Translate

રવિવાર, 9 જાન્યુઆરી, 2011

શ્રી દિલીપ ધોળકિયા, શ્રી વેણીભાઈ પુરોહિત અને સારી વક્તવ્ય કળાની થોડી ટીપ્સ

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી

તારા રૂપની પૂનમનો પાગલ એકલો...

આ અમર થઈ ગયેલા ગુજરાતી ગીત સાથે સંકળાયેલ બે-ચાર ઘટનાઓ દસ-પંદર દિવસના ટૂંકા ગાળામાં જ બની ગઈ.

૧૯૫૦માં બહાર પડેલી ગુજરાતી ફિલ્મ દિવાદાંડીનું આ સુમધુર ગીત જે પહેલા સુપ્રસિદ્ધ ગાયક મુકેશના કંઠે સ્વરબદ્ધ થવાનું હતું પણ પછી ગુજરાતી ગીત-સંગીતવિશ્વના શિરમોર સમા સ્વ. શ્રી દિલીપ ધોળકિયાના મુખેથી ગવાયું અને આજે પણ દરેક ગુજરાતી રસિક આ ગીતથી ભાગ્યે જ અજાણ હશે.

મહાન સ્વરસમ્રાટ એવા આ વયસ્ક સંગીતકારનું થોડા દિવસો પહેલાં જ નિધન થયું

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખેદ વ્યક્ત કરતા આ પીઢ મહાન સંગીતકાર માટે કહ્યું કે તેમના મૃત્યુથી જાણે ગુજરાતી ગીતસંગીતના એક યુગનો અસ્ત આવી ગયો.

એક સારી વાત એ બની કે તેમના મૃત્યુના એક-બે દિવસ પહેલાં જ તેમને પ્રતિષ્ઠિત મુનશી સન્માન અને પુરસ્કારથી નવાજવામાં આવ્યા. નાદુરસ્ત તબિયતને કારણે તેઓ આ પુરસ્કાર સમારંભમાં પ્રત્યક્ષ તો હાજર ન રહી શક્યા પણ હોસ્પિટલના બિછાનેથી પણ તેમણે પોતાના આભારસંદેશમાં ‘તારી આંખનો અફીણી …’ ગીતનું મુખડું ગાઈ તેમની ઝિંદાદિલીનો પરિચય આપ્યો!

સ્વ. શ્રી દિલીપ ધોળકિયાને હ્રદયથી આદરપૂર્વકની શ્રદ્ધાંજલિ.

**************************************************

‘તારી આંખનો અફીણી …’ ગીતના રચયિતા એટલે ઉમાશંકર જોશી જેમને ‘ બંદો બદામી’ કહેતા અને ૩જી જાન્યુઆરીએ જેમની ત્રીસમી પુણ્યતિથી ગઈ એવા મહાન ગુજરાતી કવિ શ્રી વેણીભાઈ પુરોહિત. ૨૬મી ડિસેમ્બરે સ્વ. શ્રી વેણીભાઈ પુરોહિતની જ્ઞાતિના તેમની યાદમાં યોજાયેલા એક વકતૃત્વ સ્પર્ધા તેમજ તેમના રચિત કાવ્યોની કાવ્ય પઠન સ્પર્ધામાં મને નિર્ણાયક તરીકે જવાનું સદ્ભાય પ્રાપ્ત થયું. શ્રી વેણીભાઈ જેવા પૂજ્ય અને મોટા ગજાના કવિની સ્મૃતિમાં રખાયેલ આ કાર્યક્રમમાં અનુભવી અને જાણીતા કવિ અને સંચાલક શ્રી શોભિત દેસાઈ તેમજ એક અનુભવી અને ગુજરાતી ભાષાના જાણકાર એવા શિક્ષિકા જેવા અન્ય નિર્ણાયકો સાથે આ માનદ ભૂમિકા ભજવવાનું આમંત્રણ મારા માટે ગૌરવની વાત હતી. પ્રથમ વાર આમ જજ તરીકે જવાનું હોવાથી એક ડર હતો કે આવડી મોટી જવાબદારી હું યોગ્ય રીતે નિભાવી શકીશ કે કેમ? પણ કાર્યક્રમને અંતે જ્યારે બીજા નિર્ણાયકો સાથે મારા સ્કોર્સ મેળવ્યા ત્યારે અમારા ત્રણેના મત લગભગ એટલા સરખા હતા કે અમારે અંતિમ નિર્ણય માટે પરસ્પર કોઈ ચર્ચા જ ન કરવી પડી. આ પ્રસંગે શીખવા અને જાણવા મળેલી કેટલીક વાતો આજના બ્લોગ થકી તમારી સાથે શેર કરવી છે.

મંચ પર અને ઘણાં લોકો સાંભળી રહ્યા હોય ત્યારે બધાંની આંખમાં આંખ પરોવી આત્મવિશ્વાસપૂર્વક, સાહજિકતાથી, જરાય ગભરાયા વગર બોલવું મુશ્કેલ છે પણ અશક્ય નથી. મહાવરો કેળવી વકતૃત્વની કળા ચોક્કસ આત્મસિદ્ધ કરી શકાય છે.તમારે જે કહેવું છે તે સ્મિત સાથે નિર્ભયતાથી વધુ મોટા પણ નહિં અને વધુ નીચા પણ નહિં એવા અવાજે કહો.લોકો સામે જોઈને નજર ફેરવતા ફેરવતા બોલો એટલે કે એક જ વ્યક્તિ સામે જોઈ તમારું વક્તવ્ય પૂરું ન કરો. હાવભાવ સાથે બોલો પણ એટલા બધા ન હલો કે લોકો તમને સાંભળવાનું ભૂલી જાય! કઢંગી રીતે ઉભા ન રહો કે ખરાબ રીતે ન બેસો.તમે કમ્ફર્ટેબલ રહી બોલી શકો એ રીતે ઉભા રહો કે બેસો.માઈકની બરાબર સામે અતિ નજીક જઈ ન બોલો.એનાથી તમારા ઉચ્ચારો ફાટશે(બ્લાસ્ટ થશે).માઈકથી મોં સહેજ ત્રાંસુ રાખી બોલો.બોલતા પહેલા માઈકમાં તમારો અવાજ ચકાસી લો.બોલતી વખતે હળવા રહો. ટેન્શન ન લો. તમારું વક્તવ્ય નિયત સમય કરતા અડધી મિનિટ ઓછું રાખો.વક્તવ્ય વહેણમાં હોય એ રીતનું રાખો જેથી બોલવાના મુદ્દાઓ સહજતાથી એક પછી એક સ્ફૂરે,તમારે આગળના શબ્દો કે વાક્યો યાદ કરવા તકલીફ ન લેવી પડે.જો કદાચ તમે એકાદ મુદ્દો ભૂલી પણ જાવ તો તે શ્રોતાઓને જણાવા ન દો.તમારું વક્ત્વ્ય અસ્ખલિતપણે વહેતું હોવું જોઈએ - ઝરણાની જેમ. માર્ગમાં અડચણરૂપ પત્થર પણ આવે તો ઝરણુ કેવું અટક્યા વગર વહ્યે રાખે છે તેમજ! શ્રોતાઓને પહેલેથી તમારા વક્તવ્યની જાણ તો હોતી નથી.આથી એકાદ બે વિચાર તમે બોલવાના ભૂલી પણ જાઓ તો તેમને તેની ખબર પડતી નથી, સિવાય કે તમે તમારા હાવભાવ દ્વારા તેની જાણ છતી કરી દો. મુખ પર આછું સ્મિત રાખો.શ્રોતાઓ સાથે પણ તેમને તમારા વક્ત્વયમાં સાંકળી લેવા નાનકડા પ્રશ્નો પૂછો.પણ આનો અતિરેક ન થવો જોઇએ.વક્તવ્યમાં રસ ભરવા એકાદ બે નાના ઉદાહરણ ટાંકી શકાય પણ આખી મોટી વાર્તા કહેવા બેસી જાઓ એ ન ચાલે. એકાદ રમૂજી ટૂંચકો ચાલે પણ આખા વક્તવ્યને જોક્સથી ભરી દો એ ન ચાલે!બને એટલી હળવી શૈલીમાં સરળ ભાષામાં તમારા વિચારો રજો કરો.ભારે ભરખમ ભાષા સારા વક્તવ્ય માટે હોવીજ જોઇએ એ જરૂરી નથી.

તમારા ઓડિયન્સને ધ્યાનમાં રાખીને વક્તવ્ય તૈયાર કરો.કોઈક કાવ્યની એકાદ બે પંક્તિઓને પણ તમે વક્તવ્યમાં વણી લઈ શકો.શ્રોતાઓનો રસ જળવાઈ રહ્યો છે કે નહિં એ ધ્યાનમાં લો.તથ્યો પ્રત્યે સજાગ રહો.ખોટી માહિતી ક્યારેય વક્તવ્યમાં હોવી જોઇએ નહિં.જેમકે કોઈક કવિની કાવ્યપંક્તિ ટાંકતી વખતે તમે તે કવિનું નામ જાણતા હોવ તો બોલો પણ એ વિષે તમે ચોક્કસ ન હોવ તો કવિનું નામ બોલ્યા વગર જ 'કોઈક કવિએ કહ્યું છે કે...' એ રીતે બોલી કાવ્ય પંક્તિ બોલો.

કાવ્ય પઠન વખતે સ્પર્ધાના નિયમો ખાસ જાણીલો. તમારે ફક્ત કાવ્ય જ વાંચવું જોઇએ. તેનું વિવેચન કરવું જોઇએ નહિં.પણ જો એની સ્પર્ધાના નિયમમુજબ છૂટ હોય તો તેને કાવ્યપઠનમાં રસક્ષતિ ન થાય એ રીતે વણી લો.

છેલ્લે વક્તવ્ય હોય કે કાવ્યપઠન, તમે પોતે એને એન્જોય કરો અને પછી જુઓ શ્રોતાઓ પણ તેને માણે છે કે નહિં!

1 ટિપ્પણી: