Translate

બુધવાર, 29 ડિસેમ્બર, 2010

ગેસ્ટ બ્લોગ : મોંઘવારીના વમળમાં ફસાયેલો મધ્યમવર્ગનો માનવી

"ધરતી પર ફેલાયો છે મોંઘવારીનો રોગચાળો,


ત્રાહી ત્રાહી મચી છે, કોઈ તો સંજીવની પાઓ."

હા, ત્રાહી ત્રાહી મચી ગઈ છે સમગ્ર વિશ્વમાં મોંઘવારી નામનો રોગચાળો ફાટી નિકળ્યો છે. જેનું ઔષધ શોધવામાં વૈજ્ઞાનિકો પણ સફળ થયા નથી અને જેના દ્વારા પ્રશાસનના પાયા ડગમગવા લાગ્યા છે એ મોંઘવારીની કાળી છાયામાંથી નીકળવા મધ્યમવર્ગીય માનવી પાણી વગરની માછલીની જેમ તરફડીયા મારી રહ્યો છે. સતત વધતા જતા મોંઘવારીના વમળમાં માનવી સૂડી વચ્ચે સોપારીની જેમ ફસાયેલો છે. પોતાના મનની ભાવના, લાગણીને સરકાર સમક્ષ પ્રસ્તુત કરવા ૫ જુલાઈના રોજ "ભારતબંધ" નામનો કાર્યક્રમ આયોજીત કર્યો હતો. પણ શું તેનાથી મોંધવારી ઓછી થઈ જવાની છે?

આ ભારતબંધને કારણે ૧૩ હજાર કરોડનું થયેલું નુકશાન શું ભૂલવાલાયક છે? ના કદી પણ નહી. આ વધતી જતી મોંઘવારીનું કારણ શું? વધતા જતા પેટ્રોલ- ડિઝલના ભાવને કારણે સામાન્ય જનતા ત્રસ્ત છે. આ વિદેશી પ્રવાહીને પ્રશાસન માત્ર ૨૬ રૂ. પ્રતિ બેરલમાં પ્રાપ્ત કરે છે અને તેના પર રાજ્ય અને કેન્દ્ર સરકાર કર લગાડી બજારમાં ૫૨ રૂ. માં વહેંચે છે અને જ્યારે વધતી મોંઘવારીના કારણ પૂછવામાં આવે તો વિશ્વ બજારને મોંઘા ભાવ હોવાનું જણાવી સરકાર પીછેહઠ કરે છે. માનવ મનની શાંતી, લાગણી, રૂપિયાની લાલચ જેવા તત્વો મોંઘવારીમાં નાશ પામ્યા છે, માટે જ કહેવાયુ છે કે,

"સઘળાં સુખો પોઢી ગયા રૂપિયાની સોડમાં,

ને લાગણી હારી ગઈ, રૂપિયાની હોડમાં."

મોંઘવારીનો શ્રાપ મધ્યમવર્ગ અને પછાત વર્ગને એવો લાગ્યો છે કે ૬ જુલાઈના રોજ યુ.પી ના એક ગામડામાં માતા- પિતાએ પોતાના છ માંથી થી ત્રણ સંતાનને મોતના મુખમાં પોઢાડી દીધા. કારણ વધતા જતા ભાવને લીધે તેઓ પોતાના સંતાનનું ભરણ-પોષણ કરવામાં સક્ષમ ન હતા. બીજી બાજુ ખેડૂતો દ્વારા પકાવવામાં આવતા ઘઉં જે ભારતની ૨/૩ વસ્તીની જઠરાગ્નિ શોષી શકતો હતો, તે પાક વરસાદના પાણીમાં સડી રહયો છે.

હાપુડ ,ઝાંસી જેવા શહેરો માં અનુક્ર્મે ૪.૫ લાખ અને ૫,૦૦૦ ઘઉં ની ગુણીઓ સડી રહી છે અને પ્રશાસન ચૂપ છે. જે શાક કાલે ૧૦રૂ કિલોમાં વહેંચાતું હતું તે જ શાક આજે ૧૨થી ૧૫રૂ પા કિલો જ મળે છે. મોંઘવારીનો સામનો કરવા ક્રુષિ પ્રધાન શરદ પવાર દ્રારા પગલા ભરવામાં નથી આવતા અને બીજી બાજુ તે પોતાના માથા પરથી સરકારી બોજો ઓછો કરવા વિનંતીની ફુલમાળા ગૂંથી રહ્યા છે.

ભારતના અર્થતંત્રને વિશ્વમાં માન-સન્માન મળી રહ્યું છે પણ તે અર્થતંત્રમાં પીસાતા મધ્યમવર્ગ અને પછાત વર્ગના માનવીની પરિસ્થિતિ શું છે તે જાણવા કોઈ પ્રયત્ન નથી કરતું.

આઈ.પી.એલ.(Indian Premiere League) માં કરોડો-અબજો રુપિયાની ઉજાણી કરવામાં આવે છે, દાવતો ગોઠવવામાં આવે છે અને બી.પી.એલ (Below Poverty Line) ગરીબી રેખાની નીચે જીવતા નાગરિકોને એક ટંક ભોજન પણ નથી મળતું! એક જ દેશમાં આઈ.પી.એલ અને બી.પી.એલ વચ્ચે આટલો તફાવત આશ્ચર્યકારક નથી?

ફુગાવો એટલે inflation થોડાં મહિનાઓ અગાઉ જ દ્રિઅંકી સંખ્યા પર પહોંચી આવ્યો છે જે ખૂબ જ ગંભીર બાબત છે. અમીર વર્ગ પણ મોંઘવારીના કારણે કરકસર કરતો થઈ ગયો છે. જો નજીકના ભવિષ્યમાં બધા મનુષ્ય મળીને મોંધવારીનો ખાતમો નહી કરે તો ‘પીપલી લાઈવ’ ફિલ્મનું આ ગાયન જીવનભર ગાતા રહેવું પડશે –

"સખી સૈયા તો ખૂબ હી કમાત હૈ ,મહેગાઈ ડાયન ખાય જાત હૈ !”

- સચીન વજાણી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો