Translate

રવિવાર, 13 જૂન, 2010

S.S.C નું પરિણામ

ટૂંક સમયમાં જ S.S.C નું પરિણામ જાહેર થવાનું છે.કેટલાંય વિદ્યાર્થીઓ સરસ માર્ક્સ સાથે ખૂબ સારા ટકા મેળવશે તો કેટલાક મહેનત કરી હોવા છતાં ધાર્યા ગુણાંક પ્રાપ્ત કરી શકશે નહિં.ક્યાંક હર્ષની ચિચિયારીઓ સંભળાશે તો ક્યાંક ડૂસકા અને રૂદનને કારણે વાતાવરણ ગંભીર હશે. દસમું ધોરણ એટલે કે S.S.C.ને શાળાજીવનનું સૌથી મહત્વનું વર્ષ ગણવામાં આવે છે.અને આજનાં સ્પર્ધાત્મક યુગમાં માતાપિતા પોતાના બાળક પાસેથી પહાડ જેટલી અપેક્ષાઓ રાખતા હોય છે.એમાં મરો થઈ જાય છે બાળકનો.તેની રસરૂચી હોય કે ન હોય પણ ગોખેલું ઓકી તેની પાસેથી S.S.Cમાં તે સારા માં સારા માર્ક મેળવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે જેથી તે સારી એવી એકાદ પ્રતિષ્ઠીત કોલેજમાં એડમિશન મેળવી એન્જિનીયર કે ડોક્ટર બનવા ભણી આગળ વધી શકે.
પણ જો કદાચ ના જાહેર થયેલા પરિણામમાં તમારા સંતાનના ધાર્યા ટકા ન આવે કે તે નાપાસ થાય તો મહેરબાની કરી તેને જાકારો ન આપશો.તેની પડખે ઉભા રહેશો.તેના આત્મવિશ્વાસની જ્યોત બૂઝાઈન જાય એનું ખાસ ધ્યાન રાખશો. વિદ્યાર્થીઓ, તમે પણ ધ્યાન આપજો કે S.S.C.નું પરિણામ જ કંઈ સર્વસ્વ નથીં. S.S.C પરિણામમાં જ દુનિયા પૂરી થઈ જતી નથી. ઉલટું આ પછી જ તો એક નવી શરૂઆત થવાની છે તો તેનું સ્વાગત ગમગીનીથી શીદને કરવું?
આજકાલ નાપાસ થવાને કારણે વિદ્યાર્થીઓ આત્મહત્યા કર્યાના સમાચાર અવારનવાર અખબારોમાં વાંચવા મળે છે.પણ આ તો નરી કાયરતાની નિશાની છે. એમ કંઈ શાળાની કે ની પરિક્ષામાં નાપાસ થયા એટલે અતિ મૂલ્યવાન એવા જીવનનો અંત આણી દેવાનો? આ તો કેવું મૂર્ખતાભર્યું પગલું?આનાથી ન તો જાન ગુમાવનારને કંઈ હાંસલ થાય છે ન તો તેના પરિવારજનોને.ઊલટું બન્ને પક્ષ ગુમાવે જ છે.આત્મહત્યા કરનાર મહામૂલું જીવન અને પરિવારજનો પોતાનો પરિવારનો એક સભ્યં ી પરિક્ષામાં હોય કે પછી જીવનમાં કોઈ પણ તબક્કે મળેલી બીજી કોઈ નિષ્ફળતા - કોઈ નિષ્ફળતા એટલી મોટી નથી હોતી કે જેને કારણ થઈ તમે જીવન ખતમ કરી નાંખવા જેવું અંતિમ પગલું ભરી બેસો.
બીજી એક મહત્વની વાત કરવાનું મન થાય છે.ક્યાંક વાંચેલું કે ઇશ્વર તમને એ નથી આપતા જે તમે ઇચ્છતા હોવ, પણ એ તમને એ આપે છે જે તમારા માટે સારું હોય, યોગ્ય હોય. મારું પોતાનું ઉદાહરણ ટાંકુ તો આજથી સોળ વર્ષ પહેલા, દર વર્ષે શાળામાં પ્રથમ આવવા છતાં S.S.Cમાં હું શાળામાં પ્રથમ તો શું દ્વિતીય પણ ન આવી શક્યો. ત્રીજા સ્થાને રહી મેં ૯૦.૮૫ % માર્ક્સ મેળવ્યા. આ પરિણામ કોઈ જ રીતે ખરાબ કે ઓછું ન હોવા છતાં મેરિટ લીસ્ટ સાત માર્કથી છેટું રહી ગયું અને હું ખૂબ દુ:ખી થઈ ગયો. પણ હિંમત ન હારી માતાપિતાના સંપૂર્ણ સહયોગ અને આશિર્વાદથી નજર ઉંચી જ રાખી, આગળ ભણવા અને સારી કારકિર્દી બનાવવામાં. ગુજરાતી માધ્યમમાં ભણવા બદલ હું આજે પણ કોઈ જાતની નાનમ નથી અનુભવતો અને મને એ વાતનું ગૌરવ છે.માતૃભાષામાં ભણવાને કારણે જ હું નેવું ટકા કરતા પણ વધુ માર્કસ S.S.Cમાં મેળવી શક્યો અને એ વાત મને આગળ ઉચ્ચ અભ્યાસમાં પણ ક્યાંય અંતરાયરૂપ નથી બની અને બારમામાં પણ સારા ટકા મેળવી એન્જિનયીરીંગ અને પછી M.B.A. સુધીની મજલ કાપી અને સારી પ્રતિષ્ઠીત કંપનીમાં નોકરી મેળવી શક્યો. જીવનમાં કોઈ પણ પગલે તમારું ધાર્યું પરિણામ ન મળે તો નાસીપાસ કે નિરાશ થયા વગર તેને ઇશ્વરનો સંકેત ગણી સ્વીકારી લો અને અધિક મહેનત કરી આગળ ધપવા માંડો. એ જ સફળ થવાની સાચી રીત છે.
પરિણામની રાહ જોઈ રહેલા, બધાં ના વિદ્યાર્થીઓને મારા All The Best અને મિત્રો, યાદ રાખજો કે S.S.C.નું પરિણામજ જીવનનો અંત નથી બલ્કે એ તો એક શરૂઆત છે. આથી તમારું ધાર્યું પરિણામ આવે તો તો સારું જ છે પણ જો એ તે પ્રમાણે ન આવે તો નિરાશ થવાની જરાય જરૂર નથી.'કરતા જાળ કરોળિયો' વાળી કવિતા યાદ કરી ફરી પાછા મચી પડો મહેનત કરવા અને ઓછા માર્ક્સ આવે તો જીવનમાં આગળ ઘણી બીજી પરિક્ષાઓ આવશે જ્યાં તમને ફરી તક પ્રાપ્ત થશે મહેનત કરી સારું પરિણામ મેળવવાની. ઇશ્વરમાં શ્રદ્ધા રાખો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો