Translate

સોમવાર, 9 મે, 2011

લાદેનનું મૃત્યુ : આંતકવાદના એક યુગનો અંત

“If OsamaBinLaden hs really been killd,let this b the end of an era of terrorism & let thr b more peace,prosperity & happiness in world... “


આ ટ્વીટ મેસેજ કર્યો મેં જગતના સૌથી ખૂંખાર શેતાની આતંકવાદી ઓસામા બિન લાદેનના મોતના સમાચાર મળતાં જ. કોઈના મરણના સમાચાર સાંભળી, પહેલી વાર હું ખુશી અનુભવી રહ્યો હતો! અને કદાચ હું એકલો જ નહિં પણ જગતના લાખો લોકોએ મારી આ લાગણીનો પડઘો પાડ્યો હશે! બીજી પણ આ વિશેની એક રસપ્રદ ટ્વીટનો અર્થ કંઈક એવો નિકળતો હતો કે – “છેલ્લા બેચાર દિવસો પરીકથા સમાન બની રહ્યાં,પહેલા રાજકુમાર અને રાજકુમારી પરણી ગયા (ઇંગ્લેન્ડના પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલટનના લગ્ન) અને ત્યાર બાદ શેતાન(ઓસામા બિન લાદેન) મરી ગયો!”

ખરું જોતા મને નફરત કોઈ એક વ્યક્તિની નથી પણ આતંકવાદના દૂષણની છે. ઓસામા જે વિચારો ફેલાવી વિનાશલીલા આચરી રહ્યો હતો તેનો આવો જ અંજામ હોવો જોઈએ. ઇન ફેક્ટ, આ ઘટના આટલી મોડી શા માટે બની? આ હત્યા ઘણી વહેલી થઈ જવી જોઈતી હતી. ભારતે અમેરિકા પાસેથી આ શિખવાનું છે. શેતાનને તમે મુક્ત રહેવા દઈ શકો નહિં. ભારત અજમલ કસબ,અફઝલ ગુરુ જેવાઓને બચાવી, અત્યાર સુધી જીવતા રાખી શો દાખલો બેસાડવા માગે છે એ મારી સમજની બહાર છે. હું તો માનું છું આતંકવાદી છાવણીઓને શોધી શોધી હવે અમેરિકાએ એમનો નાશ કરવો જોઈએ અને સમગ્ર વિશ્વના બધા દેશોએ આ ભગીરથ કાર્યમાં સાથ આપવો જોઈએ. એક થઈને જગત ચોક્કસ આતંકવાદના સડાને ખતમ કરી શકે.

ઓસામાએ વિશ્વના સૌથી મોટા આતંકવાદી હૂમલા દ્વારા અમેરિકાના ટ્વીન ટાવરનો ખાત્મો બોલાવી દીધો ત્યારે એમાં કેટલા મનુષ્યો, કેટલા સપનાઓ, કેટલા કુટુંબો, કંઈ કેટલીય આશાઓ, કંઈ કેટલાય જીવન નાશ પામ્યા, બરબાદ થઈ ગયાં. એ માર્યા ગયેલા કે તેમના પર સંપૂર્ણ નિર્ધારીત નિરાશ્રિત બની ગયેલા હજારો નિર્દોષ લોકોનો શો વાંક હતો? શા માટે આ સંહાર લીલા? આવા વિનાશકારી વિચારો ફેલાવનારા અને કૃત્યો કરનારાને વહેલામાં વહેલી તકે શોધી કાઢી ખરાબ માં ખરાબ મોતની સજા થવી જોઈએ જેથી એનો દાખલો જગતમાં બેસે અને યુવાનો આ ખોટા માર્ગે વળતા ડરે, અટકે.

‘૧૯૪૭ અર્થ’ ફિલ્મનું એક અતિ સુંદર હ્રદયસ્પર્શી પ્રાર્થના-ગીત મને અહિં ટાંકવાનું મન થાય છે:

'ઇશ્વર અલ્લાહ તેરે જહાંમે નફરત ક્યું હૈ, જંગ હૈ ક્યું?
તેરા દિલ તો કિતના બડા હૈ, ઇન્સા કા દિલ તંગ હૈ ક્યું?

ગૂંજ રહી હૈ કિતની ચિખે પ્યારકી બાતે કૌન સુને,
તૂટ રહે હૈ કિતને સપને ઇનકે ટુકડે કૌન ચૂને?
દિલકે દરવાઝો પર તાલે , તાલો પર યે ઝંગ હૈ ક્યું?

કદમ કદમ પર સરહદ ક્યું હૈ? સારી ઝંમી જો તેરી હૈ,
સૂરજ કે ફેરે કરતી હૈ ફિર ક્યું ઇતની અંધેરી હૈ?
ઇસ દુનિયાકે દામન પર ઇન્સાન કે લહૂ કા રંગ હૈ ક્યું?

ઇશ્વર અલ્લાહ તેરે જહાંમે નફરત ક્યું હૈ, જંગ હૈ ક્યું?
તેરા દિલ તો કિતના બડા હૈ, ઇન્સા કા દિલ તંગ હૈ ક્યું?’

કેટલી સુંદર ભાવનાઓ વ્યક્ત થઈ છે આ ગીતમાં ! જો આ પ્રાર્થનાનો ભાવાર્થ આતંકવાદીઓ સમજી જાય તો કેવું સારું ! આખું વિશ્વ પ્રેમના રંગે રંગાઈ જાય અને ક્યાંય શત્રુતાનું, નફરતનું, આતંકવાદનું નામોનિશાન ન રહે!

ઇશ્વર કરે ને ઓસામાના મ્રુત્યુ બાદ જલ્દી જ હવે આવા આદર્શ વિશ્વનું નિર્માણ થાય..!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો