Translate

શુક્રવાર, 25 ડિસેમ્બર, 2009

ગેસ્ટ બ્લોગ : પત્ર, ટપાલ, ઇમેલ વગેરે...

ગેસ્ટ બ્લોગ : મૈત્રેયી મહેતા, બોરિવલી, મુંબઈ
----------------------------------

હમણાં થોડા દિવસ પહેલા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ તત્કાલીન ગવર્નર ડેલહાઉસીને પર્શિયન ભાષામાં લખેલો પત્ર બ્રિટિશ લાયબ્રેરીમાંથી મળી
આવ્યો. આઝાદી મળ્યાને આટલે વર્ષે ભારતની સ્વતંત્રતા માટે સ્ત્રીઓને અંતિમ બલિદાન આપવાની પ્રેરણા આપનાર એ મહાન સ્વાતંત્ર્ય સેનાની રાણી લક્ષ્મીબાઈના સ્વહસ્તે લખાયેલ પત્ર જોઈને એક ભારતવાસીને અનહદ રોમાંચ થાય તે સ્વાભાવિક છે. આઝાદી માટેની ઉદ્દાત દેશદાઝના પ્રતીક સમી રાણી લક્ષ્મીબાઈના હૈયાની આગ તે પત્રમાં ઠાંસી ઠાંસીને ઠલવાઈ હોય અને તેમના અગનઝરતા અક્ષરો જાણે કે કેસરિયા ભાસતા હશે.

આજની તારીખમાં તો કોમ્પ્યુટર- ઈન્ટરનેટ અને મોબાઈલ-એસ.એમ.એસ.ના જમાનામાં પત્રલેખન ઓલ્ડફેશન, આઉટડેટેડ ગણાય છે, પણ પત્રલેખન અને પત્ર મળ્યાનો જે આનંદ હતો તેની કદાચ નવી પેઢીને કલ્પના પણ નહી આવી શકે. જો કે હું મારી જાતને જૂની પેઢીની કે પ્રૌઢ કે વ્રુદ્ધોના જમાનાની નથી માનતી.... પણ ખરેખર પત્ર લખવાની એક વિશેષ, આગવી કળા હતી.

સાદું પોસ્ટકાર્ડ - જનરલ પત્ર=સર્વે કુટુંબીજનોને લખાયેલો પત્ર.
પરબીડિયું - કવર= કઈંક ખાસ વાત.

સામાન્ય રીતે જેને ઉદ્દેશીને પત્ર લખાયો હોય તે ઉપરાંત કદાચ ઘરના બધા સભ્યો તે પત્ર વાંચતા.પત્ર પ્રાઈવેસી જેવું કંઈ ખાસ નહોતું. ખાખી પરબીડિયામાં આવતા પત્રો સરકારી કચેરીમાંથી આવ્યા હોય તેવું પણ ખરું.

ઈનલેન્ડ -અંતર્દેશીયપત્રો,એરમેલ-આન્તર્દેશીય પત્રો....

સરનામું જે અક્ષરોમાં લખાયું હોય તે પરથી કોનો પત્ર છે તે વગર ખોલે ખબર પડી જતી.ઘરના વડિલ સભ્યોને કાગળ વાંચી સંભળાવવામાં આવતો. અક્ષરજ્ઞાન સહજ નહોતું એટલે કાં તો પછીતેમને આંખે દેખાતું ઓછું થયું હોય તે કારણે. કુટુંબમાં કોઈ બેન-દિકરીની સગાઈ થઈ હોય અને તેમના ભાવિ વરરાજાના લખેલા સુગન્ધિત રંગીન પરબીડિયાઓ, દોસ્તોના પત્રો....
કેટલાક પત્રલેખકો વળી પોતાની ચિત્રકળાના પરચા પણ પત્રમાં દર્શાવતા, આજે ઈમેલમાં સ્માઈલી હોય છે ને તેમ જ !
અહિં હું મારા સંગીતના પરમપુજ્ય ગુરુ સુપ્રસિદ્ધ સ્વરકાર શ્રી રાસબિહારી દેસાઈનો ઉલ્લેખ કર્યા વગર શી રીતે રહી શકું? શ્રી રસભાઈનો પત્ર મળવો અને વાંચવો તે એક લહાવો છે....અદભૂત પત્રલેખન....! ! જાણીતા હાસ્યલેખક શ્રી અશોક દવેના સ્વહસ્તે લખાયેલો પત્ર વાંચીને પણ અભિભૂત થઈ જવાયું હતું....શું અક્ષરો ! જાણે કે કોમ્પ્યુટરના ફોન્ટ્સ ! ! વાહ ! ક્યા બાત હૈ !
અને જો ભૂલેચૂકે તાર=ટેલીગ્રામ આવ્યો તો તો આવી જ બન્યું ! સહુ ગભરાઈ જતા. બસ એક જ મેન્ટાલિટી કે કંઈ અશુભ બન્યું હોય તો જ તાર આવે!

એક મઝાની વાત કહું. મારી કઝીનના પતિદેવ બહારગામ ગયા. એમણે તેને ત્રણ તાર કર્યા... પ્રેમપત્રને બદલે, પ્રેમ તાર. અને ઘરમાં સહુ અવાક ! આ જેશ્ચર તેમની સમજની બહાર હતું ! ઘણાં તો વળી પત્ર લખે જ નહીં, અને ભૂલેચૂકે લખે તો ટપાલપેટીમાં નાંખવાની એટલે પોસ્ટ પરવાની આળસ. એમાં મારો નંબર પહેલો. મને કાગળ લખવાનો બહુ જ કંટાળો આવે અને લખું તો પોસ્ટ કરવાનો રહી જ જાય. ઘણા તો વળી ટપાલ ઉપર ટિકિટ ચોંટાડે જ નહી !અને આપણે વગર મફતના ટિકિટના પૈસા ભરવા પડે. કેટલાક સિક્કા વગરની ટિકિટો ઉખાડી લે.... કેટલાકને વિવિધ પ્રકારની ટિકિટો અને ફર્સ્ટ ડે કવર સંઘરતા જોયા છે.

મારા એક અંકલ શ્રી હર્ષવર્ધન મહેતાએ ટિકિટ સંગ્રહનું પ્રદર્શન યોજ્યું હતું.ઘણી અલભ્ય અને અપ્રાપ્ય ટિકિટો છે તેમની પાસે. આમ તો ટપાલ- કાગળ લખવાની પ્રથા ભૂસાઈ ગઈ છે. ટપાલ ખાતું અન્ય વેલ્યૂ એડેડ સેવા દ્વારા નાગરિકોની સેવા કર્યે રાખે છે. જો કે પોસ્ટઓફિસ દ્વારા રજીસ્ટર્ડ પોસ્ટ કરવાની પ્રથા ખૂબ જ વિશ્વસનીય ગણાય
છે.આજની પેઢી ‘ડાકિયા ડાક લાયા’ કે પછી ‘ફૂલ તુમ્હેં ભેજા હૈ ખતમેં’ કે ‘હું તો કાગળીયા લખી લખી થાકી..’ વગેરે જેવા ગીતોના મહત્વને સમજી શકશે ખરી?

પહેલાના જમાનામાં કબૂતર કે પછી બાજ પક્ષી દ્વારા કે ઘોડા ઉપર કાસદ કે ખેપીયા દ્વારા પત્ર પહોંચાડતા..પ્રેમિકાને પત્ર પહોંચાડનાર કાસદ પોતે જ તે રૂપવતીને
ઉડાવી જવાના કિસ્સાઓ ની વાર્તા પણ વાંચી છે.પહેલા પત્ર પહોંચતા સમય લાગતો અને આજે ઈન્ટરનેટ યુગમાં પત્ર એટલે ઈમેલ કે એસએમએસ લખ્યો અને સેન્ડ કર્યો નથી એટલે કે મોક્લ્યો નથી કે સીધો મોબાઈલ ફોન પર કે જેને મોક્લ્યો હોય તેને ઈમેલ પર પહોંચ્યો નથી.....

સાહિત્ય ક્ષેત્રે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પત્રો, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂના તેમની સુપુત્રી અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઈન્દીરા ગાંધીને લખાયેલા પત્રો ખૂબ નોંધપાત્ર સ્થાન ધરાવે છે. ગાંધીજીના ગરબડિયા અક્ષરો આજે પણ યાદ છે.

પહેલાના જમાનામાં લોકો જાતે એક્બીજાને મળવા જતા. સુખે દુ:ખે જાતે જઈને સગાંસ્નેહીઓને મળતા.પછી પત્ર દ્વારા લાગણીઓની આપલે થતી.તે પછી ટેલીફોનની શોધ
થઈ,પછી પેજર અને સેલ ફોનનો પ્રાદુર્ભાવ થયો. શરૂશરૂમાં તો મોબાઈલ પર વાત થતી.પછી એસએમએસ દ્વારા કામ ચાલતું. પણ હવે તો ઓરકૂટ જેવી કોમ્યુનિટીઓ ઉપર સ્ક્રેપ કરીને વર્ષગાંઠ કે નુતન વર્ષાભિનંદન કે રક્ષાબંધનની શુભેછાઓ પાઠવી દેવાય છે..બસ પત્યું !
હવે તો પોસ્ટમેન દર મહિને બીલો આપવા અને દર દિવાળીએ બોણી લેવા જ પધારે છે, તે સિવાય દેખાતા જ નથી.મારા માએ મોતીના દાણા જેવા અક્ષરોમાં લખેલા કે
મારા બાળકો- નાન્દી અને કિરાતે કાલીઘેલી ભાષામાં મને લખેલા પત્રો આજે પણ મેં જીવની જેમ જાળવી રાખ્યા છે.દૂરદર્શન ઉપર સુરભી વગેરે કાર્યક્રમોમાં આવતા પત્રો યાદ છે?
ઢગલાબંધ પત્રો ! હવે એસએમએસ પર ગાડુ ચાલે છે. આયોડેક્સ મલિયે કામ પર ચઢિયે ને બદલે એસએમએસ કિજિયે કામ પર ચઢિયે નો જમાનો છે.
દુનિયાભરમાં કોઇની પણ પત્ર લખવા માટેની વેબસાઈટ -પોસ્ટક્રોસિંગ.કોમ જોવા જેવી છે.પત્રલેખનનો શોખ પણ પૂરો થશે અને દુનિયાભરમાંથી કોઇની પણ સાથે પત્રમિત્રતા
થશે... પેન ફ્રેન્ડ પ્રથા હતી ને તેમ જ...

તમે પણ મને પત્ર લખી શકો છો...મારું ઈમેલ આઈડી છે : mainakimehta@yahoo.co.in
જો કે હું મારા હૈયાના ભાવ, પ્રાર્થના શિવજી@ કૈલાસધામ.કોમ ને તાબડતોબ પહોંચાડવાની કોશીશમાં લાગી છું...

- મૈત્રેયી મહેતા, બોરિવલી, મુંબઈ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો