Translate

રવિવાર, 16 ઑગસ્ટ, 2015

લોકોનું ટોળું


તાજેતરમાં ઘટેલી ત્રણ ઘટનાઓમાં લોકોનાં ભેગા થયેલાં ટોળાં વિશે વાંચી માણસોની આમ ટોળામાં ભેગા થવાની વૃત્તિ વિશે એક નકારાત્મક લાગણી અનુભવી જે આજે બ્લોગ થકી શેર કરવી છે.

પહેલી ઘટના એટલે યાકુબ મેમણને ફાંસીએ લટકાવાયો ત્યાર બાદ તેની અંતિમ યાત્રા, જેમાં દસેક હજાર માનવોની મેદની જમા થઈ. યાકુબ મેમણનાં અંગત સગાઓ સિવાય અનેક મુસ્લીમ યુવાનો પણ અંતિમ યાત્રામાં સામેલ હતાં જે આશ્ચર્ય સાથે દુ: અને ચિંતાની બાબત છે. યાકુબ મેમણ એક આતંકવાદી હતો. આતંકવાદીઓને તેમના આતંકી કૃત્યમાં પોતાની સાનભાન અને વિવેકબુદ્ધિ સાથે સહાય કરનાર પણ આતંકવાદી ગણાય. અઢીસોથી વધુ નિર્દોષ લોકોના જાન લેનાર મુંબઈ બોમ્બ-બ્લાસ્ટની આતંકી ઘટનામાં સંડોવણી હોવાનું સ્પષ્ટ થયા બાદ તેને ફાંસીએ લટકાવવામાં આટલો વિલંબ કેમ થયો બાબતની ચર્ચા થવી જોઇએ તેની જગાએ યાકુબના અંતિમ દિવસોમાં મિડીઆએ તેને વગર કારણની અયોગ્ય પબ્લિસીટી આપી હીરો બનાવી દીધો અને તેના પ્રત્યે સહાનુભૂતિનું મોજું પેદા કર્યું. શું વર્ષો વિતી જતા તેનો ગુનો ઓછો થઈ ગયો? ફાંસીની સજા તેને જાહેર થઈ હતી તો એને અમલમાં મૂકતા પહેલા આટલો હોબાળો મચાવવાની જરૂર નહોતી. ફાંસી આપી દીધા બાદ જાહેર કરાવું જોઈતું હતું કે તેની ફાંસીની સજાનો અમલ થઈ ચૂક્યો છે. નીચલી કોર્ટમાંથી અરજી ઉપલી કોર્ટમાં જાય,રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી થાય બધી બાબતો જાહેર કરવાની શી જરૂર? કદાચ યાકુબે સામેથી પ્રત્યાર્પણ પણ કર્યું હોય તો તેનો ગુનો ઓછો થઈ જતો નથી.કોઈ એક ખૂન કરીને પોલીસ સામે હાજર થઈ જાય તો પણ તેનો ગુનો મટી જતો નથી અને તેને સજા થવી જોઇએ તો અહિ તો આતંકવાદ અને તેને સાથ આપવાની વાત હતી. પહેલું ચાલીસ માણસોનું ટોળું જેણે આતંકવાદી માટે દયાની અપીલ કરી એક મોટી ભૂલ કરી હતું  કેટલાક અગ્રણી નેતાઓ, અભિનેતાઓ, ઉદ્યોગપતિઓ, સમાજસેવકો વગેરેનું  ટોળું જેણે રાષ્ટ્રપતિને યાકુબની ફાંસીની સજા રદ કરવા પત્ર લખ્યો હતો. આતંકવાદ માટેની સજા ફાંસી કે કદાચ એટલી સખત હોવી જોઇએ જેથી લોકોમાં દાખલો અને ફડક બેસે. સજા ત્વરીત અને જાહેરમાં અપાવી જોઇએ જેથી આવું જધન્ય કૃત્ય કરતાં કોઈ પણ ડરે. જ્યારે આપણે ત્યાં બે બે દાયકા બાદ એક આતંકવાદીને ફાંસીની સજા માટે તો ઉહાપોહ મચી ગયો અને ત્યારબાદ તેના જનાજામાં પણ તે શહીદ કે હીરો હોય તેમ દસ-દસ હજારની મેદની જમા થઈ. આખો કિસ્સો મિડીયાએ પણ રીતે ચિતર્યો કે આમાં સરકાર વિલન જેવી સાબિત થઈ અને તેણે જાણે ફાંસીની સજાનો અમલ કરી કોઈ ભૂલ કરી હોય એવી લાગણી ઉભી થઈ. દસેક હજારમાં મોટા ભાગનાં લોકો તો યાકુબને ઓળખતા પણ નહોતાં પણ કુતૂહલ પૂર્વક કોઈ અસામાન્ય ઘટનાને જોવા ટોળામાં ભેગા થવું માણસનો જાણે સ્વભાવ છે.
રસ્તા પર કે પાટા પર કોઈનો અકસ્માત થયો હોય અને કોઈ લોહી નિગળતી હાલતમાં દયાની ભીખ માગતું તડપતું પડ્યું હોય ત્યારે ટોળું જમા નથી થતું વ્યક્તિને મદદ કરવા - તેનો જીવ બચાવવા.પણ જો કોઈ ઝગડો થઈ રહ્યો હોય કે કોઈ અસામાન્ય ઘટના ઘટી રહી હોય તો થવા માંડો ભેગા અને બનાવો બિન જરૂરી ટોળું.
        બીજી ઘટના હતી બૈદ્યનાથમંદિરમાં મચેલી નાસભાગ અને તેમાં દસેક કરતાં વધુ ભક્તજનોનાં મૃત્યુ.માણસ શા માટે શોર્ટકટ રસ્તા વધુ અપનાવતો હશે? શનિવારે હનુમાનના મંદીરે તેલ ચડાવવાની લાંબી કતાર, સોમવારે મહાદેવના મંદિરમાં શિવલિંગ પર દૂધ ચડાવવા ભક્તજનોની ભીડ વગેરે આના ઉદાહરણો છે. દિવસોએ જે-તે ભગવાનની ભક્તિ કરી તો વધુ પુણ્ય મળે એવી લાલસા એક પ્રકારનો શોર્ટકટ છે. અને પછી જ્યારે કોઈક દુર્ઘટના બનવા પામે તો લોકો ગાંડાની જેમ પોતાનો જીવ બચાવવા નાસભાગ મચાવી મૂકે છે. ત્યારે ટોળું ભગવાનમાં શ્રદ્ધા રાખી એ સમજવાનો પ્રયત્ન નથી કરતું કે મોત લખ્યું હશે તો કોઈ તેમને કાળના સંકજામાંથી છોડાવી શકવાનું નથી.

દર વર્ષે મંદીરોમાં, મેળાઓમાં કે જાહેર જગાએ આવી સ્ટેમ્પીડની અને તેના કારણે ચગદાઈને અમુક લોકો મરણ પામ્યાની ત્રણ-ચાર દુર્ઘટનાઓ ઘટવા પામે છે. આવે વખતે ધીરજ અને સંયમ જેવા ગુણો અને શિસ્ત ટોળું દાખવે તો ઘણાં કમનસીબ મૃત્યુ ટાળી શકાય.

ત્રીજી ટોળાની ઘટના વિશે અખબારમાં વાંચી આશ્ચર્ય તો થયું સાથે ગુસ્સો પણ આવ્યો. મિનિસ્કર્ટ્સ પહેરી ભક્તો એવું ઇચ્છે છે એટલે પોતે એમ કર્યું એવો ખુલાસો આપનાર, વિમાનમાં ત્રિશૂળ લઈ મુસાફરી કરનાર આજકાલ ભારે ચર્ચાસ્પદ બનેલ ગોડવુમન રાધેમા પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા થનારી ઉલટતપાસ અને સવાલજવાબ માટે હાજર થયા ત્યારે હજારો લોકોની ભીડ રાધેમાને જોવા માટે ભેગી થઈ ગઈ!  અહિ 'રાધેમા ના દર્શન માટે' એવો શબ્દ પ્રયોજ્યો નથી કારણ ભગવાનની દયાથી ટોળામાં તેમનાં સમર્થકોતો ગણ્યાં-ગાંઠ્યા હતાં! એટલા સમર્થકોની આંખમાં આંખ મિલાવવાની પણ તાકાત કદાચ રાધેમા માં નહિ હોય એટલે ગોગલ્સ પહેરીને આવ્યા હતા! મારી તાજેતરની વિમાન મુસાફરી દરમ્યાન બેગમાં તળીયે મૂકેલી નાનકડી કાતર પણ સુરક્ષા-સ્ટાફે કચરા ટોપલીમાં ફેંકાવડાવી દીધી તો મને નવાઈ લાગે છે રાધેમાને હાથમાં ત્રિશૂળ લઈ વિમાનમાં મુસાફરી કરવાની પરવાનગી કઈ રીતે મળતી હશે? આસારામ બાપુ આટલા વખતથી જેલમાં હોવા છતાં,તેમના નાલાયક હવસખોર છોકરાને પણ ભાગતો પકડી પોલીસે જેલમાં મોકલ્યો હોવા છતાં, કેસનાં ત્રણ સાક્ષીઓનાં શંકાસ્પદ ખૂન થયાં હોવા છતાં જો આસારામ બાપુ કદાચ કોઈ મેદાનમાં ભાષણ આપવા આવે તો મને કોઈ શંકા નથી, વિશ્વાસ છે  કે હજારો (કે પછી લાખો?)નું ટોળું ચોક્કસ જમા થઈ જાય!
લોકોને શા માટે ટોળામાં ભેગા થવું આટલું ગમતું હશે?

1 ટિપ્પણી:

  1. 'લોકોનું ટોળું' બ્લોગ દ્વારા તમે મારા મનની વાત કરી હોય એવું લાગ્યું.આભાર.ખુબ સારી રીતે આ બ્લોગમાં તમે વિચાર વ્યક્ત કર્યાં છે.
    - સુજાતા શાહ

    જવાબ આપોકાઢી નાખો