Translate

શનિવાર, 20 ઑગસ્ટ, 2011

ગેસ્ટ બ્લોગ : જુહુની ગલીઓના લીલા – પીળા ગાલીચા

- કિશોર દવે

સવારનો સમય છે....... સાતમા માળ પરની અગાસી માં બેઠો છું. હવાની મંદ મંદ લહેરખીઓ આવે છે. એક બાજુ “પવન હંસ” હેલીકોપ્ટરનું એરોડ્રામ છે, બીજી બાજુ મીઠીબાઈ કોલેજ ની મોટી ઈમારત. એક બાજુ દૂર દૂર જુહુ નો સમુદ્ર કિનારો અને સામે જા‌‍‌ણે પાતાળ માંથી પ્રાદુર ભાવ પામતી NMIMS ની નવી ઈમારત – અને અરે ! અગાસી પરથી નીચે જોતાં આ શું છે? લીલો પીળો ગાલીચો ? નીચે આવેલ વૃક્ષોના લીલા પાંદડા અને અસંખ્ય પીળાં ફૂલો નો જાણે સુંદર ગાલીચો, આખી ગલીમાં પાથરી દીધો છે, જાણે કે કોઈ મહાન વ્યક્તિ પધારવાની હોય, અને તેના સ્વાગત માટે લાલ જાજમ ને બદલે લીલી પીળી ડીઝાઈન નો ગાલીચો ના પાથર્યો હોય?

હવા જરા વધૂ પ્રમાણમાં આવે છે અને નીચે જોતાં એ લીલા પાંદડા અને પીળા ફૂલોનો સમૂહ કોઈ સંગીત સમ્રાટ ભીમસેન જોશી કે સંગીત સામ્રાજ્ઞી કિશોરી અમોનકર ની સંગીત મેહફીલ માં તેમનું સુરીલું સંગીત સાંભળી ને બે હાથ ઉંચા કરીને કે બાજુ માં બેઠેલ વ્યક્તિ ના ગળા માં હાથ નાખીને જાણે ગીતોના તાલ માં ઝૂમી ઉઠતા હોય.!

આવું કુદરત સર્જિત દ્રશ્ય કેટલું આનંદકારક હોચ છે? પરંતુ જો નીચે રસ્તા પર ઉભા હો તો આવું બધું જોવાની તક મળે નહિ. હા! મળે માત્ર બપોરના સૂર્ય ને ઢાંકતો શીતલ છાંયડો, ત્યારે એક વિચાર એવો આવે કે વતન માં જેમ વડલા ની ઘેઘૂર છાંયમાં ખાટલો નાખી ને પડ્યા હોઇએ તેમ અહિં પણ છાંયડામાં ખાટલો ઢાળી આડા પડવું જોઇએ, બપોરની ઉંઘ ખેંચી લેવી જોઇએ! પરંતુ અહીં તો એક બાજુ મોટરો કે ટૂ વ્હિલર પાર્ક કરી રાખ્યા છે. તેમને ખસેડી યે તો કદાચ એમ થઈ શકે! પરંતુ અહીં તો માત્ર આની કલ્પના જ કરવાની અને આનંદ માંણવાનો.. આવી રીતે ક્યાં ખાટલો લેવા જવું કે ક્યાં પાર્ક કરેલા વાહનો ને ખસેડવા?

જેમ અગાસીમાંથી લીલો પીળો ગાલીચો સુંદર લાગે પરંતુ તેના પર થોડું ચાલી શકવાના છો? અને કદાચ ચાલવાનો પ્રયાસ કરો તો પાંડવો ના પેલા માયાવી મહેલ માં જેમ દુર્યોધન ને પાણી ની જગ્યાએ જમીન તથા જમીન ની જગ્યાએ પાણી દેખાયું અને તેમ કરતા તે પડી ગયો તેમ તમે પણ એ ગાલીચા ઉપર પદાર્પણ કરવા જાશો તો ઉપર થી નીચેજ પડશો !

કહેવાનું તાત્પર્ય એટલું જ કે ઈશ્વરે જે સૌંદર્ય નિર્માણ કર્યું છે તેનો ઉપયોગ પ્રત્યક્ષ રીતે કદાચ ના થઇ તો માત્ર દર્શન થીજ તેનો આનંદ તમે માણી શકો છો. એક સુંદર દ્રશ્ય – દાખલા તરીકે જુહુ ના સાગર માં ક્ષિતિજ ની કિનારી એ ડૂબી જતો સૂર્ય પણ જોતાં તમોને આનંદ ની અનુભૂતિ થશે જ. એટલે ઈશ્વરે આપણ ને આનંદમાં રાખવા એવી અનેક વસ્તુઓનું સર્જન કર્યું છે કે તમે તેમાંથી આનંદ મેળવવા નીકળી પડો, શહેરમાં – ગામડામાં કે જંગલોમાં તો તમારા થેલા કે કોથળા ભરાય એટલું સૌંદર્ય પ્રભુ એ આ સૃષ્ટીમાં વેર્યું છે. તેનો તમે ઉપભોગ કરી શકો છો. તમારા જીવન ની નિરાશા ની પળો માં કે કોઈ દુઃખદ ઘટના વખતે તમે માણેલાં એ સૌંદર્યને વાગોળી પ્રભુની અગાધ શક્તિ ના દર્શન કરી શકશો, બધું ભૂલીને પ્રભુમય થઇ જશો અને આ પ્રભુ ની શક્તિનું દર્શન એજ તમારી ખરી પૂજા છે અને આ પૂજા ને આ શક્તિ ને અપનાવી લેતા દર્શન કરી તમારા જીવન માં સમાધાન લાવી શકો તો પછી તમારે બીજે ભટકવાની શું જરૂર છે? માળા કરવાથી કે પ્રભુ સ્મરણ કરતાં કરતાં પ્રભુ ની આવી અગાધ શક્તિનું દર્શન કરતા રહેશો તો તમારું જીવન સફળ થઇ શકે. એ માટે અગાસી માંથી દેખાતા વ્રુક્ષોના ફૂલો તથા પાંદડાઓનો સર્જિત લીલા પીળા ગાલીચા તો માત્ર એક ઉદાહરણ છે જો કે એવું સૌંદર્ય માણવાની પ્રત્યેક મનુષ્ય માં તમન્ના હોવી જોઇએ. કવિ કલાપીએ પણ કહયું છે કે –

“સૌંદર્ય વેડફી દેતા ના, ના સુંદરતા મળે,

સૌંદર્ય પામતા પહેલાં, સૌંદર્ય બનવું પડે”

ઈશ્વર ના પ્રત્યેક સર્જન માં તમે એક પ્રકાર ની પરિપૂર્ણતા નિહાળશો, તો એ કુદરતના કરિશ્મા ને જોતાંજ તમે બધાં દુન્યવી દુઃખ ભૂલી જશો અને એક વિરાટ શક્તિના સર્જન નો આનંદ માણતા થશો. એટલે જીવન માં ક્યારેય પણ – નિર્ભેળ આનંદ – અવિરત આનંદ મેળવવો હોચ ત્યારે આવા ઈશ્વરના અનોખા સર્જનોનો સહારો લેશો તો તમારે સુખની શોધ માં બીજે ક્યાંય ભટકવું નહિ પડે એ નિઃશંક છે.


- કિશોર દવે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો