Translate

રવિવાર, 3 માર્ચ, 2013

વાલ્કેશ્વરને વખાણવું કે વખોડવું?

ચર્ની રોડ સ્ટેશન પર પૂર્વ દિસામાં સૈફી હોસ્પિટલની ભવ્ય ઇમારત છે. રાત્રે તે જે રીતે પ્રકાશિત હોય છે તે જોઈ મન પ્રસન્નતાથી ભરાઈ ગયા વગર ન રહે! વાલકેશ્વરના પ્રોમિનેડ પરથી રાતે ચાલીને આવતા હોઇએ ત્યારે એક બાજુએ વિશાળ અરબી સમુદ્રના અફળાતા મોજા દ્રશ્યમાન થાય, તેને વિંટળાયેલો ક્વીન્સ નેકલેસ પણ નયનરમ્ય લાગે. સામે પ્રકાશિત ઉંચી સૈફી હોસ્પિટલની ઇમારત પણ વાલકેશ્વરની ફૂટપાથ પરથી ટચૂકડી પણ અતિ સુંદર દેખાય. સૈફી હોસ્પિટલની વાત કરી એટલે તેના મુખ્ય પ્રવેશ દ્વાર પર કોતરાવેલી એક સરસ પંક્તિ મને યાદ આવી ગઈ. “When I fall sick,it is He who cures” (હું જ્યારે બિમાર થઈ જાઉં છું,ત્યારે તે મને સાજો કરે છે." આ ‘તે ‘ દ્વારા કોનો નિર્દેશ થયો છે તે સમજાવવાની જરૂર ખરી?)


હવે જ્યાં ફક્ત સારી સારી વાત કરીએ, આપણા મુંબઈ શહેર વિષે, ત્યારે સાથે સાથે ગંદકીનો ઉલ્લેખ ન થાય એવું બની શકે ભલા?! વાલકેશ્વરની સરસ ફૂટપાથ, જ્યાંથી ઉપર વાત કરી એ સુંદર દ્રષ્ય દેખાય છે, તેના પર જ ચાલતી વખતે જો માત્ર સુંદરતા નિરખવા પર ધ્યાન આપશો તો નક્કી તમારો પગ અહિં વસતા શ્રીમંતજનોના વિદેશી જાતિના શ્વાને કરેલા મળના ઢગલા પર પડશે એ નક્કી! મને આ લખતા પણ ચિતરી ચડે છે! સરસ મજાની ફૂટપાથ પર અનેક લોકો રોજ ચાલે કે દોડે (જોગિંગ કરે) છે. અહિં આસપાસના મકાનોમાં રહેતા શ્રીમંતોના નોકરો તેમના શેઠોના પાળેલા મોંઘા મોટા ભાગે વિદેશી જાતિના આલ્શેશિયન ,ડોબરમેન કે અનેક જાતજાતના શ્વાનનોને લઈને ફરવા નીકળે. ક્યારેક તો શ્રીમંત શેઠ કે શેઠાણી પોતે કે પછી ઘરનું કોઈ મેમ્બર પણ પોતાના પરિવારના સભ્ય જેવા કૂતરાને લઈને ફરવા નીકળે. પણ આટલા શ્રીમંત હોવા છતાં, જ્યારે કૂતરૂ પગ ઉંચો કરી મળ કે મૂત્ર દ્વારા એ ફૂટપાથ ખરાબ કરી રહ્યું હોય ત્યારે તેઓ એ જોયું ન જોયું કરી નાંખે. આ વાત મને ખૂબ પીડે છે. છેલ્લા થોડા સમયથી મારે કામ સંદર્ભે અહિં થી નિયમિત પસાર થવાનું બને છે. ત્યારે દરેક વખતે આવા, સુંદર જગાને ખરાબ કરતા દ્રષ્ય જોઈ મારૂ મન ગ્લાનિ અનુભવે છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામે આ વિશે કહ્યું હતું જે દિવસે ભારતમાં પણ વિદેશની જેમ માલિકો પોતાના પાળેલા પ્રાણીઓના મળમૂત્રને રસ્તા પરથી પોતે ઉપાડી પોતાના શહેર કે દેશની સ્વચ્છતા અંગે સભાન થઈ જશે તે દિવસે સોનાનો સૂરજ ઉગશે. મેં કોઈક વિડીઓમાં જોયેલું કે વિદેશમાં શ્વાનના માલિકો શેરી પર તેની સાથે ફરવા નીકળે ત્યારે વેસ્ટબેગ સાથે લઈને જ નીકળે અને જેવું શ્વાન પગ ઉંચો કરે ત્યારે તેનું મળમૂત્ર એ વેસ્ટબેગમાં જ પડવા દે અને નજીકની જ કચરાપેટીમાં નાખી દે. વાલકેશ્વરના શ્વાનમાલિકો ક્યારે આવું વલણ અપનાવશે? બધા સરખા નથી હોતા..કેટલાક સારા શ્રીમંતો શ્વાનને મળમૂત્ર ઉત્સર્જન ઘરમાં જ જાજરૂમાં કરવાની તાલીમ પણ આપતા હશે. પણ એ બહુ ઓછા હશે તેથી જ વાલકેશ્વરના પ્રોમિનેડ પર ચાલતી વખતે, અરબી સમુદ્ર અને ક્વીન્સ નેકલેસ સાથે સૈફી હોસ્પિટલ અને અન્ય ઉંચી ઇમારતોની સુંદરતાને આંખોમાં ભરતી વેળાએ ધ્યાન ન આપો તો ફૂટપાથ પર ઠેર ઠેર અહિં વસતા શ્રીમંતોના પાળેલા કૂતરાઓએ કરેલી ગંદકીથી પગ ખરાબ થયા વગર નહિં રહે અને મૂડનો સત્યાનાશ થઈ જશે!

આ બ્લોગ ટ્રેનમાં બેસી લખતા પહેલા ચર્ની રોડ સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા જોતા, સૈફી હોસ્પિટલની સુંદર લાઈટો પરથી ધ્યાન સહેજ નીચે રેલવેના પાટા પર ગયું ત્યાં મોટા મોટા ચાર પાંચ ઘૂસ ઉંદરો પકડાપકડી રમી રહ્યાં હતાં! તેમની આસપાસ આપણે જ મુંબઈ ગરાઓએ ફેંકેલો કચરો જ કચરો નજરે ચડ્યો અને એક જ ક્ષણમાં પેલી સુંદરતાએ જન્માવેલી પ્રસન્નતા ગાયબ થઈ ગઈ.

આપણા શહેરની અસ્વચ્છતા માટે આપણે જ જવાબદાર છીએ. ગાડીમાં પ્રવાસ કરતી વેળાએ, રસ્તામાં ચાલતી વખતે, મોલમાં શોપિંગ કર્યા બાદ ખાતી વખતે કે ઓફિસ,શાળા કે કોલેજ જતા-આવતા, બજારમાં,મેદાનમાં,બસમાં કે ટ્રેનમાં કે આપણાં પોતાના વાહનમાંથી રસ્તા પર કચરો ફેંકતા આપણે સહેજ પણ અચકાતા નથી. ઘરમાં ગમે ત્યાં કચરો નાખતા નથી પણ શહેરની કે શેરીની કે પોળ કે ગલીની કે સ્ટેશનની કે સાર્વજનિક સ્થળની સ્વચ્છતાની કોઈને પડી નથી. ક્યારે આપણો આ અભિગમ બદલાશે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો