Translate

રવિવાર, 13 જૂન, 2010

S.S.C નું પરિણામ

ટૂંક સમયમાં જ S.S.C નું પરિણામ જાહેર થવાનું છે.કેટલાંય વિદ્યાર્થીઓ સરસ માર્ક્સ સાથે ખૂબ સારા ટકા મેળવશે તો કેટલાક મહેનત કરી હોવા છતાં ધાર્યા ગુણાંક પ્રાપ્ત કરી શકશે નહિં.ક્યાંક હર્ષની ચિચિયારીઓ સંભળાશે તો ક્યાંક ડૂસકા અને રૂદનને કારણે વાતાવરણ ગંભીર હશે. દસમું ધોરણ એટલે કે S.S.C.ને શાળાજીવનનું સૌથી મહત્વનું વર્ષ ગણવામાં આવે છે.અને આજનાં સ્પર્ધાત્મક યુગમાં માતાપિતા પોતાના બાળક પાસેથી પહાડ જેટલી અપેક્ષાઓ રાખતા હોય છે.એમાં મરો થઈ જાય છે બાળકનો.તેની રસરૂચી હોય કે ન હોય પણ ગોખેલું ઓકી તેની પાસેથી S.S.Cમાં તે સારા માં સારા માર્ક મેળવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે જેથી તે સારી એવી એકાદ પ્રતિષ્ઠીત કોલેજમાં એડમિશન મેળવી એન્જિનીયર કે ડોક્ટર બનવા ભણી આગળ વધી શકે.
પણ જો કદાચ ના જાહેર થયેલા પરિણામમાં તમારા સંતાનના ધાર્યા ટકા ન આવે કે તે નાપાસ થાય તો મહેરબાની કરી તેને જાકારો ન આપશો.તેની પડખે ઉભા રહેશો.તેના આત્મવિશ્વાસની જ્યોત બૂઝાઈન જાય એનું ખાસ ધ્યાન રાખશો. વિદ્યાર્થીઓ, તમે પણ ધ્યાન આપજો કે S.S.C.નું પરિણામ જ કંઈ સર્વસ્વ નથીં. S.S.C પરિણામમાં જ દુનિયા પૂરી થઈ જતી નથી. ઉલટું આ પછી જ તો એક નવી શરૂઆત થવાની છે તો તેનું સ્વાગત ગમગીનીથી શીદને કરવું?
આજકાલ નાપાસ થવાને કારણે વિદ્યાર્થીઓ આત્મહત્યા કર્યાના સમાચાર અવારનવાર અખબારોમાં વાંચવા મળે છે.પણ આ તો નરી કાયરતાની નિશાની છે. એમ કંઈ શાળાની કે ની પરિક્ષામાં નાપાસ થયા એટલે અતિ મૂલ્યવાન એવા જીવનનો અંત આણી દેવાનો? આ તો કેવું મૂર્ખતાભર્યું પગલું?આનાથી ન તો જાન ગુમાવનારને કંઈ હાંસલ થાય છે ન તો તેના પરિવારજનોને.ઊલટું બન્ને પક્ષ ગુમાવે જ છે.આત્મહત્યા કરનાર મહામૂલું જીવન અને પરિવારજનો પોતાનો પરિવારનો એક સભ્યં ી પરિક્ષામાં હોય કે પછી જીવનમાં કોઈ પણ તબક્કે મળેલી બીજી કોઈ નિષ્ફળતા - કોઈ નિષ્ફળતા એટલી મોટી નથી હોતી કે જેને કારણ થઈ તમે જીવન ખતમ કરી નાંખવા જેવું અંતિમ પગલું ભરી બેસો.
બીજી એક મહત્વની વાત કરવાનું મન થાય છે.ક્યાંક વાંચેલું કે ઇશ્વર તમને એ નથી આપતા જે તમે ઇચ્છતા હોવ, પણ એ તમને એ આપે છે જે તમારા માટે સારું હોય, યોગ્ય હોય. મારું પોતાનું ઉદાહરણ ટાંકુ તો આજથી સોળ વર્ષ પહેલા, દર વર્ષે શાળામાં પ્રથમ આવવા છતાં S.S.Cમાં હું શાળામાં પ્રથમ તો શું દ્વિતીય પણ ન આવી શક્યો. ત્રીજા સ્થાને રહી મેં ૯૦.૮૫ % માર્ક્સ મેળવ્યા. આ પરિણામ કોઈ જ રીતે ખરાબ કે ઓછું ન હોવા છતાં મેરિટ લીસ્ટ સાત માર્કથી છેટું રહી ગયું અને હું ખૂબ દુ:ખી થઈ ગયો. પણ હિંમત ન હારી માતાપિતાના સંપૂર્ણ સહયોગ અને આશિર્વાદથી નજર ઉંચી જ રાખી, આગળ ભણવા અને સારી કારકિર્દી બનાવવામાં. ગુજરાતી માધ્યમમાં ભણવા બદલ હું આજે પણ કોઈ જાતની નાનમ નથી અનુભવતો અને મને એ વાતનું ગૌરવ છે.માતૃભાષામાં ભણવાને કારણે જ હું નેવું ટકા કરતા પણ વધુ માર્કસ S.S.Cમાં મેળવી શક્યો અને એ વાત મને આગળ ઉચ્ચ અભ્યાસમાં પણ ક્યાંય અંતરાયરૂપ નથી બની અને બારમામાં પણ સારા ટકા મેળવી એન્જિનયીરીંગ અને પછી M.B.A. સુધીની મજલ કાપી અને સારી પ્રતિષ્ઠીત કંપનીમાં નોકરી મેળવી શક્યો. જીવનમાં કોઈ પણ પગલે તમારું ધાર્યું પરિણામ ન મળે તો નાસીપાસ કે નિરાશ થયા વગર તેને ઇશ્વરનો સંકેત ગણી સ્વીકારી લો અને અધિક મહેનત કરી આગળ ધપવા માંડો. એ જ સફળ થવાની સાચી રીત છે.
પરિણામની રાહ જોઈ રહેલા, બધાં ના વિદ્યાર્થીઓને મારા All The Best અને મિત્રો, યાદ રાખજો કે S.S.C.નું પરિણામજ જીવનનો અંત નથી બલ્કે એ તો એક શરૂઆત છે. આથી તમારું ધાર્યું પરિણામ આવે તો તો સારું જ છે પણ જો એ તે પ્રમાણે ન આવે તો નિરાશ થવાની જરાય જરૂર નથી.'કરતા જાળ કરોળિયો' વાળી કવિતા યાદ કરી ફરી પાછા મચી પડો મહેનત કરવા અને ઓછા માર્ક્સ આવે તો જીવનમાં આગળ ઘણી બીજી પરિક્ષાઓ આવશે જ્યાં તમને ફરી તક પ્રાપ્ત થશે મહેનત કરી સારું પરિણામ મેળવવાની. ઇશ્વરમાં શ્રદ્ધા રાખો.

મંગળવાર, 1 જૂન, 2010

અસરકારક સંદેશવ્યવહાર

થોડા સમય અગાઉ પાઠશાલા નામની હિન્દી ફિલ્મ જોઈ.મોટા ભાગની હિન્દી ફિલ્મોમાં હોય છે તે પ્રમાણે ફિલ્મની શરૂઆત પહેલા ફિલ્મ તેમજ તેની સાથે સંકળાયેલી વ્યક્તિઓના નામ સ્ક્રીન પર દર્શાવવાની શરૂઆત થઈ.એક સાથે ત્રણ વસ્તુઓ આ દરમ્યાન ચાલુ હતી.આ ફિલ્મના મુખ્ય કલાકારો સહિત તમામ લાગતા વળગતાઓ ( દિગ્દર્શક, નિર્માતા, પાર્શ્વગાયકો, ન્રુત્ય દિગ્દર્શકો, એડિટર વગેરે વગેરે) જેમણે આ ફિલ્મ બનાવવા ૨-૩ વર્ષ કે તેથી પણ વધુ સમય સુધી રાત-દિવસ એક કરીને મહેનત કરી હતી તે સૌના નામ સ્ક્રીન પર લાલ અક્ષરોમાં અલપ ઝલપ થઈ રહ્યાં હતાં.નામો પાછળ બેકગ્રાઉન્ડમાં તાજેતરમાં વર્તમાનપત્રોમાં છપાયેલા શિક્ષણ ક્ષેત્રને લગતાં, મોટા ભાગના નકારાત્મક પ્રકારના સમાચારો (જેવા કે ફલાણા વિદ્યાર્થીએ કરેલો આપઘાત, ઢિકણા શિક્ષકે વિદ્યાર્થીને ઢોરમાર મારતા તેનું મ્રુત્યુ થયુ,વિદ્યાર્થીની પર શિક્ષક દ્વારા બળાત્કાર વગેરે વગેરે)ની ક્લિપીંગ્સ દર્શાવવામાં આવી રહી હતી, જેમાં ઘણી બધી માહિતી સ્ક્રીન પર પ્રેક્ષકો માટે પળવાર માટે સ્ક્રીન પર આવી પૂરે પૂરી વંચાય એ પહેલા અદ્રષ્ય થઈ જતી હતી.અને આ બે પ્રક્રિયાની સાથે સાથે જ ફિલ્મનું સુમધુર શિર્ષક ગીત ફિલ્મના ટાઈટલ સાથે જ વાગી રહ્યું હતું.આમ માહિતીઓનો ઓવરલોડ પ્રેક્ષકો સમક્ષ ઝીંકાઈ રહ્યો હતો. હવે સામાન્ય માનવી એક વખતે એક જ પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો હોય છે.મારું ધ્યાન ટાઈટલમાં દર્શાવાઈ રહેલી સમાચારોની ક્લિપીંગ્ઝ વાંચવામાં રહી ગયું હોવાથી આ ફિલ્મ સાથે સંકળાયેલી મહત્વની વ્યક્તિઓના નામ વાંચવાના હું ચૂકી ગયો.
ફિલ્મ પત્યા બાદ આપણા પ્રેક્ષકોમાં ધરપત હોતી નથી આથી ફિલ્મને અંતે પણ, ઘણી વાર દર્શાવાતા નામો વાંચવા તો દૂર રહ્યું, ક્લાયમેક્સનો સીન જોવા માટે પણ તમારે સીટ પરથી ઉભા થઈ જવું પડે.અને કેટલીયે વાર થિયેટરવાળાઓ પણ ફિલ્મ પૂરી થયા બાદ તરત નામો દર્શાવવાનું ચાલુ રાખવાને બદલે પડદો પાડી દેતા હોય છે.
પાઠશાલા ફિલ્મ જોયા બાદ હજી સુધી મને ખબર નથી આ ફિલ્મ કોણે ડિરેક્ટ કરી હતી?ન તેના નિર્માતા કોણ હતા એ હું જાણી શક્યો છું.આ એક મોટી કમ્યુનિકેશન ફેઇલ્યર હતી - સંદેશ વ્યવહારની નિષ્ફળતા અને બિન અસરકારક્તાનું સચોટ ઉદાહરણ.
આ વાતની સરખામણી તાજેતરમાં જ જોયેલી બીજી એક ફિલ્મ સાથે કરવાનું મન થાય છે.ફિલ્મ સાથે સંકળાયેલી દરેક વ્યક્તિને ક્રેડિટ કઈ રીતે આપવી તેનાં એક ઉત્ક્રુષ્ટ ઉદાહરણસમી શ્યામ બેનેગલ દિગ્દર્શિત આ ફિલ્મ એટલે 'વેલ ડન અબ્બા'!
આ ફિલ્મની કેન્દ્રિય વિષયવસ્તુ 'કૂવા'ના ચિત્ર સાથે ફિલ્મના દરેક નાના મોટા કલાકારના સાચા નામ તેના ફિલ્મમાં ભજવેલા પાત્રના નામ સાથે ફિલ્મના ટાઈટલમાં દર્શાવવામાં આવ્યા હતા.કેટલી સુંદર રીત!આ રીતે ફિલ્મે પોતાની સાથે સંકળાયેલી મહત્વની વ્યક્તિઓને યોગ્ય ક્રેડિટ પણ આપી ગણાય.પ્રેક્ષકો જાણી પણ શકે કે ફિલ્મમા કયું પાત્ર ભજવનાર વ્યક્તિ કોણ છે અને તેનું વાસ્તવિક નામ શું છે.(સિવાય કે તે રાજીવ ભાટિયા બની જનાર અક્ષય કુમાર કે સંજીવ કુમાર બની જનારા હરિભાઈ ઝરીવાલા હોય!)
મારે મતે અસરકારક સંદેશવ્યવહારનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે તમે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહ સાથે સંદેશ વ્યવહાર કે કમ્યુનિકેશન કરી રહ્યા હોવ ત્યારે એ સફળ થયેલું ત્યારે જ ગણાય જો તમારો સંદેશ, તમારી વાત એ વ્યક્તિ કે સમૂહ સમજી શકે, સંપૂર્ણ રીતે જાણી શકે.
કોર્પોરેટ જગતમાં પણ પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેશન આપતી વખતે તમે તેનું બેકગ્રાઉન્ડ અતિ ભડક કે ભપકાદાર પસંદ કર્યુ હોય તો તમારી મૂળ વાત, કેન્દ્રિય મુદ્દો ક્યાંક ખોવાઈ જાય છે અને સામે બેઠેલી વ્યક્તિઓનું ધ્યાન ફક્ત પ્રેઝેન્ટેશનનાં ભપકાદાર રંગો કે કરામતોમાં જ વિશેષ રહેવા પામે છે.
હું આશા રાખું છું કે પ્રિય બ્લોગવાચક, તમને મારી વાત બરાબર સમજાઈ અને મારું આ કમ્યુનિકેશન સફળ અને અસરકારક રહ્યું હોય!