Translate

રવિવાર, 23 જાન્યુઆરી, 2011

ગેસ્ટ બ્લોગ : વતન પે મરને વાલોં કા ‘નહીં’ નામોનિશાં હોગા!


ભારતીય ખુશ્કીદળના યુવાન મેજર ઋષિકેશ રામાણી (નીચેનો ફોટો) જૂન ૭, ૨૦૦૯ ના રોજ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં શહીદ થયા, મીડિઆએ તેમની શહાદતના તેમજ તેમના શૌર્યના અખબારી રિપોર્ટ બીજે દિવસે છાપ્યા, હવે કેટલાક દિવસ પછી ભારત સરકાર મેજર રામાણી માટે એકાદ ખિતાબ ઘોષિત કરશે અને પછી થોડા દિવસ બાદ જાણે કશું જ બન્યું નથી તેમ બધું ભૂલાઇ જશે. આવતી કાલે કાશ્મીરમાં ભારતનો વધુ એકાદ વીર જવાન તુચ્છ આતંકવાદીની ગોળીનું નિશાન બની વીરગતિ પામશે અને તેની યાદમાં દેશની સરકાર મગરનાં આંસુ સારી વળી એ જવાનને ભૂલી જશે.

 
આ ક્રમ આજકાલનો નથી. પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ ઝિયાએ ભારત સામે ૧૯૮૪માં પ્રોક્સી વોરનો આરંભી ત્યારથી તે ચાલ્યો આવે છે. ઝિયાના પાપે કાશ્મીર ભારત માટે બારમાસી બેટલ ફિલ્ડ બની ગયું છે અને સ્વર્ગભૂમિ કહેવાતો એ પ્રદેશ ભારતીય જવાનો માટે મરૂભૂમિ બની ગયો છે. એક પછી એક કરીને આજ દિન સુધીમાં કોણ જાણે કેટલા જવાનો ભારતે કાશ્મીરમાં ગુમાવ્યા છે--અને તે પણ એવા યુદ્ધમાં કે જેનું સત્તાવાર રીતે કોઇ અસ્તિત્વ છે જ નહિ.


કાશ્મીરને ‘આઝાદ’ કરવાના નામે ઝિયાએ શરૂ કરાવેલા આતંકવાદને પાકિસ્તાન ગુપ્તતાના પડદા પાછળ સતત પોષતું રહ્યું છે. બીજી તરફ તે આતંકવાદની વિરૂદ્ધ ભારત સરકાર નરમ હાથે કામ લેતી રહી છે. પરિણામે છેલ્લાં વીસેક વર્ષમાં કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા ભારતીયોની (નાગરિકો તથા ખુશ્કી જવાનો) સંખ્યા ૮૪,૦૦૦ના આંકડાને વટાવી ગઇ છે. ખુવારીનો તે આંક જો વધુ લાગતો હોય તો જાણી લો કે તે ફિગર ૨૦૦પનો છે. ચાર વર્ષમાં હજી બીજા કેટલા લોકો મર્યા હશે તે કોણ જાણે!

પાક હસ્તકના કાશ્મીરમાં આજે ત્રણેક હજાર જેટલા યુવાન ‘જેહાદી’ઓ કુલ ૪૯ આતંકવાદી કેમ્પ્સમાં ખદબદી રહ્યા છે. કાશ્મીર ખીણમાં પોતાની આણ ફેલાવવા માટે તેઓ વારેતહેવારે સશસ્ત્ર હુમલા કરતા રહે છે. આ હુમલાઓને ખાળવા માટે ભારતના ખુશ્કીદળે સમગ્ર કાશ્મીરમાં બધું મળીને ૩૩,૦૦૦ જવાનોને તથા અફસરોને ડ્યૂટી પર ખડેપગે રાખવા પડે છે. રાષ્ટ્રીય રાયફલ્સ, રોમિયો ફોર્સ, રિઝર્વ પુલિસ વગેરે જેવા અન્ય લશ્કરી દળોને ગણો તો કાશ્મીરમાં તૈનાત ભારતીય જવાનોની સંખ્યા બે લાખ જેટલી બેસે છે. નવાઇની વાત છે કે આટઆટલી કડક વ્યવસ્થા હોવા છતાં કાશ્મીરમાં વર્ષે સરેરાશ ૨,પ૦૦ આતંકવાદી હુમલાઓ થાય છે, જેમાં કેટલાય ભારતીય જવાનો પોતાનો જાન ગુમાવે છે અથવા બૂરી રીતે જખમી બને છે.

બળાબળની દ્રષ્ટિએ જોવા બેસો તો એક તરફ માત્ર ત્રણેક હજાર આતંકવાદીઓ છે, તો બીજી તરફ ભારત પાસે બે લાખનું સંખ્યાબળ છે. હાઇ-ટેક શસ્ત્રો અને વિમાનો જુદાં! ભારત ધારે તો (કહો કે ભારતે વર્ષો પહેલાં ધાર્યું હોત તો) પાક પ્રેરિત આતંકવાદનો ગણતરીના દિવસોમાં સફાયો કરી શકે, પરંતુ રાજકારણના આટાપાટામાં સપડાયેલી કોઇ સરકારને તેમાં રસ નથી. લાઇન ઓફ કન્ટ્રોલ ઓળંગીને પાક હસ્તકના કાશ્મીરમાં આતંકવાદી કેમ્પ્સ પર છાપામાર હુમલો કરવામાં ભારતને કોણ રોકી શકે? પરંતુ નહિ, એવું પગલું ભરીને જગત આખાની નારાજગી વહોરી લેવાનું કોઇ સરકારને પાલવતું નથી. અમેરિકાની ગૂડબૂકમાં રહેવું એ ભારતીય રાજીનીતિની વણલખી નીતિ છે. પરિણામે આતંકવાદને મૂંગા મોઢે સહન કર્યે રાખવા સિવાય આરો રહેતો નથી.

દરમ્યાન મેજર ઋષિકેશ રામાણી જેવા સપૂતો એક પછી એક કરીને વીરગતિ પામતા રહે છે, બીજે દિવસે સમાચારોમાં તેમની વીરગાથા લખાય છે અને માટીપગા નેતાઓ સદ્ગત સપૂતોને એકાદ ખિતાબ વડે સન્માનિત કરી પોતાની ફરજ પૂરી કર્યાનો સંતોષ માને છે. આ ક્રમ હવે તો આપણને કોઠે પડી ગયો છે એમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી.

આતંકવાદ અલંકારિક શબ્દોથી નહિ, પણ અમોધ શસ્ત્રોથી જ નાથી શકાય! આ સિમ્પલ વાત દિલ્હીમાં બેઠેલા રાજકારણીઓ ક્યારે સમજશે?


- હર્ષલ પુષ્કર્ણ
 
 
GUEST BLOG URL:
http://harshalpushkarna.blogspot.com/2009/06/blog-post_09.html

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો