Translate

રવિવાર, 27 માર્ચ, 2011

ગેસ્ટ બ્લોગ : 'સ્મિત......એક ઝરણું'

ગેસ્ટ બ્લોગર : કિશોર દવે

પ્રત્યેક વ્યક્તિએ જીવનમાં સ્મિતનો સંગાથ લીધો હશે જ. અને સ્મિતનું વિશાળ સ્વરૂપ એટલે હાસ્ય- એટલે એમ કહેવાની ઈરછા થાય કે સ્મિત એ કલકલ કરતું ઝરણું છે, અને હાસ્ય તે ખળખળાટ દોડતો નદીનો પ્રવાહ છે.


મનુષ્યને જરા પણ ગમતી વસ્તુ થાય કે -પોતાની પસંદગીની વસ્તુ સામે આવે ત્યારે સ્મિત એ સહજ છે. તેનાં ચહેરાનાં સ્નાયુ સ્મિતનું રૂપ લે છે.સ્ત્રીઓના જીવનમાં એક એવો કરૂણ મંગલ પ્રસંગ આવે છે કે જ્યારે કહેવાય છે કે તેની એક આંખમાં હર્ષનાં આસું વહે છે અને એક આંખમાં વેદનાનું સ્મિત નીતરે છે.તે પ્રસંગ એટલે 'કન્યા વિદાય' ; એ પ્રસંગમાં કન્યાને પોતાનું ધર કે જ્યાં તે ઉછરીને મોટી થઈ છેએ ઘરમાં ભાઈ બહેન- માતા પિતા- દાદા દાદીનો પ્રેમ મળ્યો છે

છોડ્તાં દુ;ખ થાય છે એટલે તે વેદનાનું સ્મિત વેરે છે. અને બીજી બાજુ પોતાના નવજીવનની જ્યાં શરૂઆત થવાની છે.એ જાણી બીજી આંખમાં તેને આવનાર સુખની પ્રતિક્ષાનાં આસું આવે છે - તે હર્ષનાં આસું છે. સ્મિતનાં ઝરણાંની વાત કરીએ તો વિશ્નમાં સાચું સ્મિત જોવું હોય તો તે નિર્દોષ નાના બાળકનું- કે જે સ્મિતમાં જીવન છે- આનંદ છે. નિર્દોષ સ્મિતની તસ્વીરો આપણે જોતાં હોઈએ છીએ ત્યારે એટલો આનંદ આવે છે જાણે કે તે તસ્વીર આપણે જોતા જ રહીએ, તે નિર્દોષ સ્મિતની મઝા માણતા જ રહીએ.

સ્મિત એટલે સાંગોપાંગ શુધ્ધતાનું સ્વરૂપ છે. તેમાં કોઈ ભેળ સેળ નથી પર્વતમાંથી નીકળતા ઝ્રરણાંનું પાણી કેટલું શુધ્ધ હોય છે તે તમે કદી જોયું છે? બસ એવીજ શુધ્ધતા-પારદર્શકતા સ્મિતમાં રહેલી છે.પ્રત્યેક માનવી જ્યારે પોતાની મનપસંદ વસ્તુ જુએ છે-માણે છે ત્યારે તે ખડખડાટ હસે પરંતુ તે કરતાં તે માત્ર મીઠુ સ્મિત હોઠ પર લાવીને સામા માણસાને ખુશ કરી શકે છે. એટલે એનો અર્થ એમ નહી કે માણસોએ કદી હાસ્ય ન કરવું પરંતુ માત્ર જરાક હોઠ મલકાવીને વેરેલું સ્મિત પેલા હાસ્ય કરતાં વધુ કામ કરી શકે -સામી વ્યક્તિ પર સંયમની શુધ્ધતાની છાપ પાડી શકે.

આ સર્વમાં કેટલીક વખતે આપણે જોઈ શકીએ છીએ કે જે માનવી પારદર્શક નથી હોતો તેનાં સ્મિતમાં પણ તે કંજુસાઈ કરે છે અને હોઠ પર સ્મિત લાવે તો પણ તે બનાવટી લાગે છે. એટલે માનવીએ એ પ્રકારનાં સ્મિત પારખવાની પણ કળા શીખવી જોઈએ હાસ્યની પણ એક દુનીયા છે આપણા સિધ્ધ હસ્ત લેખકો શ્રી જ્યોતિન્દ્ર દવે, શ્રી ધનસુખલાલ મહેતા, શ્રી તારક મહેતા વગેરેના હાસ્ય લેખ વાંચશું તો તેમાં પણ સ્મિત જેવુંજ શુધ્ધ અને નિર્દોષ હાસ્ય આપણે માણી શકીશું તેમના પ્રત્યેક લેખમાં કાંઈક એવુંજ તત્વ હોય છે કે તમે એકલાં એકલાં તેમનાં પુસ્તકો વાંચશો તો તમે હસ્યા વિના રહી ન શકો!

માનવીના જીવનમાં જ્યારે દુ;ખની પળો આવે છે- ત્યારે સહજ રીતે માનવી આસું સારે છે દુ;ખનો પ્રભાવ વધારે હોય તો જોરજોરથી રડી પડે છે. ત્યારે તેને સાંત્વન આપી શાંત કરવો પડે છે.માનવ જીવનમાં સુખ અને દુ:ખ એ બંને ત્રાજવાનાં બે પલ્લાં છે.એ પલ્લાંને કેમ સમતોલ રાખવા એ માનવીની ફરજ બની રહે છે. સુખ આવે ત્યારે છકી જવું કે બીજાનું અપમાન કરવું અને દુ:ખ આવે ત્યારે માત્ર એકલા બેસી રૂદન કરવું એ યોગ્ય વર્તન નથી.જીવનમાં સુખની પળોને કઈ રીતે માણવી એ આવડવું પણ ખૂબ જરૂરી છે.કેટલીક વખતે બીજાના મુખ પર સુંદર સ્મિત જોઈને આપણાં ચહેરા પર પણ સ્મિત રેલાઈ આવે છે. સુખ અને સંતોષના નિરાળા સ્મિતની તો વાત જ શી કરવી કારણ સુખ અને સંતોષ હોય ત્યાં શાંતિ અને આબાદી પણ હોય જ!આપણે સૌએ એવાં જ કામ કરવા જોઈએ જેના થકી દરેકના ચહેરા પર સ્મિત રેલાય. જીવનમાં એક ખાસ સ્થાન સ્મિત તથા નિર્ભેળ હાસ્યનું છે.કેટલીક વ્યક્તિઓના ચહેરા પર આવું સ્મિત સદાય ફરકતું જ હોય એટલે ગમે ત્યારે કોઈક તસ્વીરકાર આવી વ્યક્તિનો ફોટો પાડે ત્યારે તેણે કહેવું ન પડે કે 'સ્માઈલ પ્લીઝ...' અને આવી વ્યક્તિનો ફોટો જોતાં તમને તેના સ્મિતમાં પેલાં શુદ્ધ અમ્રુત જેવાં પાણીના કલકલાટ કરતાં ઝરણાંનું પ્રતિબિંબ દેખાશે. ચાલો તો આવું સુંદર સ્મિત આપણે બધાં મોઢા પર ધારણ કરી લઈએ!

- કિશોર દવે

રવિવાર, 20 માર્ચ, 2011

‘વર્લ્ડ સ્પેરો ડે’ અને ‘અર્થ અવર’

આજે બે મહત્વની બાબતોની વાત આ બ્લોગ થકી તમારા સૌ સાથે કરવી છે અને સાથે બે અપીલ પણ.


આવતી કાલે એટલે કે ૨૦મી માર્ચે 'વિશ્વ ચકલી દિવસ' (વર્લ્ડ સ્પેરો ડે) મનાવવામાં આવશે. ચકલી નામના નાનકડા નિર્દોષ પંખીથી ભાગ્યે જ કોઈ અજાણ હશે.આપણા દેશમાં એવું કોઈ બાળક નહિં હોય જેણે 'એક હતો ચકો અને એક હતી ચકી...'ની વાર્તા નહિં સાંભળી હોય કે ‘ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહિં? આવશો કે નહિં? …’ આ ગીત ગાયું નહિં હોય! હવે આ નાનકડા પક્ષીનું દુર્ભાગ્ય ગણો તો દુર્ભાગ્ય કે ઇશ્વરે તેને માનવ વસાહત પાસે જ જીવી શકવાની મર્યાદા આપી.જ્યાં મનુષ્યો વસતા હોય તેની આસપાસ જ આ પક્ષી વસી શકે. પણ સૌથી લુચ્ચા અને સ્વાર્થી મનુષ્યે પોતાની જાતિની પરવા નથી કરી એ આ નાનકડા ખેચરના અસ્તિત્વ ટકાવવાની ચિંતા કરે એવી અપેક્ષા પણ શી રીતે રાખી શકાય? આજે કૂદકે ને ભૂસકે વધતી માનવવસ્તિ અને તે સાથે વધી રહેલા શહેરીકરણ,કહેવાતા વિકાસ અને આધુનિક સિમેન્ટ કોંક્રીટના જંગલ તેમજ મોબાઈલ ટાવરોએ આ નાનકડા જીવનું નિકંદન કાઢી નાંખ્યું છે અને તેની સમગ્ર જાતિનું અસ્તિત્વ આજે ભયમાં આવીને ઉભું છે.

તમે ઇચ્છતા હોવ કે તમારી આવનારી પેઢી આ નાનકડા સુંદર જીવને જોવા પામે તો તમે બસ કાલે 'વર્લ્ડ સ્પેરો ડે'ના દિવસથી નિર્ણય લો કે ચકલી તમારા પરિસરમાં,તમારા ઘરની આસપાસ જીવી શકે એવું વાતાવરણ તમે ઉભું કરશો. ગભરાઈ ન જાવ. આ અઘરું નથી. તમારે ફક્ત થોડા ચોખા તમારા ઘરનાં કે બિલ્ડીંગના પ્રાંગણ કે ટેરેસમાં દરરોજ નાંખવાના છે. મેં પણ ભૂતકાળમાં આવા નિયમો ઘણી વાર લીધા છે પણ શરૂઆતના ૫-૬ દિવસ નિયમિતતા પાળ્યા બાદ ફરી એ નિયમ ભૂલાવી દીધા છે. પણ આજે હું પોતે પણ આ નિર્ણય લઉં છું કે રોજ સવારે ચકલી માટે ચણ નાંખીને જ દિવસની શરૂઆત કરીશ. આ સિવાય પણ બીજી થોડી ઘણી નાની નાની વસ્તુઓ અમલમાં મૂકી આપણે આપણાં પાડોશી ચકલી અને બીજાં પારેવડાંઓ માટે ઘણું કરી શકીએ એમ છે. જેમ કે ઘરને નેવે કે ટેરેસમાં એક વાડકા, રકાબી કે યોગ્ય વાસણમાં પાણી મૂકી પંખીઓને બાથ-ટબ કે પીવાનું પાણી પૂરા પાડી શકીએ.આ સિવાય આજકાલ ઈકોફ્રેન્ડલી લાકડામાંથી બનાવેલ તૈયાર ચકલીઘર મળે છે, તે ખરીદી ઘરને છપરે કે ટેરેસમાં મૂકી શકીએ.આ બધાં સૂચનોમાંથી એકાદ પણ અમલમાં મૂકવાની મારી તમને,મારા વાચકને નમ્ર અપીલ છે.

બીજી વાત કરવાની છે ૨૬મી માર્ચે ઉજવવામાં આવનારા ‘Earth Hour’(પ્રુથ્વીને બચાવવા માટેના કલાક) ની. વિશ્વમાં અનેક દેશો સ્વેચ્છાએ રાતે સાડા આઠથી સાડા નવ દરમ્યાન બત્તી બંધ પાળશે. એટલે કે આવતા શનિવારે રાતે આ એક કલાક દરમ્યાન વિશ્વભરમાં અનેક લોકો તેમના ઘરની, ઓફિસોની, શેરીઓની વગેરેની બત્તીઓ કે વિજળીથી ચાલતા તમામ ઉપકરણો બંધ કરી દેશે. ટીપે ટીપે સરોવર ભરાય એ કહેવતને અનુસરતા આ એક કલાક દરમ્યાન લાખો એકમની વિજળી બચાવવામાં આવશે. એમાં પણ તમે સહયોગ આપો એવી મારી સૌને નમ્ર અપીલ છે. વિજળી બચાવી ગ્લોબલ વોર્મિંગ અંગે જાગ્રુતિ ફેલાવવાના આ અનોખા અભિયાનમાં સહભાગી થઈ તમે પર્યાવરણ બચાવવાના ભગીરથ કાર્યમાં તમારો ફૂલ નહિં તો ફૂલની પાંખડી જેટલો ફાળો નોંધાવી શકો તો એ ય ઘણું છે.અને આ વખતે તો WWF સંસ્થાએ લોકોને એક કલાક બત્તી બંધ રાખવાની સાથે સાથે જ પર્યાવરણલક્ષી કોઈક પહેલ સાથે જોડાઈ એ માટે નક્કર પગલા લેવાનું પણ આહ્વાન આપ્યું છે.આ પહેલમાં સામાન્ય બલ્બ કે ટ્યુબલાઈટની જગાએ CFL લાઈટ્સ વાપરવી,વિજળીની બચત કરનારા સ્ટાર રેટેડ ઉપકરણો જ વાપરવા,કાર્બન એમિશન ઘટાડવું,ગ્રીન બિઝનેસને પ્રોત્સાહન આપવું જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ વિષેની વધુ માહિતી તમે http://www.facebook.com/earthhourindia આ વેબસાઈટ પર મેળવી શકો છો અને અહિં તમે ઉપરોક્ત જણાવ્યાં મુજબના કોઈ એક પગલાંને અનુસરવાની ઓનલાઈન પ્રતિજ્ઞા પણ લઈ શકો છો. તો મારી તમને આ બીજી અપીલ છે શનિવારે ૨૬મી માર્ચે રાતે સાડા આઠથી સાડા નવ દરમ્યાન તમારા ઘરની મેઇન સ્વીચ બંધ કરી સ્વેચ્છએ બત્તીબંધ પાળવાના આ અભિયાનમાં જોડાવાની. માનશો ને મારું આટલું કહ્યું???

બુધવાર, 9 માર્ચ, 2011

ભાગીને લગ્ન

થોડા સમય પહેલાં એક કિસ્સો સાંભળવામાં આવ્યો.એક ગુજરાતી બ્રાહ્મણ યુવક એક જૈન મારવાડી બુકીની છોકરીને ભગાડી ગયો. આ કિસ્સામાં પણ યુવક-યુવતિ ભાગ્યા હતાં તો પરસ્પરની સંમતિથી જ,છતાં કહેવાય એમ કે છોકરો ભગાડી ગયો.હવે છોકરીનો બાપ થોડા બીજા પણ આડા અવળા ધંધા ધરાવતો હતો અને તેણે ધમકી આપી કે તે પોતાની દિકરીને ભગાડી જનાર યુવકને જીવતો નહિં છોડે.પછી એણે ખરેખર એમ કર્યું કે નહિં એતો ખબર નથી પણ આજે આ બ્લોગ થકી આ એક અતિ સંવેદનશીલ મુદ્દો ચર્ચવો છે.


જ્યારે કોઈ યુવક ભોળી અને નાદાન એવી યુવતિને બદ ઇરાદાથી ભગાડી જાય ત્યારે એ તો ચોક્કસ ખોટું જ ગણાય પણ ઘણાં કિસ્સઓમાં માબાપ બન્ને યુવક-યુવતિ એકબીજા માટે યોગ્ય હોય,એકબીજાને પસંદ કરતા હોય અને લગ્ન કરી સાથે જીવન ગુજારવા માગતા હોય તો એમાં ખોટું શું છે?ફક્ત ગ્ન્યાતિ જુદી હોવા જેવી ક્ષુલ્લક બાબતને લીધે અથવા પોતે જ પોતાના સંતાન માટે યોગ્ય સાથીની પસંદગીનો દુરાગ્રહ સેવી માબાપ તેમના સંતાનોનો વિરોધ કરે ત્યારે તે સંતાનો પાસે ભાગી જવા સિવાય બીજો વિકલ્પ બચે છે ખરો?શા માટે આવું જક્કી વલણ અપનાવવું જોઇએ માબાપે.

મારી ઓફિસમાં મારી સાથે જ કામ કરતા એક ઉત્તરભારતીય યુવકની પ્રેમકહાણી સંભળાવું.તમને એમાં ચોક્કસ રસ પડશે.તેને પોતાનાથી તદ્દન ભિન્ન સંસ્કૃતિ ધરાવતી પંજાબી યુવતિ સાથે પ્રેમ થઈ ગયો.સારો અભ્યાસ કર્યા બાદ ભારતની અગ્રગણ્ય કંપનીઓમાં સારા સ્થાને નોકરી કરી પ્રમાણમાં સારો કહી શકાય એવો પગાર ધરાવતા યુવકને પોતાની દિકરી ખરા હ્રદયથી ચાહતી હોવા છતાં માત્ર અલગ ગ્નાતિના હોવાને કારણે માબાપને શામાટે વાંધો હોવો જોઇએ?સંતાનો કંઈ તમારા ચાવી ભરીને મન ફાવે તેમ નચાવી શકો એવાં રમકડાં છે?ઉંમરલાયક થયા પછી તેમને તેમના આગવા સ્વતંત્ર નિર્ણયો લેવાની છૂટ આજના દરેક સમજુ માબાપે આપવી જ જોઇએ.જેમાં યોગ્ય જીવનસાથીની પસંદગીનો નિર્ણય પણ આવી ગયો.હા અહિં નાદાનીમાં કરેલ યુવાનીના જોશમાં વિજાતીય પાત્રના આકર્ષણથી કરેલ ખોટી પસંદગીનો પક્ષ લેવાનો મારો બિલકુલ ઇરાદો નથી.પણ હું મારા ઓફિસના મિત્ર જેવા લાયક અને સમજુ યુવક-યુવતિઓના કિસ્સાઓમાં જ તેમનો પક્ષ લઈ,તેમની પેરવી કરી રહ્યો છું.મારા ઓફિસના મિત્રે બે-ત્રણ વર્ષ સુધી રાહ જોઈ,યુવતિના જૂનવાણી માતાપિતાને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ આખરે તેઓ ન માન્યા અને તેમણે દિકરીની સગાઈ બીજી જગાએ કરી દીધી.હવે મારા ઓફિસના મિત્ર પાસે કોઈ વિકલ્પ બચ્યો જ નહોતો.તે એ પંજાબી યુવતિને તેના શહેરમાંથી ભગાડી ગયો.તેઓ વીસેક દિવસ સાથે રહ્યા.યુવતિના માબાપે ખૂબ ધમપછાડા કર્યા.દિકરી પોતાની સાથે તેમની આનબાનશાન લઈ ગઈ હોય તેમ સમાજના ડરથી દિકરીને પાછી પોતાને ઘેર લઈ આવવા તેમણે શક્ય એટલા બધા પ્રયાસ કરી લીધા.છેવટે તેની માએ મરણપથારીએ હોવાનું નાટક સુદ્ધા કર્યું અને તેઓ દિકરીને છળકપટ પૂર્વક પાછી પોતાને ઘેર લઈ જવામાં સફળ રહ્યાં.પણ એમ કંઈ મારો ઓફિસનો મિત્ર પણ ગાંજ્યો જાય એવો નહોતો.તેણે યુક્તિ-પ્રયુક્તિ દ્વારા બીજી વાર તે છોકરીને ભગાડી જવામાં સફળતા મેળવી.તેમની પ્રેમકથા કોઈ ફિલ્મી વાર્તાથી બિલકુલ કમ નહોતી!તેમણે સાદાઈથી કોર્ટમાં લગ્ન પણ કરી લીધા અને આજે આ સત્ય ઘટનાના છ મહિનાથી વધુ સમય પસાર થઈ ગયા બાદ પણ તેઓ સાથે છે અને સુખથી પણ છતાં એક છૂપા ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે.શું તેમના અરમાન નહિં હોય મોટા વિધિપૂર્વકના લગ્નનાં?જેમાં બન્ને પક્ષના સગાસંબંધીઓ નાચે-ગાય-મ્હાલે?પણ જિદ્દી રૂઢિચુસ્ત માબાપની નાસમજીને કારણે તેઓ એ સુખથી વંચિત રહી ગયાં.

પ્રાચીન સમયમાં વર્ણવ્યવસ્થા બનાવાયેલી ફક્ત કામની કે વ્યવસાયની વહેંચણી અર્થે પણ તેને આજલગી વળગી રહી સંતાનોને દુ:ખી કરવા અને ક્યારેક તો ઝનૂની બની પોતાની મરજી વિરુદ્ધ જઈ ભાગી ગયેલા સંતાનોનું કાસળ સુદ્ધા કઢાવી નાખવાની નિર્દયતા આચરનાર જક્કી,ક્રૂર અને અમાનવીય માબાપોને તો ભગવાન પણ કઈ રીતે માફ કરી શકે?

ઉપર જે પહેલા યુવાનની વાતથી આજના બ્લોગની શરૂઆત કરી તેની સાથે પણ મારા ઓફિસના મિત્રવાળી ઘટનાનું જ પુનરાવર્તન થયું.અહિં છોકરીના પપ્પા પોતાની વગ વાપરી તેને આ યુવાન પાસેથી પાછી મેળવવામાં સફળ રહ્યા.પણ જ્યારે તેમણે યુવાન સમક્ષ પોતાની દિકરી સાથેના ડિવોર્સ એટલે કે છૂટાછેડાના પેપર્સ પર સહી કરવા ફરમાન કર્યું ત્યારે યુવાને ચાલ ચાલી.તેણે યુવતિના પિતાને પોતાની સહી આપવા એક જગાએ બોલાવ્યા અને છોકરી ઘરમાં એકલી પડી એટલે તેને બીજી વાર તેના ઘેરથી ઉઠાવી લીધી!હજી છોકરીના પપ્પાને ચેન પડતું નથી.પોતાના ઈગોને તે દિકરીના સ્નેહ કરતા વધુ મહત્વ આપે છે કે પછી છોકરો પોતાની દિકરી દ્વારા પોતે એકઠું કરેલું મબલખ કાળું નાણું હડપી જશે એવો તેમને ડર છે,યુવાને તે સસરાની મિલ્કતને હાથ પણ અડાડશે નહિં,એવી ખાતરી આપવા છતાં.જે હોય તે પણ મારા મતે તો તેમણે દિકરીને અને તેની પસંદગીને અપનાવી જ લેવા જોઇએ.


તમે શું માનો છો?

શનિવાર, 5 માર્ચ, 2011

ગેસ્ટ બ્લોગ : ફેબ્રુઆરી

ગેસ્ટ બ્લોગર : મૈત્રેયી મહેતા
--------------------------------
આમ તો આજકાલ ફેબ્રુઆરી મહિનો ,વેલેન્ટાઇન્સ" ડે માટે વધારે જાણીતો થઇ ગયો છે. ભારતીય પરંપરા પ્રમાણે , હિંદુ પંચાંગ મુજબ સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં મહા મહિનાના દિવસો આવે... મહા મહિનામાં વસંત પંચમીનો ઉત્સવ આવે. ...મદનોત્સવ..... મદન એટલે કામદેવ ,અને કામદેવનો ઉત્સવ એટલે મદનોત્સવ.... કામદેવ ના તીર ,ક્યુપીડના બાણ જેને વાગે... તે પોતાના વશમાં ના રહી શકે... પછી તે ગમે તે હોય... વિશ્વામિત્ર ઋષિ હોય કે પછી યુવા પેઢી હોય ....એક વાર કામદેવના બાણ વાગે પછી તે પ્રેમ વિહ્વળ બને જ બને....માત્ર શ્રીકૃષ્ણ જ કામદેવ ને પોતાના વશમાં રાખી શકે...


આપણે કહીએ છીએ ને કે કે love is in the air .....હા... વસંત ઋતુની હવામાં જ પ્રેમનું સંગીત ગુંજે છે..મંજરી મહોરે છે... પ્રેમ પાંગરે છે.. મહોરવાની ,પાંગરવાની ઋતુ એટલે જ વસંત...વસંત ઋતુમાં કૃષ્ણ આરાધના માટે પુષ્ટિ સંપ્રદાયની હવેલીઓમાં ,હવેલી સંગીતમાં વસંત અને બહાર રાગ પર આધારિત રચનાઓ ગવાય છે...

ફેબ્રુઆરી મહિનામાં એટલે મહા મહિનામાં, સુદ તેરશના દિવસે વિશ્વકર્મા જયંતી પણ આવે છે.. વિશ્વકર્માના પાંચ મુખપુત્રો બ્રમાંર્શી કહેવાય છે જેઓ કલાકૃતિઓના નિર્માતા છે..

વસંત પંચમી વિષે અને વેલેન્ટાઈન્સ ડે વિષે ઘણું ઘણું લખાયું છે ... તો ચાલો આપણે આજે ફેબ્રુઆરી મહિના વિષે વાત કરીએ... જોકે ફેબ્રુઆરી મહિનો તો હવે પૂરો થવા આવ્યો.... છતાં પણ....

ફેબ્રુઆરી મહિના વિષે વાત કરીએ તો વર્ષના બાર મહિનામાં સહુથી નાનામાં નાનો મહિનો એટલે ફેબ્રુઆરી મહિનો... તેના ૨૮ કે લીપ યરમાં ૨૯ દિવસો... લીપ યર ની ગણતરી વિષે પણ સહુ જાણે છે... પણ રોમન કેલેન્ડરમાં આમ તો પહેલાં દસ જ મહિના હતા. પણ પછી જયારે ગણતરીઓ કરીને વર્ષમાં દસમાંથી બાર મહિના કરવામાં આવ્યાં ત્યારે ન્યૂમાં પોમ્પીલસે જાન્યુઆરી સાથે ફેબ્રુઆરી મહિનો જોડી દીધો.

** ફેબ્રુઆરી શબ્દ , " FEBRUA " ... ફેબ્રુઆ પરથી આવે છે. તેનો અર્થ વસંત પહેલાં કરતી સાફસફાઈ કે શુદ્ધિકરણ ની પરંપરા..ફેબ્રુઆરી મહિનો " sol monath " કે કેક નો મહિનો પણ ગણાતો. ઈશુને ફેબ્રુઆરી મહિનામાં કેક ધરાવવામાં આવતી. કોબીચને આથો આપીને તેમાંથી બનાવવામાં આવતી કેકની પ્રથા પરથી સ્પ્રાઉટ કેક તરીકે પણ ફેબ્રુઆરી મહિનો જાણીતો હતો.

**લીપ યર સિવાય ફેબ્રુઆરીમાં સૌથી ઓછા ૨૮ દિવસો હોવાને કારણે , વેલ્શમાં તેને Y MISBACH .... એટલે કે નાનકડા મહિના તરીકે ઓળખાતો..

** શેક્સપીયરના જમાનામાં આશરે ૪૦૦ વર્ષ પહેલાં ,વર્ષના બીજા મહિનાને ફીવારેલ તરીકે ઓળખતાં . અને તેના ૧૦૦ વર્ષ પછી આઈઝેક ન્યુટન ના જમાનામાં ફેબૃઈર તરીકે અને છેલ્લા ૧૦૦ વર્ષથી આપણે સહુ ફેબ્રુઆરી તરીકે જાણીએ છીએ. ..



*** બીજી ફેબ્રુઆરીએ કેન્ડલ માસ ડે તરીકે ઉજવાય છે. ખ્રિસ્તી દેવળોમાં આખા વર્ષ દરમ્યાન વપરાતી મીણબત્તીઓ , બીજી ફેબ્રુઆરીને દિવસે દેવળમાં લાવવામાં આવતી. અને તે મીણબત્તીઓને આશીર્વચનોથી અભિમંત્રિત કરાતી.....તેથી બીજી ફેબ્રુઆરીને ફેસ્ટીવલ ડે ઓફ કેન્ડલ્સ કહેવાય છે. ઈશુ ખ્રિસ્તે , જગતને અંધકારમાંથી જ્ઞાનપ્રકાશ દ્વારા માર્ગદર્શન આપીને રસ્તો ચીંધ્યો, આથી ખ્રિસ્તી દેવળોમાં પ્રાર્થના વખતે ખ્રિસ્તીઓને આ વાતની યાદ અપાવવા અને ઈશુ ખ્રિસ્ત તેમને સાથે જ છે તે દર્શાવવા , મીણબત્તીઓ પ્રગટાવાય છે. ...

૮ મી ફેબ્રુઆરી ૧૮૫૫ ના રોજ એક બનાવ બન્યો...ઈંગ્લેન્ડમાં એક અવનવો બનાવ.. ! સાધારણ ડેવોનના નાના ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાં પુષ્કળ હિમવર્ષા થઇ. કડકડતી ઠંડીમાં લોકો પોતાના ઘરોમાં ધાબળા અને રજાઈઓ ઓઢીને લપાઈ રહ્યા. બીજે દિવસે સવારે અવનવું દ્રશ્ય જોવા મળ્યું. ... બહાર પડેલા બરફમાં માઈલો સુધી હજારો પગલા પડ્યા હતા. ! ખેતરો ,બાગ-બગીચાઓ, ગામડાઓમાં... ચોતરફ, મિલો સુધી બસ પગલા જ પગલા...લોકો તો ડરી જ ગયા... આખા દેશમાં આ સમાચાર ફેલાઈ ગયા. લોકોને થયું કે જરુર આ પગલા શેતાન ના જ છે..! લંડનના અખબારોમાં પણ આ સમાચાર છપાયા, અને બરફ ઓગળી જાય તે પહેલા તેની રીતસર તપાસ પણ હાથ ધરી..મઝાની વાત એ છે કે હજુ સુધી આ રહસ્ય ઉકેલી શકાયું નથી.... કે એ પગલા કોના હતા !

**૧૨ થી ૧૪ મી ફેબ્રુઆરીના દિવસો જાન્યુઆરી પાસેથી ઉછીના લીધેલા દિવસો ગણાવાય છે..

*** સ્નોડ્રોપ નામનું ફૂલ , ફેબ્રુઆરી મહિનામાં જ ઉગે છે.અને તેને આશાનું પ્રતિક મનાય છે.. એક માન્યતા મુજબ ,આદમ અને ઈવને , ગાર્ડન ઓફ ઈડનમાંથી બહાર હાંકી કાઢવામાં આવ્યાં ત્યારે સ્નોડ્રોપ ફૂલ આશાનું પ્રતિક બન્યું. જયારે ઈવ ને ખાતરી થઇ ગઈ કે હવે કાતિલ શિયાળાનો અંત જ નહીં આવે ત્યારે એક એન્જલે પ્રગટ થઈને થોડાક બરફને સ્નોડ્રોપ ફૂલ માં ફેરવી નાખી ને ખાતરી આપી કે શિયાળા પછી વસંત જરૂર આવશે....દુખ પછી સુખ જરૂર આવશે..... સ્નોડ્રોપ્સને કેન્ડલમાસ બોલ્સ તરીકે પણ ઓળખે છે. વળી લેટીન માં ગેલેન્થસ એટલે કે મિલ્કફ્લાવર પણ કહે છે.

**ફેબ્રુઆરી મહિનામાં સામાન્ય રીતે ફૂટબોલ વધારે રમાય છે...શ્રોવ ટ્યુઝડે ના રોજ રમાતી ફૂટબોલની રમતમાં કોઈ નિયમ નથી હોતો..તે રમત આપણાં દેશમાં રમાતી ફૂટબોલ ની રમત કરતાં જુદી હોય છે ! કંઈ રીતે ખબર છે ?શ્રોવ ટ્યુઝ ડે ના રોજ નક્કી કરેલા સમયે, દેવળમાં ઘંટનાદ થતાં જ લોકો ઘરની બહાર નીકળે છે અને ફૂટબોલ ફેંકવામાં આવે છે,અને ફૂટબોલની વિશાળ રમત શરુ થાય છે.. ઘણી વાર આ રમત માટે ટ્રાફિક પણ બંધ કરવો પડે છે... ઇંગ્લેન્ડ માં આજે પણ કેટલેક ઠેકાણે આ રમત રમવામાં આવે છે. તે ઉપરાંત દોરડા કુદવાની રમત પણ રમવામાં આવે છે...

**કિસિંગ ફ્રાઇડે : શ્રોવ વીકના શુક્રવારે ઈંગ્લીશ વિદ્યાર્થીઓ સજા કે દંડ ના દર વિના છોકરીઓને કિસ કરવાની છૂટ મળતી.... ! આ પ્રથા ૧૯૪૦ સુધી ચાલુ હતી....

લેઈસેસ્ટરશાયરમાં ,સીલેબીમાં કિસિંગ ફ્રાઇડેના રોજ પુરુષો પોતાને ગમતી સ્ત્રીને ચુંબન કરવાની ઓફર કરે અને જો તે સ્ત્રી ઇનકાર કરે તો તે લોકો તે સ્ત્રીને ચીમટો ભરી શકતા .... !

**૨૨ મી ફેબૃઅરીને થીંકીંગ ડે તરીકે ઓળખે છે. સ્કાઉટ અને ગાઈડ મુવમેન્ટના સભ્યો , સ્થાપક સ્થાપક લોર્ડ અને લેડી રોબર્ટ બેડન પોવેલને યાદ કરે છે.

** ફેબ્રુઆરી મહિનાના ત્રીજા સોમવારને પ્રેસિડેન્ટ દિન તરીકે ઉજવાય છે..

** ૨૯ મી ફેબ્રુઆરી ... દર ચાર વર્ષે આવતાં આ દિવસનું ખાસ મહત્વ છે. લીપ યરમાં જ આવતો આ દિવસ , વર્ષની ગણતરી માટે બહુ જ મહત્વનો છે... ૨૯ મી ફેબ્રુઆરી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સદગત મોરારજી દેસાઈ નો જન્મદિન છે.આપણે જાણીએ છીએ. ફેબ્રુઆરી મહિનામાં જન્મનારા માણસોમાં ૧૮૪૭ ની ૧૧ મી ફેબ્રુઆરીએ થોમસ એડીસન નો જન્મ થયો હતો. તેમને એક હજારથી વધારે શોધો કરી હતી, તેમાંથી ફોનોગ્રાફ અને મોશન પિક્ચર પ્રોજેક્ટર નો સમાવેશ થાય છે. બ્રિટનના જાણીતા નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સ ,૭ મી ફેબ્રુઆરી ૧૮૧૨ ના રોજ જન્મ્યા હતા. તેમની લખેલી નવલકથા " ગ્રેટ એક્સ્પેકટેશન "વિષે આપણે બધા જાણીએ છીએ.તે ઉપરાંત જાણીતા ઈંગ્લીશ નિબંધકાર જ્હોન રસ્કિન અને રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન, જ્યોર્જ વોશીન્ગ્ટન , રીચાર્ડ નિકસન, વૈજ્ઞાનિક ચાલ્સ ડાર્વિન , ગેલીલિયો, વગેરે ફેબ્રુઆરીમાં જન્મ્યા હતા.

******ફેબ્રુઆરી માં જન્મેલા લોકો માટે એમીથીસ્ટ બર્થ સ્ટોન લકી ગણાય છે. જયારે પ્રીમોર્સ ફ્લાવર લકી ફૂલ ગણાય છે.

***ફેબ્રુઆરીને બ્લેક હિસ્ટ્રી મન્થ પણ કહે છે. આમ જોઈએ તો ગુલામી પ્રથા એ આપણો માનવ જાતનો કડવો ભૂતકાળ છે. આજે લોકશાહી પ્રથા વિશ્વમાં લોકપ્રિય બનતી જાય છે છતાં આજે પણ આપણે ગુલામીની માનસિકતામાંથી બહાર આવી નથી શકતા. આપણે ભૂતકાળમાં પાછું વાળીને જોઈએ ત્યારે આપણને હવે શરમ આવે છે કે અશ્વેત અથવા નબળા કે વંચિત ,દલિત લોકો પર કેટકેટલા અત્યાચારો કરવામાં આવ્યાં છે ! આપણે આપણી જ માણસ જાતના અન્ય લોકોને , માણસોને ગુલામ બનાવી તેમની પાસે કાળી ગુલામી કંઈ રીતે કરાવી શકીએ ?પોતાની જાતને શિક્ષિત અને આધુનિક ગણાવતા લોકો વંચિતોનું અપમાન કઈ રીતે કરી શકે ? લોકોને મારી કઈ રીતે નાખી શકે ?બાળકો અને સ્ત્રીઓ નું શોષણ કઈ રીતે કરી શકે ? વિશ્વભરમાં અશ્વેતોને અધિકાર અપાવવા થયેલી બધી જ ક્રાન્તિઓમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પ્રેરણા સ્રોત રહ્યાં છે. માર્ટીન લ્યુથર કિંગ, નેલ્સન મંડેલા, સરહદ ના ગાંધી ને નામે જાણીતા ખાન અબ્દુલ ગફારખાન ... વગેરે માનવ જાત માટે મુક્તિના પ્રણેતાઓ રહી ચુક્યા છે. માર્ટીન લ્યુથર કિંગ, જુનીઅર માનવ અધિકારની ઝુંબેશની પ્રેરણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીમાંથી લઈને દુનિયાભરના અશ્વેતો પ્રત્યેની સુગ ઓછી કરીને ગોરાઓ કે સફેદ ચામડી વાળાઓમાં દરેક માનવ વચ્ચે સમાન પ્રેમભાવ ઉભો કરવાની કોશિશ કરી. આજે અમેરિકામાં ગોરા અને કાળાઓ વચ્ચે ભેદ ઉભો કરનારને દંડ, સજા અને કેદ થઇ શકે છે. સમગ્ર પૃથ્વી ગ્રહ પર જન્મેલી માનવ જાત વચ્ચેનો રંગભેદ શરમ જનક બાબત છે. આપણે સહુએ તે ભેદ નાબુદ કરવો જોઈએ. માણસ માટે તેનો રંગ નહીં પણ તેના ગુણો જ મહત્વપૂર્ણ ગણવા જોઈએ. આ શિખામણ આપણને પણ લાગુ પડે છે. આપણે ભારતવાસીઓ આજે પણ ગોરી ચામડી વાળાઓને જોઇને અભિભૂત થઇ જઈએ છીએ. બાહ્ય સુંદરતાનું પોતાનું આગવું સ્થાન છે તેની ના નહીં પણ આંતરિક સુંદરતા જ ખરી સુંદરતા છે. રંગભેદ કે કોઈ પણ પ્રકારના ભેદ વિષે ઘણું ઘણું લખાયું છે, ઘણી ફિલ્મો અને સ્તાવેજી ફિલ્મો પણ બની છે. વિદેશોમાં દોડી જતાં આપણાં લોકો પણ આવા ભેદ નો ભોગ બને જ છે ...... પણ....

શું આપણે આવા દરેક પ્રકારના ભેદ ને દરેક સ્થળેથી નાબુદ ના કરી શકીએ ? આપણાં ઈતિહાસમાંથી પ્રેરણા લઈને આપણી ભાવી પેઢીને કોઈ પણ પ્રકારના રંગભેદ ને વશ નહીં થવા જાગૃત કરીએ, બાળકોને કેળવીએ.... સમગ્ર માનવ જાત એક જ છે...અને સમગ્ર પૃથ્વી એક કુટુંબ... વસુધૈવ કુટુંબક્મ .....

આ લેખ વિષે આપણાં મંતવ્યો જાણવા આતુર છું... આપના પ્રતિભાવો mainakimehta@ yahoo .co .in પર જરૂર મોકલજો.અરે હા, ફેબ્રુઆરી મહિનામાં જ હોં ....

- મૈત્રેયી મહેતા