને દુનિયા કોરોના મુક્ત થશે, તેવી આશા  રાખીએ તો તે અસ્થાને નથી. આજના યુવાનો કાલે વરિષ્ઠની અવસ્થાએ હશે અને આવનારી પેઢીને કોરોના વિષે જણાવશે ત્યારે તેમને તે દંતકથા સમું લાગશે, પણ ઈતિહાસમાં એક નવા પ્રકરણનો ઉમેરો જરૂર થશે. 

                          આશા રાખીએ કે થંભી ગએલા વિશ્વની ગાડી પ્રગતિના પાટા પર ફરી રાબેતા મુજબ દોડતી થાય. 

     - નીતિન વિ મહેતા     

રવિવાર, 9 ઑગસ્ટ, 2020

ન્યૂ નોર્મલમાં ગ્રાહક કાળજી, ઈકો ફ્રેન્ડલી ગણપતિ અને એક પુલની પ્રેરણાત્મક વાત

 ગ્રાહકની કાળજી - ક્રેઝી કટ હેર સલૂન

------------------------------------------------

     કોરોનાને કારણે લોકડાઉન જાહેર થયું એ વાતને ચારેક મહિના થયાં અને તેના કારણે અનેક લઘુ તેમજ મધ્યમ કદના ઉદ્યોગો પડી ભાંગ્યા અને જાહેર સેવાઓને પણ તેની ખાસ્સી અસર પહોંચી. આમાં એક ઉદ્યોગ એટલે હજામત સેવા પૂરી પાડતા હેર કટિંગ સલૂન અને ફેશન પાર્લર. કોરોનાને કારણે હેર કટિંગ સલૂન અને ફેશન પાર્લર જાણે બંધ જ પડી ગયા. ત્રણેક મહિનાના લોક ડાઉન બાદ પણ બીજી અનેક નાની મોટી સેવાઓ ફરી શરૂ થયા છતાં લોકોના મનમાં ડર યથાવત હોવાથી હજી હેર કટિંગ સલૂન અને ફેશન પાર્લર  ધમધમતા થવા પામ્યાં નથી. અહીં જેટલી ખુરશી કે સામાન્ય બેઠક હોય તેના પર અનેક લોકો આવીને વારાફરતી બેસે, એક ગ્રાહક જતો રહે પછી એ ખુરશી કે બેઠક સંપૂર્ણ સેનિટાઈઝ ના થાય કે એક ગ્રાહક પર ફરેલો અસ્ત્રો કે બ્લેડ સેનિટાઈઝ કર્યા વગર બીજા ગ્રાહક પર ફરે અને જો કોઈક ગ્રાહક કોરોનાગ્રસ્ત હોય તો બીજા અનેકને તેનો ચેપ લાગે એ ડરથી હેર કટિંગ સલૂન અને ફેશન પાર્લરમાં જતાં લોકો હજી ડરે છે. ત્રણ - ચાર મહિના સુધી ઘણાં લોકોએ વાળ જ કપાવ્યા નથી તો ઘણાં જાતે જ ઘેર પોતાના વાળ કાપી સેટ કરતાં થઈ ગયાં છે! એવામાં મેં મારા ઘર નજીક આવેલા એક હેર કટિંગ સલૂનની ચોકસાઈ અને તેમના દ્વારા કોરોના અંગે સજાગતા રાખી ગ્રાહકો માટે લેવાતા અસામાન્ય અને નોંધનીય પગલાં અંગે સાંભળ્યું. મારા પણ વાળ ઘણાં સમયથી કપાવવાના બાકી હોવાથી એક સાંજે મેં ત્યાંની મુલાકાત લેવાનું નક્કી કર્યું. ફોન કરી સલૂન ખુલ્લું હોવાની ખાતરી કરી લીધા બાદ જઈ પહોંચ્યો 'ક્રેઝી કટ હેર સલૂન'.

   હું જ્યાં રહું છું તે મલાડ પશ્ચિમ ખાતે ભાદરણનગરમાં ખજૂરીયા નગર પાસે રેશનિંગ ઓફિસ નજીક આવેલ આ હેર સલૂન માં ચોખ્ખાઈ આંખે ઉડીને વળગે એવી હતી. ગ્રાહકો ઓછા આવતા હોય તો ચોખ્ખાઈ તો હોય જ એવી દલીલ કરતા હોવ તો અહીં માત્ર આ જ વાત નોંધનીય નહોતી. નાની એવી જગામાં બેઠક, શીશા, સાધન સામગ્રી વગેરે પણ એ રીતે ગોઠવેલા કે અદ્યતન અને સુઘડ જગાએ આવ્યાનો અનુભવ થાય. પગથી ચાંપ દબાવો એટલે ઉપર ગોઠવેલા સેનિટાઈઝરથી હાથમાં પ્રવાહી સેનિટાઈઝરના ટીપાં ઝરે એવું મશીન એક બાજુએ ગોઠવેલું. તેના વડે હાથ સ્વચ્છ કરી બેઠક પર ગોઠવાયો એટલે તરત વાળ કાપનાર યુવાને ભરપૂર માત્રામાં વાયુ સેનિટાઈઝરનો આખા શરીર પર જાણે મારો ચલાવ્યો! સેનિટાઈઝરની સુગંધ સારી હોય એટલે એ અનુભવ પ્રસન્નકારી રહ્યો. ત્યાર બાદ એક જ વાર વાપરી શકાય એવું અર્ધપારદર્શક પહેરણ તેણે મારા શરીર પર ગોઠવ્યું. સામાન્ય રીતે આ પહેરણ બધાં ગ્રાહકો વચ્ચે એક જ હોય છે એટલે કે એક ગ્રાહક જાય એટલે ખંખેરી બીજા ગ્રાહકને પહેરાવવામાં આવે છે પણ અહીં એક જ વાર વાપરી શકાય એવા અર્ધપારદર્શક પહેરણોનો ઢગલો એક ખૂણે પડેલો દેખાયો. વાળ કાપનાર યુવાને માસ્ક અને હાથ મોજા તો પહેર્યા જ હતાં પણ તેણેય સેનિટાઈઝરથી હાથ સ્વચ્છ કર્યા. વાળ કાપતી વખતે પણ સાધનો સેનિટાઈઝર કરેલા હોવાનું માલુમ પડયું, બ્લેડ પણ મારી સામે જ નવી ખોલીને વાપરવામાં આવી. 

 મને ખુશી થઈ એ વિચારી કે આ સલૂનના માલિક આવનાર ગ્રાહકોની સુરક્ષા અને તબિયત અંગે કેટલા સભાન અને સજાગ છે. શ્રેષ્ઠ ગ્રાહક સુવિધા કોને કહેવાય તેનો અહીં અનુભવ થયો. ન્યૂ નોર્મલને નામે ઘણાં પગલાં લેવાતા હોય છે જેમ કે શરીરનું તાપમાન માપવું, મુલાકાતીના નામ, સરનામાની નોંધ લખવી, હેન્ડ સેનિટાઈઝર મૂકવું વગેરે. આ બધું કોરોનાથી બચાવવામાં કેટલું કારગત નિવડી શકે? કોઈ દુકાન, મોલ, ઓફિસ, સલૂન કે પાર્લરમાં એ વાત પર સંપૂર્ણ ધ્યાન અપાય છે કે કઈ રીતે આવનાર મુલાકાતી કદાચ કોરોના વાઇરસના સંપર્કમાં આવ્યો પણ હોય તો તેનાથી તેને મુકત કરી શકાય? મલાડના ક્રેઝી કટ હેર સલૂનમાં મને આ બાબત ની તકેદારી રખાતી હોવાનો અનુભવ થયો, જે ખૂબ ગમ્યું અને વાળ કપાવી લીધા બાદ પ્રસન્ન વદને અને મને મેં ઘેર પાછા ફરવા પ્રયાણ કર્યું.

9920472808  પર સંપર્ક કરી તમે  પણ ક્રેઝી કટ હેર સલૂનની મુલાકાત લઈ શકો છો.


ચોલુટેકા નદી પરના પુલની પ્રેરણાત્મક વાત 

---------------------------------------

થોડા દિવસ અગાઉ એક સંદેશો વોટ્સએપ પર વાઈરલ થયો હતો. લેખક, વક્તા અને લીડરશીપ કોચ એવા પ્રકાશ ઐયર લિખિત આ પ્રેરણાત્મક લેખમાં મધ્ય અમેરિકાના હોન્ડુરાસ શહેરમાં આવેલ ચોલુટેકા નદી પરના પુલની વાત હતી. આ શહેર વંટોળ અને વિષમ આબોહવા માટે જાણીતું છે. તેમાં આવેલી ચોલુટેકા નદીમાં વારેઘડીએ પૂર આવે અને તે વિનાશ નોતરે. આ નદી પર જાપાને અતિ મજબૂત અને ટકાઉ એવો પુલ બાંધ્યો, જે એક ભયાનક વાવાઝોડામાં અડીખમ રહ્યો. પણ એ વાવાઝોડાએ મચાવેલા આતંકને કારણે, નદીના સામસામે છેડે આવેલા કિનારા તરફના, પુલને શહેર સાથે જોડતાં રસ્તા તૂટી ગયાં અને કુદરતી રીતે નદીએ પણ પોતાની દિશા સહેજ બદલી અને હવે તે પુલની નીચેથી નહીં પણ સહેજ આઘે બાજુએથી વહેવા માંડી. પરિણામે દુનિયા આખી દાખલો લઈ શકે એવા બાંધકામના ઉત્તમ નમૂના સમા એ પુલને કુદરતે સાવ નકામો, વ્યર્થ બનાવી દીધો. અહીં શીખવાની વાત એ છે કે તમે ખૂબ મહેનત કરી એક જ ક્ષેત્રમાં અતિ પાવરઘા બનો, પણ જો પરિસ્થિતિ સાથે તાદાત્મ્ય કેળવતા ન શીખો, તો અણધાર્યા સંજોગો તમને ક્યારેક નકામા બનાવી દઈ શકે છે. જરૂર છે લવચીક બનવાની, ફ્લેક્સિબીલીટી કેળવવાની. જે પરિસ્થિતિ ઈશ્વર લાવે એને અનુરૂપ થઈ જીવન જીવતા શીખવાની અને તેમાંથી નવો માર્ગ શોધવાની. પેલી ટટ્ટાર ઝાડ વાળી વાત યાદ આવે છે. જે વૃક્ષ અતિ સખત અને ટટ્ટાર થડ ધરાવતું ઉભું હોય, તે વંટોળમાં ઉખડી ફેંકાય છે. પણ જે વૃક્ષ નરમ થડ ધરાવતું હોય અને સખત હવા સાથે ઝૂકી જતા શીખે એ ટકી જાય છે. આપણો અભિગમ જિદ્દી અને હઠીલો નહીં પણ નમ્ર અને વિષમ પરિસ્થિતિ સ્વીકારી તેમાંથી માર્ગ કાઢી શોધે એવો હોવો જોઈએ. આજે કોરોના એ આપણાં જીવનને ધરમૂળથી બદલી નાંખ્યું છે. ઘણાં લોકોએ નોકરી ધંધા ગુમાવ્યા છે, ઘણાં આર્થિક દૃષ્ટિએ પાયમાલ થઈ ગયાં છે, ઘણાં નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગયાં છે તો ઘણાં આત્મહત્યાના કિસ્સાઓ સાંભળવામાં આવે છે. એવામાં ઉપર જણાવેલી વાર્તા અતિ હકારાત્મક અને પ્રેરણાત્મક સંદેશો આપે છે.  જે પરિસ્થિતિ ઈશ્વરે સર્જી છે, સૌએ તેમાંથી માર્ગ કાઢી ટકી રહેતા શીખવાનું છે, નવસર્જન કરતા શીખવાનું છે. 


ઈકો ફ્રેન્ડલી ગ્રીન ગણપતિ 

------------------------

    છેલ્લે એક મજાની વાત. પખવાડિયા પછી 

ગણપતિ બાપાની પધરામણી થવાની છે. આ વખતે આ સાર્વજનિક તહેવાર જુદી જ રીતે ઉજવાશે. મોટા ભાગના લોકો પોતપોતાને ઘેર બાપાની મૂર્તિ લાવશે અને ઉત્સવ પૂરો થયે મૂર્તિનું વિસર્જન પણ જાહેરમાં ગિરદી કરી, ઘોંઘાટ મચાવી દરિયા કિનારાની જગાએ પોતપોતાને ઘેર બાલદીમાં કે નજીકના તળાવ, કૂવા કે કૃત્રિમ જળાશયમાં કરશે. હું કોરોનાના સકંજામાંથી હેમખેમ પાછો ફર્યો છું તે ઈશ્વરની કૃપા વગર શક્ય ન જ બન્યું હોત. આથી ઈશ્વરનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માટે હું પણ ગણેશજીની પધરામણી મારે ઘેર કરવાનો છું. ખાસ વાત એ છે કે મેં પહેલી વાર બાપાની મૂર્તિ ઓનલાઇન બુક કરી છે. Myecoganesh.com વેબસાઇટ પરથી. અહીં ત્રણ પ્રકારની મૂર્તિ ઉપલબ્ધ છે - ક્લે માટીની, ઝાડ છોડ ઉગાડવા વપરાતી લાલ માટીની અને કાગળના માવાની. મેં ઝાડ છોડ ઉગાડવા વપરાતી લાલ માટી માંથી બનાવેલી આઠ ઈંચ ઉંચાઈ ની નાનકડી અતિ સુંદર મૂર્તિ પસંદ કરી બુક કરી છે જેની હોમ ડીલીવરી ની હું કાગડોળે રાહ જોઇ રહ્યો છું! આ મૂર્તિ ની વિશેષતા એ છે કે વિસર્જન બાદ તેની બધી માટી હું એક કૂંડામાં ભેગી કરી તેમાં સુંદર એવો કોઈ છોડ વાવીશ અને તેના દ્વારા ગણેશ સદાયે મારા ઘરમાં જ રહેશે, મારી સાથે! 

ગેસ્ટ બ્લોગ - સ્વયં સિધ્ધા

       ઓલ ઈન્ડિયા વિમેન્સ  કોન્ફરન્સ, જોગેશ્વરી  શાખાની  કમીટીમાં હું કાર્યરત છું. દર વર્ષે ૮ મી માર્ચે અમારી સંસ્થામાં મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે એવી ત્રણ મહિલાઓનું સન્માન કરીએ છીએ જેઓ સેવાભાવી કાર્ય કરતાં હોય અથવા જેમણે કોઈક ક્ષેત્રમાં પુરુષાર્થ કરી સફળતા  પ્રાપ્ત કરી હોય.અલગ અલગ ક્ષેત્ર જેમ કે પર્યાવરણ, સ્પોર્ટસ, કલા.... જેવા વિવિધ વિષયોમાંથી એક વિષય નક્કી કરી, એમાં પોતાનું યોગદાન આપનારી, સ્વયંને સિદ્ધ કરનારી મહિલાઓને અમે અવોર્ડ તથા સર્ટીફિકેટ આપીતેમનું સન્માન કરીએ છીએ.  આ  સંદર્ભમાં એક એવી પ્રતિભાને મળવાનું થયું જેઓએ વાદ્ય સંગીતના ક્ષેત્રે ખુબ જ નામના મેળવી છે . મહિલાદિન નિમિત્તે આ વર્ષે અમારી સંસ્થાએ 

એમનું સન્માન કર્યું. તબલા વાદનની વિશારદની પરીક્ષા ભલે નથી આપી પણ એ કક્ષાનું જ્ઞાન ધરાવે છે. તેમણે કેટલાય અવોર્ડસ ,મેડલ્સ  અંકે કર્યા છે. રાષ્ટ્રપતિજીનાં હસ્તે પણ અવોર્ડર્સના હકદાર બન્યા છે. ૫૦ મિનિટમાં ૫૦ વાજીંત્રવાદન કરીને લિમ્કા બુકમાં પણ તેઓ સ્થાન પામ્યા છે. આ બધી પ્રસિદ્ધિ - સફળતા એટલા માટે વિશિષ્ટ બની જાય છે કે આ સ્વયં સિદ્ધા યોગીતાજી તાંબે દિવ્યાંગ છે. પ્રજ્ઞાચક્ષુ .

                   જન્મનાં થોડા જ સમયમાં એક આંખ ગુમાવી અને જ્યારે દસમા ધોરણમાં હતાં ત્યારે બાથરુમમાં પડી જતાં બીજી આંખ પણ ગુમાવી. મગજને ઈજા પહોંચી હોવાથી યાદશકિત પર પણ અસર થઈ. તેમ છતાં આ બધી પરિસ્થિતિનો હિંમતભેર સામનો કર્યો. દસમાની પરીક્ષા તો પાસ કરી જ પણ ત્યાર બાદ એમ. એ. ના સ્નાતક પણ થયા. તબલા વગાડવાની કળા કદાચ ઈશ્વરદત્ત હતી. નાનપણથી જ તેઓ તબલાં વગાડતાં. સદનસીબે યોગીતાજીને ગુરુ પણ સરસ મળ્યા. તબલા સાથે તેઓ ઢોલ, ઢોલકી, ડફ બધું જ સરસ વગાડે છે. (ગુરુજીની સંમતિથી).

                આજે યોગીતાજી પોતે તાલીમ લે છે અને સાથે એક શાળામાં વિદ્યાર્થીઓને સંગીતનું શિક્ષણ આપવા પણ જાય છે. તેમના ઘરે છોકરાઓ તબલા શીખવા આવે છે  જેમાં બે છોકરાઓની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓને ફી લીધા વગર મફત શીખવાડે છે. યોગીતાજી સંગીતના કાર્યક્રમો પણ રજૂ કરે છે. કાર્યક્રમ આપવા જાય ત્યારે તબલાની સાથે તેઓ એક મેજીક બેગ અવશ્ય રાખે છે જેમાં નાળિયેરની કાચલી , નાના મોટા પથ્થર, મગ - ચણા જેવા કઠોળ,પાનું જેવી અલગ અલગ વસ્તુઓ રાખે છે , જેમાંથી વિવિધ સંગીત, જુદા જુદા અવાજોનું સર્જન કરે છે. આ એક એમની  વિશિષ્ટ કળા છે. આ ઉપરાંત એ વાંચનનો પણ શોખ ધરાવે છે. બ્રેઇલ લિપિમાં ધાર્મિક તેમજ ઈતર વાંચન કરતાં હોય છે. પુસ્તકોનું તેમની પાસે વિશાળ કલેકશન છે.

               ઈશ્વર માનવીને એકાદ ઇન્દ્રિયથી વંચિત રાખે તો બીજી  ઇન્દ્રિયોને  કદાચ વધુ સતેજ કરી દે છે. યોગીતાજી માટે એમની શારિરીક મર્યાદા અવરોધરૂપ નથી. બીજા પર નિર્ભર રહેવું એમને પસંદ નથી. તેમના માતાપિતાએ પણ તેમનો ઉછેર સામાન્ય સંતાનની જેમ જ કર્યો છે. યોગીતાજીનું વ્યક્તિત્વ એકદમ આનંદી - પ્રસન્નમિજાજ. માનવી પર જરા એવી તકલીફ આવે તો તે અસ્વસ્થ થઈ જાય, ઈશ્વરને દોષ દે પણ યોગીતાજીને મળીએ તો એવો અનુભવ થાય કે જે પણ પરિસ્થિતિ છે તેનો તેમણે સહજતાથી સ્વીકાર કરી  લીધો છે. ક્યાંય કોઈ ફરિયાદ નહી, કોઈ નિરાશા નહી . ખરેખર સંપૂર્ણ માનવી પણ એમની જીવન પ્રત્યેના હકારાત્મક અભિગમથી પ્રેરણા પામે એવું પ્રતિભાવંત, દિવ્યાંગ વ્યક્તિત્વ!                     

       - નેહલ દલાલ