Translate

રવિવાર, 30 ઑક્ટોબર, 2011

તહેવારોની ફોજ !

ગયા બ્લોગમાં તહેવારોના રાજા સમા રોશની પર્વ દિવાળીની વાત કરી. આ બ્લોગમાં નવા વર્ષથી શરૂ થઈ જઈ આપણા જીવનમાં ખુશાલી અને ઉમંગોલ્લાસ ભરી દેનાર અન્ય તહેવારોની ફોજની વાત કરવી છે!


દિવાળી બાદ શરૂ થતા આપણાં ગુજરાતીઓના નવા વર્ષની શરૂઆતમાં જ લાભ પાંચમ સુધી દિવાળીનો મૂડ બરકરાર રહે! એનાથી ધરાયા ન હોઈએ તેમ પંદર દિવસ બાદ કારતક સુદ પૂનમે આવે દેવદિવાળી અને તુલસી વિવાહ! બાળકો થોડા ઘણાં ફટાકડા આ રાત માટે સાચવીને રાખ્યા હોય એ ફોડે અને આ દિવસે સાંજે તુલસીના છોડને સરસ વાઘા પહેરાવી,સજાવી શણગારી કૃષ્ણ ભગવાન સાથે પરણાવવામાં આવે!

આપણે ગુજરાતી વર્ષના અંતને દિવાળી દ્વારા ઉજવીએ એટલાં જ ઉત્સાહથી ખ્રિસ્તીઓ અંગ્રેજી કેલેન્ડર વર્ષના અંતને ક્રિસ્મસ કે નાતાલ દ્વારા ઉજવે.ભગવાન ઇશુ ખ્રિસ્તનો જન્મ નાતાલના દિવસે સાંજે માસ પ્રેયર દ્વારા અને રોશની તેમજ પાર્ટી કરીને ઉજવાય અને ૩૧મી ડિસેમ્બરની રાત પણ આપણે સૌ કોઈ મહા ઉત્સવની જેમજ ઉજવીએ!અંગ્રેજી કેલેન્ડરના પ્રથમ દિવસે એટલે કે પહેલી જાન્યુઆરીએ ઓફિસ જવાનો મારી જેમ જ સૌને ભારે કંટાળો આવતો હશે!આ દિવસે જો શનિ-રવિની રજા મળે તો તો જલસા જ પડી જાય!

આ પછી ફરી પાછો હિન્દુ તહેવાર મકર સંક્રાંતિ (ઉત્તરાયણ) આવે! પતંગ ઉડાવવાની અને ચિક્કીની મજા માણવાનો આ અવસર પણ ભાગ્યે જ કોઈ ઉત્સવપ્રિય જણ ચૂકતો હશે! ગુજરાતમાં તો ધાબે ચડી આખો પરિવાર આ પર્વની મજા માણે!મુંબઈગરા પાસે આવું ધાબાનું સુખતો હોતું નથી પણ તેઓ યે કોઈ તહેવારની મજા માણવામાં કચાશ છોડતાં નથી!

ફેબ્રુઆરી-માર્ચમાં વસંત ઋતુ આવે અને સાથે રંગોના તહેવાર હોળી - રંગપંચમી લઈને આવે. પ્રકૃતિ પણ આ ઋતુમાં તો સોળે કળાએ ખિલી હોય એમાં હોળી-ધૂળેટી જેવા તહેવારમાં આબાલવૃદ્ધ સૌ કોઈ મન ભરીને એકબીજાના તનને ગુલાલ,કેસૂડા તેમજ અન્ય રંગોથી રંગી દઈ ધરાઈને માણે! હોળીની સાંજે હોળિકા દહન કરી જ્યારે આપણે અગ્નિની પ્રદક્ષિણા કરીએ છીએ ત્યારે એ શરીરમાંથી કફ છૂટો પાડી આરોગ્ય માટે પણ મદદરૂપ સાબિત થાય છે જેની ઘણાં ઓછાંને ખબર હશે.આમ હોળીની પૂજા અને પ્રદક્ષિણા સ્વાસ્થ્ય માટે પણ સારી સાબિત થાય છે.



પછી થોડાં વિરામ બાદ શ્રાવણ માસ આવે એટલે ફરી વ્રત-તહેવારોની મોસમ શરૂ થઈ જાય. બોળચોથ,નાગપાંચમ,રાંધણ છઠ,શીતળા સાતમ,ગોકુલાષ્ટમી,રક્ષા બંધન,શ્રાવણિયા સોમવાર અને આ બધા પવિત્ર દિવસો-પર્વો એક અજબની અનુભૂતિ કરાવે છે. બોળચોથે ખાંડવા કે દળવાનું નહિં. નાગપાંચમે ઘેર નાગના ચિત્ર દોરી, તેમની પૂજા કરી ફૂલહાર અને દૂધ તથા કુલેરના લાડવા પ્રસાદમાં ધરાવાય (વર્ષમાં આ એક જ દિવસે મીઠ્ઠી સ્વાદિષ્ટ જુવારના લોટ અને ગોળમાંથી બનતી કુલેર ખાવા મળતી હશે!), સાચા નાગને દૂધ જરાયે ભાવતું ન હોવા છતાં મદારીઓ આ દિવસે નાગોને પરાણે દૂધ પાઈ પૈસા ઉઘરાવતા હોય છે.સાચા નાગોને પરાણે દૂધ પાવવાની આ પ્રથા બંધ થવી જોઇએ. રાંધણ છઠ્ઠે બીજા દિવસ માટેનું ખાવાનું બનાવી રાખવાનું અને શીતળા સાતમે વ્રતકથાઓમાંથી દેરાણી-જેઠાણી અને શીતળામાની વાર્તા વાંચી-સાંભળી આખો દિવસ ચૂલો કે ગેસ પેટાવ્યા વગર ઠંડું ખાવાનું. શ્રાવણ વદ સાતમની રાતે કૃષ્ણ જન્મની તૈયારીઓ કરી શણગાર વગેરે કરી કૃષ્ણ જન્મ કરાવવાનો અને બીજે દિવસે મટકી ફોડતા ગોવિંદાઓને જોઈ અચંબો પામવાનું!

શ્રાવણ સુદ પૂનમે આવતો રક્ષા બંધનનો તહેવાર ભાઈબીજ તથા વીરપસલીની જેમ જ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક સમો તહેવાર છે. હેતપૂર્વક બહેન ભાઈના હાથે રાખડી બાંધી ભગવાનને તેની રક્ષા કરી તેને સુખસમ્રુદ્ધિ આપવાની પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે. આ તહેવારને દિવસે જે ભાઈઓને બહેન નથી કે જે બહેનોને ભાઈ નથી તેમના મનમાં કેવી લાગણી થતી હશે એવો વિચાર ઘણી વાર આવે છે. આ દિવસ નાળિયેરી પૂર્ણિમા તરીકે પણ માછીમારો દ્વારા દરિયાદેવની પૂજા અર્ચના કરીને ઉજવાય છે.

ત્રણ વર્ષે એક વાર હિન્દુ કેલેન્ડરમાં બીજા મહિનાઓ વચ્ચે સમાઈ જતો અધિક માસ પણ ઘરનું વાતાવરણ ધાર્મિક બનાવી દે છે.ઘરની સ્ત્રીઓ આ પૂરા મહિના દરમ્યાન નાનકડા ખેતરની પ્રતિક્રુતિ બનાવી તે ખેડે છે અને કાંઠાગોરમાની ભાવ અને ભક્તિ પૂર્વક પૂજા કરે છે.હું નાનો હતો ત્યારે આ પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખાતા મહિના દરમ્યાન અમારી ચાલીના કોઈ એક પાડોશીને ત્યાં થતી પૂજામાં રોજ મારી મમ્મી અને બહેનો સાથે જતો અને ત્યારે પૂજા કરતી વખતે તેઓ જે ગીતો ગાતા 'આંબુડુ જાંબુડુ..કેરી ને કોઠીમડું...' , 'ગોરમા ગોરમા રે...સુખડા લ્યો...'વગેરે મને હજી યાદ આવે ત્યારે મારું મન મલકાઈ ઉઠે છે!

આ પછી આવે દેવાધિદેવ ગણરાયાનુ ભક્તિ પર્વ ગણેશોત્સવ જેની ગણના લાંબા ચાલનારા તહેવારોમાં કરી શકાય. આ સાર્વજનિક તહેવાર મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઉજવાતો હોવા છતાં હવે તો એ ફક્ત દેશમાં જ નહિં, એન.આર.આઈઓ દ્વારા વિદેશ સુધી જઈ પહોંચ્યો છે! મુંબઈમાં તો લોકો ઘેર ઘેર દૂંદાળા દેવની પધરામણી કરે છે અને યથા શક્તિ દોઢ,ત્રણ,પાંચ,ગૌરી સાથે હોય તો છ,સાત કે દસ દિવસે ગણપતિની મૂર્તિનું વાજતે ગાજતે વિસર્જન કરે છે. વિસર્જન પણ વાજતે ગાજતે કરવાની પરંપરા દ્વારા આ તહેવાર એક અતિ મહત્વનો જીવનપાઠ નથી શિખવતો?

ગણેશ ચતુર્થી સમયે જ જૈનોનો મહાપર્વ ગણાતો પર્યુષણ અને સંવત્સરી તહેવાર પણ ધામધૂમથી ઉજવાય છે. આપણે સૌ 'મિચ્છામી દુક્કડં' બોલી એકમેકની ક્ષમા નથી યાચતા?નાની કે મોટી ઉંમરના અનેક સાધકો આઠ દિવસની ઉગ્ર તપ સાધના કરી અઠ્ઠાઈ કરે ત્યારબાદ ઉપવાસ પૂરાં કરતી વેળાએ પારણું કરે.આવા ઘણાં મિત્રોએ કરેલાં પારણાંમાં જઈ તેમની શાતા પૂછયાનું મને યાદ છે.

ગણેશ ઉત્સવ પછી ગણત્રીના દિવસોમાં જ આવે નવલા નોરતાની રમઝટ ભર્યો નવરાત્રોત્સવ.વેરિયેશન જોયુ?!દિવસે ઉજવાતા તહેવાર ઘણાં બધાં છે તો રાતે ઉજવાતા તહેવાર પણ એક બે તો હોવા જોઇએ ને?નવ નવ રાત સુધી યુવા હૈયાઓને ઘેલુ લગાડનાર સ્ત્રી શક્તિનો મહિમા વધારનાર અંબેમાની ભક્તિનું આ પર્વ પણ લાંબો ચાલનારો તહેવાર છેંવ રાત્રિ સુધી ઘરમાં કે મંડપમાં માતાજીના કાણા વાળા સુશોભિત ગરબાની સ્થાપના કરી નવ રાત્રિઓ સુધી ગરબા ને દાંડિયાના તાલે ઝૂમવાનું! આથી જ આ તહેવાર આબાલવૃદ્ધ સૌનો મનપસંદ તહેવાર છે અને ફક્ત ગુજરાતીઓ જ નહિં પણ અન્ય જાતિના અન્ય ધર્મના લોકો પણ આ તહેવાર નાચીકૂદીને ધામધૂમ થી ઉજવે છે!નવરાત્રિઓ પૂર્ણ થયા બાદ દસમા દિવસે દશેરા ઉજવાય છે.આ દિવસને પણ આપણે ફાફડા જલેબી ખાઈ અને નવી ચીજવસ્તુઓની ખરીદી કરી અને રાવણ દહન કરી ઉજવીએ છીએ. નવરાત્રિમાં ગરબા રાસ રમી ધરાયા ન હોઈએ તેમ તરત પાછળ આવતી શરદ પૂનમની રાતે પણ દૂધ પૌં આ ખાઈ આપણે રાસની રમઝટ બોલાવી મન ભરીને (કે મન મૂકીને) નાચીએ છીએ! અને પછી તો થોડાં જ દિવસોમાં તહેવારોના રાજા દિવાળીની આગતા સ્વાગતામાં લાગી જઈએ છીએ!

રાષ્ટ્ર ભક્તિ અને દેશદાઝની યાદ અપાવતા સ્વાતંત્ર્ય દિન તેમજ પ્રજા સત્તાક દિન અને ગાંધી જયંતિ જેવા રાષ્ટ્રીય તહેવારો ઉજવતી વખતે પણ આપણે અનેરો જુસ્સો અનુભવીએ છીએ. મહારાષ્ટ્ર/ગુજરાત દિન, આંબેડકર જયંતિ, બાલદિન (નહેરૂ જયંતિ), શિક્ષક દિન, ગુરૂ પૂર્ણિમા, બુદ્ધ પૂર્ણિમા, શિવાજી જયંતિ, મહાવીર જયંતિ જેવા ખાસ દિવસોની પણ આપણે ઉત્સવની જેમજ ઉજવણી કરીએ છીએ.

સંકષ્ટિ ચતુર્થીઓ અને મોળાકાત,જયા પાર્વતી,ગોર્યો,વટસાવિત્રી,કડવા ચોથ,દિવાસો,કેવડા ત્રીજ,વૈભવ લક્ષમી,સંતોષી માના શુક્રવાર,સોળ સોમવાર,સાકરિયા સોમવાર, ભાખરિયા સોમવાર, ગાય તુલસી, એવરત-જીવરત, ધરો આઠમ, ગૌરી વ્રત, મંગળાગૌરી વ્રત, ફૂલકાજલી વ્રત,ચાંલ્લા વ્રત,ચોખા કાજળી વ્રત,સામા પાંચમ, કોયલ વ્રત, અલૂણા વ્રત, સૂર્યનારાયણ વ્રત, દશામા વ્રત, અન્નપૂર્ણા વ્રત, જીવન્તિકા વ્રત, સરસ્વતી સપ્તમી, રંભા વ્રત,ગૂડી પડવો,દુર્ગાષ્ટમી,જયા પંચમી, સિંદૂર ત્રીજ, વસંત પંચમી, સીતા વ્રત, હુતાશની,સંતાન જયંતિ જેવા વ્રત-તહેવારો પણ વર્ષ ભર સમયાંતરે આવ્યા જ કરે તો રામનવમી,જલારામ જયંતિ,હનુમાન જયંતિ, દત્ત જયંતિ, પરશુરામ જયંતિ,વિશ્વકર્મા જયંતિ, ગીતા જયંતિ, ઠંડી ને શિવ શિવ કરીને ભગાડતી મહા શિવરાત્રિ વગેરે જેવા ધાર્મિક દિવસો પણ આપણે તહેવાર જેટલા જ ઉત્સાહ અને ઉમંગથી ઉજવીએ છીએ.

હિન્દુ તહેવારો ઓછા હોય તેમ આપણે ભારતની ઉત્સવઘેલી પ્રજા વિદેશી તહેવારો કે 'ડે' ઝ ઉજવવાનું પણ ચૂકતા નથી! અંગ્રેજી ન્યુ યર ડે (૧લી જાન્યુઆરી), પ્રેમના દિવસ વેલેન્ટાઈન ડે, સ્ત્રી શક્તિનું ગૌરવ કરતો વુમન'સ ડે,માતા પિતાને સન્માનવા મધર્સ',ફધર્સ' અને પેરેન્ટ્સ ડે, મિત્રતાની મહિમા ગાવા ફ્રેન્ડશીપ ડે અને હેલોવીન જેવા તહેવારો પણ આપણે ઉત્સાહ પૂર્વક ઉજવીએ છીએ.

સાથે જ અન્ય ધર્મ અને જાતિઓના ગુડ ફ્રાઈડે,ઇદ,પતેતી,નવરોઝ,ગુરુનાનક જયંતિ, ચેટી ચાંદ, બૈસાખી, પોંગલ, ઓણમ વગેરે જેવા તહેવારો તો ખરા જ!

ખુશાલીના તહેવાર સાથે જ શ્રાદ્ધ પક્ષ,મોહરમ,મહાનુભાવોના નિર્વાણ દિન વગેરે જેવાં કેટલાંક દુ:ખ કે માતમના પ્રસંગો પણ ઉજવવાનું વલણ તો મારા ખ્યાલથી ભારતમાં જ જોવા મળતું હશે!

આ તહેવારો જ આપણાં જીવનને આનંદમય બનાવી રાખી કંટાળા અને દુ:ખો કે પરેશાનીઓથી થોડા સમય માટે આઝાદીનો અહેસાસ કરાવે છે.જો તહેવારો ન હોત તો આપણું જીવન કેટલું બોરીંગ અને મોનોટોનસ બની રહેત એ વિચાર આવતાં પણ હું ધ્રુજી ઉઠું છું!

આપણે સૌએ દરેક તહેવાર ઉત્સાહ,ઉમંગ અને જોશભેર અને ખરા મનથી ઉજવવો જોઇએ એ જ જીવન જીવવાની સાચી રીત છે!

સોમવાર, 24 ઑક્ટોબર, 2011

હેપ્પી દિવાળી…હેપ્પી ન્યુ યર!!!

                  કહે છે ને અંત ધમાકેદાર હોવો જોઇએ! આ પ્રથાને જ આપણું હિન્દુ કેલેન્ડર અનુસરતું હોય એમ લાગે છે! હિન્દુ વર્ષનો છેલ્લો તહેવાર દિવાળી ખરા અર્થમાં ધમાકેદાર રીતે આપણે સૌ ઉજવીએ છીએ. ફટાકડા ફોડી, ઘરોને સાફસુથરા કરી દઈ - રંગરોગાનથી ચકાચક બનાવી દઈ, ઝગમગતા દિવડાઓનો પ્રકાશ રેલાવી તેમજ કંડીલ જેવી કૃત્રિમ પણ સુંદર રોશની દ્વારા, આંગણે જાતજાતની કલાત્મક સુશોભિત રંગોળી બનાવી, પોતે નવા વાઘા પહેરી, પરિવાર માટે ઘણું બધું શોપિંગ કરી, એકબીજાને મીઠાઈ તથા શુભેચ્છાઓનું આદાનપ્રદાન કરી, પોતના કર્મચારી વર્ગને બોનસ કે ભેટસોગાદની લહાણી કરી વગેરે વગેરે...આટલું લાંબુ લિસ્ટ લખ્યું હોવા છતાં મને ખાતરી છે હજી આ યાદીમાં હું થોડી ઘણી આઈટમ ચૂકી ગયો હોઈશ! આવો ધમાકેદાર તહેવાર છે દિવાળી! વર્ષના ક્લાઈમેક્સ જેવો! તહેવારોના રાજા તરીકે દિવાળીને લેખાવીએ તો એ યથા યોગ્ય જ ગણાશે!


                ભારતની પ્રજા તો ઉત્સવપ્રિય છે જ! જેમ હિન્દુ કેલેન્ડરમાં વર્ષનો અંત તહેવારથી આવે તેમજ વર્ષની શરૂઆત પણ તહેવારથી જ થાય! નવા વર્ષની શરૂઆત આપણે સાલમુબારકની શુભેચ્છા એક બીજાને પાઠવીને હર્ષોલ્લાસ સાથે તહેવારની જેમજ ઉજવીને કરીએ છીએ! હવે કદાચ થોડું ઘણું પરિવર્તન આવ્યું હશે પણ મને યાદ છે હું જ્યારે શાળામાં જતો એવડો હતો ત્યાં સુધી (વીસ-પચ્ચીસ વર્ષ પહેલાં) નવા વર્ષનો સપરમો દિવસ ખૂબ વિશિષ્ટ રીતે ઉજવાતો. મને રંગોળી બનાવવાનો ખૂબ શોખ એટલે દિવાળીની રાતે રંગોળી પાડવા માટે ઘરના આંગણાની જમીન પર ગેરુના ગાંગડાને પાણીમાં બોળી લાલાશભર્યા માટીના રંગનું ચોરસ બનાવવાનું અને પછી એ સૂકાય ત્યાં સુધી ફટાકડા ફોડવાની મજા માણવાની! પછી આવીને ગેરુવાળા ચોરસ પર સફેદ ચિરોટીથી ટપકાં પાડવાના અને રંગોળીની ડિઝાઈનની ચોપડીમાંથી પસંદ કરેલી એકાદ મોટી રંગોળી બનાવવાની પછી એમાં રંગ પૂરવાનાં. આમાં જ રાતના એક-દોઢ વાગી જાય પછી તો બીજા દિવસે નવું વર્ષ હોય એટલે સવારે ચાર-પાંચ વાગે ઉઠી જવાનું નવા નક્કોર સિવડાવેલા કપડાની જોડી ઠઠાવવાની. વહેલી સવાર શુકન અને આસોપાલવના તોરણ વેચવા નિકળેલી બાઈ પાસેથી મમ્મી એ ખરીદે અને તોરણ ઘરનાં બારણે ટાંગે. તૈયાર થઈ ગયા બાદ મારે મંદિરે જઈ ભગવાનના દર્શન કરવાના. ઘરમાં બધા મોટાઓને પગે લાગી તેમના આશિર્વાદ અને 'ભેટ' (અગિયાર,એકવીસ કે એકાવન રૂપિયા) મેળવવાના. પછી ચાલીના મિત્રોની મોટી ફોજ બનાવી નિકળી પડવાનું પોતપોતાની તેમજ આજુબાજુની દરેક ચાલીના બધા ઘરોમાં સાલ મુબારક વિશ કરવા! દરેક જણે ઘરમાં ટેબલ પર સરસ પાત્ર કે થાળી કે વાડકામાં જાતજાતની મિઠાઈ,પીપરો,ફરસાણ વગેરે મૂક્યું હોય એ ઝાપટવાનું! પેટ ભરાઈ જાય તેમજ પગ થાકી જાય ત્યાં સુધી આ રીતે મિત્રો સાથે ટોળકીમાં ઘેર-ઘેર ફરીને નૂતન વર્ષાભિનંદન વ્યક્ત કરવાની ખૂબ મજા પડતી. આમાં અજાણ્યાઓના ઘરમાં જઈને પણ ક્યારેક તો સાલમુબારક વિશ થતું અને તેઓ પણ સહર્ષ મિઠાઈ વગેરે બાળકોની ટોળીને હોંશે હોંશે ખવડાવતાં! ઘણાં વર્ષો સુધી મેં આ રીતે જ દિવાળીની છેલ્લી રાત અને નવા વર્ષના પહેલા દિવસ ઉજવ્યા હતાં! મારા સ્મૃતિ પટ પર એ યાદો હજી તાજી છે!

               ફિલ્મની જેમ જ્યારે આ જૂની યાદો તાજી કરી રહ્યો છું ત્યારે ફિલ્મી ઢબે જ ચાલો થોડાં રિવર્સમાં જઈએ! ભાઈબીજથી પાછાં દિવાળીની શરૂઆત તરફ!

              ખરી રીતે તો પાંચ દિવસના દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસથી થતી હોવા છતાં આપણે ત્યાં તો અગિયારસથી જ દિવાળીની ઉજવણીની શરૂઆત થઈ જાય. આમ દિવાળી ખાસ્સો લાંબો તહેવાર ગણી શકાય! વાઘબારસ પણ દિવાળીના પ્રકાશપર્વ સાથે જ જોડાયેલો દિવસ. આ દિવસને વાઘ સાથે જોડવાના કારણની તો મને ખબર નથી (જેને ખબર હોય એ મારા તથા બીજા વાચકોની જાણ ખાતર આ બ્લોગના કમેન્ટ તરીકે એ પોસ્ટ કરી શકે છે અથવા મને મારા ઇમેલ એડ્રેસ પર લખી શકે છે.) પણ ઉત્તર ભારતના કેટલાક પ્રદેશોમાં આ દિવસ સ્ત્રીશક્તિને અર્પિત કરી ઉજવવામાં આવે છે અને આ દિવસે સ્ત્રી શક્તિની મહિમા ગાઈ તેમને નવા વસ્ત્રો અને ઘરેણાં ભેટ આપવામાં આવે છે.

               ધનતેરસે લક્ષ્મીપૂજાનું અનેરૂં મહત્વ છે. કાળી ચૌદશે કજિયાકંકાસના વડા ચાર રસ્તે મૂકી આવી ભગવાનને પ્રાર્થના કરવાની કે આવનારા નવા વર્ષમાં એમાંથી અમને મુક્તિ આપજો અને સુખશાંતિ ભર્યું જીવન આપજો. કાળી ચૌદસની રાત અઘોરી બાવાઓ, તાંત્રિકો માટે પણ સ્મશાનમાં જઈ સાધના કરવા માટે પ્રખ્યાત છે.દિવાળીના બધા દિવસોમાં ઘણાં લોકો તંત્ર-મંત્ર-જાપ કરી વિવિધ દેવીદેવતાઓને રીઝવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. દિવાળીની રાતે ચોપડા પૂજન અને આખી રાત સૌથી વધુ ફટાકડા ફૂટતાં હોય છે.

              હિન્દુ વર્ષનો બીજો દિવસ પણ ભાઈબીજનો તહેવાર લઈને આવે. ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધન જેવો જ બીજો પારિવારિક તહેવાર એટલે ભાઈબીજ. આ દિવસે ભાઈ બહેનના ઘેર જમવા જાય અને બહેનને યથાશક્તિ ભેટસોગાદ આપે. રાક્ષસ નરકાસુરને માર્યા બાદ શ્રી ક્રુષ્ણ બહેન સુભદ્રાને ઘેર પધાર્યા ત્યારે સુભદ્રાએ તેમના કપાળ પર તિલક કરી તેમનું ભાવભીનું સ્વાગત કર્યું એ દિવસથી ભાઈબીજ ઉજવાતી હોવાનું મનાય છે.યમ દ્વિતિયા તરીકે પણ ઓળખાતો આ તહેવાર મ્રુત્યુના દેવ યમ અને તેમની બહેન દ્વિતિયાની આ દિવસે થયેલી ખાસ મુલાકાતની યાદમાં મનાવાતી હોવાની પણ એક લોકકથા પ્રખ્યાત છે. બહેન ભાઈબીજના દિવસે ભાઈના લાંબા આયુષ્ય અને સુખી જીવન તેમજ સારા આરોગ્ય માટે પ્રાર્થના કરે છે.

             ભારતની ઉત્સવપ્રિય પ્રજા માટે દિવાળી વર્ષનો અંતિમ તહેવાર હોવા છતાં નવું વર્ષ પણ આ બાબતે તેમને નિરાશ કરતું નથી! નવું વર્ષ પણ ભાઈબીજથી તો ફક્ત શરૂઆત કરી, આપણાં સૌ માટે ઢગલાબંધ તહેવારો લઈને આવે છે જે સમયાંતરે આપણાં જીવનને નીરસ બનતું અટકાવી તેમાં આનંદ અને ઉત્સાહના રંગો ભરતું રહે છે.આ અન્ય તહેવારો વિષે વાત કરીશું આવતા બ્લોગમાં...

…ત્યાં સુધી સૌને હેપ્પી દિવાળી અને હેપ્પી ન્યુ યર!!!

રવિવાર, 16 ઑક્ટોબર, 2011

માણસના શરીરમાં ભગવાન : પ્રતિભાવ

[ગયા અઠવાડિયાના ગેસ્ટબ્લોગ અગાઉના રવિવારે મેં માણસના શરીરમાં ઇશ્વર પ્રવેશે એ પ્રશ્ન છેડી આ વિષય પર મારા વિચારો લખ્યાં હતાં તેના અનુસંધાનમાં કેટલાક વાચકમિત્રોએ મૂળ બ્લોગ પર જે કમેન્ટ્સ લખી હતી તે આજે 'બ્લોગને ઝરૂખેથી...'માં વાંચીએ.]



આ વિષય એવો છે જેની ચર્ચાનો કદી અંત જ ન આવે!

હું માનું છું કે આ વિષયને અનેક દ્રષ્ટીથી જોઈ શકાય અને જો બધાં લોકોને આપણે એકસરખા ગણીએ તો એ અયોગ્ય લેખાશે.આ પ્રકારનું વર્તન કરનાર દરેક વ્યક્તિ ઢોંગી કે ખોટી નથી હોતી અને દરેક આવું વર્તન કરનારી દરેક વ્યક્તિ સાચી પણ નથી હોતી.

હું ક્યારેય એવી કોઈ વ્યક્તિને મળ્યો નથી જેની પાસે અલૌકિક કે જાદૂઈ શક્તિઓ હોય કે જેને માતાજી આવતા હોય.એવી કોઈ વ્યક્તિના સંપર્કમાં હું હજી સુધી આવ્યો નથી જેના શરીરમાં ભગવાન આવતા હોય અને જે દુ:ખિયારાઓને ચોખાના દાણા કે ભસ્મ આપી કે તેમને આશિર્વાદ આપી તેમના દુ:ખડા દૂર કરતી હોય.

પણ હું જ્યારે આવી વ્યક્તિઓ વિષે વિચારૂ છું ત્યારે મને લાગે છે જ્યાં સુધી આવી વ્યક્તિઓ લોકો પાસેથી પૈસા કે ભેટસોગાદો સ્વીકાર્યા વિના ફક્ત સમાજસેવા ખાતર આવી પ્રવૃત્તિઓ કરતી હોય ત્યાં સુધી એમાં કંઈ ખોટુ નથી. ઉલટું આવી વ્યક્તિઓ એવાં ઘણાં લોકો માટે આશાના છેલ્લા કિરણ સમાન બની રહેતી હોય છે જેઓ પોતાની અસાધ્ય બિમારી કે લાંબા ગાળાની કમનસીબી કે પનોતી દૂર કરવા માટે શક્ય એટલા દરેક નિષ્ફળ પ્રયાસ કરી ચૂક્યા હોય છે.

ભલે આવા, ભગવાન પોતાના શરીરમાં આવતા હોવાનો દાવો કરનાર વ્યક્તિએ આપેલ ચોખા કે લોકેટ કોઈ અસાધ્ય માંદગી કે પનોતી દૂર કરવાની તાકાત ધરાવતા ન હોય પણ તેમનામાં એવું કોઈક 'જાદૂઈ' તત્વ જરૂર હોય છે જે નિરાશ લોકોમાં આશા જીવંત રાખે છે, તેમને વધુ એક પ્રયાસ દ્વારા તેમના દુ:ખ કે આપત્તિમાંથી બહાર આવવા પ્રેરે છે, કોઈ અદ્રષ્ય શક્તિ પોતાની સાથે હોવાનો આભાસ કરાવે છે. આપણે પણ સાયકલ ચલાવતા શીખેલા ત્યારે પાછળ કોઈ અદ્રષ્ય હાથ સાયકલને પકડી આપણને સાચવતા હોવાનો અનુભવ આપણે નથી કર્યો જ્યારે હકીકતમાં ત્યાં કોઈ નહોતું?

પણ જો કોઈ વ્યક્તિ પોતાનામાં ભગવાન આવતા હોવાની વાત ફેલાવી લોકો પાસેથી પૈસા પડાવતી હોય તો તે ક્યારેય સાચી હોતી નથી.

બીજો પણ એક એવા લોકોનો વર્ગ છે જે ક્યારેય પોતાનામાં ભગવાન પ્રવેશતા હોવાનો દાવો નથી કરતાં પણ ઘણી વાર તેમના પર પ્રાર્થના વેળાએ એક ધૂન સવાર થઈ જાય છે અને તેઓ એક સમાધિ જેવી અવસ્થામાં ખોવાઈ જાય છે.મને લાગે છે આ અવસ્થા યોગમાં વપરાતા 'ધ્યાન' કે 'મેડિટેશન' શબ્દ જેવી છે. સામાન્ય રોજબરોજના જીવનમાં પણ આપણે કોઈ વસ્તુનો બારીકાઈથી અભ્યાસ કરીએ ત્યારે કે કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરતી વેળાએ આવી સ્થિતી અનુભવી શકાતી હોય છે. પેલા સમાધિ અવસ્થામાં પહોંચી ગયેલા લોકો પ્રાર્થનામાં તન્મય થઈ ગીત અને ઇશ્વરની તેમના મન સમક્ષ ખડી થયેલી છબીમાં એટલી હદે ખોવાઈ જાય છે કે તેઓ પોતાની જાતને ભૂલી જાય છે અને પોતાની શારીરિક પ્રક્રિયાઓ પરનો કાબૂ પણ ગુમાવી બેસે છે (જે ક્રિયા કે અવસ્થાને તમે તમારા બ્લોગમાં 'ધૂણે છે' એવો શબ્દપ્રયોગ દ્વારા વર્ણવી હતી.)

અહિં પણ જો આ પ્રકારનું વર્તન કોઈ પોતાના અંગત લાભ ખાતર ન કરતું હોય તો મારે મતે એમાં કંઈ નુકસાન કે ખોટુ નથી.

બીજા એક દ્રષ્ટીકોણથી જોઇએ તો ભગવાને માણસના અતિ 'શક્તિશાળી' અને 'બુદ્ધિશાળી' મગજ અને એવા અવયવોની રચના કરી છે જેને વિજ્ઞાન અને તંત્રજ્ઞાને આટલી પ્રગતિ સાધી હોવા છતાં, આજ સુધી કોઈ સંપૂર્ણપણે સમજી શક્યું નથી કે કૃત્રિમ રીતે તેની આબેહૂબ નકલ સર્જી શક્યું નથી. આવા અતિ સંકુલ છતાં સચોટ માનવ શરીરની રચના કરનાર એ જ ભગવાન કેટ્તલાક 'દિવ્ય' શક્તિ ધરાવતા મનુષ્ય કેમ ન સર્જી શકે?

આખરે આવા સાચા કે ખોટા મનુષ્ય વચ્ચેનો ભેદ પારખવા મનુષ્યે પોતાના એ જ શક્તિશાળી મગજનો ઉપયોગ કરવો જોઇએ!

ધન્યવાદ.

- જયેશ જોશી (મલાડ,મુંબઈ)



* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *



મને આ ચર્ચાનો હિસ્સો બનવું ખૂબ ગમશે.

તમે એમ કહેવામાં બિલકુલ સાચા છો કે ભગવાન કદી મનુષ્યના શરીરમાં પ્રવેશી શકે નહિં. કારણ એ તો ત્યાં જ વસે છે...દરેક મનુષ્યના અંતરાત્મામાં.

ઇશ્વર કેટલા શાંતિપ્રિય,પ્રેમાળ અને માયાળુ હોય છે! જ્યારે તમે મધર ટેરેસાને યાદ કરો ત્યારે તમને કેવી લાગણી થાય છે? તેમની આસપાસ એક પ્રકારની આભાનું વર્તુળ રચાતું. તેઓ ઘણી જાહેર જગાઓએ જોવા મળતા પણ તેમણે ક્યારેય પોતાના શરીરમાં ભગવાન પ્રવેશતા હોવાનો દાવો કર્યો નહોતો. છતાં તેમની આસપાસ એક દૈવી તેજવર્તુળ ચોક્કસ અનુભવવા મળતું. જેનામાં ઇશ્વરીય તત્વ હોય તેના ચહેરા પર એક ગજબની શાંતિ અને કાંતિ છવાયેલી હોય છે જે લોકોને તેના તરફ આપોઆપ આકર્ષે છે. ઇશ્વરને મળ્યાના આનંદની અનુભૂતિ તેમને આવી વ્યક્તિને મળીને થાય છે. આનાથી ઉલટું હોય તો બધા એવી વ્યક્તિથી દૂર ભાગે છે.

જ્યારે લોકો ગમે તેવું વિકરાળ કે હિંસક સ્વરૂપ ધારણ કરેલ વ્યક્તિમાં પણ ભગવાન હોવાનું માની તેની પાસે પોતાના દુ:ખડા દૂર કરવાની યાચના કરવા દોડી જાય છે,ત્યારે એ નક્કી છે કે આવા ભોળા(?) લોકો કોઈક આશરો શોધતા હોય છે,પોતાની પ્રાર્થના આવી વ્યક્તિના માધ્યમથી બીજા વિશ્વમાં વસતા ભગવાન સુધી આ રીતે પહોંચશે એવી આશા સાથે.તેઓ કદાચ અન્ય કોઈક પાસેથી પોતે સાચા માર્ગે છે કે નહિં એ વાતની પુષ્ટી મેળવવા ઇચ્છતા હોય છે.પણ આમાં તેઓ કેટલી હદે સફળ થાય છે એ તો ઇશ્વર જ જાણે!

તમે આવા 'ભગવાન' પોતાના શરીરમાં આવતા હોવાનો દાવો કરનારા લોકો પ્રત્યે જે લાગણી ધરાવો છો તેવી જ ઉગ્ર લાગણી હું પણ આવા લોકો પ્રત્યે ધરાવું છું.મેં તો આવા કેટલાક લોકોને તેમના 'વળગાડ' માંથી મુક્ત થતા પણ જોયા છે.

- વીણા ડિસૂઝા (મલાડ, મુંબઈ)



* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *



દરેકને પોતપોતાની આગવી માન્યતા હોય છે,શ્રદ્ધા હોય છે.મારું માનવું છે કે ઇશ્વરનું અસ્તિત્વ હોય છે તેઓ માટે જેઓ તેનામાં આસ્થા રાખે છે.બાકીનાઓ (નાસ્તિકો) માટે આખી આ ચર્ચા વ્યર્થ છે.મારા જેવી વ્યક્તિ માટે પણ આ આખી વાત નિરર્થક છે જે માને છે કે ઇશ્વર પણ માણસ સમાન જ છે.માણસ નહિં તો ઇશ્વર નહિં.પણ જ્યારે 'વળગાડ' ની વાત કરીએ ત્યારે હું માનું છું કે ચોક્કસ તેના મૂળમાં કોઈક વૈજ્ઞાનિક પાયો રહેલો છે.

- મીરા મેનન (કોલકાતા)



મંગળવાર, 4 ઑક્ટોબર, 2011

માણસના શરીરમાં ભગવાન

આ બ્લોગની શરૂઆત મારે એક પ્રશ્ન પૂછીને કરવી છે.શું તમે માનો છો કે માણસના શરીરમાં ભગવાન આવે?તમે ક્યારેક સાંભળ્યું હશે કે કોઈકને માતાજી આવ્યા કે કોઈકને પવન આવ્યો.શું આવું ખરેખર બની શકે? થોડાં સમય અગાઉ સ્ટીફન હોકિંગ નામના વૈજ્ઞાનિકે તો બ્રહ્માંડનું સર્જન પણ ઇશ્વર દ્વારા નહિં થયું હોવાનો દાવો કરી ઇશ્વરના અસ્તિત્વ અંગે જ પ્રશ્નાર્થ ઉભો કર્યો છે ત્યારે ઇશ્વર પામર માનવીના નશ્વર દેહમાં આવે એ વાતમાં તમે વિશ્વાસ ધરાવો છો? હું ઇશ્વરના અસ્તિત્વમાં ચોક્કસ વિશ્વાસ ધરાવું છું. હું પ્રાર્થનામાં પણ શ્રદ્ધા રાખું છું અને અનિયમિતપણે પણ તે કરતો રહું છું. હું મંદિરોમાં પણ જાઉં છું. મેં પણ ઘણી વાર સાંભળ્યું અને પ્રત્યક્ષ જોયું છે કે કેટલીક વ્યક્તિઓ ધૂણે છે, તેમના શરીરમાં માતાજી કે પવન આવે છે. આવી કેટલીક મેં અનુભવેલી વાતો આ બ્લોગ થકી મારે તમારી સાથે શેર કરવી છે. હું નાનો હતો ત્યારે એક બહેનના ઘરે ગયાનું યાદ આવે છે જેમના શરીરમાં કાળકામા આવતા. એમના ઘેર ભક્તોની ભીડ સદાયે લાગી રહેતી. આ બહેનના સંદર્ભમાં એક ખાસ વાત મેં સાંભળી હતી. કાળી ચૌદસની રાતે તેઓ સાવ જુદૂ જ રૂપ ધારણ કરતા. તે એક પગ આખો અને બીજો અડધો વાળી ખાસ રીતે બેસતા અને તેમની જીભ એ રાતે એટલી બધી બહાર નિકળી જતી કે જોનાર તેમનું આ રૌદ્ર ભયાનક સ્વરૂપ જોઈને ડરી જાય.સામાન્ય એવો કોઈ માણસ પોતાની જીભ આટલી બહાર ન કાઢી શકે. એ રાત્રે તેઓ માથાના વાળ છૂટ્ટા રાખતા અને કપાળે મોટ્ટો લાલ ચાંદલો કરતા. કાળકા માનું સાક્ષાત સ્વરૂપ જ જોઈ લ્યો! તેમનું આખુ શરીર એ વખતે ધ્રુજતું હોય અને તેઓ પોતાનું માથુ અતિ ઝડપથી ગોળ ગોળ ફેરવતા જાય. પોચા હ્રદયની કોઈ વ્યક્તિનું એક બહેનનું આવું વિકરાળ સ્વરૂપ જોવાનું કામ નહિં! આ રાતે તેમનું ઘર તો ભક્તોની ભીડથી ભરેલું જ હોય પણ તેમના પાડોશીઓના ઘેર પણ ભક્તો કતારમાં બેઠા હોય.
મારો એક મિત્ર અંબામા અને ગણપતિનો મોટો ભક્ત અને નવરાત્રિ તેમજ ગણેશોત્સવ દરમ્યાન તેના ઘેર તે વિધીવત દેવી અને બાપ્પાની સ્થાપના અને ઉપાસના કરે અને આ પર્વો ધામધૂમથી ઉત્સાહપૂર્વક ઉજવે.મેં ઘણી વાર તેના ઘેર આ ઉત્સવો દરમ્યાન આરતીમાં હાજરી આપી છે.તે દેવી અને બાપા બન્નેની આરતી ચોપડીમાંથી વાંચ્યા વગર મોઢે જ ગાય અને પછી સંસ્કૃતમાં શ્લોકો પણ ઉચ્ચારે.અને આરતીને અંતે એ ધૂણે. ધૂણે એટલે રીતસર માથુ જોર જોરથી ગોળ ગોળ ઘૂમાવી તેના શરીરમાં પવન આવ્યો હોય તેમ વર્તે. મારો આ મિત્ર મારી જ ઉંમરનો અને ભણેલોગણેલો યુવાન છે. તે ધૂણે ત્યારે અમારે બધાએ બાજુમાં ખસી જઈ તેને જગા કરી આપવી પડે એટલી પ્રચંડ તાકાત લગાડી તે ધૂણે અને ઘૂમે. મારા સગાઓમાં પણ એકના જણાવ્યા મુજબ તેમના શરીરમાં મેલડીમા તો બીજાના કહેવા મુજબ તેમના દેહમાં ભુવનેશ્વરીમા પ્રવેશે છે.પપ્પાના એક મિત્ર ઇચ્છે ત્યારે પોતાના શરીરમાં આશાપુરામાને બોલાવી શકે છે.આ બધી વ્યક્તિઓને તેમના શરીરમાં ભગવાન આવે ત્યારે તેમનાથી ઘણી મોટી વયના લોકો પણ તેમને સાષ્ટાંગ પ્રણામ કરી તેમના આશીર્વાદ યાચે. આ બધી વ્યક્તિઓ જેમના શરીરમાં માતાજી આવે છે તેમના હાથ સતત ધ્રૂજતા હોય ક્યારેક આંખો ગોળ ગોળ ફરતી હોય અને તેઓ ઘણી વાર તો હિંસક સ્વરૂપ પણ ધારણ કરી સામે વાળાને તમાચો લગાવી દે અથવા ઘણી વાર એવા જૂના પ્રસંગો કહી સંભળાવે જ્યાં તેઓ પોતે હાજર નહોતા. હું આ બાબતમાં માનતો નથી.હું નાનપણમાં આ બધી વાતોમાં વિશ્વાસ ધરાવતો હતો પણ હવે મારું મન આ બધી વાતો સાચી હોય એ માનવા તૈયાર થતું નથી.હું દસમાં ધોરણની બોર્ડ પરીક્ષા વખતે, જેમનાં દેહમાં માતાજી આવતા હતા, એવા એક બહેનના દર્શન-આશિર્વાદ માટે ગયો હતો અને તેમણે આપેલા ચોખા મેં બધી પરીક્ષાઓ લખતી વખતે મારી પાસે જ રાખ્યા હતા.મને એ બોર્ડ પરીક્ષામાં ૯૦.૮૫ ટકા જેટલા ઉચ્ચ ગુણાંક પણ પ્રાપ્ત થયા હતા પણ આજે હું માનું છું કે એ મારી મહેનત (અને સદનસીબ)ને લીધે જ પ્રાપ્ત થયા હશે. નહિંતર મારા એક કઝિને પણ એ જ બહેનના આશીર્વાદ લઈ તેમના ચોખા મારી જેમજ પોતાની પાસે રાખ્યા હતા છતા એ કેમ નાપાસ થયો? આજે હું દ્રઢપણે માનું છું કે માનવ જેવા તુચ્છ જીવના શરીરમાં પરમાત્મા પ્રવેશે એ વાતમાં બિલકુલ તથ્ય નથી. માણસ ઇચ્છે ત્યારે તેના શરીરમાં આવી જાય એટલો સસ્તો છે ઇશ્વર? માણસ જેટલો પાપી અને દુષ્ટ આ પૃથ્વી પર બીજો કોઈ જીવ નથી તો સર્વગુણસંપન્ન પરમાત્મા પામર માનવીના દેહમાં એ દ્રષ્ટીએ પણ પ્રવેશે નહિં. મારા મતે આ એક માનસિક અવસ્થા છે જ્યારે વ્યક્તિ એવું માનવા માંડે છે કે તેના શરીરમાં દૈવી શક્તિ પ્રવેશી છે અને તેની અસર એટલી પ્રભાવક હોય છે કે તે વ્યક્તિનું શરીર પણ તેને સાથ આપવા માંડે અને તેનામાં વધારાની શક્તિ આવી જાય. આ વિષય પર મેં ક્યાંક વાંચેલું કે કેટલીક વ્યક્તિઓ બીજાઓનું ધ્યાન ખેંચવા કે માન અને મહત્વ મેળવવા માટે પણ આવું વર્તન જાણી જોઈને કરતી હોઈ શકે.પોતાની કોઈ ક્ષતિ કે લઘુતા ગ્રંથિથી પીડાઈને પણ વ્યક્તિના મનનો એક ભાગ તેને આમ કરવા પ્રેરતો હોઈ શકે. મનુષ્યના મનની પ્રચંડ તાકાત વિષે તો તમે જાણતા જ હશો.માતાજી આવ્યા હોય એ વખતે આ સુષુપ્ત તાકાત કામ કરવા માંડે એમ બની શકે. જ્યારે આવી વ્યક્તિ પોતાના અંગત સ્વાર્થથી પ્રેરાઈને લોકોને છેતરવા માટે પરમેશ્વરની પોતાની કાયામાં પ્રવેશના ગપગોળા ફેંકી (અશોક જાડેજા યાદ છે ને જે પોતાના શરીરમાં માતાજી આવે છે એવું તૂત ચલાવી લોકોના લાખો રૂપિયા ચાંઉ કરી ગયેલો અને પછી પોલિસે તેની ધરપકડ કરેલી) ત્યારે એ ખોટુ અને અક્ષમ્ય અપરાધ જેવું ગણાય.લોકોએ શ્રદ્ધા રાખવી પણ અંધશ્રદ્ધા રાખી કોઈ મનુષ્યને જ ભગવાન માની બેસવાની ભૂલ કરવી જોઈએ નહિં. તમારું શું માનવું છે?