Translate

શનિવાર, 17 ફેબ્રુઆરી, 2018

ગેસ્ટ બ્લોગ : મનનું જોમ , માતાપિતાની ભલમનસાઈનો બદલો


-         ઈલા પુરોહીત

જો જો મન એક વાર મહેકતા શીખી લેશે પછી તેને ક્લેશ, કકળાટ, તારું-મારું, દ્વેષ, ઇર્ષા  આવું આવું કચરાપટ્ટી જેવું કશુંય પસંદ નહીં પડે એ પાક્કું. એને તો ઝીણીઝીણી કીડીયુંની હારેહારે સફારીની સફર કરવી ગમશે. ભલેને “ઉંબરો ડુંગર” જેવડો થયો. તોય તે ઘર બેઠા ગણતરીની સેકંડમાં રોકેટની ઝડપે અંતરીક્ષમાં જઈ આવશે. એથીય આગળ વધીને બધા ગ્રહોની સાથેસાથે સૂરજદાદાની પરિક્રમા પણ પૂરી કરશે. પ્રાચીન, અર્વાચીન, નવું, જૂનું બધુંય ‘ધૂળધોયા’ ની જેમ ઘડીના છઠ્ઠા ભાગમાં નેનો ક્રાફ્ટમાં ઘૂમી વળશે.
અરે! આજસુધી જે જે જોયું, અનુભવ્યું એ તો ઠીક પણ ન જોયેલી ભાતીગળ આખી દુનિયાનો કલ્પનાની પાંખે ચડીને સાક્ષાત્કાર કરી લેશે. અરે, આ ‘મન મહારાજની પૂરી તાકાતની આપણને પૂરી ખબર જ નથી. ભૈયા, મગતરાને મહાકાય અને મહાકાયને મગતરૂં કૌશલ ધરાવે છે આ મન મહાશય. સચ્ચી, આ તનમનનો તાલમેલ વાલિયા ભીલ ને ઋષિ વાલ્મિકી સર્જી શકે જ ને. અમથું  એને થોડું જ પવનથીય વધુ વેગવંત, જોમવાન કહ્યું છે? જેમ શરીરની તંદુરસ્તી માટે ઔષધિ તેમ નિરોગી મન માટે સદપ્રવૃત્તિ લાભકારક છે. વળી જિંદગીને ધીરે ધીરે  જી રે  જી રે  સમાધાન કરી લ્યો. ઉલઝો મત. સુલઝો ભાઈ! નાની નાની બેકાર વાતોમાં આવી સરસ જિંદગીને નર્ક ન કરો. જીવન  કદરૂપું ન ઘડો. જો જો , ધ્યાન રાખજો. દાળ શાકમાં મીઠું વધારે ઓછું પડ્યું, જમવાનું બગડ્યું આ મેટરની પચ્ચી જીવવાની આખેઆખી મઝા બગાડી નાખશે. થોડું સહન કરતાં શીખો. કહે છે ને, “ટેક ઇટ ઇઝી.” આપણી ગૃહસ્થી ક્દરૂપી ન બની જાય એ અંગે ખાસ ચોકન્ના રહો. ક્યારેક કોઈ મનોવૃત્તિની પ્રવૃત્તિ કાંઈ ગડબડ કરે એને રોકો, ચૂપ કરો. અચ્છાઈ, ભલાઈ, સચ્ચાઈ આપણા સુખક્રર્તા, દુખહર્તા ગણેશજી છે. સત્કર્મને ગણેશ પૂજન સમજો.
એક વાર આ મન બેબાકળું થઈને બુદ્ધિને પૂછી બેઠું કે આ સુખ, દુખ, હાનિ, લાભ, ચડતી, પડતી શું છે? રાગ- દ્વેષ, તારું-મારું, પારકું-પોતાનું ગતકડું શું છે? ભાવ ભજવે છે વગેરે વગેરે પ્રશ્નો જોઇને આ આખા બખડજંતર વિષે બુદ્ધિ પણ ભારે વિચારમાં પડી કે આ બધું  સીધેસીધું  કોને અસર કર્તા છે? અને અસરગ્રસ્તની સહાયતાર્થે શું પગલાં ભરવા જરૂરી છે? બુદ્ધિએ ચિત્તને ઢંઢોળ્યું. અરે ચિત્તજી, મન મુંઝવણના ઉકેલનો ઉપાય ગોતોજી. ચતુર ચિત્તે આખી ફાઈલ સ્ટડી કરી અને શુદ્ધાત્મા સાથે મિટીંગ કરી. સુખી દુખી જીવનની ઘટમાળનો પ્રશ્ન ઉકેલવાની કોશીશ કરી, જેની ટૂંકી નોંધ આ પ્રમાણે છે.
સૃષ્ટિચક્રમાં તાલમેલના અભાવે જ્ઞાન વિજ્ઞાનમાં ઉણા ઉતર્યાથી,વળી શરીરને જ “હું” સમજી બેસવાથી તથા શ્રદ્ધા અને સંયમને નજર બહાર ગણવાથી અને ખાસ તો કુદરતે બક્ષેલા માનવપણાની કદર ન કરવાથી આ દરેકેદરેક ધૂપ-છાંવ, ખુશી-ગમ, પ્યાર-નફરત જેવા દ્વન્દ્વો મનને પરેશાન કરે છે. આમાં ભાગ્ય – નસીબ, બાબા-ભૂવા બિચારા શું કરી શકે? ભાઈ, સુનો મનજી ભાઈ, આખી બાજી તમારા જ હાથમાં છે. મરજી આપકી!
******************************************************************************
શ્રીમાન અને શ્રીમતી વિજયપત સિંઘાનીયાજીની એક સરસ વિડીઓ ક્લીપ વોટ્સએપ પર જોવામાં આવી.રેમન્ડના પ્રમોટર એવા પિતા શ્રી શેઠ વિજયપત સિંઘાનીયા અને પુત્ર ગૌતમ સિંઘાનીયા વચ્ચેની અદાલતી કારવાઈનું સામાન્ય સહજયોગે વિશ્લેષણ થવા જાય છે. જ્યારે આ જાજરમાન પરિવારમાં પુત્ર-જન્મોત્સવ પ્રથમવાર મનાવાયો હશે,જ્યારે એ પ્રથમ સંતાનની પાપાપગલીએ માતાપિતાને ઠુમક ચલત રામચંદ્રની યાદ અપાવી હશે,પુત્રનો શાળાનો પ્રથમ દિવસ વગેરે વગેરે..આજ સુધીની આ આનંદની ક્ષણો - ત્યારની અને આજની અસમાન પરિસ્થિતી. દુ:ખ થાય છે પિતાની આજની મન:સ્થિતી કલ્પીને.અરે ,જે માવતર ,પછી ભલે એ ગરીબ હોય કે ધનવાન,રાજા હોય કે રંક,પોતપોતાની સહજ-સામાન્ય શક્તિ કરતાં ઘણું વધારે સંતાન માટે વિચારે અને વાપરે છે.તેની સંતાન મોટું થઈ આવી અવદશા કરે? જેને આધારે આપણે પગે ચાલતા શીખ્યાં,જેને કારણે એ ફોર એપલ થી માંડી માણસની ભાષા બોલતા શીખ્યાં.આ બધું સુખ-શુભ ભૂલી કોર્ટ-કાયદાને જંગે ચડી કરોડોનો ધુમાડો કરવો આ ક્યાંનું ડહાપણ છે?
-         ઈલા પુરોહીત

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો