Translate

રવિવાર, 22 સપ્ટેમ્બર, 2019

ગટર સાફ કરતાં મનુષ્યોના મૃત્યુ

     માર્ચ ૨૦૧૯ માં વારાણસીમાં ગટર સાફ કરતાં બે યુવા સફાઈ કર્મચારીઓના મોત. વિચિત્ર જણાય એવી આ દુર્ઘટનામાં તેઓ ચારેક ફૂટ ઉંડી ગટર સાફ કરવા ઉતર્યા ત્યારે બાજુમાં ઘણાં સમયથી ન ઉપડાયેલ કચરાનો ઢગલો ગટરમાં ધસી પડ્યો અને સફાઈ કરવા ઉતરેલા બે જુવાનજોધ કર્મચારીઓ દટાઈ મર્યા. છ કલાકે તેમના શબ બહાર કાઢી શકાયા.
   થોડાં જ દિવસ બાદ, તામિલનાડુના શ્રીપેરૂમ્બૂદૂર ખાતે નેમિલિના એક ખાનગી એપાર્ટમેંટની સેપ્ટિક ટેન્ક સાફ કરતાં છ સફાઈ મજૂરો મોતને ભેટયા. ઝેરી મિથેન વાયુ શ્વાસમાં લેતા ગૂંગળાઈને તેમનું મૃત્યુ થયું હતું. ચાર જણને તકલીફ થતાં બીજા બે તો તેમને બચાવવા ગટરમાં ઉતર્યા હતાં અને પોતે પણ મૃત્યુ પામ્યાં. અહીં કોઈ જ પ્રકારના સુરક્ષિતતાના સાધનો વગર ગટરમાં ઉતરતા તેમના મોત થયાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. મોત પામેલામાંથી ત્રણ તો એક જ કુટુંબના  સભ્યો હતાં.
     એપ્રિલ ૨૦૧૯માં ગુરુગ્રામના નરસિંહપુરની એક ઓટો મોબાઇલ  કંપનીની સેપ્ટિક ટેન્ક સાફ કરતા બે જણે જીવ ગુમાવ્યો.
     મે ૨૦૧૯માં ઉત્તર પ્રદેશના નોઈડામાં ૪૦ ફૂટ ઉંડી બોરવેલમાં કોઈજ પ્રકારના સુરક્ષાત્મક પગલા લીધા વિના સફાઈ માટે ઉતરેલા બે મજૂરો ગૂંગળાઈને મૃત્યુ પામ્યાં.
       જૂન ૨૦૧૯ માં ગુજરાતના વડોદરામાં એક હોટેલની સેપ્ટિક ટેન્ક સાફ કરતાં સાત જણ મૃત્યુ પામ્યાં. કારણ? હોટલના માલિકો કે સ્ટાફે કે તેઓ જે એજન્સીમાંથી આવ્યા હશે તેમણે એ મૃત સાત જણની સુરક્ષિતતા અંગે કોઈ દરકાર કરી નહોતી,તેમને સેફટી જેકેટસ પૂરા પાડવા કે પહેરવાની ફરજ પાડી નહોતી.
     અત્રે નોંધનીય છે કે મેલું ઉપાડવાની પ્રથા તો આપણાં દેશમાં વર્ષોથી પ્રતિબંધિત છે,છતાં આ રીતે મોતને ભેટતા સફાઈ કામદારો કે મજૂરોના સમાચાર દર મહિને દેશ ભરમાંથી આવતા રહે છે.
      નેશનલ કમિશન ફોર સફાઈ કર્મચારીસ (NCSK) ના જણાવ્યાં અનુસાર ૧૯૯૩થી દેશમાં ગટરની સફાઈ કરતી વેળાએ મૃત્યુ પામેલા સફાઈ કામદારોનો સત્તાવાર આંક ૮૦૧ નો છે.અન્ય એક અહેવાલ મુજબ ૨૦૧૦ અને ૨૦૧૭ વચ્ચે આશરે ૧૪૭૦ સફાઈ કામદારોના સફાઈ કામ કરતા મોત થયા છે. એવો એક અંદાજ છે કે દેશમાં લગભગ ૧.૮ લાખ માણસો આ સફાઈ કામ સાથે સંકળાયેલા છે. દરેક રાજ્યને સૂચના આપવામાં આવી છે કે ગટર સાફ કરતી વેળાએ સફાઈ કર્મચારીઓને ફરજીયાત સુરક્ષા સાધનો પૂરા પાડવામાં આવે. પરંતુ આ સૂચનાનું પાલન થતું નથી અને એટલે જ આજ પર્યંત આવી દુર્ઘટનામાં મોતને ભેટતા કર્મચારીઓના સમાચાર નિયમિત રીતે અલગ અલગ જગાઓથી આવતા રહે છે.
   કોણ જવાબદાર છે આ નિર્દોષ મનુષ્યોના મૃત્યુ બદલ? સફાઈનું ઉત્તમ કામ કરતા લોકો પ્રત્યે કાળજીની ઉદાસીનતા? બેદરકારી? સુરક્ષાના સાધનો પાછળ થનાર ખર્ચ બચાવવાની લાલચ?
     મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેર પર્સન આનંદ મહિન્દ્રાએ આ બાબત અંગે ઉંડા દુ:ખ અને રોષની લાગણી પ્રકટ કરતા ટ્વીટ કર્યું હતું કે "બસ હવે બહુ થયું. માનવ જીવનનું આ હદે અવમૂલ્યન હવે બહુ થયું. મેં અગાઉ પણ એક ઓટોમેટિક સફાઈ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા રોબોટ મશિન - બેન્ડીકૂટ અંગે ટ્વીટ કર્યું હતું. આવા બીજા પણ મશિન બજારમાં ઉપલબ્ધ છે. કોણ રોકે છે તેનો મોટે પાયે ઉપયોગ કરતા આપણને? જો એનું મોટે પાયે ઉત્પાદન કરવા નાણાંની જરૂર હોય તો હું એ માટે તૈયાર છું. "
    બેન્ડીકૂટ કેરળના એંજીનિયર યુવાનોએ તૈયાર કરેલું રોબોટ મશિન છે જે કરોળિયા જેવા આકારનું છે અને તેનું એક યૂનિટ મેનહોલ માં ઉતરી સફાઈનું કામ કરે છે જ્યારે બીજું યૂનિટ બહાર માનવ દ્વારા સંચાલિત હોય છે જે ગટરમાં ઉતારેલા યૂનિટને કંટ્રોલ કરે છે.આ મશિન રોબોટ પોતાની મેળે ગટરનું ઢાંકણું ખોલે છે, ગટરમાં ઉતરે છે અને અસરકારક રીતે સફાઈનું કામ ૧૫ થી ૪૫ મિનિટમાં પૂર્ણ કરે છે.
કેરળના એંજીનિયર યુવાનોએ જેનરોબોટિકસ નામની કંપની સ્થાપી છે જેનો આશય માનવ દ્વારા થતા મળસફાઈ કે ગટર સફાઈના કામનો અંત આણવાનો છે. થીરૂવંતપુરમમાં પ્લાસ્ટિક, કચરો અને મેડિકલ વેસ્ટ ભરેલા પાંચ મેનહોલ સફળતાપૂર્વક બેન્ડીકૂટ દ્વારા સાફ કરાઈ ચૂક્યા છે. જેનરોબોટિકસના ૨૫ વર્ષીય સી. ઈ. ઓ. કહે છે કે હવે મેનહોલ ને રોબોહોલ માં બદલી નાખવાનો સમય આવી ગયો છે. રોબોટને ગટર ના ઝેરી વાયુ, ઓક્સિજન નો અભાવ, ગરમી કે અમાનવીય પરિસ્થિતિ નડતા નથી. એ સફાઈ કર્મચારીઓને માટે અતિ જરૂરી એવા સુરક્ષા ટોપી, સુરક્ષા જેકેટ, મોજા કે માસ્કસ વગર કામ કરી શકે છે. સફાઈ કર્મચારીઓની જાનના ખતરા અને અમાનવીય કામ ની સમસ્યા સામે બેન્ડીકૂટ જેવો ઉકેલ આશાના કિરણ સમાન છે.
       આશા સેવીએ કે દેશભરમાં ગટરોની સફાઈ માટે હવે ઓટોમેટિક રોબોટ મશીનોનો જ ઉપયોગ થાય અને સફાઈ કર્મચારી તેને ઓપરેટ કરવાનું કામ કરે નહીં કે સુરક્ષા સાધનો વગર ગટરમાં ઉતરવાનું.

સોમવાર, 16 સપ્ટેમ્બર, 2019

ગેસ્ટ બ્લૉગ : વિસર્જન

       સંતાનનો જન્મ થતાં જ ચારેબાજુ આનંદની લહેરો ઉઠે. બરફી અને પેંડા વહેંચાય. ગીતો ગવડાવાય. અભિનંદનની વર્ષા થાય. એટલું જ નહીં, હર વર્ષે એ જન્મદિન અલગ અલગ રીતે ધામધૂમથી ઉજવાય. પણ મૃત્યુ દિન આવે ત્યારે બધાં જ વાંચેલું ભૂલી જાય. જન્મ છે તેનું મૃત્યુ છે. નામ છે તેનો નાશ છે. મૃત્યુ એ પૂર્ણવિરામ નથી પણ બીજા જીવનની શરૂઆત છે. મૃત્યુ એ જૂના કપડાં ત્યજીને નવા કપડાં ધારણ કરવાનો અવસર છે. આ સત્ય સમજવા હોવા છતાં પણ નાસમજ બની જઈએ. મૃત્યુ એ પણ મહોત્સવ છે ને એનો હસતાં હસતાં સ્વીકાર કરવાને બદલે આંસુઓ અને શોકથી વાતાવરણને ભારેખમ બનાવી દઇએ. આ ભારેખમતાને હળવાશમાં બદલવા માટે અને મૃત્યુના મર્મને સમજવા માટે ગણપતિ વિસર્જનની શરૂઆત થઈ. ગણપતિ બાપાનું આગમન ઘણાં જ ધામધૂમથી કરવામાં આવે. નાચતાં નાચતાં અને ઢોલ નગારા વગાડતાં ગણપતિ બાપાને ઘરે લાવવામાં આવે. ઘરે લાવેલા ભગવાનની અનન્ય શ્રદ્ધાથી પૂજા થાય. દસ દસ દિવસ સુધી આનંદની હેલી ઉઠે. ભક્તિ ભાવનાની મહેક પ્રસરે. દસ દિવસ બાદ એ જ ગણપતિ બાપાનું એટલી જ ધામધૂમથી વિસર્જન કરવામાં આવે.  પંચ મહાભૂતમાંથી બનેલો દેહ પંચ મહાભૂતમાં જ વિલીન થવાનો છે એ વાતનો સાક્ષાત્કાર ગણેશજીને જળરાશિમાં વિસર્જિત કરીને થાય. બાપાના વિસર્જન વખતે 'બાપા મોરિયા' અને પુઢચ્યા વર્ષી લવકર યા' નાં નારાઓ ગૂંજે. વિદાય આપતાં દિલ કદાચ રડતું હોય છે પણ બાપા ફરી પાછાં આવતા વર્ષે આવવાનાં છે એની ખુશી મુખ પર છલકતી હોય છે. ગણપતિનાં પુનરાગમન માટે તો વર્ષની રાહ જોવી પડે જ્યારે આ જીવને તો ફરી જન્મ લેવા માટે એક પળની પણ રાહ નથી જોવી પડતી. મૃત્યુ થતાંની સાથે જ જીવ બીજા રૂપે જન્મી જતો હોય છે. આમ મૃત્યુ એ માત્ર પરિવર્તન છે. આ પરિવર્તનની ઘટનાને અનેક રીતે અમર બનાવી શકાય. નેત્રદાન કરીને અન્ય વ્યક્તિને દ્રષ્ટિ આપી આપણે દુનિયાને ફરીથી નિહાળી શકીએ. ત્વચાદાન કરીને અન્ય વ્યક્તિ  દ્વારા ફરી સ્પર્શની દુનિયાનો અહેસાસ કરી શકીએ. દેહદાન કરીને  અન્ય વ્યક્તિ દ્વારા ફરી જીવંતતાની અનૂભુતિ કરી શકીએ. કદાચ કોઈ અકળ કારણસર આપણે જો આ દેહ કે દેહના અંગોનું દાન ન કરી શકતા હોઈએ તો મૃત્યુ પહેલાં સહુને એટલું તો જરૂરથી કહી શકીએ કે મારા મૃત્યુ પછી શોકસભા, પ્રાર્થના સભા કે જમણવાર એવા ખોટા ખર્ચા કરવાને બદલે મારો પૈસો સદુપયોગમાં વપરાય એવું કરજો.
૧.   કોઈ ભૂખ્યાને અન્ન આપજો .
૨.   કોઈ તરસ્યાની પ્યાસ બુઝવજો. 
૩.   કોઇ ગરીબને શિક્ષણ અપાવજો. 
૪.   કોઈ બિમારની દવા કરાવજો. 
૫.   કોઈ વિકલાંગ ને આધાર પૂરો પાડજો
૬.   પક્ષીને ચણ અને પાણી આપજો. 
૭.   ગાયને ઘાસ અને પાણી આપજો. 
૮.   એકાદ વૃક્ષનું રોપણ કરજો. 
            એ તૃપ્ત લોકોના હાસ્યમાં, પંખીઓના કલરવમાં, ગાયના ભાંભરવામાં ને વૃક્ષના નવ પલ્લવિત પર્ણમાં હું જીવંત રહીશ .વિસર્જનમાં જ સમાયેલ સર્જનની અનુભૂતિ કરાવી શકીશ. 
    -    રોહિત કાપડિયા

રવિવાર, 8 સપ્ટેમ્બર, 2019

આશા અમર છે

   મિશન મંગલ ફિલ્મ થોડા સમય પહેલાં જોઈ, ખૂબ ગમી. ચંદ્રયાન-૨ લોન્ચ થયા ટાણે જ એની સમયસરની રજૂઆતે મારી જેમ લાખો અન્ય ભારતીયો એ પણ એ જોઈ અને વખાણી. એમાં ભારતીયતા અને દેશભક્તિની પણ છાંટ હતી એટલે એ માત્ર મનોરંજક ન બની રહેતા પ્રેક્ષકોના હ્રદયને પણ સ્પર્શી ગઈ. કોર્પોરેટ જગતમાં કામ કરતાં લોકો માટે પણ એમાં ટીમવર્ક, ખંત, મહેનત, ધીરજ વગેરેના અતિ મોટિવેટીંગ પાઠ છે.
  જો કે આ ફિલ્મ જેણે એ જોઈ એ બધાં - લાખો ભારતીયોના દિલમાં ચંદ્રયાન મિશન અંગે પણ એક ઉત્કંઠા પેદા કરતી ગઈ અને ફિલ્મ જોઈ જેવી 'અડ્રેનલાઇન' રશની લાગણી અનુભવેલી એ રિયલ લાઇફમાં સાચુકલી અનુભવવા શુક્રવારની રાતે એમાંના મોટા ભાગના બે થી ત્રણ વાગ્યા સુધી જાગતા રહ્યાં. અનેક વિદ્યાર્થીઓ ને આ રોમાંચક ક્ષણોનો પ્રત્યક્ષ લહાવો લેવા ઈસરોના હેડ ક્વાર્ટર માં આમંત્રણ અપાયું હતું, આપણાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ અસામાન્ય ઘટનાના ઉચાટભરી મન:સ્થિતી સાથે ત્યાં સાક્ષી બની રહ્યાં. લગભગ બે મહિના જેટલો સમય અવકાશયાત્રામાં વિતાવી ૩૮૪૪૦૦ કિલોમીટર જેટલું અંતર કાપી છેવટે માત્ર બે કિલોમીટર જેટલા અંતરે ચંદ્રયાન૨ ઈસરો સાથે, પૃથ્વી સાથે સંપર્ક ગુમાવી બેઠું અને લાખો લોકો જે તેને ચંદ્ર ના દક્ષિણ ગોળાર્ધ પર સોફ્ટ લેન્ડ થતું જોવા ચાતક નજરે એ ધન્ય ઘડી ની પ્રતીક્ષા કરી રહ્યાં હતાં તેમને નિરાશા સાંપડી.
  પણ એ નિરાશા ક્ષણજીવી નિવડી. કારણ આ નિષ્ફળતા બાદ પણ આ ઘટનાને જે પ્રતિભાવ મળ્યાં તે ખૂબ ખૂબ આવકારદાયક અને હકારાત્મક રહ્યાં. પ્રધાનમંત્રીની ઈસરો અધ્યક્ષને ભેટી મૂક સાંત્વના આપતા વિડિયોને વાયરલ થયો એ હદે લોકોએ જોયો, વખાણ્યો અને  પ્રધાનમંત્રી પ્રત્યે જનતાનું માન ઓર વધી ગયું. તેમણે ઇસરોના શક્ય એટલા બધા વૈજ્ઞાનિકો સાથે હાથ મિલાવ્યાં, શનિવારની સવારે એક અતિ પ્રોત્સાહક અને પ્રેરણાત્મક વક્તવ્ય આપ્યું અને એ તમામ વૈજ્ઞાનિકો અને તેમની અથાક મહેનતને બિરદાવ્યાં. અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને અન્ય બોલીવુડ સ્ટાર્સે પણ ઈસરો ને શાબાશી આપતાં ટ્વીટસ કર્યા. દેશમાં જ નહીં પણ વિદેશી મીડિયામાં પણ ભારતના આ અભિયાનની નોંધ જ ન લેવાઈ પણ તેને એ માટે બિરદાવવામાં આવ્યું.
   થોડા સમય અગાઉ ક્રિકેટ વર્લ્ડકપ મેચમાં ભારતીય ટીમ સેમિફાઇનલમાં હારી ને આવી ત્યાર બાદ પણ આવી જ રીતે તેમના સંનિષ્ઠ પ્રયાસોને આપણે બિરદાવ્યાં હતાં એ યાદ આવી ગયું.
    જ્યારે કોઈ ઘટના અંગે અતિ વધુ ઉત્સુકતા જાગે અને લાખો લોકો એ ઘટનાના અંતિમ સમાપન ની આતુરતા પૂર્વક રાહ જોતા તેના પ્રત્યક્ષ સાક્ષી બની રહ્યા હોય ત્યારે અંતિમ ઘડીએ ફિયાસ્કો થાય એ અતિ દુખદ છે પણ નિરાશામાં પણ આશા છુપાયેલી છે અને મારા જેવા જરૂર કરતા પણ વધુ આશાવાદી ભારતીયના મનમાં હજી એવી આશા છે કે કદાચ સંપર્ક ગુમાવી બેઠેલું ચંદ્રયાન અચાનક ફરી સંપર્કમાં આવી ચડશે, મિશન મંગલ માં બને છે એવી ફિલ્મી રીતે! કાશ એવું સાચે બને!
   પણ એવું બને કે ના બને, સંદેશ એટલો છે કે આશા અમર છે. એક વાર નિષ્ફળતા મળી એટલે કંઈ પાણીમાં થોડી બેસી જવાનું હોય? પડી જાવ તો વાંધો નહીં પણ પડી ગયા પછી ફરી ઉભા થવાનો પ્રયત્ન ના કરો એ ખોટું કહેવાય. પડી ગયા પછી ફરી ઉભા થઈ ચાલવા અને દોડવા માંડવામાં મજા છે, સફળતા આજે નહીં તો કાલે મળશે. ભૂલ તો થાય, એમાંથી પાઠ શીખી તેને સુધારી લેવી એ મહત્વનું છે.
  ઈસરો ટીમ, તમને અભિનંદન તમારા પ્રયત્ન બદલ અને અનેક ગણી શુભેચ્છાઓ રહી ગયેલા બે - એક કિલોમીટર ના અંતર ને પૂરું કરી ચંદ્રની ધરતી પર ભારતનો ઝંડો લહેરાવવા ટૂંક સમયમાં જ!
પ્રધાનમંત્રીશ્રી એ કહ્યું એ પ્રમાણે નવી પ્રભાત ચોક્કસ ઉગશે અને સફળતા ભણી  દોરી  જશે...