Translate

રવિવાર, 30 સપ્ટેમ્બર, 2012

ફ્લેશ મોબમાં નાચવાનો અનુભવ

સાંજના છ વાગ્યાનો સમય.


સ્થળ : ફિનિક્સ મોલ, લોઅર પરેલ – મુંબઈનું એક ધમધમતું સ્થળ, જ્યાં સાંજે ખાસ્સી ભીડ હોય છે.

આ મોલની અંદર, મેકડોનાલ્ડની રેસ્ટોરન્ટ સામે મોટું ખુલ્લુ મેદાન છે. ત્યાં અચાનક મોટેથી લાઉડ સ્પીકરમાં બોલિવૂડનું નવું નક્કોર ગીત વાગવા માંડે છે અને ચાલીસેક છોકરીઓનું ટોળું આજુબાજુમાંથી મેદાનની વચ્ચોવચ આવી - ગોઠવાઈ જઈ એક સરખા સ્ટેપ્સ સાથે લયબદ્ધ, તાલબદ્ધ નાચવા માંડે છે. આસપાસના ખરીદી કરી રહેલા, ફરી રહેલા લોકોનું ટોળું કૂતૂહલ પૂર્વક તેમનો વેલ-કોરિયોગ્રાફ્ડ ડાન્સ જોવા ઉભુ રહી જાય છે. પહેલા ગીતની થોડી પંક્તિઓ પૂરી થઈ, ત્યાં તો બીજુ ‘પેપી’ ગીત વાગવા માંડે છે અને બીજા કેટલાક લોકો સહિત હું પણ એ ડાન્સમાં જોડાઈ જાઉં છું અને પછી તો અમે બધાં ભેગા મળી બીજા ગીતની કેટલીક પંક્તિઓ પૂરી થયા બાદ, ત્રીજા ધમાલિયા ગીતની તરજો પર ઝૂમીએ છીએ, નાચીએ છીએ! બે-ત્રણ મિનિટના આ ડાન્સ પર્ફોર્મન્સ બાદ બધા વિખેરાઈ જાય છે! જાણે થોડી વાર પહેલા અહિં કંઈ બન્યું જ ન હોય!

આને કહેવાય ફ્લેશ મોબ!

૨૬મી સપ્ટેમ્બર ૨૦૧૨ના બુધવારની સાંજે આગલા દિવસે 'વર્લ્ડ ડોટર્સ ડે' નિમિત્તે આ ફ્લેશ મોબ ડાન્સનું આયોજન 'આર્ટ્સ ઇન મોશન' નામનાં ડાન્સ ગ્રુપે ફિનિક્સ મોલ સાથે મળીને કર્યું હતું જેમાં મેં અને મારા જેવા બીજા આઠેક માતા-પિતાઓએ પોતાની દિકરી સહિત,બીજી પચાસેક છોકરીઓ સાથે ઉત્સાહભેર ભાગ લીધો અને મન ભરીને અમે આ ડાન્સ પર્ફોર્મન્સ એ જ સાંજે એક કલાકમાં, ફિનિક્સ મોલના એ જ મેદાનમાં ત્રણ વાર રજૂ કર્યું!




ખૂબ મજા પડી આ ફ્લેશ મોબમાં ભાગ લેવાની!

મુંબઈમાં કદાચ પહેલું ફ્લેશ મોબ, સદાયે પ્રવ્રુત્તિથી ધમધમતાં છત્રપતિ શિવાજી ટર્મિનસ - સ્ટેશન પર ૨૮મી નવેમ્બર ૨૦૧૧ના દિવસે, કસાબે અહિં કરેલા આતંકવાદી હૂમલાનો વિરોધ નોંધાવવા અને ભારતીય પ્રજાની એકતા અને સહિષ્ણુતા દર્શાવવા સોએક જેટલા જુવાનિયાઓએ સાથે મળી રજૂ કર્યું હતું.

ત્યાર બાદ તો ભારતભરમાં અનેક નાનામોટા શહેરો, નાના નગરોમાં અનેક મુદ્દાઓ સાથે સાંકળી મોલ્સમાં,સ્ટેશન પર,એરપોર્ટ પર,બીચ પર વગેરે જાહેર સ્થળોએ વિવિધ વયજૂથના લોકો દ્વારા અનેક ફ્લેશમોબ યોજાઈ ગયાં.મને પણ એકાદ ફ્લેશ મોબમાં જોડાવાની ખૂબ ઇચ્છા હતી અને ત્યાં મને વર્લ્ડ ડોટર્સ ડે નિમિત્તે ફિનિક્સ મોલમાં યોજાનારા આ ફ્લેશ મોબનું આમંત્રણ મળ્યું. મારી લાડકી દિકરી નમ્યા તો હજી બે વર્ષની છે તેથી એ તો કોરિયોગ્રાફ્ડ ડાન્સ ન કરી શકે પણ મેં તેના માટે થઈ ડોટર્સ ડે ઉજવવા સહર્ષ આ ફ્લેશ મોબમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો. પાંચેક રિહર્સલ્સ સાયન ખાતે 'આર્ટ્સ ઇન મોશન' સ્ટુડિયોમાં કોરિયોગ્રાફર આંચલ ગુપ્તા અને પ્રણાલિની નામની તેની આસિસ્ટન્ટ સાથે મેં અટેન્ડ કર્યા અને ફ્લેશ મોબમાં નાચવાનો અનુભવ ખરેખર ખૂબ યાદગાર રહ્યો.

આ ફ્લેશ મોબની કેટલીક તસવીરો તમે મારા ફેસબુક પેજ પર જોઇ શકશો અને તેનો વિડીયો યુટ્યુબ વેબસાઈટ પર અપલોડ થશે એટલે હું તેની લિન્ક મારા ફેસબુક અને ટ્વીટર પેજ પર તથા અહિં તમારી સાથે શેર કરીશ.

Here is the Video link of Flash Mob :  http://youtu.be/t-WztMltlDs

રવિવાર, 23 સપ્ટેમ્બર, 2012

ઈકો-ફ્રેન્ડલી ગણેશ વિસર્જન

આ વર્ષે દોઢ દિવસ માટે ગણપતિ બાપ્પાની પધરામણી મારે ઘેર કરી.અગાઉ પણ બ્લોગ્સમાં લખ્યા મુજબ હું ઈકો-ફ્રેન્ડલી જીવનપદ્ધતિનો હિમાયતી છું આથી મારી આ વખતની પસંદ કરેલી મૂર્તિ પણ ઈકો-ફ્રેન્ડલી જ હતી. પણ આ વર્ષે મેં સુશોભન અને વિસર્જન પણ ઇકો-ફ્રેન્ડલી કર્યા જે વિષે માહિતી તમારા સૌ સાથે આજના બ્લોગ દ્વારા શેર કરવી છે. જેથી તમારામાંના જે વાચકો સાત કે વધુ દિવસે પોતાના ઘરના કે સાર્વજનિક મંડળના ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવાના હોય તેઓ પણ પર્યાવરણ પ્રત્યે સજાગ થઈ ઇકો-ફ્રેન્ડલી પધ્ધતિથી ગણેશ મૂર્તિનું વિસર્જન કરી શકે.


બે-ત્રણ વર્ષ અગાઉ ઓફિસનો એક કલીગ અમેરિકા ગયેલો અને તેણે ત્યાં ગણેશોત્સવ ઉજવેલો.ત્યાં તો જાહેર જળાશયમાં વિસર્જન કરવા દે નહિં એટલે મારા એ મિત્રે પોતાના અપાર્ટમેન્ટની બહાર જ નાનકડો ખાડો ખોદી તેમાં પાણી ભરી નાનકડો કૃત્રિમ ટાંકો બનાવી તેમાં ગણેશની મૂર્તિનું વિસર્જન કર્યું તેના ફોટા મેં જોયેલા અને હું આ ઈકોફ્રેન્ડલી પધ્ધતિથી ખૂબ પ્રભાવિત થયેલો.

ગણપતિની હજારો મૂર્તિઓનું દરિયામાં કે સ્થાનિક તળાવોમાં વિસર્જન થાય ત્યારે તેનાથી પર્યાવરણ અને ખાસ કરીને દરિયાઈ જીવોને થતા નુકસાન વિષે વાંચ્યા બાદ મેં નિર્ણય લઈ લીધો કે આ વખતે અમારી ગણપતિની પ્રતિમા ઇકો-ફ્રેન્ડલી હોવા છતાં તેનું વિસર્જન ઇકો-ફ્રેન્ડલી રીતે જ કૃત્રિમ તળાવમાં કરવું.

ઇન્ટરનેટ પર તપાસ કરતાં માલૂમ પડ્યું કે હું રહું છું એ મલાડ વિસ્તારમાં નગર સેવક ડો. રામ બારોટ સાહેબે ગૌશાળા લેનમાં આવેલા રામલીલા મેદાનમાં ગણપતિ વિસર્જન માટે એક ખાસ કૃત્રિમ તળાવ બનાવડાવ્યું છે. મુંબઈના મોટા ભાગના ઉપનગરોમાં સુધરાઈ દ્વારા લોકોની સુવિધા અને પર્યાવરણની જાળવણી હેતુથી આવા કૃત્રિમ તળાવો બનાવવામાં આવે છે. જેનું લિસ્ટ બ્લોગને અંતે છાપ્યું છે. ઇન્ટરનેટ પરથી રામલીલા મેદાનનો સંપર્ક નંબર શોધવાના પ્રયત્નો સફળ ન થયા એટલે ગણેશ ચતુર્થીના બીજા દિવસે, વિસર્જનના દિવસે સવારે હું જાતે રામલીલા મેદાન જઈ આવ્યો.ત્યાં તળાવ અને અન્ય વ્યવસ્થા જોઈ લીધી અને નક્કી કરી લીધું કે હવે તો વિસર્જન આ આર્ટીફિશિયલ લેકમાં જ કરીશ!

માર્ગમાં જ મારા એક મિત્રને ઘેર ફોન જોડ્યો અને તેને પણ મારી સાથે તેના દોઢ દિવસના ગણપતિનું વિસર્જન આ કૃત્રિમ તળાવમાં કરવા અંગે પૂછ્યું. તે કહે ના મને તો મારા ગણેશની મૂર્તિ કુદરતી જળસ્રોતમાં જ કરવી ગમશે. હવે આમ તેણે ગણપતિ બાપાને ખોટું લાગશે એવા કોઈ ડરથી પ્રેરાઈને કહ્યું કે આપણી ઝાઝું વિચાર્યા વગર જ અનુસરવામાં આવતી રૂઢીગત માન્યતા અને રસમોને લીધે, એ તો ગણપતિ જ જાણે! પણ પછી તો મેં બીજા ત્રણ પાડોશી, મિત્રોને પણ પૂછ્યું અને બધાં નો જવાબ નકારમાં જ આવ્યો. મને થોડી નિરાશા થઈ પણ હું મારા ગણેશની પ્રતિમાનું વિસર્જન તો મલાડમાં બનાવાયેલા કૃત્રિમ તળાવમાં જ કરીશ એ નિર્ણય અડગ હતો અને એમાં મારા પરિવારજનો એ પણ સહર્ષ સંમતિ આપી દીધી.

જ્યારે એક પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી ગણપતિની મૂર્તિને કુદરતી જળાશયમાં પધરાવવામાં આવે છે ત્યારે માછલીઓ,દરિયાઈ વનસ્પતિ,અન્ય જળજીવો વગેરેને પારાવાર નુકસાન થાય છે.મૂર્તિ સાથે અંધશ્રધ્ધાળુ ભક્તો પ્લાસ્ટીક,થર્મોકોલ વેગેરેમાંથી બનાવેલી સુશોભનની સામગ્રી પણ જળાશયમાં પધરાવતા હોય છે જે પર્યાવરણ માટે હાનિકારક છે.કૃત્રિમ તળાવમાં મૂર્તિનું વિસર્જન કરવાનો મોટો ફાયદો તો એ છે કે તેમાં સજીવ જળચર ન હોવાને લીધે તેમને થતું નુકસાન અટકે છે.આ કૃત્રિમ તળાવ રહેઠાણની નજીક બનાવ્યા હોવાથી રસ્તા પર ટ્રાફિકની સમસ્યા નિર્માણ થતી અટકે છે.ધ્વનિ પ્રદૂષણ અને વાહનોથી ફેલાતા હવાના પ્રદૂષણની માત્રા પણ ઓછી થાય છે.

મેં જ્યારે સાંજે મારા ગણપતિની મૂર્તિનું વિસર્જન મલાડના કૃત્રિમ તળાવમાં કર્યું ત્યારે અન્ય સૌથી મોટો લાભ એ થયો કે હું અને મારા પરિવારજનો આટલા વર્ષોમાં પહેલી વાર અમારી આંખે પ્રત્યક્ષ અમારા ગણપતિની મૂર્તિનું વિસર્જન શાંતિથી જોઈ શક્યા.દરિયા કિનારે કે અન્ય સાર્વજનિક કુદરતી તળાવો પાસે એટલે ભીડ હોય કે તમારી મૂર્તિ તો વિસર્જીત થતી તમને જોવા મળે જ નહિં.અહિં ભીડ પણ સાવ ઓછી હતે એટલે જવા આવવામાં પણ ખૂબ ઓછો સમય લાગ્યો અને શાંતિપૂર્ણ રીતે અમે અમારા ઈકોફ્રેન્ડલી ગણપતિનું ઈકોફ્રેન્ડલી રીતે વિસર્જન કર્યું!



મલાડનું આ કૃત્રિમ તળાવ વિદ્યાધર કુલકર્ણી નામના ઇજનેરે ખાસ રીતે બનાવેલું છે જેમાં પાંચ ફૂટ સુધીની મૂર્તિનું વિસર્જન કરવા દેવાય છે. વિસર્જનના દસ દિવસ બાદ મોટા ભાગની મૂર્તિઓ પાણીમાં ઓગળી ગઈ હોય છે.જે મૂર્તિના અવશેષો ઓગળ્યા વગર બાકી રહી ગયા હોય તે ભેગા કરી તેનું દરિયામાં જઈ વિસર્જન કરાય છે.અહિં પાછી પર્યાવરણના નુકસાનની વાત ઉભી થાય પરંતુ મોટા ભાગની મૂર્તિઓ કૃત્રિમ તળાવમાં જ ઓગળી ગઈ હિય છે અને માત્ર ન ઓગળેલા ભાગોનું જ આ રીતે વિસરજન કરાતા લોકોની ધાર્મિક લાગણી દુભાતી નથી અને પર્યાવરણને પહોંચતું નુકસાન ઓછું થઈ જાય છે. કૃત્રિમ તળાવમાં બચેલું પાણી સુકાઈ જવા દેવાય છે અને તળાવ ફરી પાછું માટીથી ભરી દેવાય છે.

અન્ય જાહેર તળાવ કે દરિયામાં વિસર્જન વખતે તમારે ફી ભરવી પડતી હોય છે.કૃત્રિમ તળાવમાં વિસર્જન માટે આવી કોઈ ફી ભરવી પડતી નથી અને અહિં માત્ર તમારે સામાન્ય રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે.ભીડ ઓછી હોય છે અને વ્યવસ્થા પણ ખૂબ સારી રીતે જળવાય છે.તળાવની ફરતે રેલિંગ બનાવેલી હોય છે જેથી ત્યાં ઉભા રહી તમે પ્રત્યક્ષ તમારી મૂર્તિનું વિસર્જન સાવ નજીકથી અને શાંતિથી જોઈ શકો છો.

મિત્રો તમને સૌને આવા કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરવાની મારી ભલામણ છે અને આ વર્ષે નહિં તો આવતા વર્ષે ચોક્કસ વિસર્જન આમ ઈકો ફ્રેન્ડલી રીતે જ કરી પર્યાવરણની જાળવણીમાં પોતાનો નાનકડો ફાળો નોંધાવજો.



મુંબઈના ઉપનગરોમાં કૃત્રિમ તળાવો જે સ્થળે છે તેમાંના કેટલાકની યાદી:

* મેયર' બંગલો, શિવાજી પાર્ક

* ભાયખલા ઝૂ પ્લેગ્રાઉન્ડ

* મહાત્મા ગાંધી સ્કૂલ, વાંદ્રા

* ડો. હેડ્જેવર મેદાન, હનુમાન રોડ, વિલે પાર્લે

* ગૂઝદર પર્ક, ગોરેગાવ

* પાંડુરંગવાડી, ગોરેગાવ

* રામલીલા મેદાન, મલાડ

* સાઈનગર મ્યુનિસિપલ ચોકી, કાંદિવલી

* મુર્બાડી, દહિસર

* દહિસર સ્પોર્ટ ફાઉન્ડેશન, દહિસર

* ચિકુવાડી, બોરિવલી

* નંતરાવ ભોસલે ગ્રાઉન્ડ, બોરિવલી

* કુલુપવાડી, બોરિવલી

* સ્વપ્નનગરી તળાવ, મુલુન્ડ

* પેસ્ટોમ સાગર, ચેમ્બુર




અન્ય માહિતી માટે ઇન્ટરનેટ પર આ લિન્કની મુલાકાત લો :

http://envis.maharashtra.gov.in/envis_data/?q=gg_artificial_tanks

બુધવાર, 19 સપ્ટેમ્બર, 2012

ભાત ભાતનાં માણસો

છેલ્લા થોડા સમયમાં થયેલા ભિન્ન ભિન્ન પ્રકારના ત્રણ અનુભવોની વાત આજે બ્લોગ થકી કરવી છે. આ અનુભવોમાં માણસના સ્વભાવની કેટલીક લાક્ષણિકતાઓના દર્શન થયા.


૨૦૧૩ના જાન્યુઆરીમાં યોજાનારી મુંબઈ મેરેથોનમાં મેં હાફ મેરેથોન કેટેગરીમાં નામ નોંધાવ્યું છે અને આ કેટેગરીમાં મારે ૨૧ કિલોમીટર દોડવાનું છે. આ માટેની પ્રેક્ટીસ મેં અત્યારથી જ શરૂ કરી દીધી છે.બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલી મારી ઓફિસ સુધી પહોંચવા વાંદરા સ્ટેશનથી ઓફિસ વચ્ચેનું અડધું અંતર દોઢેક કિલોમીટર લાંબા સ્કાયવોક પર ચાલીને કાપું છું અને બાકીનું અડધું અંતર રીક્ષામાં બેસીને.પંદરેક દિવસ અગાઉ સ્કાયવોકના ફ્લાય ઓવર પરથી ઉતરી મેં રીક્ષા પકડી.મારી પાસે તે દિવસે છૂટ્ટા ન હોવાથી મેં રીક્ષાવાળાને રીક્ષામાં બેસતા પહેલા જ ચોખવટ કરી દીધી કે મારી પાસે માત્ર સો ની નોટ છે.પણ તેણે ઘસીને ના પાડી દીધી કે છૂટ્ટા વગર તે મને મારી ઓફિસ સુધી નહિં લઈ જાય. સામે જ એક પાનવાળાની દુકાન હતી. મેં ત્યાં જઈ મને સો ના છૂટ્ટા આપવા વિનંતી કરી પણ પાનવાળા ભૈયાએ પણ મને તેની પાસે છૂટ્ટા છે કે નહિં એ ચકાસ્યા વગર જ છૂટ્ટા આપવાની ચોખ્ખી ધૂપ ના પાડી દીધી.મેં તેને પૂછ્યું કે હું તેને ત્યાંથી કોઈક વસ્તુ ખરીદું તો તે મને છૂટ્ટા આપશે કે નહિં.તેણે હકારમાં જવાબ આપ્યો.મારે તેની પાસેથી બાર રૂપિયાનું વેફરનું પડીકું લેવું પડ્યું.પણ ચાલો છૂટ્ટા તો મળ્યા! હવે હું છૂટ્ટા પૈસા લઈ પેલી રીક્ષામાં જ હકપૂર્વક બેઠો જેના ડ્રાઈવરે મને પોતાના ખિસ્સામાં છૂટ્ટા છે કે નહિં તેની ચકાસણી સુદ્ધા કર્યા વગર જ મારી ઓફિસ સુધી લઈ જવા નનૈયો ભણ્યો હતો. તેણે મને છૂટ્ટા લેવા જતા જોયેલો એટલે કંઈ વધુ બોલ્યા વગર રીક્ષા ચાલુ કરી. મારી ઓફિસ આવી જતાં મેં તેને દસ-દસની બે નોટ આપી. ભાડુ થયું હતું સત્તર રૂપિયા.તેણે પાછા આપવાના ત્રણ રૂપિયાના છૂટ્ટા કાઢવા શર્ટના ખિસ્સામાં હાથ નાંખ્યો ત્યારે દસ-દસની નોટોનું બંડલ તેના હાથમાં બહાર આવી ગયું. તેની પાસે સો ના છૂટ્ટા હતાં! છતાં તેણે મને શરૂઆતમાં તેની રીક્ષામાં મારી ઓફિસ સુધી લઈ આવવાની ના પાડી દીધી હતી.શું આ રીક્ષાવાળો કે પેલો પાનવાળો મને વિના શરતે,નિસ્વાર્થ ભાવે મદદ ન કરી શક્યા હોત? આપણે સામા માણસને કોઈ સ્વાર્થ વગર માત્ર મદદરૂપ થવાના ભાવ સાથે સહાય ન કરી શકીએ? ખેર, દુનિયાતો સુધરવાની હશે ત્યારે સુધરશે પણ આ પ્રસંગ પરથી મને એક વાત શીખવા મળી કે ઘેરથી નિકળતા પહેલાં ચકાસી લેવું જોઇએ કે પર્સમાં છૂટ્ટા પૈસા છે કે નહિં!

બીજો પ્રસંગ બન્યો મલાડ સ્ટેશન પર એક સવારે, નવેક વાગે. હું ઓફિસ જવા ટ્રેન પકડવા મલાડ સ્ટેશનના મિડલ ફર્સ્ટ ક્લાસ કોચ પાસે આવ્યો ત્યાં બેસવાના સ્ટીલના બાંકડા પાસે લોકોનું મોટું ટોળુ જમા થયેલું જોયું.સદાની માફક ટોળાના ત્રીસેક માણસોમાંથી માત્ર બે કે ત્રણ જણ, વચ્ચે જમીન પર ચત્તાપાટ બેહોશ પડેલા માણસની ખરી મદદ કરી રહ્યા હશે.બાકીના મોટા ભાગના લોકો માત્ર તમાશો જોઈ રહ્યાં હતાં. આવા કિસ્સામાં ખરી રીતે બેહોશ થયેલી વ્યક્તિને ગૂંગળામણ ન થાય એમ તેને વધુમાં વધુ હવા મળે એમ બેસાડવા કે સુવડાવવાની બદલે લોકો ટોળું બનાવી બેહોશ થઈ ગયેલી વ્યક્તિની મુશ્કેલીમાં વધારો કરતાં હોય છે. હું માર્ગમાં આવી રહેલા થોડાં ઘણાં લોકોને ખસેડી બેહોશ થઈ ગયેલ વ્યક્તિ પાસે પહોંચી ગયો.તે સાંઈઠેક વર્ષની ઉંમરના કાકા હતાં.એક ભાઈ તથા બે મહિલાઓ તેમને ઢંઢોળી ઉભા કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. થોડી જ વારમાં બેહોશ થઈ ગયેલા કાકાને ભાન આવ્યું અને તે એકદમ ગભરાઈ ગયેલી હાલતમાં આસપાસ જમા થયેલી ભીડને જોઈ રહ્યાં. એક યુવાને ટોળાને વિખરાઈ જવા બૂમ પાડી અને કાકાને વધુ હવા મળે એ માટે જાતે લોકોને હડસેલા મારી દૂર કર્યા. ભાનમાં આવેલા કાકા ખાસ્સી અશક્તિને કારણે ઉભા પણ થઈ શકતા નહોતા.મેં અને પેલા બીજા ભાઈએ મળીને કાકાને ઉભા કરી પેલા સ્ટીલના બાંકડા પર બેસાડ્યા.મેં કાકા પાસે મોબાઈલ છે કે નહિં એમ પૂછ્યું જેથી તેમના ઘેર કોઈને જાણ કરી શકાય.પણ તેમણે ના કહી.મેં મારા ફોનમાં તેમને પોતાને ઘેર વાત કરવા જણાવી મોબાઈલ તેમની સામે ધર્યો પણ તેઓ ખૂબ ગભરાઈ ગયેલા એથી કે બીજા કોઈ કારણ સર તેમણે ફોન કરવાની ના પાડી.મેં સમજાવવા કોશિશ કરી કે જો ફોન કરી તો તેમના ઘરેથી કોઈ આવી તેમને લઈ જાય. બીજા એક માજી પણ મારી સાથે તે કાકાને પૂછવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં કે તેમનું ઘર ક્યાં છે?કોઈ તેમને લેવા આવી શકે એમ છે કે નહિં? વગેરે વગેરે.પણ એ કાકા ખૂબ ડરી ગયેલાં અને તેમના મોઢામાંથી શબ્દો જ નહોતા નિકળી રહ્યાં.મેં તેમને રીક્ષામાં બેસાડી તેમનાં ઘેર જતાં રહેવાની વાત પણ કરી જોઈ પણ તે ઇશારામાં ના ના જ કરતા રહ્યા. જ્યારે તેઓ પડી ગયા ત્યારે સ્ટીલના બાંકડાની ધાર તેમના કપાળે વાગી હોવાને લીધે, ત્યાંથી લોહી નીકળી રહ્યું હતું અને થોડી વારમાં તો લોહીની ધાર નીચે વહી અને લોહીના ટીપાં તેમના શર્ટ પર પડવા માંડયા.સદનસીબે રેલવેના માણસો એ સમયે જ બે હમાલ સાથે ત્યાં આવી પહોંચ્યા અને કાકાને શાંતિથી પાટાપિંડી કરવાનું કહી ટેકો આપી ઉભા કરી અને ખભાનો સહારો આપી ચલાવી લઈ ગયાં.મને હાશ થઈ.પછીતો લોકો પણ વિખરાઈ ગયાં અને હું પણ ફરી રૂટીન લાઈફમાં ખોવાઈ ગયો. પણ થોડાં સમય સુધી, ગભરાયેલા કાકાના મોઢા પરના હાવભાવ અને કપાળ પરથી વહી રહેલ લાલ લોહી, મારા મગજ પર છવાયેલાં જ રહ્યાં.

ત્રીજા અનુભવમાં એક વિરલ વ્યક્તિ સાથે થયેલ પરિચય વિષે વાત કરવી છે. રૂષભ તુરખિયા નામની આ વ્યક્તિ સાથે મારો પરિચય થયો એક અંગ્રેજી અખબારમાં તેમના અનોખા અભિયાન વિષે વાંચ્યા બાદ. તેમણે 'YTN' (Your Turn Now) નામે એક નવો સેવા યજ્ઞ ચાલુ કર્યો છે જેમાં તમે મફતમાં તેમની પાસેથી દસ કાર્ડ મંગાવી શકો છો.તમારે રસ્તામાં,ઓફિસમાં કે ગમે ત્યાં કોઈ અજાણી વ્યક્તિને મદદની જરૂર હોય ત્યારે નિસ્વાર્થ ભાવે તેની મદદ કરવાની અને જ્યારે આભારવશ તેના મોઢા પર સ્મિત ફરકે ત્યારે પેલું એક કાર્ડ તેના હાથમાં પકડાવી દેવાનું જેના પર લખ્યું હોય 'YTN' (Your Turn Now) 'હવે તમારો વારો'. તેને સમજાવવાનું કે જેમ તમે તેને મદદ કરી એમ જ તેણે અન્ય કોઈ વ્યક્તિને મદદ કરવી અને પેલું કાર્ડ તેને આપવું. આમ એ કાર્ડ ફરતું રહેવું જોઇએ.છે ને મજેદાર,રસપ્રદ અને અનોખો આઇડિયા? તમે દસ 'YTN' કાર્ડ રૂષભભાઈના ઈમેલ આઈડી : rushabh@yourturnnow.in પર ઈમેલ કરી અથવા તેમને મોબાઈલ નંબર 9029602897 પર ફોન કરી મંગાવી શકો છો

જાત જાતનાં, ભાત ભાતનાં માણસો વિશે કોઈકે સાચું જ કહ્યું છે : તુંડે તુંડે મતિ:ભિન્ના !

શનિવાર, 15 સપ્ટેમ્બર, 2012

ગેસ્ટ બ્લોગ : તમારા નામનો અર્થ શું?

-રિશી રાજપોપટ

સંસ્કૃત ભાષાનો ગૌરવ કરતાં જેટલા ગીતો ગાઈએ એટલા ઓછા પડે. આપણી આ ગીર્વાણભારતી હિન્દી,ગુજરાતી,બંગાળી,મરાઠી જેવી અનેક ભાષાઓની જનની તો છે જ, તે ઉપરાંત, આજે પણ જ્યારે હિંદુ ઘરોમાં અસ્તિત્વની કળીઓ મોરે છે, ત્યારે તે સંસ્કૃત ભાષાની અમૂલ્ય સોગાત જ હોય છે. આપણી પિછાણ, તેવું આપણું નામ, વધુ કરીને સંસ્કૃત શબ્દો પર થી જ અથવા સંસ્કૃત શબ્દોમાં બાદબાકી કરી, રાખવામાં આવતું હોય છે. દેવ, પ્રજ્ઞા, આદિત્ય, માનસ્, મેઘા જેવા નામો સરળ અને એક વિશિષ્ટ અર્થ ધરાવે છે. છતાં,આપણે એવા ઘણા શબ્દોથી રૂબરૂ થઈએ છીએ જે મૂળ રૂપે સામાસિક, સંધીબદ્ધ અને તત્ધિત-કૃદંત રચનાઓ હોય છે. મહદ અંશે,આવા શબ્દો રામ,વિષ્ણુ,કૃષ્ણ,ઇન્દ્ર,સૂર્ય જેવા ઇષ્ટ દેવો અને માયથોલોજીનાં અનેક પાત્રોના નામો માટેના વિવિધ પર્યાયો હોય છે. ઉદાહરણાર્થ, નવજાત શિશુનું નામ 'પાર્થ' રાખવામાં આવે ત્યારે એ અર્જુનનું બીજું નામ હતું એટલી જ જાણકારી માતા-પિતા કે ફૈબા ને હોય છે. પણ પાર્થ નો સૂચિતાર્થ 'પૃથાયા: અપત્યમ્ પુમાન્ પાર્થ:' છે - પૃથા (કુંતી નું બીજું નામ) નો પુત્ર-પાર્થ'. તેમજ બીજું સરળ અર્થયુકત નામ દેવાંગ છે.'દેવસ્ય અંગ: દેવાંગ:' એટલે જ પ્રભુનો જ એક ભાગ હોવાની ભાવના આ નામ પ્રગટ કરે છે.

આજ કાલ તો અર્થ જાણ્યા વગર પણ,પાર્થ જેવા સુંદર નામો રાખવામાં આવે તો સદભાગ્ય બાળકનું! નહીતર સોનિઆ, વેરોનીકા, જેનીલ, વિવાન જેવા આડકતરી રીતે નિર્મિત નામો નો ઉપયોગ થાય, તો અર્થહીનતાનાં કારણે, માણસનું વ્યક્તિમત્ત્વ પોતાની ફોરમ ગુમાવી બેસે છે. બીજી બાજુ, દેશનું રાજકારણ ભલે ભ્રષ્ટ થઇ ગયું હોય, આપણા રાજનેતાઓનાં નામો એક થી એક ચઢે એવા સુંદર છે. આપણા સુવર્ણમયી ગુજરાતના ઘડવૈયા એવા શ્રી.નરેન્દ્ર મોદી નું નામ 'નરેન્દ્ર' તપાસીએ. નરેન્દ્ર સમાસ છે -'નારાણાં ઇન્દ્ર: નરેન્દ્ર:' એટલેજ લોકોના ઇન્દ્ર(રાજા) એવા નરેન્દ્ર! પોતાનાં નામનાં પ્રગાઢ અર્થ ને અનુસરી આજે મોદીસાહેબ લોકોના હૃદયો પર ખરેખર રાજ કરતાં દેખાય છે. તેમજ પોતાની આ તખ્તી માં પ્રાણ પૂરતાં દેખાય છે. તેમના પક્ષના લોકસભિક અને વિપક્ષ પ્રણેતા સુષ્મા સ્વરાજ નું નામ પણ અતિશય મંજુળ છે. સુષ્મા-'ઉશ્મયા સહ ' એટલે જે સદા ઉષ્મા(દિવ્ય તેજ) થી ઉભરાય છે તેવા સુષ્માબેન. તેમજ મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચોહાણ નાં નામ નો અર્થ છે...'પૃથીવ્યા: રાજા પૃથ્વીરાજ:'- પૃથ્વીનાં રાજા. આવો સુંદર શબ્દનિરીક્ષણ નો શાસ્ત્ર સંસ્કૃતમાં 'નિરુક્તશાસ્ત્ર' તરીકે જણાય છે.

પણ આજે તો બાળકો અને યુવકોમાં સંસ્કૃત વિષેની જાગૃતિના અભાવ ખાતે પોતાનાં નામનો અર્થ ઘણાય ને ખબર હોતો નથી! દાખલા તરીકે,'સોહમ્'.સોહમ્ સંધીબદ્ધ છે-સ:+અહં.હું એ (જ) છું. હિંદુ સંપ્રદાયો માં અદ્વૈતવાદ નો શક્તિ-સ્તંભ આજ શબ્દ છે. 'હું પરમાત્મા જોડે એક છું' આવો પ્રફુલ્લિત થઇ ચિત્કાર કરનાર વ્યક્તિ પોતાનો પ્રભુસુધીનો અડધો માર્ગ પાર કરી લે એવી આ નામની મહિમા છે. ઈશ્વર સુધી પહોચવાનો સેતુ છે આ શબ્દ! આવા ઘણા બીજા શબ્દો છે જે માણસના નામ પરથીજ તેની પ્રવૃત્તિઓ અને ગુણો વિષે બહુ બધું જણાવે છે. જેમ કે,આપણા ચિતચોર પ્રભુ શ્રી કૃષ્ણ.'કર્ષયતિ ન: કૃષ્ણ:' એટલે કૃષ્ણ.જે આપણને કર્ષી(મોહી) લે એવા કૃષ્ણ! બીજું ઉદાહરણ-શંકર.'શમં કરોતિ ઇતિ શંકર:' જે આપણું ભલું કરે એવા શંકર! તેમજ છોકરાઓ નાં ઘણા નામો તેમના મનની નિખાલસતા અને શુદ્ધિને વર્ણે છે.દા.ત.-નિરંજન.સમાસ ને છૂટો પાડીએ, (નિર્ગત: અંજન: યસ્ય સ: નિરંજન:) જેનો બધો દોષ ચાલ્યો ગયો છે એવો તે નિરંજન! વિમલ અને નિર્મલ પણ (વિગત:/નિર્ગત: મલ:યસ્ય સ: વિમલ:/નિર્મલ:) આવા જ મતલબ ધરાવે છે.જેનો મેલ/કચરો ચાલ્યો ગયો છે એવો તે વિમલ/નિર્મલ.

કાવ્યાત્મક સર્જનો માટે વપરાતા ઘણા શબ્દો માણસની દશાનું વર્ણન કરે છે.આવા શબ્દો પરથી પણ નામ પાડવામાં આવે છે. ઉદા.અચલા; અચલા શબ્દ પર્વતોની શૃંખલા માટે અર્વાચીન મહાકાવ્યો માં વપરાતો હતો. અચલા એટલે-'ન ચલતિ ઇતિ અચલા'. જે ન ચાલે/ચાલી શકે અને પોતાનાં સ્થાને સ્થિર ઉભા રહે એવા પર્વતો! આ શબ્દનો આવો સખોલ અર્થ સાંભળતાજ મુખપર સ્મીત છવાઈ જાય છે! બીજો આવો શબ્દ છે નિશાંત-'નિશાયા: અંત: નિશાન્ત:' નિશા એટલે જ રાત્રી(અહી અર્થ છે અંધકાર) નો અંત કરી ઉજાસ ને આવાહન આપતો નિશાંત! તેમજ,જાનકી એટલે 'જનકસ્ય અપત્યમ્ સ્ત્રી'.જનક ની પુત્રી જાનકી.પાર્વતી આ નામ પણ બહુ સુરેખ છે! 'પર્વતસ્ય અપત્યમ્ સ્ત્રી' એટલે પાર્વતી. પર્વતો ની પુત્રી એવી પાર્વતી.આવા તત્ધિત શબ્દો નામ રાખતી વખતે બહુ વપરાતા હોય છે.

ઘણા નામો નૈસર્ગિક તુલનાની ઉપજ હોય છે.દા.ત.સુધાકર-'સુધા ઇવ કર:'જેના કિરણો(કર) સુધા(અમૃત) જેવા હોય છે એવો તે સુધાકર.ચંદ્ર માટે આ શબ્દ યોજાયા પછી આ શબ્દ લોકો નાં નામ તરીકે વપરાવા માંડ્યો છે.તેમજ રવિની તુલના ઇન્દ્ર(અહી અર્થ છે રાજા) જોડે કરી 'રવિ ઇન્દ્ર જેવો'ને 'રવિ: ઇન્દ્ર: ઇવ રવીન્દ્ર:' આ રીતા લખવામાં આવે છે.'રવીન્દ્ર' આ નામ સંસ્કૃત ની છાપ બંગાળી સંસ્કૃતિ પર છે એનો સૌથી સુંદર દાખલો છે.ધાતુઓ માંથી નિર્મિત ઘણા સામાસિક શબ્દો કન્યાઓના નામ રાખવા માટે વપરાતા આવ્યા છે.નીરજા(એટલે કમળ) આ નામ ને આ રીતે લખી શકાય-'નીરે જાયતે ઇતિ નીરજા'. જે પાણી માં આવે (અર્થાત ઉગે) એવી નીરજા! ગિરિજા નો અર્થ પણ સમાન રીતે જ સમજાય જાય એવો છે-'ગિરે: જાયતે ઇતિ ગિરિજા'.જે પર્વતોથી આવે એવી ગિરિજા. આ નામ સંસ્કૃત અને અન્ય સાહિત્યમાં નદીઓ માટે ઉપયુક્ત હતું એવું ઈતિહાસ કહે છે. નિમ્નલિખિત સમાસો પણ ધાતુસાધિત છે -'શુભમ્ દદાતિ ઇતિ શુભદા' જે શુભ-મંગલ ને આમંત્રમ આપે એવી શુભદા! ફરી,હર્ષદા પણ 'હર્ષમ્ દદાતિ ઇતિ હર્ષદા' આ રીતે લખાય.જે હર્ષ(ખુશી) આપે એવી હર્ષદા!

સંસ્કૃત-શબ્દભંડોળ કોઈ પણ સમૃદ્ધ ભાષા ને પાછળ મૂકી દે એવું ગજું ધરાવે છે. નામ રાખવામાં આવે ત્યારે જો કોઈ જૂની વલ્લી હાથે લાગે, તો નિ:સંદેહ વિવિધ સુંદર અર્થો વાળા નામો આપણને ત્યાં સાંપડશે.બાકી બધું તો ઠીક,તમારી જિંદગીમાં તમારો છાયડો બની સંગે ચાલનારું નામ શું સમજાવા માગે છે એ જ ખબર ન હોય, તો ખરા અર્થમાં જીવન નશ્વર બની જાય છે.પોતાની ઓળખને ઓળખે અને એને લાયક બનવા માટે સદા પ્રયત્નશીલ રહે,એ માણસ ભ્રમમાં ન જીવી બ્રમ્હ માં જીવવા માંડે છે! તો વિચાર કરો,તમારા નામ નો અર્થ શું?

-રિશી રાજપોપટ

(શ્રીમતી.ભાનુ પંડ્યા અને શ્રીમતી.રંજના દેશપાંડે નો ખૂબખૂબ આભાર)

રવિવાર, 2 સપ્ટેમ્બર, 2012

પરિવર્તન અને નવું કંઈક કરવાની હિંમત

આજે મોબાઈલ આપણાં જીવનના એક અવિભાજ્ય અંગ સમુ બની ગયું છે.ઓફિસે જતી વખતે જો કદાચ ભૂલથી મોબાઈલ ઘેર રહી જાય તો પછી આખો દિવસ જે ઉચાટ અને અણગમા સાથે પસાર થાય એ તો જેની સાથે આમ બન્યું હોય તે જ જાણે! શાકભાજીવાળા ભૈયાથી માંડીને કોઈ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર હોય કે પછી રસ્તા પર સફાઈનું કામ કરતા ઝાડુવાળાથી માડી એક્ટર,નોકરિયાત કે વ્યવસાયિક દરેક ને મોબાઈલનું જાણે કે વ્યસન થઈ પડ્યું છે!


મુદ્દો આજે ચર્ચવો છે પરિવર્તનનો મોબાઈલના ઉદાહરણથી.બીજી પણ એક મહત્વની વાત કરવી છે બ્લોગને અંતે આપણાં જીવનમાં કંઈક નવું કરતી વેળાના અભિગમ વિશે.

મોબાઈલના માર્કેટમાં એકાદ દસકા સુધી એક વિદેશી કંપનીએ એકહથ્થુ સત્તા ભોગવી.પણ છેલ્લા બે-ત્રણ વર્ષમાં પરિસ્થિતી બદલાઈ.ટેક્નોલોજી ક્ષેત્રે તો ખૂબ ઝડપથી નવી નવી શોધો થતી રહે છે અને જો તમે ગ્રાહકોને સતત કંઈક નવું અને સંતોષકારક તેમજ 'વેલ્યુ ફોર મની' આપતું ઉત્પાદન ન આપો તો તમે બજારમાંથી બહાર પણ ફેંકાઈ જઈ શકો છો.

હું પોતે હજી અઠવાડિયા અગાઉ સુધી છેલ્લા એકાદ દસકા જેટલા લાંબા સમય સુધી મોબાઈલના નોકિયા કંપનીના હેન્ડ્સેટનો લોયલ કસ્ટમર રહ્યો હતો. પણ છેલ્લા બે-ત્રણ વર્ષમાં નોકિયાની માર્કેટ તોડી નાંખનાર એપલ-સેમસંગના ટચફોન્સનું લોકોને જબરું ઘેલું લાગ્યું છે અને હવે તો બીજી એચ.ટી.સી.,મોટોરોલા,એલ.જી.,કાર્બન,વાહવેઈ ઘણી અન્ય મોબાઈલ કંપનીઓ પણ માર્કેટમાં પ્રવેશી છે.

લોકોને સતત ટચ મોબાઈલ વાપરતાં જોઈ મને પણ આવો મોબાઈલ લેવાનું મન થયું.મોબાઈલ શોપમાં એવું સજેશન અપાયું કે ટચ સ્ક્રીન ફોનતો સેમસંગના શ્રેષ્ઠ આથી મેં નાછૂટકે કંઈક નવું કરવાનો નિર્ધાર કર્યો. દસ વર્ષ સુધી એક વસ્તુ વાપર્યા બાદ અન્ય બ્રાન્ડની કોઈ નવી પ્રોડક્ટ વાપરવું ખૂબ અઘરૂં છે.મને ડર હતો કે નવા ફિચર્સ અને નવી રીતભાતની પધ્ધતિ ધરાવતો ફોન મને ફાવશે? પણ મિત્રોની સલાહ લઈ અને થોડા ઘણાં ઇન્ટરનેટ પર સંશોધન બાદ ટચસ્ક્રીન અને કમ્પ્યુટરના કી બોર્ડ જેવું જ QWERTY કી પેડ એમ બંને સુવિધા ધરાવતો મોબાઈલ હેન્ડસેટ લેવાનું નક્કી કર્યું (કીપેડ એટલા માટે કારણ મોબાઈલ પર જ હું મારું બ્લોગ્સ સહિતનું લખાણ કાર્ય કરતો હોઉં છું.) અને સેમસંગનો આ પ્રકારનો એક નવો મોબાઈલ ખરીદ્યો.

હવે દસ વર્ષ સુધી એક જ કંપનીના જુદા જુદા પણ એકજ રીતના સરળ,યુઝર ફ્રેન્ડલી મેનુ ધરાવતા નોકિયા ફોન ધરાવતી વ્યક્તિ માટે અન્ય કોઈ કંપનીનો મોબાઈલ વાપરવો અતિ અતિ અઘરૂં કામ છે.ગુજરાતી માધ્યમમાં ભણતાં વિદ્યાર્થીને અચાનક કોન્વેન્ટ અંગ્રેજી શાળાના વર્ગમાં બેસાડી દો એવી આ વાત છે! પણ ધીરે ધીરે આ નવા ફોનના મેનુ અને અન્ય ફીચર્સથી પરિચીત થયા બાદ અને ટેવાઈ ગયા બાદ હવે હું જાણે મારા આ નવા મોબાઈલના પ્રેમમાં પડી ગયો છું.એમાં કેટકેટલી નવીન,અત્યાર સુધી હું જેનાથી તદ્દન વંચિત રહ્યો હતો એવી ખાસિયતો,સુવિધાઓ અને ઉપયોગી એપ્લિકેશન્સ છે!ગામનો કોઈ ભલોભોળો યુવાન અતિ આધુનિક મોલમાં આવી ચડે અને જે આશ્ચર્ય અનુભવે એવો અનુભવ મને શરૂઆતમાં તો થયો!

પહેલા દિવસે ટચ સ્ક્રીન વાપરવાનું ખૂબ સારું લાગ્યું.મોબાઈલના લીસ્સા કાચની સપાટી પર તમે હળવેકથી આંગળી કે અંગૂઠો સરકાવો કે ઠપકારો અને મોબાઈલ પર જે તે ફંકશન્સ એક્ઝીક્યૂટ થતાં જાય!એ પણ એક છટા અને એલીગન્સ સાથે!ફોન લીધાના બીજા દિવસે ફોન તો જોડ્યો પણ પછી કોણ જાણે કેમ મારી આંગળી ફરી જતાં, ફોન પરનું કોલ દર્શાવતું એક્ટીવ સ્ક્રીન બદલાઈ ગયું અને મને તો ફોન કટ કરવા બટન જ ન જડે!પછી એકાદ મિનિટની મથામણ બાદ ફોન જ સાવ સ્વિચ ઓફ કરી દીધો એટલે ફોન કટ થઈ જાય!પછીના દિવસે મારા જુનિયર કલીગે મને સમજાવ્યું કે કઈ રીતે એક્ટીવ કોલ કે બીજી કોઈ પણ વોર્નિંગ કે નોટીફીકેશન આંગળી વડે ટોચના બારને ડ્રેગ કરી નીચે ઢસડીને ક્રમબદ્ધ જોઈ શકાય અને જે તે એક્ટીવ ક્રિયા બંધ પણ કરી શકાય.

પણ એ પછી તો જેમ જેમ હું મારો આ નવો ફોન એક્સપ્લોર કરતો ગયો તેમ તેમ દરિયામાંથી જાણે નવા નવા મોતી,રત્નો વગેરે બહાર કાઢતો હોઉં એમ મને તેના નવા નવા ફીચર્સ વાપરતાં આવડતા ગયાં અને હું આ નવા ફોનથી વધુ ને વધુ આકર્ષિત અને પ્રભાવિત થતો ગયો. જૂના ફોનમાં હતી એ બધી સુવિધાતો મેં આ નવા ફોનમાં ડાઉનલોડ કરી મેળવી જ લીધી પણ પહેલા ક્યારેય ન વાપરી હોય એવી પણ કેટલીક ફાયદાકારક એપ્લીકેશન્સ મેળવી અને જાતજાતની ગેમ્સ પણ ગૂગલ એપ્સના 'પ્લે સ્ટોર' પરથી ડાઉનલોડ કરી લીધી.

હવે થોડી ફિલોસોફીની વાત! આ બધા નવા લાભ હું મેળવી શક્યો કારણ મેં દસ વર્ષ સુધી એક જ ચીજ વાપરી જે કમ્ફર્ટ ઝોનમાં પોતાની જાતને બાંધી દીધી હતી તેની બહાર નિકળવાનું પગલું મેં ભર્યું.પરિવર્તન શાશ્વત છે.પરિવર્તનને અપનાવીને અણધાર્યા લાભો પ્રાપ્ત થઈ શકે છે.જરૂર છે હિંમત કરવાની.

જીવનમાં કંઈક નવું કરવાની વાત આવે ત્યારે આપણે ઘણું ડરતા હોઈએ છીએ.જે કદાચ ક્યારેય બનવાનું જ ન હોય કે અતિ પાંખી શક્યતા હોય એવી બાબત જાણે વારંવાર બનવાની હોય તેવી કલ્પના કરી આપણે જીવનમાં કોઈ નવું ડગલું ભરતાં ખચકાતા હોઈએ છીએ. આ વાત પણ એક ઉદાહરણ આપી સ્પષ્ટ કરીશ. ચાર વર્ષથી હું ઓલ ઇન્ડિયા રેડિયો પર ગુજરાતીમાં સમાચાર વાંચવા જાઉં છું.આ ડ્યુટીનો સમય ઓફિસ પત્યા બાદ સાંજનો હોય છે એટલે હું એ કરી શકું છું.પણ જો મેં એમ ધારી લીધું હોત કે ઓફિસમાંથી હું સાંજે સમયસર નહિં નિકળી શકું,મને રેડિયો પર પહોંચવામાં મોડું થઈ જશે તો?આવા નકારાત્મક વિચારો જ કર્યા કરત તો હું ઓલ ઇન્ડિયા રેડિયો જેવી પ્રતિષ્ઠીત સંસ્થા સાથે સંકળાવાનો આ એક સુવર્ણ અવસર ચૂકી ગયો હોત!પણ આજે ચાર વર્ષ થઈ ગયાં અને ભાગ્યે જ એવો પ્રસંગ બન્યો હશે જ્યારે હું મારી ત્યાંની ડ્યુટી ચૂકી ગયો હોઉં!જરૂર છે હિંમતપૂર્વક સાહસ ખેડવાની! યા હોમ કરીને પડો...તૂફાનો જોઈ લેવાશે!... નક્કી ફતેહ છે આગે!