Translate

રવિવાર, 25 સપ્ટેમ્બર, 2016

અતિ ઉપયોગી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા

ગણેશોત્સવ માં જેમ ગણપતિબાપ્પા અને નવરાત્રિ દરમ્યાન અંબામાનાં ગરબાની લોકો ભાવભક્તિ પૂર્વક પોતપોતાને ઘેર પધરામણી કરે છે તેમ જ હવે ઘણાં ભાવિકો અષાઢ વદ અમાસથી - શ્રાવણ સુદ નોમ સુધી પોતાને ઘેર દશામાની મૂર્તિની પધરામણી કરે છે અને શ્રદ્ધા પૂર્વક તેની પૂજા અર્ચના બાદ દસમે દિવસે એ મૂર્તિનું વિસર્જન કરતા હોય છે. અમારા એક જૂના પાડોશી મિત્ર ઇન્દુબેન પરમારના ત્યાં પણ દર વર્ષે ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક દશામાની પધરામણી થાય છે. વખતે મેં સપરીવાર તેમને ત્યાં દર્શન કરવા જવાનું નક્કી કર્યું.
સાંજે ઓફિસેથી છૂટી મેં સીધા ઇન્દુબેનને ત્યાં પહોંચી જવાનું હતું.પરીવારના અન્ય સભ્યો ત્યાં પહોંચી ગયા હતા.ઓફિસેથી છૂટી હું લગભગ સાંજે સાડાસાતની આસપાસ મલાડ સ્ટેશન પહોંચ્યો. મલાડ પૂર્વમાં તેમનું ઘર સ્ટેશનેથી ચાલીને અડધા કલાકેકમાં પહોંચાય એટલું દૂર. 'પોકીમોન ગો' ગેમ મેં નવી નવી રમવી શરૂ કરી હતી જેમાં નવા નવા પોકીમોન્સ પકડવા તમારે વધુ ને વધુ ચાલવું પડે! આથી રમતા રમતા ચાલીને ઇન્દુબેનના ઘેર જવાનું નક્કી કર્યું. અડધું અંતર કાપ્યા બાદ રસ્તામાં એક હનુમાનજીનું મંદીર આવે છે ત્યાં થોડે દૂર એક બાજુએ થોડા ઘણાં પાર્ક કરેલ વાહનો વચ્ચે એક માણસને મેં રસ્તામાં પડેલો જોયો. તેની પાસે તેની એક થેલી પડેલી હતી.તેના કપાળમાંથી લોહી વહી રહ્યું હતું. તે થોડું થોડું હલી રહ્યો હતો.પહેલી નજરે જોતા તે દારૂડીયા જેવો લાગ્યો. પણ તેના માથામાંથી વહી રહેલા રક્તે મને એમ વિચારવા મજબૂર કર્યો કે કદાચ દારૂડીયો પણ હોય અને તેનો અકસ્માત થયો હોય. તેને સમયસર સારવાર મળે ને તેનો જીવ બચી જાય. મેં આજુબાજુ જોયું. તેની સાવ નજીકમાં એક પાણીપુરીવાળો ઉભો હતો અને તેની પાસે ઉભા રહી બીજા બે-ચાર જણા પાણીપુરી ઝાપટી રહ્યાં હતાં. તેમનાથી દસ-વીસ મીટરના અંતરે એક માણસ કપાળેથી લોહી નિગળતી હાલતમાં રસ્તા વચ્ચે પડ્યો છે અને તેઓ જાણે સાવ સામાન્ય હોય રીતે પાણીપુરીની લિજ્જત માણી રહ્યા હતાં. મેં ત્યાં જઈ પાણીપુરીવાળાને પૂછ્યું કે સામે પડેલો માણસ કોણ છે એની તેને જાણ છે? તેની સાથે શું બન્યું છે? કોઈ વાહને તેને અડફેટમાં લીધો છે કે તે દારૂ પીને નશામાં પડ્યો છે? તેણે માત્ર ડોકું ધૂણાવી તેને કોઈ માહિતી નથી એવો ટૂંકો ઉત્તર આપ્યો.
ત્યાં જ તેની બાજુમાં થઈને એક મોટી ગાડી આવી. ડ્રાઈવરે જોયું કે એક માણસ પડેલો છે અને તેનો હાથ ચગદાઈ જાય રીતે બાજુમાંથી ગાડી લઈ તેણે માણસના શરીરની સાવ નજીકમાં પોતાની ગાડી પાર્ક કરી.ઉતર્યા બાદ તેણે એક દ્રષ્ટી પેલા રસ્તા પર પડેલા માણસના શરીર પર નાંખી અને પછી જોયું- જોયું કરી તેણે ત્યાંથી ચાલતી પકડી.અન્ય ત્રણ-ચાર રીક્ષાવાળાઓ પણ ત્યાં નજીકમાં ઉભા રહી ઘડીક પેલા રસ્તા પર પડેલા માણસ તરફ ઉપલક દ્રષ્ટી નાંખી ગપ્પાગોષ્ઠીમાં મસ્ત હતા.
જબરી છે મુંબઈ નગરીના વાસીઓની સંવેદના! જો કે બધાં લોકોને એક કક્ષામાં મૂકી શકાય નહી. શહેરમાં દયાની સરવાણી સમા ઉદાર લોકો પણ વસે છે.
ખેર,મને ચેન પડ્યું નહિ.હું દશામાનાં દર્શને જઈ રહ્યો હતો એટલે કે પછી બીજા કોઈ કારણ સર મને થયું મારે ત્યાંથી જતા રહેવું જોઇએ નહિ. થોડે આગળ મને બેચાર પોલીસ ઉભેલા દેખાયા. હું તેમની નજીક ગયો.તેઓ અન્ય કોઈ વિવાદમાં વ્યસ્ત હતા. છતાં મેં તેમને પેલા રસ્તામાં પડેલા માણસની વાત કરી. તેમણે મને કહ્યું "૧૦૮ એમ્બ્યુલન્સ કો કોલ કરો. વો આકે ઉસે લેકે જાયેંગે." મને તેમની ઉદાસીનતા થોડી કઠી.પણ મેં તેમના સૂચન મુજબ વર્તવા નક્કી કર્યું અને તરત મારા મોબાઈલ પરથી ૧૦૮ નંબર પર ફોન જોડ્યો. તરત ફોન લાગી ગયો!
મેં તેમને ઘટનાની અને મારા ચોક્કસ સ્થાનની જાણ કરી.સામે વાળી વ્યક્તિ મરાઠીમાં વાત કરી રહી હતી. પણ તેનો સ્વર નમ્ર હતો. તેણે મને ફોન પર રહેવા વિનંતી કરી મલાડ સ્ટેશન પશ્ચિમ પાસેની ૧૦૮ વેનના ડોક્ટરને ફોન જોડ્યો. તેમણે જણાવ્યું કે વર્ણવેલ સ્થળ તેમના લોકેશનથી દૂર હોવાથી તેમને ત્યાં પહોંચતા ખુબ વાર લાગશે પણ મલાડ પૂર્વમાં એસ.કે.પાટીલ હોસ્પિટલ નજીક ઉભેલી ૧૦૮ ત્યાં વધુ જલ્દી પહોંચી શકશે.મને ફરી વાર ફોન પર રહેવા વિનંતી કરી સામેની વ્યક્તિએ હવે મલાડ પૂર્વની ૧૦૮ના ડોક્ટરને ફોન પર લીધા. મેં તેમને ઘટના અને રસ્તે પડેલ વ્યક્તિનું વર્ણન તથા પોલીસના સૂચન વિશે માહિતી આપી અને જલ્દી થી માતૃસરાફ મંદીર નજીક તે જગાએ આવી જવા સૂચન કર્યું.
સેવાનો મેં પ્રથમ વાર ઉપયોગ કર્યો અને હું તેનાથી ખાસ્સો પ્રભાવિત થયો. મને એમ કે રસ્તામાં અકસ્માતનો કેસ છે એટલે તેઓ હજાર પ્રશ્નો કરશે અને મારે પરેશાન થવું પડશે પણ એમ કંઈ બન્યું નહિ.સાવ સામાન્ય અને પ્રાથમિક એવા પ્રશ્નો પૂછ્યા બાદ તરત તેમણે જગાએ આવી જવા તત્પરતા બતાવી. મેં ફોન મૂક્યા પછી બીજી દસેક મિનિટ રાહ જોઈ પણ એમ્બ્યુલન્સ ત્યાં સુધી આવી નહિ. પરીવારજનોના ફોન પર ફોન આવી રહ્યા હતા.ખાસ્સી વાર થઈ ગઈ હતી આથી હવે મેં મંદીરના પૂજારી પાસે જઈ તેમને પેલો રસ્તે પડેલો માણસ બતાવ્યો અને કહ્યું કે એમ્બ્યુલન્સ આવે તો તેને માણસ સુધી પહોંચાડવા મદદ કરે. પણ તે મંદીર બંધ કરવાની તૈયારીમાં હતા આથી તેમણે મને બાજુના માતૃસરાફ હોલના ચોકીદારને વિશે જાણ કરવા વિનંતી કરી. મેં ચોકીદારને માણસ બતાવ્યો અને જરૂરી સલાહસૂચન આપી ત્યાંથી વિદાય લીધી.
દસેક મિનિટ થઈ હશે, હું ઇન્દુબેનના ઘરની નજીક પહોંચ્યો હતો ત્યાં ૧૦૮ એમ્બ્યુલન્સ વાળા ડોક્ટરનો ફોન આવ્યો. તેઓ સ્થળ સુધી પહોંચી ગયા હતા અને તેમણે પેલા માણસને ચકાસી લીધો હતો. તેણે ચિક્કર દારૂ પીધો હતો. નશામાં પડી જતા,કોઈ સાથે મારામારી કરીને કે પછી કોઈ વાહનની અડફેટમાં આવતા તેને ઇજા પહોંચી હતી.તેને ડોક્ટરે પ્રાથમિક સારવાર આપી દીધી હતી અને મને તેમણે મારી સારી ભાવના બદલ બિરદાવ્યો.
મને એક સારું કામ કર્યાનો સંતોષ અને આનંદ મિશ્રીત લાગણીનો અનુભવ થયો.
બ્લોગ દ્વારા અનુભવ શેર કરવાનું કારણ ૧૦૮ એમ્બ્યુલન્સ જેવી સરસ સુવિધા વિશે લોકોને માહિતી આપવાનો પણ છે. તમે જોયું હશે કે ઘણાં રેલવે સ્ટેશનો બહાર સેવા આપતી એમ્બ્યુલન્સ ઉભી જોવા મળે છે. મેં તેમની સાથે વાતચીત કરી એવી માહિતી મેળવી છે કે મફત સેવા નો લાભ કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. આખા મહારાષ્ટ્રમાં સેવા ઉપલબ્ધ છે. રસ્તે તમે કોઈ અકસ્માત થયેલો જુઓ કે ઘરે કે ઓફિસમાં કોઈ ઇમર્જન્સી જેવી પરિસ્થીતી ઉભી થાય તો તમારે ૧૦૮ પર કોલ કરી પ્રાથમિક માહિતી આપવાની રહેશે. તેઓ તમારી સૌથી નજીકની ૧૦૮-એમ્બ્યુલન્સ સાથે તમારો સંપર્ક કરાવી આપશે અને તેમાં હાજર ટ્રેઈન્ડ ડોક્ટર જરૂરી માહિતી મેળવી તમારા સુધી પહોંચી જઈ જરૂરી સારવાર આપશે અને જરૂર જણાશે તો સૌથી નજીકની સરકારી હોસ્પિટલ સુધી દર્દીને પહોંચાડવામાં પણ એમ્બ્યુલન્સ મદદ કરશે.

આશા છે સેવા નો યોગ્ય લાભ લઈ કોઈનો જીવ આપણે ક્યારેક બચાવી શકીએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો