Translate

રવિવાર, 15 જૂન, 2014

અમારો કેરળ પ્રવાસ (ભાગ - ૪)

          એ પછીના દિવસે મુન્નારને વિદાય આપી ઠેકડી જવા તૈયાર થયાં. મુંબઈથી જે બધું બે દિવસમાં જોવાનું આયોજન કરી આવ્યો હતો તે હવે અડધા દિવસમાં જોવાનું હતું અને પછી ઠેકડી પહોંચવાનું હતું.પણ ઘણી વાર આયોજનવાળી યોજના કરતાં અણધારી ઘટના વિશેષ આનંદદાયી અને અવિસ્મરણીય બની રહે એવું થતું હોય છે અને અહિ એમજ બન્યું.સહેલાણીઓના ધાડાં જ્યાં ઉમટતાં હોય છે એવી બધી મુન્નારની પ્રખ્યાત જગાઓ જોઈ જેવીકે ઇકો પોઇન્ટ,બ્લોસમ ગાર્ડન,મડુપટ્ટી ડેમ,પોઠેન્મેડુ લેક વગેરે.પણ એક દિવસ પહેલાં પેલાં પહાડની ટોચે જોયેલાં ચા-કોફીના બગીચા,પેલું ગણેશ મંદિર અને એલેવુર લેક જેવી મજાતો ક્યાંય ન આવી!

          એ પછી તો ઠેકડી ગયાં.ત્યાં પણ સ્ટર્લિંગ રીસોર્ટમાં જ રોકાણ કરવાનું હતું.અહિ મુન્નાર જેવી ભવ્યતા નહોતી પણ સગવડ અને સૌંદર્યની અહિ પણ કમી નહોતી.અહિ હોટલેની રૂમ આખી લાકડાની બનેલી હતી અને તેમાં રહેવાની પણ એક અલગ મજા આવી.વળી અહિ સ્વિમીંગ પુલ હતો તેમાં બે દિવસ દરમ્યાન બે-ત્રણ વાર સ્વિમિંગ કરવાની મજા પણ માણી.જે દિવસે પહોંચ્યા એ જ દિવસે સાંજે કેરળના કેટલાક ભાગમાં ફેલિન વાવાઝોડાની અસર થઈ હતી જેથી ઠેકડીમાં પણ મૂસળધાર વરસાદ વરસ્યો!જે સાવ અણધાર્યું અને ઓચિંતુ હતું! પણ અમારો કાર્યક્રમ આ વરસાદને લીધે જરાયે ખોરવાયો નહોતો જાણે કેરળે અમારા જેવા મોંઘેરા મહેમાનોની સગવડ સાચવવા જ,અમે ઠેકડી અમારી હોટલે પહોંચી ગયાં એ બાદ જ વરસાદ વરસાવ્યો!મોડી સાંજે અમે કેરળના અતિ-વિખ્યાત એવા કથકલી લોકનાટ્ય- નૃત્યની મજા માણી. આપણાં ગુજરાતની ભવાઈ અને કેરળનાં કથકલી વચ્ચે ઘણું ઘણું સામ્ય છે.કથકલીમાં પણ પાંચ તત્વોનો સમાવેશ હોય છે : નાટ્ય એટલેકે અભિનય, નૃત્ય, સંગીત, સાહિત્ય અને વસ્ત્રપરિધાન કે મેક અપ. ખાસ પ્રકારની આયુર્વેદિક માટીમાંથી પાંચ રંગો તૈયાર કરાય છે જે કથકલી કલાકારો પોતાના મોઢે ચોપડે છે. રંગોનું પણ ખાસ મહત્વ હોય છે.જેમકે નાયક (કૃષ્ણ કે અર્જુન કે ઇન્દ્રનો પુત્ર) લીલા રંગનો મેક અપ લગાડે. ખલનાયક (રાવણ કે કંસ) કાળું મહોરૂ ધારણ કરે વગેરે. દસથી પંદર કિલો વજન ધરાવતો ખાસ પ્રકારનો ઘાઘરા જેવો વેશ કથકલી કલાકારે પહેરવો પડે છે.તેને તૈયાર થતાં જ બે-ત્રણ કલાક થઈ જાય અને એ માટે તેણે અન્ય ત્રણ ચાર સહાયકોની મદદ લેવી જ પડે.આટલા ભારે વસ્ત્રો અને ભપકાદાર મેક અપ બાદ આખી આખી રાત સુધી મંદિર કે જાહેર સ્થળે કથકલી ભજવાય તેમાં કલાકારો ઉત્સાહ ભેર પોતાનો ભાગ ભજવે. મોટે ભાગે કથકલીની વાર્તા ધાર્મિક હોય.રામાયણ ,મહાભારત કે શ્રીમદ ભાગવતના અંશો તેમાં રજૂ થાય.કલાકારોએ અહિ બોલવાનું ન હોય માત્ર હાવભાવ, હાથ અને આંગળીની વિવિધ મુદ્રાઓ અને નૃત્ય દ્વારા પોતાનો ભાગ ભજવવાનો.મોટે ભાગે કથકલીની વાર્તા ધાર્મિક હોય.રામાયણ ,મહાભારત કે શ્રીમદ ભાગવતના અંશો તેમાં રજૂ થાય. નૃત્યનાટીકાની  જેમ મંચ પર ગાનારા અને સંગીત વાદ્યો વગાડનારા કલાકારો જુદા બેઠા હોય. સ્ત્રી પાત્રો પણ આપણી ગુજરાતની ભવાઈની જેમ અહિ પુરુષો જ ભજવે.                               

          બીજે દિવસે ઠેકડીમાં આવેલ પેરિયાર નેશનલ પાર્કની મુલાકાત લીધી.અહિં ઉંચા વિશાળ વૃક્ષો વચ્ચે પથરાયેલા જંગલમાં ચાલવાની મજા આવી.પેરિયાર સરોવરમાં પણ નૌકા વિહારનો આનંદ માણ્યો.અહિં એલેપીના બેકવોટર્સ જેટલી મજા ન આવી પણ અહિની વિશેષતા હતી સરોવર વચ્ચે થોડે થોડે અંતરે ગોઠવેલા હોય તેવા લાગતાં, ઝાડનાં થડનાં પાન કે ડાળીઓ વગરનાં ઠૂઠાં!આવા અસંખ્ય ઠૂઠાં પેરિયાર સરોવરને અનોખું સૌદર્ય પ્રદાન કરી રહ્યાં હતાં.એ ઠૂઠાંમાંના કેટલાક પર વિદેશી બગલા જેવાં પક્ષીઓએ માળા બાંધ્યા હતાં તેમાંથી આ પંખીઓ સરોવરમાં ડૂબકી મારી માછલી પકડી ફરી માળામાં જઈ પોતાનાં બચ્ચાને ખવડાવતાં હતાં એ દ્રષ્ય જોવાની ખૂબ મજા પડી.


          પાછા ફર્યાં બાદ ઠેકડીના આયુર્વેદિક બગીચામાં ફર્યાં અને તેજાના-મરીમસાલાની ખરીદી કરી.સાંજે બજારમાં અન્ય ચીજ-વસ્તુઓ-ખાવાપીવાની સામગ્રી તેમજ ભેટસોગાદો ખરીદ્યા અને કેરળની એ છેલ્લી સાંજે થાનસીર પૂછીપૂછી અમને ‘ચેલ્લારકોવીલ’ નામની અદભૂત જગાએ લઈ આવ્યો.

          અહિ અમે મિનિ-ટ્રીકીંગ કરી પહાડની ટોચ જેવા ભાગે ગયાં જ્યાંથી કેરળ-આંધ્રપ્રદેશ અને તામિળનાડુ ત્રણે રાજ્યોની સરહદ દેખાતી હતી.અહિથી એક સુંદર જળધોધ પણ દ્રષ્યમાન થતો હતો.અમારી કેરળની છેલ્લી સાંજ અમે આ સુંદર જગાએ વિતાવી અને પાછા હોટલ આવી સામાન વગેરે બાંધવા માંડ્યો.

          એ પછીની સવારે તો ઠેકડીથી વહેલા કોચી આવવા માટે નિકળી ગયાં અને રસ્તામાં રબરની ખેતી જોઈ.લાંબા ઝાડના થડ પર જમીન પાસે કોપરાની કાછલી જેવી વાડકી બાંધી હોય અને પ્લાસ્ટીકનું કવર વાડકીની ઉપર તરફ એ રીતે વીંટાળેલું હોય કે વરસાદનું પાણી કે અન્ય કચરો તેમાં ન પડે અને ઝાડમાંથી નિકળતો રબરનો રસ વાડકીમાં જ એકઠો થાય!         

 


 



          પછી તો વિમાનમાં બેસી ફરી મુંબઈ આવી ગયાં.વિમાનમાંથી કેરળની ભૂમિના,બેકવોટર્સનાં,ત્યાંના મંદિરો અને મકાનોનાં છેલ્લાં દર્શન કર્યાં અને મન જાણે આ બધાંથી દૂર થવાની એક અગમ્ય લાગણીથી ભરાઈ ગયું.ખેર ચલતે રહેનેકા નામ ઝિંદગી હૈ!

          કેરળ પ્રવાસમાં સૌંદર્ય તો માણ્યું જ પણ સાથે સાથે કંઈ કેટલુંયે જાણ્યું,જોયું અને મનના કચકડામાં કાયમ માટે કેદ કરી લીધું!જીવન ભર એ મધુર સ્મૃતિઓ બની સચવાઈ રહેશે!

 (સંપૂર્ણ) 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો