Translate

રવિવાર, 8 સપ્ટેમ્બર, 2019

આશા અમર છે

   મિશન મંગલ ફિલ્મ થોડા સમય પહેલાં જોઈ, ખૂબ ગમી. ચંદ્રયાન-૨ લોન્ચ થયા ટાણે જ એની સમયસરની રજૂઆતે મારી જેમ લાખો અન્ય ભારતીયો એ પણ એ જોઈ અને વખાણી. એમાં ભારતીયતા અને દેશભક્તિની પણ છાંટ હતી એટલે એ માત્ર મનોરંજક ન બની રહેતા પ્રેક્ષકોના હ્રદયને પણ સ્પર્શી ગઈ. કોર્પોરેટ જગતમાં કામ કરતાં લોકો માટે પણ એમાં ટીમવર્ક, ખંત, મહેનત, ધીરજ વગેરેના અતિ મોટિવેટીંગ પાઠ છે.
  જો કે આ ફિલ્મ જેણે એ જોઈ એ બધાં - લાખો ભારતીયોના દિલમાં ચંદ્રયાન મિશન અંગે પણ એક ઉત્કંઠા પેદા કરતી ગઈ અને ફિલ્મ જોઈ જેવી 'અડ્રેનલાઇન' રશની લાગણી અનુભવેલી એ રિયલ લાઇફમાં સાચુકલી અનુભવવા શુક્રવારની રાતે એમાંના મોટા ભાગના બે થી ત્રણ વાગ્યા સુધી જાગતા રહ્યાં. અનેક વિદ્યાર્થીઓ ને આ રોમાંચક ક્ષણોનો પ્રત્યક્ષ લહાવો લેવા ઈસરોના હેડ ક્વાર્ટર માં આમંત્રણ અપાયું હતું, આપણાં માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ અસામાન્ય ઘટનાના ઉચાટભરી મન:સ્થિતી સાથે ત્યાં સાક્ષી બની રહ્યાં. લગભગ બે મહિના જેટલો સમય અવકાશયાત્રામાં વિતાવી ૩૮૪૪૦૦ કિલોમીટર જેટલું અંતર કાપી છેવટે માત્ર બે કિલોમીટર જેટલા અંતરે ચંદ્રયાન૨ ઈસરો સાથે, પૃથ્વી સાથે સંપર્ક ગુમાવી બેઠું અને લાખો લોકો જે તેને ચંદ્ર ના દક્ષિણ ગોળાર્ધ પર સોફ્ટ લેન્ડ થતું જોવા ચાતક નજરે એ ધન્ય ઘડી ની પ્રતીક્ષા કરી રહ્યાં હતાં તેમને નિરાશા સાંપડી.
  પણ એ નિરાશા ક્ષણજીવી નિવડી. કારણ આ નિષ્ફળતા બાદ પણ આ ઘટનાને જે પ્રતિભાવ મળ્યાં તે ખૂબ ખૂબ આવકારદાયક અને હકારાત્મક રહ્યાં. પ્રધાનમંત્રીની ઈસરો અધ્યક્ષને ભેટી મૂક સાંત્વના આપતા વિડિયોને વાયરલ થયો એ હદે લોકોએ જોયો, વખાણ્યો અને  પ્રધાનમંત્રી પ્રત્યે જનતાનું માન ઓર વધી ગયું. તેમણે ઇસરોના શક્ય એટલા બધા વૈજ્ઞાનિકો સાથે હાથ મિલાવ્યાં, શનિવારની સવારે એક અતિ પ્રોત્સાહક અને પ્રેરણાત્મક વક્તવ્ય આપ્યું અને એ તમામ વૈજ્ઞાનિકો અને તેમની અથાક મહેનતને બિરદાવ્યાં. અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને અન્ય બોલીવુડ સ્ટાર્સે પણ ઈસરો ને શાબાશી આપતાં ટ્વીટસ કર્યા. દેશમાં જ નહીં પણ વિદેશી મીડિયામાં પણ ભારતના આ અભિયાનની નોંધ જ ન લેવાઈ પણ તેને એ માટે બિરદાવવામાં આવ્યું.
   થોડા સમય અગાઉ ક્રિકેટ વર્લ્ડકપ મેચમાં ભારતીય ટીમ સેમિફાઇનલમાં હારી ને આવી ત્યાર બાદ પણ આવી જ રીતે તેમના સંનિષ્ઠ પ્રયાસોને આપણે બિરદાવ્યાં હતાં એ યાદ આવી ગયું.
    જ્યારે કોઈ ઘટના અંગે અતિ વધુ ઉત્સુકતા જાગે અને લાખો લોકો એ ઘટનાના અંતિમ સમાપન ની આતુરતા પૂર્વક રાહ જોતા તેના પ્રત્યક્ષ સાક્ષી બની રહ્યા હોય ત્યારે અંતિમ ઘડીએ ફિયાસ્કો થાય એ અતિ દુખદ છે પણ નિરાશામાં પણ આશા છુપાયેલી છે અને મારા જેવા જરૂર કરતા પણ વધુ આશાવાદી ભારતીયના મનમાં હજી એવી આશા છે કે કદાચ સંપર્ક ગુમાવી બેઠેલું ચંદ્રયાન અચાનક ફરી સંપર્કમાં આવી ચડશે, મિશન મંગલ માં બને છે એવી ફિલ્મી રીતે! કાશ એવું સાચે બને!
   પણ એવું બને કે ના બને, સંદેશ એટલો છે કે આશા અમર છે. એક વાર નિષ્ફળતા મળી એટલે કંઈ પાણીમાં થોડી બેસી જવાનું હોય? પડી જાવ તો વાંધો નહીં પણ પડી ગયા પછી ફરી ઉભા થવાનો પ્રયત્ન ના કરો એ ખોટું કહેવાય. પડી ગયા પછી ફરી ઉભા થઈ ચાલવા અને દોડવા માંડવામાં મજા છે, સફળતા આજે નહીં તો કાલે મળશે. ભૂલ તો થાય, એમાંથી પાઠ શીખી તેને સુધારી લેવી એ મહત્વનું છે.
  ઈસરો ટીમ, તમને અભિનંદન તમારા પ્રયત્ન બદલ અને અનેક ગણી શુભેચ્છાઓ રહી ગયેલા બે - એક કિલોમીટર ના અંતર ને પૂરું કરી ચંદ્રની ધરતી પર ભારતનો ઝંડો લહેરાવવા ટૂંક સમયમાં જ!
પ્રધાનમંત્રીશ્રી એ કહ્યું એ પ્રમાણે નવી પ્રભાત ચોક્કસ ઉગશે અને સફળતા ભણી  દોરી  જશે...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો