Translate

રવિવાર, 16 ઑક્ટોબર, 2011

માણસના શરીરમાં ભગવાન : પ્રતિભાવ

[ગયા અઠવાડિયાના ગેસ્ટબ્લોગ અગાઉના રવિવારે મેં માણસના શરીરમાં ઇશ્વર પ્રવેશે એ પ્રશ્ન છેડી આ વિષય પર મારા વિચારો લખ્યાં હતાં તેના અનુસંધાનમાં કેટલાક વાચકમિત્રોએ મૂળ બ્લોગ પર જે કમેન્ટ્સ લખી હતી તે આજે 'બ્લોગને ઝરૂખેથી...'માં વાંચીએ.]



આ વિષય એવો છે જેની ચર્ચાનો કદી અંત જ ન આવે!

હું માનું છું કે આ વિષયને અનેક દ્રષ્ટીથી જોઈ શકાય અને જો બધાં લોકોને આપણે એકસરખા ગણીએ તો એ અયોગ્ય લેખાશે.આ પ્રકારનું વર્તન કરનાર દરેક વ્યક્તિ ઢોંગી કે ખોટી નથી હોતી અને દરેક આવું વર્તન કરનારી દરેક વ્યક્તિ સાચી પણ નથી હોતી.

હું ક્યારેય એવી કોઈ વ્યક્તિને મળ્યો નથી જેની પાસે અલૌકિક કે જાદૂઈ શક્તિઓ હોય કે જેને માતાજી આવતા હોય.એવી કોઈ વ્યક્તિના સંપર્કમાં હું હજી સુધી આવ્યો નથી જેના શરીરમાં ભગવાન આવતા હોય અને જે દુ:ખિયારાઓને ચોખાના દાણા કે ભસ્મ આપી કે તેમને આશિર્વાદ આપી તેમના દુ:ખડા દૂર કરતી હોય.

પણ હું જ્યારે આવી વ્યક્તિઓ વિષે વિચારૂ છું ત્યારે મને લાગે છે જ્યાં સુધી આવી વ્યક્તિઓ લોકો પાસેથી પૈસા કે ભેટસોગાદો સ્વીકાર્યા વિના ફક્ત સમાજસેવા ખાતર આવી પ્રવૃત્તિઓ કરતી હોય ત્યાં સુધી એમાં કંઈ ખોટુ નથી. ઉલટું આવી વ્યક્તિઓ એવાં ઘણાં લોકો માટે આશાના છેલ્લા કિરણ સમાન બની રહેતી હોય છે જેઓ પોતાની અસાધ્ય બિમારી કે લાંબા ગાળાની કમનસીબી કે પનોતી દૂર કરવા માટે શક્ય એટલા દરેક નિષ્ફળ પ્રયાસ કરી ચૂક્યા હોય છે.

ભલે આવા, ભગવાન પોતાના શરીરમાં આવતા હોવાનો દાવો કરનાર વ્યક્તિએ આપેલ ચોખા કે લોકેટ કોઈ અસાધ્ય માંદગી કે પનોતી દૂર કરવાની તાકાત ધરાવતા ન હોય પણ તેમનામાં એવું કોઈક 'જાદૂઈ' તત્વ જરૂર હોય છે જે નિરાશ લોકોમાં આશા જીવંત રાખે છે, તેમને વધુ એક પ્રયાસ દ્વારા તેમના દુ:ખ કે આપત્તિમાંથી બહાર આવવા પ્રેરે છે, કોઈ અદ્રષ્ય શક્તિ પોતાની સાથે હોવાનો આભાસ કરાવે છે. આપણે પણ સાયકલ ચલાવતા શીખેલા ત્યારે પાછળ કોઈ અદ્રષ્ય હાથ સાયકલને પકડી આપણને સાચવતા હોવાનો અનુભવ આપણે નથી કર્યો જ્યારે હકીકતમાં ત્યાં કોઈ નહોતું?

પણ જો કોઈ વ્યક્તિ પોતાનામાં ભગવાન આવતા હોવાની વાત ફેલાવી લોકો પાસેથી પૈસા પડાવતી હોય તો તે ક્યારેય સાચી હોતી નથી.

બીજો પણ એક એવા લોકોનો વર્ગ છે જે ક્યારેય પોતાનામાં ભગવાન પ્રવેશતા હોવાનો દાવો નથી કરતાં પણ ઘણી વાર તેમના પર પ્રાર્થના વેળાએ એક ધૂન સવાર થઈ જાય છે અને તેઓ એક સમાધિ જેવી અવસ્થામાં ખોવાઈ જાય છે.મને લાગે છે આ અવસ્થા યોગમાં વપરાતા 'ધ્યાન' કે 'મેડિટેશન' શબ્દ જેવી છે. સામાન્ય રોજબરોજના જીવનમાં પણ આપણે કોઈ વસ્તુનો બારીકાઈથી અભ્યાસ કરીએ ત્યારે કે કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરતી વેળાએ આવી સ્થિતી અનુભવી શકાતી હોય છે. પેલા સમાધિ અવસ્થામાં પહોંચી ગયેલા લોકો પ્રાર્થનામાં તન્મય થઈ ગીત અને ઇશ્વરની તેમના મન સમક્ષ ખડી થયેલી છબીમાં એટલી હદે ખોવાઈ જાય છે કે તેઓ પોતાની જાતને ભૂલી જાય છે અને પોતાની શારીરિક પ્રક્રિયાઓ પરનો કાબૂ પણ ગુમાવી બેસે છે (જે ક્રિયા કે અવસ્થાને તમે તમારા બ્લોગમાં 'ધૂણે છે' એવો શબ્દપ્રયોગ દ્વારા વર્ણવી હતી.)

અહિં પણ જો આ પ્રકારનું વર્તન કોઈ પોતાના અંગત લાભ ખાતર ન કરતું હોય તો મારે મતે એમાં કંઈ નુકસાન કે ખોટુ નથી.

બીજા એક દ્રષ્ટીકોણથી જોઇએ તો ભગવાને માણસના અતિ 'શક્તિશાળી' અને 'બુદ્ધિશાળી' મગજ અને એવા અવયવોની રચના કરી છે જેને વિજ્ઞાન અને તંત્રજ્ઞાને આટલી પ્રગતિ સાધી હોવા છતાં, આજ સુધી કોઈ સંપૂર્ણપણે સમજી શક્યું નથી કે કૃત્રિમ રીતે તેની આબેહૂબ નકલ સર્જી શક્યું નથી. આવા અતિ સંકુલ છતાં સચોટ માનવ શરીરની રચના કરનાર એ જ ભગવાન કેટ્તલાક 'દિવ્ય' શક્તિ ધરાવતા મનુષ્ય કેમ ન સર્જી શકે?

આખરે આવા સાચા કે ખોટા મનુષ્ય વચ્ચેનો ભેદ પારખવા મનુષ્યે પોતાના એ જ શક્તિશાળી મગજનો ઉપયોગ કરવો જોઇએ!

ધન્યવાદ.

- જયેશ જોશી (મલાડ,મુંબઈ)



* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *



મને આ ચર્ચાનો હિસ્સો બનવું ખૂબ ગમશે.

તમે એમ કહેવામાં બિલકુલ સાચા છો કે ભગવાન કદી મનુષ્યના શરીરમાં પ્રવેશી શકે નહિં. કારણ એ તો ત્યાં જ વસે છે...દરેક મનુષ્યના અંતરાત્મામાં.

ઇશ્વર કેટલા શાંતિપ્રિય,પ્રેમાળ અને માયાળુ હોય છે! જ્યારે તમે મધર ટેરેસાને યાદ કરો ત્યારે તમને કેવી લાગણી થાય છે? તેમની આસપાસ એક પ્રકારની આભાનું વર્તુળ રચાતું. તેઓ ઘણી જાહેર જગાઓએ જોવા મળતા પણ તેમણે ક્યારેય પોતાના શરીરમાં ભગવાન પ્રવેશતા હોવાનો દાવો કર્યો નહોતો. છતાં તેમની આસપાસ એક દૈવી તેજવર્તુળ ચોક્કસ અનુભવવા મળતું. જેનામાં ઇશ્વરીય તત્વ હોય તેના ચહેરા પર એક ગજબની શાંતિ અને કાંતિ છવાયેલી હોય છે જે લોકોને તેના તરફ આપોઆપ આકર્ષે છે. ઇશ્વરને મળ્યાના આનંદની અનુભૂતિ તેમને આવી વ્યક્તિને મળીને થાય છે. આનાથી ઉલટું હોય તો બધા એવી વ્યક્તિથી દૂર ભાગે છે.

જ્યારે લોકો ગમે તેવું વિકરાળ કે હિંસક સ્વરૂપ ધારણ કરેલ વ્યક્તિમાં પણ ભગવાન હોવાનું માની તેની પાસે પોતાના દુ:ખડા દૂર કરવાની યાચના કરવા દોડી જાય છે,ત્યારે એ નક્કી છે કે આવા ભોળા(?) લોકો કોઈક આશરો શોધતા હોય છે,પોતાની પ્રાર્થના આવી વ્યક્તિના માધ્યમથી બીજા વિશ્વમાં વસતા ભગવાન સુધી આ રીતે પહોંચશે એવી આશા સાથે.તેઓ કદાચ અન્ય કોઈક પાસેથી પોતે સાચા માર્ગે છે કે નહિં એ વાતની પુષ્ટી મેળવવા ઇચ્છતા હોય છે.પણ આમાં તેઓ કેટલી હદે સફળ થાય છે એ તો ઇશ્વર જ જાણે!

તમે આવા 'ભગવાન' પોતાના શરીરમાં આવતા હોવાનો દાવો કરનારા લોકો પ્રત્યે જે લાગણી ધરાવો છો તેવી જ ઉગ્ર લાગણી હું પણ આવા લોકો પ્રત્યે ધરાવું છું.મેં તો આવા કેટલાક લોકોને તેમના 'વળગાડ' માંથી મુક્ત થતા પણ જોયા છે.

- વીણા ડિસૂઝા (મલાડ, મુંબઈ)



* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *



દરેકને પોતપોતાની આગવી માન્યતા હોય છે,શ્રદ્ધા હોય છે.મારું માનવું છે કે ઇશ્વરનું અસ્તિત્વ હોય છે તેઓ માટે જેઓ તેનામાં આસ્થા રાખે છે.બાકીનાઓ (નાસ્તિકો) માટે આખી આ ચર્ચા વ્યર્થ છે.મારા જેવી વ્યક્તિ માટે પણ આ આખી વાત નિરર્થક છે જે માને છે કે ઇશ્વર પણ માણસ સમાન જ છે.માણસ નહિં તો ઇશ્વર નહિં.પણ જ્યારે 'વળગાડ' ની વાત કરીએ ત્યારે હું માનું છું કે ચોક્કસ તેના મૂળમાં કોઈક વૈજ્ઞાનિક પાયો રહેલો છે.

- મીરા મેનન (કોલકાતા)



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો