Translate

મંગળવાર, 4 ઑક્ટોબર, 2011

માણસના શરીરમાં ભગવાન

આ બ્લોગની શરૂઆત મારે એક પ્રશ્ન પૂછીને કરવી છે.શું તમે માનો છો કે માણસના શરીરમાં ભગવાન આવે?તમે ક્યારેક સાંભળ્યું હશે કે કોઈકને માતાજી આવ્યા કે કોઈકને પવન આવ્યો.શું આવું ખરેખર બની શકે? થોડાં સમય અગાઉ સ્ટીફન હોકિંગ નામના વૈજ્ઞાનિકે તો બ્રહ્માંડનું સર્જન પણ ઇશ્વર દ્વારા નહિં થયું હોવાનો દાવો કરી ઇશ્વરના અસ્તિત્વ અંગે જ પ્રશ્નાર્થ ઉભો કર્યો છે ત્યારે ઇશ્વર પામર માનવીના નશ્વર દેહમાં આવે એ વાતમાં તમે વિશ્વાસ ધરાવો છો? હું ઇશ્વરના અસ્તિત્વમાં ચોક્કસ વિશ્વાસ ધરાવું છું. હું પ્રાર્થનામાં પણ શ્રદ્ધા રાખું છું અને અનિયમિતપણે પણ તે કરતો રહું છું. હું મંદિરોમાં પણ જાઉં છું. મેં પણ ઘણી વાર સાંભળ્યું અને પ્રત્યક્ષ જોયું છે કે કેટલીક વ્યક્તિઓ ધૂણે છે, તેમના શરીરમાં માતાજી કે પવન આવે છે. આવી કેટલીક મેં અનુભવેલી વાતો આ બ્લોગ થકી મારે તમારી સાથે શેર કરવી છે. હું નાનો હતો ત્યારે એક બહેનના ઘરે ગયાનું યાદ આવે છે જેમના શરીરમાં કાળકામા આવતા. એમના ઘેર ભક્તોની ભીડ સદાયે લાગી રહેતી. આ બહેનના સંદર્ભમાં એક ખાસ વાત મેં સાંભળી હતી. કાળી ચૌદસની રાતે તેઓ સાવ જુદૂ જ રૂપ ધારણ કરતા. તે એક પગ આખો અને બીજો અડધો વાળી ખાસ રીતે બેસતા અને તેમની જીભ એ રાતે એટલી બધી બહાર નિકળી જતી કે જોનાર તેમનું આ રૌદ્ર ભયાનક સ્વરૂપ જોઈને ડરી જાય.સામાન્ય એવો કોઈ માણસ પોતાની જીભ આટલી બહાર ન કાઢી શકે. એ રાત્રે તેઓ માથાના વાળ છૂટ્ટા રાખતા અને કપાળે મોટ્ટો લાલ ચાંદલો કરતા. કાળકા માનું સાક્ષાત સ્વરૂપ જ જોઈ લ્યો! તેમનું આખુ શરીર એ વખતે ધ્રુજતું હોય અને તેઓ પોતાનું માથુ અતિ ઝડપથી ગોળ ગોળ ફેરવતા જાય. પોચા હ્રદયની કોઈ વ્યક્તિનું એક બહેનનું આવું વિકરાળ સ્વરૂપ જોવાનું કામ નહિં! આ રાતે તેમનું ઘર તો ભક્તોની ભીડથી ભરેલું જ હોય પણ તેમના પાડોશીઓના ઘેર પણ ભક્તો કતારમાં બેઠા હોય.
મારો એક મિત્ર અંબામા અને ગણપતિનો મોટો ભક્ત અને નવરાત્રિ તેમજ ગણેશોત્સવ દરમ્યાન તેના ઘેર તે વિધીવત દેવી અને બાપ્પાની સ્થાપના અને ઉપાસના કરે અને આ પર્વો ધામધૂમથી ઉત્સાહપૂર્વક ઉજવે.મેં ઘણી વાર તેના ઘેર આ ઉત્સવો દરમ્યાન આરતીમાં હાજરી આપી છે.તે દેવી અને બાપા બન્નેની આરતી ચોપડીમાંથી વાંચ્યા વગર મોઢે જ ગાય અને પછી સંસ્કૃતમાં શ્લોકો પણ ઉચ્ચારે.અને આરતીને અંતે એ ધૂણે. ધૂણે એટલે રીતસર માથુ જોર જોરથી ગોળ ગોળ ઘૂમાવી તેના શરીરમાં પવન આવ્યો હોય તેમ વર્તે. મારો આ મિત્ર મારી જ ઉંમરનો અને ભણેલોગણેલો યુવાન છે. તે ધૂણે ત્યારે અમારે બધાએ બાજુમાં ખસી જઈ તેને જગા કરી આપવી પડે એટલી પ્રચંડ તાકાત લગાડી તે ધૂણે અને ઘૂમે. મારા સગાઓમાં પણ એકના જણાવ્યા મુજબ તેમના શરીરમાં મેલડીમા તો બીજાના કહેવા મુજબ તેમના દેહમાં ભુવનેશ્વરીમા પ્રવેશે છે.પપ્પાના એક મિત્ર ઇચ્છે ત્યારે પોતાના શરીરમાં આશાપુરામાને બોલાવી શકે છે.આ બધી વ્યક્તિઓને તેમના શરીરમાં ભગવાન આવે ત્યારે તેમનાથી ઘણી મોટી વયના લોકો પણ તેમને સાષ્ટાંગ પ્રણામ કરી તેમના આશીર્વાદ યાચે. આ બધી વ્યક્તિઓ જેમના શરીરમાં માતાજી આવે છે તેમના હાથ સતત ધ્રૂજતા હોય ક્યારેક આંખો ગોળ ગોળ ફરતી હોય અને તેઓ ઘણી વાર તો હિંસક સ્વરૂપ પણ ધારણ કરી સામે વાળાને તમાચો લગાવી દે અથવા ઘણી વાર એવા જૂના પ્રસંગો કહી સંભળાવે જ્યાં તેઓ પોતે હાજર નહોતા. હું આ બાબતમાં માનતો નથી.હું નાનપણમાં આ બધી વાતોમાં વિશ્વાસ ધરાવતો હતો પણ હવે મારું મન આ બધી વાતો સાચી હોય એ માનવા તૈયાર થતું નથી.હું દસમાં ધોરણની બોર્ડ પરીક્ષા વખતે, જેમનાં દેહમાં માતાજી આવતા હતા, એવા એક બહેનના દર્શન-આશિર્વાદ માટે ગયો હતો અને તેમણે આપેલા ચોખા મેં બધી પરીક્ષાઓ લખતી વખતે મારી પાસે જ રાખ્યા હતા.મને એ બોર્ડ પરીક્ષામાં ૯૦.૮૫ ટકા જેટલા ઉચ્ચ ગુણાંક પણ પ્રાપ્ત થયા હતા પણ આજે હું માનું છું કે એ મારી મહેનત (અને સદનસીબ)ને લીધે જ પ્રાપ્ત થયા હશે. નહિંતર મારા એક કઝિને પણ એ જ બહેનના આશીર્વાદ લઈ તેમના ચોખા મારી જેમજ પોતાની પાસે રાખ્યા હતા છતા એ કેમ નાપાસ થયો? આજે હું દ્રઢપણે માનું છું કે માનવ જેવા તુચ્છ જીવના શરીરમાં પરમાત્મા પ્રવેશે એ વાતમાં બિલકુલ તથ્ય નથી. માણસ ઇચ્છે ત્યારે તેના શરીરમાં આવી જાય એટલો સસ્તો છે ઇશ્વર? માણસ જેટલો પાપી અને દુષ્ટ આ પૃથ્વી પર બીજો કોઈ જીવ નથી તો સર્વગુણસંપન્ન પરમાત્મા પામર માનવીના દેહમાં એ દ્રષ્ટીએ પણ પ્રવેશે નહિં. મારા મતે આ એક માનસિક અવસ્થા છે જ્યારે વ્યક્તિ એવું માનવા માંડે છે કે તેના શરીરમાં દૈવી શક્તિ પ્રવેશી છે અને તેની અસર એટલી પ્રભાવક હોય છે કે તે વ્યક્તિનું શરીર પણ તેને સાથ આપવા માંડે અને તેનામાં વધારાની શક્તિ આવી જાય. આ વિષય પર મેં ક્યાંક વાંચેલું કે કેટલીક વ્યક્તિઓ બીજાઓનું ધ્યાન ખેંચવા કે માન અને મહત્વ મેળવવા માટે પણ આવું વર્તન જાણી જોઈને કરતી હોઈ શકે.પોતાની કોઈ ક્ષતિ કે લઘુતા ગ્રંથિથી પીડાઈને પણ વ્યક્તિના મનનો એક ભાગ તેને આમ કરવા પ્રેરતો હોઈ શકે. મનુષ્યના મનની પ્રચંડ તાકાત વિષે તો તમે જાણતા જ હશો.માતાજી આવ્યા હોય એ વખતે આ સુષુપ્ત તાકાત કામ કરવા માંડે એમ બની શકે. જ્યારે આવી વ્યક્તિ પોતાના અંગત સ્વાર્થથી પ્રેરાઈને લોકોને છેતરવા માટે પરમેશ્વરની પોતાની કાયામાં પ્રવેશના ગપગોળા ફેંકી (અશોક જાડેજા યાદ છે ને જે પોતાના શરીરમાં માતાજી આવે છે એવું તૂત ચલાવી લોકોના લાખો રૂપિયા ચાંઉ કરી ગયેલો અને પછી પોલિસે તેની ધરપકડ કરેલી) ત્યારે એ ખોટુ અને અક્ષમ્ય અપરાધ જેવું ગણાય.લોકોએ શ્રદ્ધા રાખવી પણ અંધશ્રદ્ધા રાખી કોઈ મનુષ્યને જ ભગવાન માની બેસવાની ભૂલ કરવી જોઈએ નહિં. તમારું શું માનવું છે?

3 ટિપ્પણીઓ:

  1. ઇશ્વરના અસ્તિત્વ અંગે હું કંઇ કહેવા નથી ઇચ્છતો પણ એક વાત તો નિશ્ચિત છે કે કોઇ મનુષ્ય ભગવાન બનવાને લાયક નથી. ભલે પછી તે ગમે તેટલો મહાન કે ચમત્કારી કેમ ન હોય.

    જવાબ આપોકાઢી નાખો
  2. જેમ એકટર એક્ટિંગ કરવામાં મેક બીલીવ નો ઉપયોગ કરે છે એવુંજ કઈક..

    જવાબ આપોકાઢી નાખો