Translate

રવિવાર, 28 ઑક્ટોબર, 2012

ચૂડેલમા, ગોગ મહારાજનાં મંદિર અને માતાજીની પલ્લી

ગુજરાત જ્યારે જ્યારે જવાનું થાય ત્યારે જુદાજુદા પ્રકારનાં કેટલાક સામાન્ય તો કેટલાક વિશિષ્ટ મંદિરોની મુલાકાત લેવાનું બને.આ મંદિરોમાં શ્રદ્ધા-અંધશ્રદ્ધા-ભક્તિ વગેરેનું મિશ્ર દર્શન થાય.એ બધી વાતો આજે આ બ્લોગ થકી ચર્ચવી છે.


'કૂણઘેરની હાઈકોર્ટ' તરીકે પ્રખ્યાત ગુજરાતના આ મંદિરની મેં થોડા સમય અગાઉ મુલાકાત લીધી. આ મંદિર આમ તો બીજા મંદિરો જેવું જ હતું પણ તેની ખાસ વિશિષ્ટતા હતી, આ મંદિરરૂપી હાઈકોર્ટના ન્યાયધીશ એટલે મંદિરમાં જેની પૂજા થાય છે એ ચૂડેલમા! ચૂડેલમા દેવયોનિના કોઈ દેવી નહિં પણ પ્રેતયોનિની એક ચૂડેલ. હવે આ વાંચ્યા બાદ તમને લાગશે આ મંદિરમાં ભક્તો તરીકે ભૂતપ્રેતની પૂજા-સાધના કરતા અઘોરી-તાંત્રિકો જ આવતા હશે. પણ ના! ચૂડેલમાના દર્શનાર્થી ભક્તો મારા તમારા જેવા જ સામાન્ય જન. એક ચૂડેલની દેવી તરીકે પૂજા કરવી અને તેનું મંદિર બનાવવું એ કદાચ ભારતમાં જ જોવા મળતું હશે!મંદિરમાં ચૂડેલમાની કોઈ મૂર્તિ કે તસવીર જોવા ન મળે.ચૂડેલમા આ મંદિરમાં (અને પછીથી જાણવા મળ્યા મુજબ તેમના બીજે પણ બનેલા મંદિરોમાં) દિવાની અખંડ જ્યોત સ્વરૂપે પૂજાય છે.ભૂત-પ્રેત-પલિત-ચૂડેલ વગેરેને તો અંધારૂ જ પ્રિય હોય પણ ચૂડેલમા પોતે એક જ્યોત સ્વરૂપે અહિં પૂજાય છે.મંદિરમાં મળતા પુસ્તક મુજબ બારેક વર્ષની કુંવારી કન્યાનું એક ઝાડ પરથી રમતાં રમતાં કૂવામાં પડી જતાં અકુદરતી મોત થયું અને તે ચૂડેલ બની.એક નવદંપતિને તેનો સાક્ષાત્કાર થયો અને તેમણે કૂણઘેર ગામમાં એ જ જગાએ નાની દેરી બનાવી ચૂડેલમાંની જ્યોત તરીકે સ્થાપના કરી. એ દેરીમાંથી જ આજે મોટા મંદિરનું નિર્માણ થયું છે અને સદાયે પ્રજ્વલિત રહેતી દિવાની એ પવિત્ર જ્યોત સાચા હ્રદયથી આવેલા દરેકેના મનની ઇચ્છા પૂરી કરે છે. લોકો દૂર દૂરથી કૂણઘેરની હાઈકોર્ટ ગણાતા ચૂડેલમાના આ મંદિરમાં આવે છે અને પોતાના દુ:ખો દૂર કરવા અને અન્યાય થયો હોય તેની ફરિયાદ કરી સાચો ન્યાય માગે છે. મારી બહેને પણ મુંબઈ બેઠાં બેઠાં આ માતાજીનું વ્રત કર્યું છે. મંદિર આખું ચૂડેલમાને લોકોએ ચડાવેલી લાલલીલી ચૂંદડીઓથી શોભે છે.જ્યોતની દેરી ઉપર વર્ષો જૂનું વરખડીનું ઝાડ પણ મોજૂદ છે અને મંદિરની સામે તો દાનવીર શ્રીમંત ભક્તોએ આપેલ દાનસખાવતમાંથી બનાવેલ ધર્મશાળા,બાગબગીચા અને રસોડું પણ છે જેમાં સેંકડો ભક્તોની રોજ રસોઈ તૈયાર થાય છે.ચૂડેલમાની જય હો!

બીજું એક આવું અજબ ગજબ મંદિર કડીથી થોડે દૂર આવેલા કાછવા ગામમાં ગોગમહારાજનું! ગોગમહારાજ એટલે તમને કદાચ જાણ ન હોય તો કહી દઉં કે નાગ દાદા! અહિં આ મંદિરમાં નાગની સોનાની મૂર્તિ સ્થાપિત છે.દૂર દૂરથી અહિં પણ લોકો દર્શન કરવા આવે છે અને સાચી શ્રદ્ધા પૂર્વક તેમની પ્રાર્થના અને દર્શન કરતા તે ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે! અહિં દર્શન કરવા આવો એટલે, મંદિરમાં રહી પૂજા આરાધના કરી ગોગમહારાજની સેવા કરતો પરિવાર, આગ્રહ કરી તમને ચા તો પિવડાવીને જ પાછા મોકલે!

અમારા મૂળ વતન ઊંઢાઈમાં આમ તો અમારૂં પોતાનું કોઈ ઘર નથી,છતાં પપ્પા વર્ષમાં એકાદ-બે વાર અચૂક ત્યાં જવાનો કાર્યક્રમ ઘડે અને અમે ઝૂંડવાળા માતાજીને નામે ઓળખાતા અંબામાના મંદિરે,અમારા ઇષ્ટદેવ લાખેશ્વર મહાદેવના તેમજ નાનીનાની દેરીઓમાં બેઠેલા શીતળામા,મહાકાળીમા,માવડિયામા,ધૂંધળીમલ દાદા અને બીજા એક મોટા રામમંદિરના દર્શન કરવાનો વણલખ્યો નિયમ પાળીએ.ક્યારેક અહિંથી ત્રણેક કિલોમીટર દૂર આવેલા શોભાસણ ગામે રેપડીમા ના દર્શને પણ જવાનું. ત્યાર બાદ ગુંજા ગામે આવેલ અમારી કુળદેવી ભુવનેશ્વરીમાતાના દર્શને અમારો આખો પરિવાર જાય.આ ગામ નાનકડું અને અહિં મોટેભાગે ચૌધરી-પટેલો તેમજ મુસ્લિમોની વસ્તી.પહેલા તો ભુવનેશ્વરીમાનું નાનકડું દેરૂં જ હતું.પણ આ માતાજીની મૂર્તિ પર, કોઈ મુસ્લિમ રાજાએ ગામ પર હૂમલો કરેલો ત્યારે તલવાર મારેલી અને ત્યારે મૂર્તિમાંથી લોહીની ધારા વહેલી.આ ઘટના બાદ મંદિરને ખ્યાતિ મળી અને સજીવન પ્રાણપ્રતિષ્ઠા કરાયેલી એ મૂર્તિ પર મોટું મંદિર બંધાયું.આમ તો આ મંદિરમાં ખાસ ભીડ જોવા ન મળે અને અમે જ્યારે જ્યારે દર્શને ગયેલા ત્યારે અમારા પરિવારના સભ્યો સિવાય ખાસ બીજા કોઈ દરશનાર્થી અહિ જોવા ન મળતા પણ આ દુર્ગાષ્ટમીએ જ્યારે અમે ભુવઈમાના આ મંદિરે દર્શન કરવા ગયાં ત્યારે હું અચંબિત થઈ ગયો.આજુબાજુના દસેક ગામોની વસ્તી પણ જાણે અહિ ઉમટી હોય એટલી ભીડ હતી આ મંદિરમાં.જુવાનિયાઓનો પણ જાણે મેળો હતો.મંદિરનો મુખ્ય દરવાજો બંધ હતો અને દ્વારની આજુબાજુ હાથ પકડી મોટી માનવ સાંકળ જાણે કોઈકની રાહ જોઈ રહી હતી.અમે બાજુના નાના દરવાજેથી મંદિરમાં પ્રવેશ્યા.અંદર પણ સારી એવી ભીડ હતી.માતાજીના દર્શન કર્યા ત્યાં પાછળથી કોઈ પચ્ચીસેક વર્ષના યુવાને મોટેથી બૂમ પાડી.મને ખ્યાલ આવી ગયો કે મોટા ભાગના લોકો જેમ માનતા હતા એમ એ યુવાનના શરીરમાં માતાજી આવ્યા હતાં.તે ધૂણતો હતો.હું અમી અને નમ્યાને થોડા દૂર લઈ ગયો ત્યાંતો મંદિરના મુખ્ય દ્વાર ખુલ્યા અને મોટું ટોળું દેવીનો જયજયકાર કરતું મંદિરમાં પ્રવેશ્યું.પેલી માનવ સાંકળ મંદિરની અંદર પણ બનેલી હતી અને તેની વચ્ચે થઈને જ આ ટોળું મંદિરમાં પ્રવેશ્યું.ટોળામાં બીજા બેચાર જણ પણ ધૂણતા હતાં.એક જણતો ધૂણતા ધૂણતા રડી પણ રહ્યો હતો.હવે મારૂં ધ્યાન ટોળાની વચ્ચે એક વ્યક્તિ પર ગયું જે માથે બાજોઠ ધારણ કરી મંદિરમાં પ્રવેશી.

'માતાજીની પલ્લી આવી..માતાજીની પલ્લી આવી' એવા ઉદગારોથી મંદિર ગાજી ઉઠ્યું. પલ્લી એટલે બાજોઠ પર ચોક્કસ અનાજની ઢગલી કરેલી હોય અને તેને પેટાવી હોય.આ અગ્નિની પવિત્ર જ્યોતમાંથી અનેક ભક્તો પોતપોતાના બે હાથોમાં લીધેલી મશાલ પેટાવે અને પછી એ બધા ભક્તો કતારબદ્ધ આખા ગામમાં ફરે.આ શ્રદ્ધાપૂર્ણ,ભક્તિપૂર્ણ દ્રષ્ય જોઈ મનમાં એક ગજબની લાગણી થાય.અગાઉ પણ બ્લોગમાં લખી ગયાં મુજબ મનુષ્યના શરીરમાં માતાજી કે કોઈ દેવ પ્રવેશે અ વાતમાં હું માનતો નથી.છતાં પલ્લીના દર્શન કરી અને કતારબદ્ધ મશાલો પેટાવેલ ભક્તોની એ કવાયત જોઈ અચરજ મિશ્રિત ભક્તિભાવનો અનુભવ થયો.આ ભક્તોમાં મોટેભાગે એવા લોકો હતાં જેમને ત્યાં સંતાન ન થયું હોય અથવા જેઓ સંતાન તરીકે પુત્ર ઝંખતા હોય.મનુષ્યમાત્રનું પુત્રમોહનું આ વળગણ ક્યારે છૂટશે?ક્યારે સર્વે મનુષ્યો દિકરો કે દિકરી વચ્ચે બિલકુલ ભેદ નહિ કરવાનું શિખશે?માતાજી સર્વે ને સદબુદ્ધિ આપો!

ભારતમાં લાખો જુદા જુદા પ્રકારના મંદિરો છે જેમાં દેવી દેવતાઓ જ નહિ પણ ઉપર ચર્ચ્યા મુજબ ચૂડેલ,નાગ અને અન્ય યોનિના સજીવો પણ પૂજાય છે.જ્યાં સુધી અંધશ્રદ્ધા આધિપત્ય ન જમાવે, સાચી શ્રદ્ધાથી કોઈ પણ જીવની પૂજા થાય ત્યાં સુધી બધું યોગ્ય. બસ, એ ભક્તિ પાછળ સારો અને સાચો આશય હોવો ઘટે.

1 ટિપ્પણી:

  1. ભાઈ વિકાસ ,
    તમે બહુ જ સમજણ- પૂર્વક અને સંયમિત રીતે જનજાગૃતિનું અભિયાન તમારી કલમ દ્વારા ચલાવો છો -
    તે ઉદાહરણીય છે - અને ધીમી પણ મક્કમ ગતિએ એની અસર થવાની જ .
    સદભાવનાઓ સાથે ,

    અશ્વિન દેસાઈ
    ઓસ્ટ્રેલિયા

    જવાબ આપોકાઢી નાખો