Translate

રવિવાર, 24 જૂન, 2012

આજે પણ…

આમ તો હું બહુ કવિતાઓ નથી લખતો પણ મને સરળ અને સારા કાવ્યો વાંચવા ગમે છે. ક્યારેક કોઈક વિચાર કવિતા રૂપે લખી પણ નાંખુ છતાં કાવ્યની એક શિસ્ત,તેના પ્રાસ,તેની લઢણ,તેના છંદ વગેરે તેમજ તેના એક ચોક્કસ ચોકઠામાં લખવું મને અઘરૂં લાગતું હોવાથી મોટે ભાગે હું કાવ્યાત્મક વિચાર જ્યારે લખું ત્યારે અછાંદસ રૂપે જ લખતો હોઉં છું.


એક વાર મને ટ્રેનમાં ઓફિસ જતી વખતે વાંદ્રા પાસે, પુલ પરથી હાર્બર લાઈનની ટ્રેન પસાર થતી જોઈ કેટલાક વિચાર આવ્યા અને મેં એક કાવ્ય લખી નાંખ્યું અને થોડા સમય અગાઉ કાંદિવલી ખાતે પ્રગતિ મિત્ર મંડળ આયોજિત નવોદિત કવિઓ માટેની સ્પર્ધામાં આ કાવ્યને તૃતિય પારિતોષિક એનાયત થયું ત્યારે મને બેહદ ખુશીની લાગણી થઈ. આ કાવ્ય આજે 'બ્લોગને ઝરૂખેથી'માં રજૂ કરું છું.

આજે પણ…

તો શું થઈ ગયું હું બત્રીસ વર્ષનો થઈ ગયો?

આજે પણ મને બાળસહજ અચરજ સાથે પુલ પરથી પસાર થતી ગાડી જોઈ મલકવું ગમે છે...

અને ઉનાળાની બળબળતી બપોરે બંને હાથ તથા મોઢું બગાડીને પણ ફળોના રાજા ગણાતી કેરી ચૂસવી ગમે છે!

બસ કે ગાડીમાં પ્રવાસ કરતી વખતે બારીવાળી સીટ પર બેસી બહારના દ્રષ્યને જોવું ગમે છે...

આજે પણ રસ્તામાં મચ્છરોનો નાશ કરવા ધૂમાડાવાળો પાઈપ લઈને ધૂમાડો છાંટે એટલે તેમાં અદ્રષ્ય થઈ જવાનું મન થઈ જાય છે!

આજે પણ બાળક હતો ત્યારે જેમ શાળાએ જવાનો કંટાળો આવતો એમ ક્યારેક ઓફિસે જવાનો કંટાળો આવે છે!

આજે પણ વરસાદની મોસમમાં આકાશમાં સપ્તરંગી મેઘધનુષ જોઈને મન આનંદથી વિભોર થઈ જાય છે!

આજે પણ મને ટી.વી. પર કાર્ટૂન ફિલ્મો જોવી ગમે છે અને તેમાંયે ડોનાલ્ડ ડક અને ટોમ એન્ડ જેરી તો મારા મોસ્ટ ફેવરીટ કાર્ટૂન્સ છે!

આજે પણ મને અખબારોમાં આવતી બાળપૂર્તિઓ વાંચવી અને તેમાં આવતી રમતો માણવી ગમે છે!

આજે પણ મને બાળકો ગલીમાં પકડાપકડી,થપ્પો,સાંકળી,લંગડી કે ગોટી રમી રહ્યા હોય ત્યારે તેમની સાથે જોડાઈ જવાનું મન થાય છે!

આજે એક બાળકનો બાપ બની ચૂક્યો હોવા છતાં મનમાં ઊંડે ઊંડે એવી ઇચ્છા છે કે મારામાં રહેલું બાળક સદાય જીવંત રહે!

- વિકાસ ઘનશ્યામ નાયક

રવિવાર, 17 જૂન, 2012

હેપ્પી ફાધર્સ ડે...!

પિતા અને પુત્રનો સંબંધ અનોખો હોય છે.તેઓ એકબીજાને પ્રેમ કરતા હોય છે, એકબીજાને મનથી માન પણ આપતા હોય છે પણ છતાં તેમના સંબંધમાં એક તણાવ જોવા મળતો હોય છે. કદાચ આ મારો અંગત અભિપ્રાય હોઈ શકે છે પણ મારા પોતાના દાખલા સહિત મેં બીજા એવાં ઘણાં નજીકના ઉદાહરણ જોયાં છે જ્યાં બાપ-બેટા વચ્ચેના સંબંધો દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના અનુપમ ખેર - શાહરૂખ વચ્ચે દર્શાવાયા હતાં એટલાં સરળ, સુંવાળા અને શત પ્રતિશત મતભેદ વગરના નથી હોતાં.


કેટફીશ નામની માછલીની જાતિના પિતા સજીવોમાં સર્વશ્રેષ્ઠ પિતાનું બિરૂદ પામેલ છે કારણ તે છ મહિના કરતાં પણ વધુ સમય સુધી પોતાના મોઢામાં માદાએ મૂકેલા ઇંડા સાચવી રાખે છે જ્યાં સુધી તેમાંથી બચ્ચા બહાર ન આવી જાય અને તેઓ તરતા શીખી બહારના વિશ્વનો સામનો કરવા જેટલા પુખ્ત ન થઈ જાય. તે કંઈ પણ ખાધાપીધા સિવાય આ અવસ્થા દરમ્યાન સમુદ્રને તળિયે પડી રહે છે. ખરું જોતા, માનવ જાતમાં પણ પિતા, કદાચ કેટ ફિશ જેટલો વધુ પડતો ત્યાગી-વૈરાગી બનીને નહિં પણ પોતાના સંતાનોનું પ્રેમપૂર્વક, જતનપૂર્વક ભરણપોષણ તો કરે જ છે. તે પોતાના મોજશોખનો ઘણી વાર ત્યાગ કરી દે છે જેથી તેના સંતાનની કોઈ ઇચ્છા અધૂરી ન રહી જાય કે પોતાના સંતાનને સારામાં સારી સુખસુવિધા કે ઉચ્ચ કોટિના શિક્ષણ મળી રહે. ભાગ્યે જ કોઈ પિતા એવો હશે જે પોતાના સંતાનને પ્રેમ ન કરતો હોય કે તેની નાની મોટી દરેક અભિલાષા પૂર્ણ કરવાનો પ્રયાસ ન કરતો હોય. હા,કદાચ મા જેટલા ઋજુ સ્વભાવનો ન હોવાને કારણે, ગુસ્સા કે ઉગ્ર સ્વભાવને લીધે તે ભલે ક્યારેક આકરો ભાસે, પણ દરેક પિતા પોતાના સંતાનને શ્રેષ્ઠ બાળપણ પૂરું પાડી તે ઉત્તમ કોટિના માનવી બને એવા પ્રયત્ન હ્રદયથી કરતો જ હોય છે. કયો પિતા બાળકને પોતાને ખભે બેસાડી ઘૂમ્યો નહિં હોય કે કયો પિતા બાળકને પીઠ પર બેસાડી તેના માટે ઘોડો નહિં બન્યો હોય?! પુત્ર હોય કે પુત્રી,પિતાને મન તે કાળજાના કટકા સમાન જ હોય છે (હા, કદાચ પુત્ર-પુત્રી બંને હોય તો તેને પુત્રી વિશેષ વ્હાલી લાગતી હોઈ શકે!) ક્યારેક પિતા ગુસ્સામાં હાથ ઉગામી બેસે કે આકરા એવા બેચાર શબ્દો દ્વારા સંતાનનું દિલ દુભવી શકે પણ બેશક એ સંતાનના ભલા માટે જ. દિલથી તો તે પોતાના સંતાનનું ભલુ જ ઇચ્છતો હોય છે. સંતાનનો સારામાં સારો ઉછેર કરી શકે એ માટે પિતા રાતદિવસ તનતોડ મહેનત કરી સારું કમાવા પ્રયત્ન કરે છે અને ભલે માને ત્યાગની મૂર્તિ ગણવામાં આવતી હોય છતાં બાપ પણ અનેક ગમતી ચીજ વસ્તુઓ કે શોખ-આદતોનો ત્યાગ કરી તેની ગણતરીઓ માંડતો નથી.

ક્યાંક ખૂબ સરસ વાત વાંચેલી કે પિતા માટે સૌથી ધન્ય ક્ષણ કઈ હોય છે?જ્યારે તેનું નાનકડું વહાલસોયું સંતાન તેની નાનકડી આંગળીઓ વડે તેનો હાથ પકડી તેની છાતી પર નિરાંતે સૂઈ ગયું હોય! બાપ જ આંગળી પકડી બાળકને પ્રથમ વાર બહારના જગતમાં પગરણ મંડાવે છે, પહેલી વાર બેન્કમાં લઈ જાય છે, વ્યવહારુ જ્ઞાન આપે છે, દુનિયામાં સમસ્યાઓ સામે લડતા, પ્રતિકૂળ સંજોગો સામે ઝઝૂમતા શિખવે છે.

સંતાન નાનું હોય ત્યાં સુધી પિતા જ તેના સુપરહીરો હોય છે!મમ્મી જે જિદ પૂરી ન કરે તે જિદ પપ્પા પાસે પૂરી કરાવતાં સંતાનને વાર લાગતી નથી.તો પછી જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ પિતા પુત્રના સંબંધોનું સ્વરૂપ શા માટે બદલાતું જતું હશે? અને કદાચ પિતા પુત્રી વચ્ચેના સંબંધમાં એટલું અંતર નથી વધી જતું જેટલું પિતા પુત્ર વચ્ચેના સંબંધમાં જોવા મળે છે.શું આ પાછળ પુરુષપ્રધાન સમાજને કારણે પુરુષમાં વિકસીત થતો પુરુષ-સહજ અહમ (મેલ-ઇગો) જવાબદાર હશે? જુવાન પુત્રને તેના પિતા સાથે દિલ ખોલીને વાત કરી શક્તો નથી.તેને ક્યારેક પિતા જૂનવાણી લાગે છે તો ક્યારેક વધુ પડતા મરજાદી કે કડક.જનરેશન ગેપ કદાચ પોતાનું કામ કરતો હશે આ પાછળ?સૌમ્ય જોશીના નાટક વેલકમ જિંદગીમાં પિતા-પુત્રના આવા સંબંધોની વાત ખૂબ સુંદર રીતે રજૂ થયેલી.આ નાટક મને ખાસ્સુ સ્પર્શી ગયેલું.

જુવાન દિકરાએ સમજવું જોઇએ કે બાપ ભલે આકરો હોય તોયે મનથી તો તેના સંતાનને ચાહતો જ હોય છે.એ ભલે ને ગમે તેટલો મોટો બની જાય કે વધુ કમાવા માંડે તો પણ તેણે એ ભૂલવું ન જોઇએ કે તેનું અસ્તિત્વ માત્ર તેના પિતાને જ આભારી છે.તે લાખ કોશિશ કરીને પણ એ હકીકતથી વેગળો નહિં થઈ શકે કે તે પિતાના ડી.એન.એ નો જ અંશ છે! તો બીજે પક્ષે બાપે પણ ક્યારેક પોતાના અહમથી વેગળા થઈ દિકરાના વિશ્વને,દિકરાની લાગણીઓને સમજવા જોઇએ.તેની સાથે સખત મિજાજના વડીલ બની નહિં પણ એક દોસ્ત બની વર્તવું જોઇએ. બાપ બેટા વચ્ચે મતભેદ થાય એ ચાલે પણ મનભેદ થવો જોઇએ નહિં.કદાચ બાપ ગુસ્સામાં બે શબ્દો બોલી દે તો દિકરાએ તે મન પર લેવુ જોઇએ નહિં અને કદાચ દિકરો ગમે તેમ બોલી નાંખે તો બાપે મોટા મને તેને ન સાંભળ્યું કરી નાંખવું જોઇએ પણ તકરાર તેમની વચ્ચેના અંતરને એટલા દૂર ન કરી નાંખવી જોઇએ કે તેઓ એક છત નીચે ન રહી શકે.

ઘરડા બાપને દિકરાની જરૂર વયસ્ક વયે જ સૌથી વધુ પડતી હોય છે અને ત્યારે જ દિકરાને પણ ઋણ ચૂકવવાનો મોકો મળતો હોય છે જે તેણે બિલકુલ જતો કરવો જોઇએ નહિં. જુવાન દિકરાના સંતાનનું સંતાન એટલે કે મુદ્દલ પરનું વ્યાજ તો પિતાને મન પોતાના સગા દિકરાથીયે વિશેષ વહાલું હોય છે.સામે પક્ષે પૌત્ર કે પૌત્રીના સ્વસ્થ અને યોગ્ય ઉછેર માટે તેને દાદા-દાદીનો પ્રેમ મળવો અનિવાર્ય છે.દાદા-દાદીને આ સૌભાગ્યથી વંચિત રાખનાર કપૂત દિકરાને તો એ પાપની સજા મળ્યા વગર રહેતી જ નથી.

છેલ્લે મારા મનની એક વાત આજે આ બ્લોગ થકી મારા પપ્પાને તેમજ મારા જેવા કેટલાયે જુવાન પુત્રોના પિતાઓને પહોંચાડવા ઇચ્છુ છું.ક્યારેક તમને તમારા જુવાન પુત્રના વાણી કે વર્તન દ્વારા આઘાત લાગે તો એટલું યાદ રાખજો કે તે મનથી તો તમને ચાહે જ છે,તમને ખૂબ માન આપે જ છે.તેને તમારું નાનકડું વહાલસોયું બાળક ગણી માફ કરી દેશો જેની આંગળી પકડી એક દિવસ તમે જ તેને આ જગતમાં ડગ માંડતા શિખવાડેલું!

મારા પપ્પાને અને જગતનાં દરેક પિતાઓને આજના આ બ્લોગ થકી 'હેપ્પી ફાધર્સ ડે...!'

રવિવાર, 10 જૂન, 2012

ગેસ્ટ બ્લોગ : “દુનિયા અમારી”

                                                     - નીતિન. વિ. મહેતા.         

કવિ શ્રી ભાનુપ્રસાદ પંડ્યાના કાવ્યની એક પંક્તિ છે:


” દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ કલરવની દુનિયા અમારી,
વાટે રખડ્યાની મોજ છીનવી લીધી ને તોય પગરવની દુનિયા અમારી”

આ પંક્તિઓમાં શારીરિક રીતે અક્ષમ લોકોનો ઉદગાર છે, ઉણપ છે છતાં જીવન જીવવાની ખુમારી છે કલરવની કે પગરવની દુનિયા અમારી કહેનાર પ્રજ્ઞાચક્ષુ કે શારીરિક વિકલાંગ વ્યક્તિ પોતાના અસ્તિત્વ ને પ્રસ્થાપિત કરવાના મનોરથ સેવે છે. સામાન્ય માનવીઓથી ભલે અલગ તો ય સમાજનુ અવિભાજ્ય અંગ છે. એક સરખા સામાજીક દરજ્જાના તેઓ પણ હકદાર છે.

આ લખનાર ગેસ્ટ બ્લોગરે 1984માં ઓસ્ટ્રેલિયા ખાતે ભરાયેલ એક આંતરરાષ્ટ્રિય પરષિદમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં એક પેપર રજુ કર્યું હતું તેનો વિષય હતો વિકલાંગોનું પુનર્વસન (રીહેબિલિટેશન) આ પુનર્વસન વિના અપંગોનો વિકાસ અશક્ય છે. એ પેપરનો સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છે:

પુનર્વસનનના ત્રણ પ્રકાર છે 1) શાર્રીરિક પુનર્વસન, 2) આર્થિક પુનર્વસન અને 3) સામાજીક પુનર્વસન.

શારીરિક પુનર્વસન એ પાયાની જરૂરિયત છે આજે નાના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવે છે આ અભિયાન અત્યંત આવકાર્ય છે. સારા સમાચાર એ છે કે 2014ની સાલ સુધીમાં ભારત પોલિયો મુક્ત થઈ જશે જેઓ પોલિયોના રોગનો ભોગ બન્યા છે અથવા આકસ્મિક રીતે અપંગ બની ગયા છે તેમને સારવાર અને તેમના પરિવારજનો ને યોગ્ય સહાય મળી રહે તે જરૂરી છે વળી આધુનિક વિજ્ઞાને જે કંઈ શોધ કરી છે તે વિકલાંગો માટે બહુ આશીર્વાદ બની રહી છે. કૃત્રિમ અંગ ઉપાંગો દ્વારા પણ વ્યક્તિ તેમના રોજીંદા કાર્યો સહજ રીતે કરે , જરૂર છે માત્ર તેમનામાં રહેલી લઘુતાગ્રંથીને દૂર કરી પ્રોત્સાહિત કરવાની.અપંગ બાળકને પણ સામાન્ય બાળક્ની જેમ યોગ્ય શિક્ષણ મળી રહે એ જોવાની જવાબદારી માતાપિતાની છે . બીજું આર્થિક પુનર્વસન એટલે આર્થિક રીતે પગભર થવું સરકારી કે બીન સરકારી સંસ્થાઓમાં આજે બે થી ત્રણ ટકા જેટ્લી નોકરીની જગ્યા અનામત રાખવામાં આવે છે તેમાં ય, જો વિકલાંગ વ્યક્તિ વધુ ભણેલી હોય તો તેને પણ સામાન્ય માનવીઓની જેમ પ્રોમોશનનો અધિકાર હોવો ઘટે. આવા અપંગ લોકો પણ પોતાને અને પરિવારજનોને મદદ રૂપ થઈ સ્વાવલંબી બની શકે છે

ત્રીજું અને અતિ મહત્વનું છે સામાજીક પુનર્વસન સમાજે અપંગત્વને કારણે તેમની ઉપેક્ષા કરવાને બદલે તેમની પાસેથી પણ અપેક્ષા રાખવી જોઈએ જેથી કરીને પોતાની ખોડને લીધે કોઈ પણ જવાબદારીઓમાંથી તેઓ છટકી ન શકે વિકલાંગોએ પણ પોતાની ક્ષમતા મુજબ યતકિંચીત ફાળો આપવો જોઈએ માત્ર બધા જ લાભોને લઈ બેસી રહેવાને બદલે નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરી સમાજમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરવું આવશ્યક છે.

આ બ્લોગ દ્વારા હું લોકોને એ જણાવવામાંગું છું કે વિકલાંગોને દયા ભાવનાની નહીં, પણ પ્રેમ, સહાનુભુતિ તથા હુંફની જરૂર છે તેમની સાથે સામાન્ય લોકો જેવો જ વ્યવહાર કરવાની વિનંતિ છે. સાથે વિકલાંગોને પણ આગ્રહભરી વિનંતિ છે કે તેમણે અન્યો ઉપર આધાર રાખવાને બદલે સ્વાવલંબી અને આત્મનિર્ભર થવું. ક્યારેય દયાની યાચના ન કરવી. મનોબળને દ્ર્ઢ કરી “સ્વ”માં આત્મવિશ્વાસનો સંચાર કરવો અને સદાય “આઈ કેન એન્ડ આઈ વિલ” નો જ અભિગમ રાખવો.

- નીતિન. વિ. મહેતા. , અંધેરી

                                

સોમવાર, 4 જૂન, 2012

ધર્મ

[શ્રી ખડાયતા વિશ્વ સખીમિલન સંસ્થા દ્વારા થોડા સમય અગાઉ એક નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં વિષય હતો - 'ધર્મ'. આ સ્પર્ધામાં મારો નિબંધ પુરસ્કૃત થયો હતો , જે આજના બ્લોગ તરીકે આજે 'બ્લોગને ઝરૂખેથી...'માં રજૂ કર્યો છે.]


કોઈ મને પૂછે કે તમારો ધર્મ કયો કે ભારતનો સાચો ધર્મ કયો ? ત્યારે મને જવાબ આપવાનું મન થાય છે -"માનવ ધર્મ". પણ હું એ જવાબ આપતો નથી. કારણ કદાચ જો એવો જવાબ આપું તો સામે વાળી વ્યક્તિને એ ગળે નહી ઉતરે . આપણે મોટાભાગનાં લોકો પારંપારિક કે બીબાઢાળ રીતે જ જોવા, વિચારવા, વર્તવા ટેવાયેલા છીએ. મોટા ભાગનું જીવન આપણા સમાજે બનાવેલા માળખાં મુજબ જીવી કાઢીએ છીએ.

ધર્મના આપણે ચોસલાં બનાવી કાઢ્યાં છે , વર્ગીકરણ કરી નાંખ્યું છે - હિન્દુ, મુસ્લીમ, શીખ, ઇસાઈ, પારસી, બૌદ્ધ વગેરે. આટલું ઓછું હોય એમ હિન્દુ ધર્મમાં પણ આપણે પેટા ધર્મો બનાવ્યાં છે જેવા કે જૈન, વૈષ્ણવ, શૈવ, બ્રાહ્મણ વગેરે. મુસ્લિમોમાં પણ શિયા અને સુન્ની કે દાઉદી વ્હોરા. ખ્રિસ્તીઓમાં પણ કેથોલિક અને પ્રોટેસ્ટંટ. પેટા ધર્મોમાં પણ ભાગલાં. જેમ કે જૈનોમાં સ્થાનકવાસી અને દહેરાવાસી કે શ્વેતાંબર અને દિગંબર. આ બધાં ધર્મના વાડા બનાવવામાં અને તેને ચુસ્તપણે (!) અનુસરવામાં આપણે ધર્મનો સાચો અર્થ ભૂલી ગયાં છીએ.આ બધાં તો ઇશ્વર તરફ, પરમાત્મા તરફ દોરી જતી રાહ નાં માત્ર શિર્ષક છે, મથાળાં છે. ખરો ધર્મ તો એક જ છે - 'માનવ ધર્મ'.

દરેક ધર્મમાં પ્રતીકો છે જેના સહારે એક પરમ તત્વને પામી શકાય છે અને એ યાદ રાખવું ઘટે કે પ્રતીક એ માત્ર એક માર્ગ છે પરમ તત્વ સુધી પહોંચવાનો. એ પરમ તત્વ કોઈ પણ ધર્મનું હોય પણ ઇશ્વર એક જ છે.પછી ભલે હિન્દુ ધર્મ એને તેત્રીસ કરોડ દેવીદેવતાઓનાં નામ આપે કે મુસ્લિમ ધર્મ એને અલ્લાહ તરીકે ઓળખે કે પછી ખ્રિસ્તી ધર્મમાં એનાં ઇશુ અને મધર મેરી જેવા સ્વરૂપો હોય. પણ આજે મોટાં ભાગનાં મનુષ્યો એ પરમ તત્વને પામવાનાં માર્ગમાં જ અટવાઈ ગયાં છે,ભૂલા પડી ગયાં છે,ગુમરાહ થઈ ગયાં છે અને તેમણે ધર્મનું સ્વરૂપ વિકૃત કરી નાખ્યું છે. તેઓ પોતપોતાનાં ધર્મને જ શ્રેષ્ઠ ગણાવવાની જાણે હરિફાઈમાં ઉતરી પડ્યાં છે અને આ ઝનૂન તેમનાં માથે એટલી હદે, ગાંડપણની જેમ સવાર થઈ ચૂક્યું છે કે એક ધર્મનાં લોકો બીજા ધર્મનાં લોકોને પોતાના શત્રુ માની તેમની હત્યા સુદ્ધાં કરી નાખતાં અચકાતાં નથી. હિન્દુ-મુસ્લિમ રમખાણો કે હિન્દુ-ખ્રિસ્તીઓ વચ્ચે બનેલાં હિંસાના બનાવો આનાં વરવા ઉદાહરણ છે.

જરૂર છે સાચી દ્રષ્ટી કેળવવાની.ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે.અહિં કદાચ વિશ્વના સૌથી વધુ સંપ્રદાયો કે ધર્મો સહ-અસ્તિત્વ ધરાવે છે.આ સંસ્ક્રુતિનું આપણે ભારતના સાચા અને જવાબદાર નાગરિક બની સંવર્ધન અને જતન કરવાનું છે. ગાંધીજીએ કહ્યું હતું કે એક આંખના બદલામાં આંખ તો સમગ્ર જગતને અંધ બનાવી દેશે. આપણે એકબીજાનાં ધર્મને માન આપવાનું છે.આજે ટેક્નોલોજી અને સાધન-સામગ્રી-સુવિધાઓના વ્યાપને લીધે આખુંયે વિશ્વ એક એકમ સમાન બની ગયું છે. આવે સમયે જરૂર છે વૈશ્વીકરણને અપનાવી ,'વસુધૈવ કુટુંબકમ'ની ભાવના અપનાવવાની, દરેક ધર્મ પાળતાં મનુષ્યને પોતાનાં ભાઈભાંડુ સમજવાની,અન્યની રીતરસમોને માન આપવાની,તેની અદબ જાળવવાની.જો આ કરીશું તો જ આપણે આવનારી નવી પેઢીઓ માટે એક સારા રાષ્ટ્રનું,સારા વિશ્વનું નિર્માણ કરી તેમને સુખશાંતિભર્યું જીવન પ્રદાન કરી શકીશું.

દરેક ધર્મનાં પાયામાં એક જ સંદેશ રહેલો છે - માનવતાનો. સાચા અર્થમાં માનવ બનવાનો.મન,બુદ્ધિની અજોડ ઇશ્વરીય ભેટ માણસને મળી છે જેના દ્વારા તે અન્ય મનુષ્યોથી જુદો પડે છે.મન,બુદ્ધિના સદુપયોગથી જ આજે મનુષ્યે આટલી પ્રગતિ સાધી છે અને તે બ્રહ્માંડના અન્ય ગ્રહો સુધી પહોંચી ગયો છે. પણ આ હરણફાળ ભરવામાં તે એટલું લાંબુ અંતર કાપતાં કાપતાં ,પોતાના જ અન્ય જાતિભાઈ,બીજા મનુષ્યના અંતરથી જોજનો દૂર ચાલ્યો ગયો છે અને યાંત્રિકતા તેના જીવનમાં એટલી હદે પ્રવેશી ગઈ છે કે તે પોતે પણ એક રોબોટ જેવો બની ગયો છે. લાગણી કે સંવેદનવિહીન યંત્ર જેવો. આવા સમયે જરૂર છે થોડાં થોભી જવાની.,આત્મસંશોધન કરવાની.અન્ય મનુષ્યના હ્રદય સુધી પહોંચવા સેતુ બનાવવાની.એ કરીશું તો જ આપણે સાચો ધર્મ જીવ્યો ગણાશે.

સાચો ધર્મ છે માનવતાનો. 'જનસેવા એ જ પ્રભુસેવા' એમ અમસ્તુ જ નથી કહેવાયું. જો આપણે દુ:ખી, જરૂરિયાતમંદ મનુષ્યને તન મન ધન જે પણ આપણાંથી શક્ય હોય એ રીતે મદદ કરીશું , તો એ ઇશ્વર માટે કંઈક કર્યા સમાન લેખાશે. બાકી પથ્થરો પૂજીને કંઈ ઇશ્વર પામી શકાતા નથી.મંદિરની બહાર ભૂખે ટળવળતાં ભિખારી તરફ નજર પણ ન નાંખતા, ઇશ્વરની મૂર્તિને મંદિરમાં મહામોંઘો પ્રસાદ કે છપ્પન ભોગ ધરીએ એ તદ્દન વ્યર્થ છે. માનવતાનો ધર્મ સેવા બજાવીને પાળી શકાય છે પછી એ સેવા ભલે ગમે તે સ્વરૂપની હોય અને ભલે એ જરૂરિયાતમંદ વ્યક્તિ કોઈ પણ જાતિની હોય, કોઈ પણ કહેવાતા ધર્મની હોય.

એક હિન્દુ બાળક કોઈ મુસ્લિમ, ખ્રિસ્તી કે પછી અન્ય કોઈ પણ કહેવાતા ધર્મના બાળક સાથે રમી રહ્યું હોય ત્યારે એ કેવા શુદ્ધ,પવિત્ર મન સાથે, કોઈ પણ જાતના પૂર્વગ્રહ કે દ્વેષભાવ વગર, નિખાલસતાથી, નિર્દોષતાપૂર્વક નિકટતા કેળવી રમતું હોય છે! પણ મોટું થયા બાદ જ તેના વિચારો ભેદભાવનાં રંગોથી રંગાય છે, મલિન થાય છે. કમી ચોક્કસ આપણી પરવરિશમાં છે, સમાજમાં છે. એ દૂર થઈ શકશે? ક્યારે બે પુખ્ત વ્યક્તિઓ જુદાં જુદાં કહેવાતાં ધર્મનાં બે બાળકો જેટલી જ સરળતા-સહજતાથી એકમેક સાથે હળીમળીને રહેશે? જ્યારે સમગ્ર માનવસમાજ,સમગ્ર ભારત દેશ અને સમગ્ર વિશ્વ માનવતાનાં ધર્મનો જ સાચા ધર્મ તરીકે સ્વીકાર કરશે. એ દિવસે ચોક્કસ સુખનો-શાંતિનો સુવર્ણ સૂરજ ઉદય પામશે,ઝળહળશે એ નક્કી!

....અને એ દિવસ જલ્દી જ આવે એવી હ્રદયપૂર્વક અભ્યર્થના...