Translate

રવિવાર, 12 ડિસેમ્બર, 2010

માનવી માનવ થાય તોયે ઘણું...

કેટલીક વસ્તુઓથી ભગવાન દૂર જ રાખે તો સારું.હોસ્પિટલ,પોલીસચોકી,અદાલત,સરકારી કચેરી આ બધી જગાઓ આવી છે જેનાથી તમારો પનારો ન પડે તો તમે સદનસીબ.પણ દરેકના જીવનમાં ક્યારેક આ જગાઓમાંની એક કે વધુની એકાદ મુલાકાતનો પ્રસંગ તો આવે જ છે. નવેમ્બર માસમાં મારે ચારેક હોસ્પિટલની મુલાકાત,મારા પિતાની અચાનક ખરાબ થઈ ગયેલી તબિયતને કારણે લેવી પડી.પણ આ બધી હોસ્પિટલમાં મને થયેલ અનુભવો મહદાંશે સારા રહ્યા. એકાદબે અનુભવોની વાત મારે આ બ્લોગ થકી તમારી સાથે શેર કરવી છે.


દિવાળીને દિવસે પપ્પાને હોસ્પિટલમાંથી રજા મળવાની હતી.આથી પૈસા ચૂકવવા હું હોસ્પિટલના રિસેપ્શન કાઉન્ટર પર ઉભો હતો.ત્યાં મારી બાજુમાં એક ભાઈ ઉભા હતા તેમણે મારી સામે રુપિયા પાંચ હજાર રોકડા કોઈક દર્દીને આપી દીધાની જાણ રિશેપ્સન પર બેઠેલ ખ્રિસ્તી સ્ત્રીને કરી. વાત એમ હતી કે આ ભાઈ તેમની પત્ની અને યુવાન પુત્રીને

લઈને દિવાળીના શુભ દિવસે કોઈ જરૂરિયાતમંદની મદદ કરવાના હેતુથી તેમના ઘરની નજીક આવેલી આ હોસ્પિટલ પર આવી પહોંચ્યા હતા.તેઓ કંઈ પેલા યુવાન,જેને તેમણે તેના પિતાના ઓપરેશન માટે પાંચ હજાર રુપિયાની મદદ કરી હતી તેને ઓળખતા નહોતા.પણ સીધા હોસ્પિટલના રિસેપ્શન કાઉન્ટર પર આવી તેમણે પેલી પીઢ અનુભવી રિસેપ્શનીસ્ટને યોગ્ય જરૂરિયાતમંદ દર્દી વિશે પૂછપરછ કરી.રિસેપ્શનીસ્ટ દરેક દર્દી પૈસા ચૂકવવા તેની પાસે જ આવતા હોવાથી તેમની આર્થિક સ્થિતી,ઘરની પરિસ્થિતી વગેરે અંગે માહિતી મેળવી લેતી હોય છે. આથી તેણે પેલા મદદ કરવા આવેલા ભાઈને એક ગરીબ યુવક પોતાના પિતાને મોટા ઓપરેશન માટે ગઈ રાત્રે જ દાખલ કર્યા હોવાની જાણ કરી અને એ ભાઈ તે યુવકને પાંચ હજાર રુપિયા આપી આવ્યા.હજી બીજી વધુ મદદ માટે બીજા કોઈ જરૂરિયાતમંદ દર્દી વિષે તેઓ પૃચ્છા કરી રહ્યા હતા જે મેં સાંભળી.હું સાવ આભો જ બની ગયો હતો અને અહોભાવપૂર્વક એ વ્યક્તિ અને તેની વાતચીત નિહાળી-સાંભળી રહ્યો હતો.રિશેપ્સનિસ્ટે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બધા દર્દીઓની ફાઈલ ચકાસી લીધી પણ તેને કોઈ મદદની જરૂર હોય એવું દર્દી જણાયું નહિં.આથી તે ભાઈએ પોતાનું બિઝનેસ્સ-વિઝિટીંગ કાર્ડ રિસેપ્સનિસ્ટને આપી કોઈને મદદની જરૂર પડે તો પોતાનો સંપર્ક કરવા જણાવ્યું.મારુ સંવેદના તંત્ર આ ઘટનાના સાક્ષી બની ઝણઝણી ઉઠ્યું.

તુંડે તુંડે મતિર્ભિન્ના - જુદા જુદા માણસો જુદી જુદી મતિ. એ જ ન્યાયે બધી હોસ્પિટલો પણ સારી હોય એવું જરૂરી નથી.ભગવાનની દયાથી મારે તો મુલાકાત લેવી પડેલી ચારે હોસ્પિટલનો મારો અનુભવ સારો જ રહ્યો પણ મેં એવી પણ કેટલીક હોસ્પિટલો વિષે સાંભળ્યું છે જ્યાં તેઓ દર્દીની હાલત કે તબિયતનો જરા સરખો પણ વિચાર કર્યા વિના તેને દાખલ કરતા પહેલા ડિપોઝિટની રકમ જમા કરી દેવાની ફરજ પાડે છે.ગરીબ દર્દીઓનો બિલકુલ વિચાર કરતી હોતી નથી.દરેક હોસ્પિટલની ફરજ પહેલા માણસનો જીવ બચાવવાની, તેની તબિયત સુધારવા તેને શ્રેષ્ઠ સારવાર આપવાની છે, જે તેણે ચૂકવી ન જોઈએ.

ડોક્ટર પણ કેટલાક ખૂબ સારા તો કેટલાક ખૂબ 'વ્યવહારુ' હોય છે.એટલી હદ સુધી વ્યવહારુ કે વેપારી કે તેઓ માણસ હોવાનું પણ ચૂકી જાય છે.પપ્પાના હ્રદયમાં લોહી લઈ જતી મુખ્ય નસમાં ત્રણેક અવરોધો જણાયા ત્યારે અમારી સ્થિતી કફોડી થઈ ગઈ.કેટલાક ડોક્ટર પોતાના અંગત સ્વાર્થને લઈને એન્જિયોપ્લાસ્ટી નામના ઉપાયની સલાહ આપે તો બીજા કેટલાક સર્જન ડોક્ટર્સ બાયપાસ ઓપરેશન કરાવવાની સલાહ આપે.આપણને સામાન્ય જનને તો આ બધી જટિલ બાબતમાં શી સમજ પડે?આખરે ઘણા ડોક્ટર્સની તેમજ સ્નેહી સંબંધીઓ-મિત્રોની સલાહ અનુસરી અમે પપ્પાની બાયપાસ સર્જરી કરાવવાનું નક્કી કર્યું.ડોક્ટર્સે હંમેશા સાચી સલાહ આપવી જોઈએ.

એક મિત્રના પિતાને અડધી રાતે હ્રદયમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.ડોક્ટરે આવીને ઇલાજ ઓપરેશન કરી દીધાં અને બિલ પકડાવ્યું રુપિયા નવ લાખનું.સામાન્ય સંજોગોમાં ચાર-પાંચ લાખની કિંમતમાં થઈ જતા આ ઓપરેશનના મારા મિત્રના પિતાના કેસમાં કેમ આટલા વધારે રુપિયા માંગવામાં આવ્યા હતા એ પ્રશ્નના જવાબમાં મહિલા ડોક્ટરે જણાવ્યું કે તેણે ઇમર્જન્સી ચાર્જ લગાડ્યો હતો જે અડધી રાતે આવવા માટેનો હોઈ સામાન્ય કરતા બમણાથીયે વધુ હતો. શું ડોક્ટર્સ આટલા ઉંચા ભાવ વસૂલે એ યોગ્ય ગણાય?

આવા અનેક અનુભવ પાછલા મહિને થયા પણ હવે ઇશ્વરની કૃપાથી પપ્પાની તબિયત સારી છે.

ભગવાનને પ્રાર્થના કે સૌને સદબુદ્ધિ આપે અને માણસાઈ આપે જેથી કપરા કાળમાં માનવી માનવ થઈ એકમેકની સહાય કરે...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો