Translate

રવિવાર, 12 જૂન, 2011

મંદિર (ભાગ - 3)

થોડા મહિના અગાઉ હું પત્ની અને મારી પુત્રી સાથે આસામ ફરવા ગયેલો ત્યાં ગુવાહાટી ખાતે માતાજીની શક્તિ પીઠ આવેલી છે જે કામાખ્યા મંદિર તરીકે ઓળખાય છે.અહિં લોકવાયકા પ્રમાણે શંકર ભગવાન જ્યારે દેવી પાર્વતીના શબને ઉંચકી આકાશમાં ઉડયા હતા ત્યારે માતાજીનો યોનિભાગ પડ્યો હતો અને તે જગાએ આ મંદિરનું નિર્માણ થયું હતું. (ગુજરાત ખાતે આવેલ અંબાજીના પવિત્ર ધામે માતાજીનું હ્રદય પડ્યું હતું એ મંદિર પણ ખૂબ પ્રખ્યાત અને સુંદર છે.)આ કામાખ્યાદેવીના મંદિરમાં પણ બીજા પ્રખ્યાત મંદિરો જેવું જ વાતાવરણ હતું.અહિં એક માન્યતા છે કે જે જગાએ માતાજીના શરીરનો યોનિ ભાગ પડેલો તે ભાગમાંથી આજે પણ પવિત્ર પાણી ઝર્યા કરે છે અને દરેક ભક્ત આ પવિત્ર જળ માથે ચડાવી પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે. મેં પણ આ મુજબ કર્યું પણ ખબર નહિં કેમ મારું મન એ પ્રચલિત લોકકથા સત્ય હોય અને એના ચમત્કાર રૂપે જ આ પાણી ઝરી રહ્યું હોય એ બાબત હજી સ્વીકારી શક્તું નથી. બીજી એક વાત આ મંદિરમાં એ બની કે ત્યાં હું જે દ્રષ્ય જોયાનો સાક્ષી બન્યો એ જોયા બાદ ત્યાંની ભૂમિને પવિત્ર કહેવી કે નહિં એ અંગે પણ હું દ્વિધા અનુભવું છું. હું પૈસા ખર્ચીને વી.આઈ.પી. દર્શનની લાઈનમાં તો ઉભો નહોતો રહ્યો કે ન તો મને સમયના અભાવે ત્યાંની સામાન્ય કતારમાં ઉભા રહી છ-સાત કલાકે મારો નંબર આવે ત્યારે માતાજીના મંદિરમાં ગર્ભગૃહના પ્રત્યક્ષ દર્શન કરવાનો લાભ મળી શકે એમ હતો. આથી એક પાંડાને દક્ષિણા આપી અમારા વતી પૂજા કરાવી દીધા બાદ મંદિરના પ્રાંગણમાં ફરતી વેળાએ બરાબર માતાજીના ગર્ભગૃહની સામે મંદિરની બહાર એક ખાસ જગાએ મારું ધ્યાન ગયું તો ત્યાં લોહીના રેલા જેવું કંઈક વહી રહ્યું હતું. એ લોહીની ધાર જોઈ મને સમજી જતા વાર ન લાગી કે શા માટી આ મંદિરના પ્રાંગણમાં અનેક લોકો બકરી હાથમાં તેડી કે કબૂતરોને ટોપલામાં કે પિંજરામાં લઈ ફરી રહ્યાં હતાં. માણસ નામની ક્રૂર જાત આ મૂંગા પશુઓની અહિં બલિ ચડાવે છે - એ વાસ્તવિક્તાનું ભાન થતાં જ મને એક તીવ્ર અણગમા અને તિરસ્કારની લાગણી થઈ આવી. અહિં આ મુખ્ય મંદિરના પ્રાંગણમાં જ બીજા નાના મોટા દેરા હતાં.જેમાંથી એક કાળકા માતાના અંધારિયા દેરામાં તો હદ થઈ ગઈ. અહિં હું ઘૂંટણિયે ઝૂકી પગે લાગી માથુ ઉંચુ કરું છું ત્યાં જ મારી નજર બાજુમાં જ તાજું વધેરી ચડાવાયેલું બકરાનું લોહી નિતરતું માથું પડેલું હતું. મને એ જોઈ કંપારી છૂટી ગઈ. શું ભગવાન આપણી પાસેથી આવી ભેટની અપેક્ષા રાખતા હશે? અરે એ તો સર્જનહાર છે,જીવની રચના કરનાર છે. પોતાના અંગત સ્વાર્થ માટે અબોલ પશુપંખી (કે ક્યારેક બાળક કે પછી બીજા મનુષ્ય સુદ્ધા) ની બલિ ચડાવવાનું ક્યારે બંધ કરશે? પહેલી વાર કોઈક મંદિરમાં ગયા બાદ મને અણગમાની લાગણી થઈ રહી હતી.


ગુજરાતના મહેસાણામાં એક પશુપાલન કેન્દ્ર જે પાડાકેન્દ્રના નામે પણ ઓળખાય છે તેની આસપાસ સરસ મજાનું નાનકડું જંગલ જ જાણે જોઈ લ્યો! લીલાછમ વૃક્ષો વચ્ચે અહિં એક પાકા સિમેન્ટનો ઓટલો અને તેની ફરતે ચોરસ ઝાંપો અને ઉપર પ્લાસ્ટિક ઢાંકી છાપરા જેવું બનાવી એક શિવલિંગની અહિં સ્થાપના કરેલી જે નીલકંઠ મહાદેવના મંદિર તરીકે ઓળખાય.આમ ખરું જોતાં તો આ જગાને મંદિર કહી શકાય કે નહિં એ પણ એક પ્રશ્ન હોવાં છતાં મને એ હ્રદયથી પ્રિય! હું જ્યારે નીલકંઠ મહાદેવના આ મંદિરમાં બેસું ત્યારે મને અપાર શાંતિનો અનુભવ થાય.અહિં બેસું એટલે જગત જાણે થંભી ગયું હોય એમ લાગે.અહિં મને સાચી આધ્યાત્મિકતાનો અનુભવ થાય.હું સીધું ઇશ્વર સાથે જોડાણ અનુભવું. અહિંની સાદગી મને આટલી ગમતી હશે કે પછી આ જગા પ્રકૃતિની આટલી નજીક હોવાથી મને અહિં અપાર સુખ મળતું હશે? જે હોય તે પણ અહિંની પવિત્રતા મને સ્પર્શતી અને અહિં અનુભવાતી સંવેદના કદાચ હું શબ્દમાં નહિં વર્ણવી શકું. શંકરનું સ્મરણ કરતા અહિં હું એકલો કે ક્યારેક પત્ની સાથે બેઠો હોઉં ત્યારે આસપાસ ખિસકોલીઓ કે કાબર, હોલા વગેરે પંખીઓ મંદિરના ઓટલા પર આસપાસ નિર્ભયતાથી રમતાં હોય તો મંદિરના પ્રાંગણમાં જ નજીક પોપટ,મોર અને કબૂતરા ચણતાં હોય. ઘણી વાર મેં અહિં લાલ-પીળા રંગો ધરાવતું લક્કડખોદ પણ જોયું છે.પોપટના તો ઝૂંડના ઝૂંડ આસપાસના ઝાડો પર જોવા મળે.શિવલિંગ પર લટકાવેલા કાણાવાળા લોટાનાં કાણામાંથી દોરી પરથી ટપકતું પાણી પીને કાબર તરસ છીપાવે! ક્યારેક ગાય વગેરે પણ આવી ઝાડોની ઠંડકમાં બેસે.જ્યારે જ્યારે મારે સાસરે મહેસાણા જવાનું થાય ત્યારે આ મંદિરમાં હું અચૂક જઈને ઘણી વાર સુધી બેસું.દોઢેક વર્ષ પહેલા મેં અહિં પંખીઓ પી શકે એ માટે પાણી ભરીને શકાય એવું માટીનું પાત્ર પણ ઝાડો વચ્ચે મૂક્યું હતું અને તેમાંથી પંખીઓ પાણી પીતા કે તેમાં નહાતા જોઈ જે પરમ સંતોષ અનુભવાતો તે અવર્ણનીય અને અનુપમ હતો.પણ કુદરતને શું સૂઝ્યું ને ગયા વર્ષે ચોમાસા દરમ્યાન એક વંટોળ આવ્યું જેણે નીલકંઠ મહાદેવના મારા આ અતિ પ્રિય મંદિર અને તેના પરિસરને તદ્દન ખેદાન મેદાન કરી નાખ્યું. અહિંના મોટા ભાગના ઝાડ પડી ગયા.મહાદેવના મંદિરના ઓટલાની જાળી વાળી વાડ તૂટી ગઈ અને હવે આ જગા સરકાર હસ્તક હોવાથી બાકી બચેલા ઝાડ પણ સાફ કરી ત્યાં નવી સરકારી ઇમારત બનતા મેં જોઈ જ્યારે હું છેલ્લી વાર અહિં દર્શન કરવા ગયો હતો.મારું મન આ જગાનું તદ્દન બદલાઈ ગયેલું સ્વરૂપ જોઈ અતિ ખિન્ન થઈ ગયું.

થોડા વર્ષ અગાઉ દમણના એક પોર્ટુગીઝ ચર્ચમાં મરી સાથે બનેલ એક રસપ્રદ પ્રસંગ પણ મને અહિં યાદ કરવાનું મન થાય છે.અમારી ઓફિસની પિકનિક દમણ ગયેલી.અહિં કેટલાંક ખૂબ સુંદર ચર્ચ આવેલાં છે.સાંજે લટાર મારવા નિકળ્યો અને મારી નજર એક ભવ્ય બાંધણી ધરાવતા પ્રાચીન ઉંચા, સુંદર પોર્ટુગલ ચર્ચ ઉપર પડી.હું જ્યારે આ ચર્ચમાં પ્રવેશ્યો ત્યારે એક ખાસ પ્રકારની પ્રાર્થના ચાલી રહી હતી.આ પ્રાર્થના પૂરી થતાં જ લોકો બે કતારમાં વહેંચાઈ ગયા અને ચર્ચમાંના પાદરી પાસે જઈ તેમના આશિર્વાદ લેવા લાગ્યા.આપણાં મંદિરોમાં જેમ આરતી પૂરી થયે પ્રસાદ વહેંચાય છે એમજ અહિં ફાધર પતાસું અને પવિત્ર જળ કતારમાં ઉભેલા ભક્તોને વારાફરતી આપતાં હતાં.હું પણ એક કતારમાં ઉભો રહી ગયો અને કતાર ધીમે ધીમે આગળ વધી રહી હતી.હું ચર્ચમાં આજુબાજુ નજર ફેરવી તેનું સૌંદર્ય માણી રહ્યો હતો.મારો વારો આવ્યો અને હજી પતાસું હાથમાં લઉં એ પહેલાં ફાધરે મને પૂછ્યું શું હું ખ્રિસ્તી પ્રોટેસ્ટંટ છું? મેં ના પાડી અને તેમણે મારા હાથ સુધી લંબાવેલું પતાસું પાછુ ખેંચી લેતાં મને જણાવ્યું ફક્ત ખ્રિસ્તીઓ જ આ પ્રસાદ લઈ શકે છે. હું ખૂબ ભોંઠપ અનુભવી રહ્યો!જે બન્યું તે સારું હતું કે ખરાબ,ખોટું હતું કે સાચું એ કંઈ હું તે ક્ષણે નક્કી કરી શક્યો નહિં અને મેં થોડા અણગમાની લાગણી સાથે ચર્ચ છોડ્યું.પણ થોડી વાર પછી મને પસ્તાવો થયો અને મારી ભૂલ સમજાઈ.જે પરંપરા કે રૂઢી વિષે આપણે કંઈ જાણતા ન હોઈએ તેની પૂરેપૂરી માહિતી વગર આપણે તેનો ભાગ બનવા કે મેં કર્યો હતો એવો અખતરો કરવા પ્રયત્ન કરવો જોઈએ નહિં.

મંદિરો સાથે જોડાયેલી કેટલીક ખાસ માન્યતાઓ કે તેમની વિશેષતાઓ પણ તેમને ખાસ મહત્વ અપાવી દે છે. જેમકે મહુડીના ઘંટાકર્ણવીર ભગવાનના મંદિરમાં ત્યાં જ ખાઈ જવી પડતી સુખડી કે મામા ભાણિયાની જોડી જ્યાં દર્શન માટે આવે છે તે શનિ શિંગણાપુરનું મંદિર, મંદ્રોપુરના શિતળામાતાના મંદિરની વાવ કે ત્યાં બનાવેલું નાગનું ગોખ, તિરૂપતિ મંદિરમાં ભગવાનને ધરી દીધેલી માથા પર ટકો કરાવી વાળની ભેટ કે ગુજરાતના કેટલાંક મંદિરોમાં જોયેલા મોટા મોટા મધપૂડા…પંજાબીઓ કે શીખોના ગુરૂદ્વારામાં જાઓ કે મુસ્લિમોની મસ્જિદમાં, ખ્રિસ્તીઓના દેવળમાં જાઓ કે જૈન દેરાસરમાં કે પછી હિંદુઓના મંદિરમાં આ બધાં દેવસ્થાનો તમારા મન અને આત્માને અનેરી શાંતિ, અપાર સુખ અને ગજબના સંતોષનો અનુભવ કરાવે છે અને એ બધાં એક જ રાહ તરફ દોરી જાય છે - ઇશ્વર, અલ્લા, પરવરદિગાર તરફ. તમે ઉદાસ થઈ જાઓ કે જીવનમાં કોઈ પ્રકારની હતાશા આવે ત્યારે કોઈ મંદિર કેરી વાટ પકડી ઇશ્વર સુધી પહોંચવાનો પ્રયત્ન કરજો, એ તમને નિરાશ નહિં કરે...

(સંપૂર્ણ)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો