Translate

શનિવાર, 23 ઑક્ટોબર, 2010

સદાય હસતા રહો...

મુંબઈની લોકલ ટ્રેનમાં મારા જેવા લાખો પ્રવાસીઓ રોજ સવારે ચિક્કાર ગર્દી અને ગરમી વચ્ચે ભીંસાઈને ઓફિસ જવા નિકળતા હશે.અડધો કલાકની મુસાફરી હોય કે એક કલાકની સમય કાપવા માટે જુદા જુદા લોકો જુદી જુદી તરકીબ અપનાવતા હોય છે.મારા જેવું કોઈક સંગીત સાંભળતું હોય કાનમાં આઈપોડ કે મોબાઈલના ઈયર ફોન ભરાવીને કે પછી મોબાઈલ પર ફટાફટ આંગળા ફેરવી SMS (કે મારી જેમ બ્લોગ!) ટાઈપ કરતા હોય.કેટલાક છાપાની નાનામાં નાની ગડી વાળી તાજા ખબરો,શેરોના ભાવ કે ફિલ્મી ગપશપ વાંચતા હોય તો કેટલાક કોઈક નવલકથાનું રસપ્રદ પ્રકરણ વાંચવામાં મશગૂલ હોય. લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં તો ડબ્બો ખાલી હોય ત્યારે સ્ત્રીઓ શાક સમારતી હોવાનું અને ઊન ગૂંથતી હોવાની પ્રવ્રુત્તિમાં વ્યસ્ત હોવાનું પણ સાંભળ્યું છે!ટ્રેનમાં મુસાફરી કરતી વખતે દિવસભરનું પ્લાનિંગ પણ થઈ શકે!આજકાલ તો કેટલાંય લોકો ટ્રેનમાં બેસવાની જગા હોય ત્યારે લેપટોપમાં ડૂબેલા પણ જોવા મળે છે.ટ્રેન ભરેલી હોય કે ખાલી,મારી મનપસંદ પ્રવ્રુત્તિ છે વાંચન અને મારા મોબાઈલ પર મ્યુઝિક સાંભળવું.


મોબાઈલ પર કે આઈપોડમાં મ્યુઝિક સાંભળવાના અનેક ફાયદા છે. એક તો આ સાધનો કદમાં નાના (તમારા ખિસ્સામાં સમાઈ જાય એવડાં) હોવાથી ટ્રેન ભરેલી હોય તો પણ તમે આરામથી બીજાને ખલેલ પહોંચાડ્યા વગર કાનમાં ઈયરપ્લગ્સ ભેરવી તમારું મનપસંદ સંગીત સાંભળી શકો. કેટલાક યુવાનિયાઓ ખૂબ મોટા અવાજથી ગીત-સંગીત સાંભળતા હોય છે જે તેમના કાન માટે તો નુકસાનકારક સાબિત થાય છે જ પણ આજુબાજુ ઉભેલા સહપ્રવાસીઓને પણ ડિસ્ટર્બ કરે છે. ઘણાં તો બીજાનો વિચાર કર્યા વગર મોટેથી પણ ગીતો વગાડવાના શરૂ કરી દેતા હોય છે. આ ખોટું છે. તમારો સાંગીતનો ટેસ્ટ ગમે તેટલો સારો કેમ ન હોય પણ તમે જાહેર જગાએ બીજાઓનો વિચાર કર્યા વગર આ પ્રમાણે વર્તો એ યોગ્ય નથી. સંગીત હંમેશા ઈયરફોન પહેરીને જ સાંભળવું જોઈએ.

મોબાઈલ કે આઈપોડ પર એક સાથે ઘણાં બધાં ગીતોનો સંગ્રહ થઈ શકે છે, એ પણ યોગ્ય વર્ગીકરણ સાથે. તમે આ ગીતો ક્રમબદ્ધ (એક પછી એક ક્રમમાં) કે આડાઅવળાં ક્રમમાં પણ સાંભળી શકો એવા વિકલ્પ હોય છે.ભજન હોય કે પ્રભાતિયા, તમારી ભાષામાં હોય કે પછી બીજી કોઈ ભાષામાં, ફિલ્મી હોય કે શાસ્ત્રીય સંગીત બધાં જ પ્રકારના ગીતો કે સંગીત તમે મોબાઈલ કે આઈપોડ પર સાંભળી શકો છો.

હજી એક વધુ ફાયદો એ છે કે તમારા સંગ્રહમાં ખૂબ સરળતાથી નવા ગીતો ઉમેરી શકો છો કે ન ગમતા ગીતો ભૂંસી શકો છો. કેટલાંક વધુ આધુનિક મોબાઈલ કે આઈપોડ પર તો એડ્વાન્સ સેટીંગ્સ બદલી એક જ ગીત અલગ અલગ ઈફેક્ટ સાથે સાંભળી શકો છો.

વિચાર કરો, ટ્રેન ખાલી હોય, તમે દરવાજે (એટ્લે કે ફૂટબોર્ડ પર) ઉભા હોવ, તમારું મનપસંદ ગીત તમારાં કાનમાં ફક્ત તમે પોતે સાંભળી રહ્યાં હોવ, વહેલી પરોઢનો સમય હોય કે મોડી સાંજ કે રાતનો સમય હોય ,ગાડી પૂર ઝડપે દોડી રહી હોય તમારા મોં પર હવા વિંઝણો ઢોળી રહ્યો હોય અને તમારી આંખ સામેથી સુંદર દ્રષ્ય પસાર થઈ રહ્યાં હોય!કેટલી સુખકારક કલ્પના છે નહિં!

થોડાં દિવસો અગાઉ હું મારી આદત મુજબ મોબાઈલ પર મારા મનપસંદ ગીતો સાંભળી રહ્યો હતો.તેમાં અચાનક એક ઘણાં લાંબા સમય પહેલા સાંભળેલી જાણીતી ધૂન વાગી.કેટલાક દિવસ પહેલાં જ કમ્પ્યુટર પરથી મેં મારા પ્રિય પણ ઘણાં જૂના ગીતો મોબાઈલ પર ઉમેર્યા હતા. તેમાંનું એક ગીત હતું આ.શબ્દો સાંભળ્યા બાદ યાદ આવ્યું કે એ મારા પ્રિય ફિલ્મ દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની પ્રથમ અને મારી ખૂબ પ્રિય એવી ફિલ્મ 'ખામોશી-ધ મ્યુઝિકલ' નું એક ગીત હતું - 'રે મોજ મે લે ચલો મિલ કે બાજા રે રાજા પોઢે સંભાલ...' ((આ ફિલ્મ આજે પણ કોઈ ચેનલ પર બતાવવામાં આવી રહી હોય તો રીમોટનું બટન એ ચેનલ પર જ અટકી જાય અને હું ફરી એક વાર એ ફિલ્મ

જોવાનું પ્રલોભન રોકી શકતો નથી અને અચૂક એ દરેક વેળાએ પેટ ભરીને રડું પણ આવે છે! અને એ ફિલ્મના દરેક ગીત પણ મને બેહદ પ્રિય છે)

અચાનક સાંભળવા મળેલા મારા આ મનપસંદ ગીતે મને વિચાર કરતો કરી મૂક્યો.કેટલો ઉમદા વિચાર આ ગીત દ્વારા રજૂ થયો છે!તમારામાંના જેમણે આ ફિલ્મ જોઈ હશે તેમને કદાચ આ ગીત ફિલ્મમાં કયા સંજોગોમાં આવે છે તે વિષે ખબર હશે. તમારામાંના જે વાચકોએ આ પ્રેક્ષણીય સંવેદનશીલ ફિલ્મ જોઈ નથી તેમના માટે હું આ ગીતની આસપાસની થોડી વાર્તા કહી દઉં. ફિલ્મમાં એક ખ્રિસ્તી કુટુંબ બતાવાયું છે જેમાં પાંચ સભ્યો હોય છે - એક મૂંગા-બહેરા પતિપત્ની,તેમના બે વહાલસોયા સંતાનો અને ઘરડી વહાલી લાગે તેવી સમજુ દાદીમા. આ પરિવારના બધા સભ્યોને સંગીત ખૂબ વહાલુ છે,પતિ-પત્ની તો બોલી કે સાંભળી પણ શક્તા ન હોવા છતા તેમના ઘરમાં વસાવેલા એક

મોટા પ્યાનોને પોતાની મહામૂડી ગણી તેનું ખૂબ જતન કરે છે.દાદી સૂરીલા મજાના ગીતો ગાઈ પ્યાનો વગાડી તેમાંથે સર્જાતા મધૂર સ્વરોથી પોતાના બન્ને નાનકડા પૌત્ર-પૌત્રીનું મન બહેલાવે છે અને તેમને પણ સુંદર ગીતો ગાતા શીખવે છે.પરિસ્થિતી એવી નિર્માણ થાય છે કે આર્થિક સ્થિતી વણસતા આ કુટુંબે પ્યાનો વેચવાનો મુશ્કેલ નિર્ણય લેવો પડે છે.બાળકો તો જીવનની વિષમતા અને મુશ્કેલી થોડી સમજી શક્તા હોય છે?તેઓ તો રોકક્કળ કરી મૂકે છે અને તેમના પ્યારા પ્યાનોને લઈ જતા રોકે છે.ત્યારે દાદી પોતાના

વહલુડા બાળકોને તેમની ભષામાં સમજાય એવી રીતે ગાઈને મનાવવાનો પ્રયાસ કરે છે અને આ મજાનું ગીત ફિલ્મમાં આવે છે.તે આ ગીત દ્વારા પ્યાનો લઈ જનાર મજૂરોને વિનંતી કરે છે કે તેઓ પ્યાનો રાજાને ધીરે ધીરે અને પ્રેમથી ઉંચકી લઈ જાય જેથી પોઢેલા પ્યાનો રાજાની ઊંઘમાં ખલેલ ન પડે!પછી તે નાનકડા બાળકોને પ્રેમથી ગાતા ગાતા ન રડવા જણાવે છે કારણ અત્યાર સુધી તે એકલી જ પ્યાનો વગાડતી અને ગાતી હતી પણ હવે પ્યાનોના મધુર સૂરો સમગ્ર વિશ્વ સમક્ષ રેલાશે અને આખું જગત સંગીતમય બની તેના તાલે ગાશે અને ડોલશે!આથી દુખી થયા વગર તે બાળકોને પોતાના પ્યારા પ્યાનો રાજાને હસીને ખુશીથી વિદાય આપવા સમજાવે છે.કેટલો ઉમદા અને ઉદાત્ત વિચાર!

કવિતા કૃષ્ણમૂર્તિએ આ હ્રદયસ્પર્શી ગીતને પોતાના કોકિલકંઠે ગાઈ સંપૂર્ણ ન્યાય આપ્યો છે!ગીતને અંતે સૂરોના આરોહ સાથે ગવાતો આલાપ દાદીના કાળજાને આકરી વેદનાનો સ્પષ્ટ ચિતાર આપે છે.અત્યાર સુધી તો તેણે ભૂલકાઓને સમજાવ્યા-હસીને પટાવ્યા પણ હવે તેને પોતાને કોણ સાંત્વન આપશે?પ્યાનો તો તેનો એક માત્ર સાથી હતો જેના દ્વારા તે પોતાના ભાવ વ્યક્ત કરતી.હવે તેને કોણ સાથ આપશે એ વિચારે તે બાળકોથી છાનું છાનું, પણ મન મૂકીને રડી લે છે.આ વેદના કવિતાજીએ ગીતને અંતે ગવાતા હાઈ પીચ આલાપમાં આબાદ રીતે ઝીલી છે.

આ બ્લોગ અહિં જ પૂરો કરતા હું પણ એટલું જ કહેવા ઇચ્છુ છું કે સદાય હસતા રહો...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો